આ લેખમાં માત્ર યાદી છે, લાંબી છે, થાક લગાવે તેવી છે, એમ વાચકોને લાગે તે સંભવ છે. પરંતુ એ વાંચતા મને જે અનુભવ થયો, એ વાચકોને પણ થાય, એ હેતુથી લેખ જેમનો તેમ અનુવાદ કર્યો છે. વાંચતાં મને થયું, આપણો તે કેવો સમાજ? હિંસાથી મોં ફેરવતો જ નથી, ધર્મ, જ્ઞાતિ, જાતિ, ગાય, અરે, ગમે તે બહાને, બસ, મારો-કાપો કરવામાં જ સમજી છે? કદાચ, બીજા વાચકોને એવી જ કોઈ શરમ અને દુઃખની લાગણી થાય એટલે આ લાં ……..બી યાદી તમને ય સાદર :
— આશા બૂચ
(તુષાર ગાંધી મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર. તેઓ એક કર્મશીલ, લેખક અને મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ છે. તુષારભાઈ ગાંધીએ ઓલ ઇન્ડિયન્સ મેટર નામની ઓનલાઇન પત્રિકાના 22 ફેબ્રુઆરી 2021ના અંકમાં, ભારતમાં પ્રસરી રહેલી નફરત અને તેને પરિણામે પ્રગટેલી હિંસાના બનાવોની એક યાદી મુકેલી, જેનું ભાષાંતર તેમની અનુમતિ સાથે વાચકો માટે અહીં પ્રસ્તુત છે. આ યાદી તૈયાર કરનાર અને લખનાર તેમ જ વાચકોને કદાચ લાંબી લાગે, થાક ઉપજાવનારી લાગે, પરંતુ વર્ષો વર્ષ ભારતના ખૂણે ખૂણે હિંસા ફેલાવનાર હજુ થાક્યા નથી. આ યાદીને ધ્યાનપૂર્વક વાંચતા એ આપણી સમક્ષ ઘણા સવાલો મૂકી જાય છે, તેવો અહેસાસ થશે. 1960ના દાયકા બાદ શા કારણે હિન્દુ-મુસ્લિમ વચ્ચે આટલું વૈમનસ્ય પેદા થયું? ભૈતિક સાધનોની પેદાશ અને વેપાર તથા ટેકનોલોજીની બાબતમાં આટલી પ્રગતિ કરનાર દેશ આંતરિક શાંતિ સ્થાપવામાં કેમ નિષ્ફળ ગયો? ધર્મ આધારિત કોમી નફરતે કરાવેલી હિંસા પૂરતી નહોતી પડી, કે જેથી જ્ઞાતિને આધારે, ગૌ રક્ષણ નામે, દેશદ્રોહના બહાને વાણી અને વિચાર સ્વાતંત્ર્યનાં હનન ખાતર આટલી બધી હિંસા આચરવી પડી? )
મહાત્મા ગાંધીની એક ઝનૂની માણસના હાથે હત્યા થઇ તેને 73 વર્ષ થયા. બાપુના અંતિમ શબ્દો ‘હે રામ!’ હતા તેવી સામાન્ય માન્યતા છે. જો કે જ્યારે આત્માએ તેમનો દેહ ત્યાગ્યો, ત્યારે તેમણે ઉત્તરોત્તર ધીમા થતા જતા અવાજે ‘રા…મ, રા…મ, રા…મ’ એ શબ્દો ઉચ્ચારેલા. પરંતુ રાજઘાટ અને ગાંધી સ્મૃતિ સ્મારક પાસે ‘હે રામ!’ શબ્દ જ કોતરાયેલો જોવા મળે છે, એટલે એ શબ્દ જ તેમના નિધનનો પર્યાય બની ગયો છે.
આઝાદી મળ્યા બાદ નફરતથી દોરવાયેલા અસંખ્ય બનાવો બન્યા. જો બાપુ આજે હયાત હોત તો તેઓ ‘રામ, રામ રામ; શબ્દનો સતત પુનઃ ઉચ્ચાર કર્યા કરતા હોત.
“નગ્ન હિંસા એ નગ્ન હાડ પિંજર જેવી જ ઘૃણાસ્પદ છે, માંસ, રક્ત અને મખમલી ત્વચાથી વંચિત. એ લાંબો સમય ટકી શકે નહીં. પણ જ્યારે એ કહેવાતા વિકાસ અને શાંતિનું મહોરું પહેરીને આવે છે, ત્યારે લાંબો સમય ટકી રહે છે.” [ગાંધીઃ યંગ ઇન્ડિયા, ફેબ્રુઆરી 1930]
મેં 1946થી આજ પર્યન્ત નોંધાયેલા કોમ અને જ્ઞાતિ આધારિત હિંસાના મોટા બનાવોની યાદી કરી છે. તેના ઉપરાંત બીજા ઘણા નાના મોટા બનાવો બન્યા છે, અને આ યાદી એ તમામ બનાવોને સમાવેશ કરી લેનારી હોવાનો દાવો નથી. મારી પુત્રી કસ્તૂરી અને પુત્ર વિવાનનો આભારી છું કે જેમણે સંશોધન કરી સંકલન કરીને રાષ્ટ્રના સામૂહિક લાંછનની યાદી તૈયાર કરવામાં સહાય કરી.
કોમ અને જ્ઞાતિને કારણે થતી કત્લેઆમ એ ભારત માટે નવી ઘટના નથી. કેરળના મલબાર પ્રદેશના મોપલાહ વિસ્તારમાં થયેલ રમખાણો અને તેને પગલે થયેલ કત્લેઆમ ભયાનક હતી. સ્વાતંત્ર્ય મળવાની ઘડીઓ નજદીક હતી ત્યારે ઓગસ્ટ 1946માં મુસ્લિમ લીગે પાકિસ્તાનની રચના કરવા સીધાં પગલાંનું એલાન કર્યું ત્યારે નિર્દયતાને છુટ્ટોદોર મળી ગયેલો. સીધાં પગલાંના પ્રત્યાઘાત રૂપે કલકતામાં થયેલી હત્યાઓ નિષ્ઠુર હતી. હિન્દુઓની હત્યાનો બદલો એનાથી પણ વધુ ક્રૂર રીતે મુસ્લિમોની હત્યા કરીને લેવાયો. તેનું પરિણામ નોઆખલી અને પૂર્વ બંગાળના ટીપેરા જિલ્લા(જે હાલમાં બાંગ્લાદેશમાં છે)માં મોટી સંખ્યામાં હિન્દુઓની કત્લેઆમમાં આવ્યું. વેર વાળવા માટે બિહારમાં મુસ્લિમોની કતલ શરૂ થઇ. આ સમય દરમ્યાન પંજાબ પણ હિંસાના તાંડવથી સળગતું હતું.
બાપુ બંગાળ અને ત્યાર બાદ બિહારમાં હિંસાથી સળગતા વિસ્તારમાં એ આતશને બુઝાવવા વચ્ચોવચ્ચ કૂદી પડયા. તેમાં એમને ભાગ્યે જ સફળતા મળી. હું કહું છું કે ભાગ્યે જ સફળતા મળી કેમ કે એ આગ સ્વતંત્રતા મળ્યાની ક્ષણોમાં ભારતના અનેક વિસ્તારોમાં હિંસા પ્રસરી ગઈ હતી.
આઝાદી બાદ, કલકતામાં ફરી હિંસક રમખાણો ફાટી નીકળ્યાં. બાપુએ અનશન કર્યા ત્યારે લોકમાં વિવેક સ્થાપવાનું શક્ય બન્યું. પંજાબ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ક્રૂર હત્યાની આગ ભડકતી હતી, જેની ઝાળ દિલ્હીને ભરખી જવાનો ભય હતો. માનવતા દરેક સ્થળે મરી પરવારી હતી.
પોતાના આયુષ્યના અંતિમ મહિનામાં 78 વર્ષના બાપુ ફરી શાંતિ સ્થાપવા અનશન પર ઉતર્યા. જેવા તેઓ શાંતિ સ્થાપવામાં સફળ થયા કે તરત ધિક્કારના સિદ્ધાંતોને પોષે તેવી વિચારધારાઓ ધરાવનારાઓને હાથે તેમની હત્યા થઈ. બાપુની હત્યાથી લાગેલો આઘાત અને દેશ આખામાં પ્રસરેલી દુઃખની લાગણીથી થોડો વખત શાંતિ જળવાઈ રહી. પરંતુ સમયાંતરે આપણે ફરી ફરી પૂર્વગ્રહોથી ગ્રસિત થતા રહ્યા અને પાગલપનને વશ થતા રહ્યા.
તે સમયે ઘણા મોટા કોમી રમખાણોના બનાવો બનેલા અને બીજા નોંધપાત્ર ન ગણાય તેવા બનાવો બનેલા જેની ભારે કિંમત ચૂકવવી પડેલી. જો કે જ્ઞાતિ આધારિત ક્રૂરતા ભરેલા ગુનાહિત કૃત્યો તો આપણા સમાજની એક પ્રકૃતિ બની ગયેલી, છતાં એવી કેટલીક ઘટનાઓ ઘટી જે મોટી અને મહત્ત્વની ગણવામાં આવી.
હાલના સમયમાં હિંસક ટોળાનું સભ્યપદ નવું અસ્તિત્વમાં આવ્યું છે. ઘણી હિંસા ટોળાં દ્વારા આચરવામાં આવી છે અને ખૂન કરનારાઓ અવ્યવસ્થિત ટોળાંમાં ભળી જઈને ભાગી જઈને છુટ્ટા ફરે છે. ગુનેગારોને પકડીને સજા કરવા માટે બહુ ઓછો પ્રયાસ કરવામાં આવે છે. ન્યાય આપવામાં એટલી હદે વિલંબ થાય છે કે જ્યારે છેવટ ચુકાદો આવે ત્યારે તેનું કોઈ મહત્ત્વ નથી રહેતું. સમાજનો મોટો ભાગ આવા હત્યારાઓની પૂજા કરે છે અને શાંત રહેનાર મોટા ભાગના લોકો ચૂપ રહે છે.
મારી ‘હે રામ!’ ની યાદી :
1960નો દાયકો :
1961: જબલપુર, મધ્ય પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. એવા જ રમખાણો અલીગઢ, ઉત્તર પ્રદેશમાં થયા. ઓક્ટોબરમાં એ મિરત, કલકત્તા, જમશેદપુર, બિહાર, રૂરકેલા અને ઓરિસ્સામાં ફેલાયા.
1964 : માલેગાંવ-મહારાષ્ટ્રમાં કોમી રમખાણો
1967 : રાંચીમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
1969 : કરીમગંજ-અસ્સામમાં થયેલ રમખાણોમાં ઘણી જાનહાનિ થઇ.
1969 : અમદાવાદમાં કોમી આગ લાગી.
1970નો દાયકો :
1970 : મહારાષ્ટ્રમાં ભીવંડી કોમી રમખાણોનું સાક્ષી બન્યું.
1974 : મે મહિનામાં દિલ્હીના સદર બજારમાં કોમી રમખાણો
1977 : ઓક્ટોબરમાં વારાણસીમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
1978 : માર્ચમાં સંભાલ-ઉત્તર પ્રદેશમાં અને એપ્રિલમાં હૈદરાબાદમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
1979-80 : જમશેદપુર, અલીગઢ, મોરાદાબાદમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
1980નો દાયકો :
1980-81 : ગોધરા – ગુજરાતમાં એક કરતાં વધુ રમખાણો
1981 : એપ્રિલમાં બિહારશરીફમાં અને એપ્રિલમાં હૈદરાબાદમાં કોમી રમખાણો
1982 : ફેબ્રુઆરીમાં પૂના અને સોલાપુર-મહારાષ્ટ્રમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. એપ્રિલમાં બીજૉ સેથુ – પશ્ચિમ બંગાળમાં 16 સાધુ અને એક સાધ્વીને જીવિત સળગાવી દેવાયાં
1982 સપ્ટેમ્બર-ઓક્ટોબર : મિરતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો, ઓક્ટોબરમાં વડોદરા-ગુજરાતમાં પણ હિન્દુ-મુસ્લિમ રમખાણો
1983 : નેલી-આસામમાં ફેબ્રુઆરી માસમાં અને સપ્ટેમ્બરમાં હૈદરાબાદમાં કોમી રમખાણો
1984 : ભિવંડી અને માલેગાંવ ફરી સળગી ઉઠ્યા. જુલાઈ અને સપ્ટેમ્બરમાં ફરી હૈદરાબાદ ભડકે બળ્યું. ઈન્દિરાબહેન ગાંધીની હત્યા બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં શીખ લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી.
1985 : અમદાવાદમાં કોમી રમખાણો
1987 : રમખાણો મિરતને ભરખી ગયા.
1988 : ઔરંગાબાદ-મહારાષ્ટ્રમાં મે મહિનામાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને ઓક્ટોબરમાં મુઝફ્ફરનગરમાં.
1989 : ફેબ્રુઆરીમાં સલમાન રશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ મુંબઈમાં કરેલ દેખાવો હિંસામાં ફેરવાઈ ગયા. સપ્ટેમ્બરમાં બદૌ-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. ઓક્ટોબરમાં ઇન્દોર-મધ્ય પ્રદેશમાં કોમી રમખાણો. ભાગલપુરમાં મુસ્લિમો પર પોલીસે ગુજારેલા સીતમના સમાચાર બહાર આવ્યા.
1989 : અલગ કાશ્મીરની માંગણી કરનારા નેતાઓની દોરવાણીથી કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણ છોડવાની ફરજ પડી.
1989 : બદૌ અને કર્નલ ગંજ-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
1990નો દાયકો :
1990 : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એલ.કે. અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બાંધવાના પ્રયાસને બળ પૂરું પાડવા સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી. એ યાત્રા જે જે સ્થળોએ ગઈ ત્યાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. કાર સેવકનાં ટોળાંએ બાબરી મસ્જિદનો ધ્વંસ કરવા કોશિશ કરી; 60થી વધુ માણસો પોલીસના ગોળીબારમાં મરાયા. ઘણાં શહેરોમાં દંગા થયા. ઓકટોબરમાં કર્ણાટકના રામનગરમ, છાનાપટના, કોલાર, દેવાંગરે અને ટુમકુરમાં રમખાણો થયાં. એ જ મહિનામાં ઉદયપુરમાં યોજાયેલ હિન્દુ રામ જ્યોતિ સરઘસ ઉપર આક્રમણ થવાને કારણે ઉદયપુર અને જયપુરમાં રમખાણો થયાં.
1991 : સહારનપુર-ઉત્તર પ્રદેશમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. કર્ણાટકમાં કાવેરી નદીના પાણીની ભાગીદારીના મુદ્દે તમિલ વિરોધી રમખાણો, એને ટેકો આપવા તામિલનાડુમાં હિંસા ફાટી નીકળી.
1992 : સીતામરહી – બિહાર અને સુરત-ગુજરાતમાં રમખાણો. 6ઠ્ઠી ડિસેંબરને દિવસે કાર સેવકો અને તેના સાથીઓએ બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો. બી.જે.પી.ના ઉચ્ચાધિકારીઓ એ ઘટના નિહાળી રહ્યા અને કેટલાંકે તો ટોળાંને પ્રોત્સાહન આપ્યું. ભારતભરમાં કોમી રમખાણો પ્રસરી ગયાં. એ વખતે લાગેલા ઘાવ હજુ દૂઝે છે.
1992-93 : મુંબઈ સંઘ અને શિવસેનાના ભાડે રાખેલા ગુંડાઓએ કોમી માનસ ધરાવતા પોલીસ દળની મદદથી મુસ્લિમો પર આચરેલી હિંસાનું સાક્ષી બન્યું. ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં પણ રમખાણો થયાં.
1999 : કેઓનઝર-ઓરિસ્સામાં ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટુઅર્ટ સ્ટેઈન્સના બે પુત્રો, ફિલિપ (ઉ.વ. 10) અને ટીમથી (ઉ.વ. 6)ને દારાસિંઘની આગેવાની નીચેના બજરંગ દળનાં ટોળાંએ તેમના વાનમાં જીવતા સળગાવી દીધા
2000નો દાયકો :
2002 : ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બાને આગ લગાડવાને પરિણામે અયોધ્યાથી પાછા ફરેલા કેટલાક કાર સેવકોના જાન ગયા. તેને પગલે મુસ્લિમોની ક્રૂર હત્યા અને મહિલાઓ ઉપર બળાત્કારના કિસ્સા થયા. ટોળાંઓ ત્યાં ઉભેલી પોલીસ જોતી હોય ત્યારે મુસ્લિમ વસ્તીઓ ઉપર હુમલા કરતા હતા. ગુલબર્ગ સોસાયટીમાં રહેતા કાઁગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય એહસાન જાફરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. પોલીસે એ હિંસા રોકવા કશા પગલાં ન ભર્યા, સિવાય કે મદદ માગી.
2006 : હિન્દુ ઝનૂની માણસોએ માલેગાંવમાં એક કરતાં વધુ વિસ્ફોટ કર્યા.
2007 : કંધમાલ-ઓરિસ્સામાં હિન્દુ – ક્રિશ્ચિયન વચ્ચે રમખાણો.
2008 : હિન્દુઓનું ક્રિશ્ચિયનો પર કંધમાલમાં આક્રમણ
2012 : બોડો-બંગાળી મુસ્લિમ રમખાણો આસ્સામમાં.
2016 : માલદા – પશ્ચિમ બંગાળમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો
2017 : બાદુરાઈ-પશ્ચિમ બંગાળમાં જુલાઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમના અનુયાયીઓને બળાત્કારના કિસ્સામાં ગુનેગાર સાબિત ઠરાવ્યા બદલ ઓગસ્ટમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રમખાણો.
2020 : નાગરિક સુધારા કાયદાના વિરોધને ઉથલાવી પાડવા પૂર્વ આયોજિત હિન્દુ-મુસ્લિમ રમખાણો.
જ્ઞાતિ આધારિત અત્યાચારો અને હિંસા :
1971-76 : ભોજપુર-બિહારમાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ.
1981 : લૂંટારા ફુલન દેવીએ પોતાના ઉપર થયેલ બળાત્કારનો બદલો લેવા 20 ઠાકુર પુરુષોની બેહમઈ – ઉત્તર પ્રદેશમાં હત્યા કરી. એ હત્યાનો બદલો લેવા ફુલનનું શેર સિંહ રાણાએ દિલ્હીમાં 2001માં ખૂન કર્યું.
1982 : ગઈની – બિહારમાં જ્ઞાતિ સંઘર્ષ
1983 : મુંગર અને પટના-બિહારમાં યાદવ-કુર્મી વચ્ચે અથડામણ.
1985-1992 : યાદવ અને રાજપૂત વચ્ચે બિહારમાં જ્ઞાતિ સંઘર્ષ
1996 : રણવીર સેના દ્વારા બિહારમાં દલિતોનો માનવ સંહાર.
1999 : શંકરબિરઘા-બિહારમાં રણવીર સેનાએ કરાવેલ માનવ સંહાર.
2000 : નવાડા અને શેખ પૂરબનેરમાં ભૂમિહાર અને કુર્મીનો માનવ સંહાર.
2006 : ખૈરલાંજી-મહારાષ્ટ્રમાં દલિત પરિવારની હત્યા.
2015 : સાનપેઢ-હરિયાણામાં દલિતો સામે અત્યાચાર
2016 : ઉના-ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ગૌ રક્ષાના મુદ્દે દલિત પરિવારની મારઝૂડ.
2018 : ભીમા કોરેગાંવ – મહારાષ્ટ્ર ખાતે દલિતો આંબેડકર સ્મારક પાસે એકઠા મળ્યા તેના પર ઉચ્ચ જ્ઞાતિના ઝનૂની લોકોનું આક્રમણ. કઠુઆ-જમ્મુમાં આઠ વર્ષની બાળાનું અપહરણ કરી, તેના પર એક કરતાં વધુ વખત બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી
2020 : હાથરસ – ઉત્તર પ્રદેશમાં 19 વર્ષીય યુવતી ઉપર ઉચ્ચ જ્ઞાતિના યુવકોએ કરેલ સમૂહ બળાત્કાર.
કાયદેસર કામ ચલાવ્યા વિના ગૌ રક્ષા માટે કાયદો હાથમાં લેનાર ટોળાં દ્વારા અપાતી સજા :
2006 : ભિવંડીમાં મુસ્લિમ ટોળાં દ્વારા પોલીસ કોન્સ્ટેબલની હત્યા
2015 : દાદરી-ઉત્તર-પ્રદેશમાં મોહંમદ અખલકને તેમના ઘરમાંથી ઢસડી, બહાર લાવી માર મારીને કરવામાં આવેલી હત્યા. એ કેઇસની તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર સુબોધ કુમાર સિંહની બુલંદ શહેરમાં ટોળાંએ કરેલી હત્યા.
2016 : મેવટ-હરિયાણામાં ગોમાંસ ખાય છે એવા આરોપસર એક સ્ત્રી અને તેની સગીર વયની બહેન ઉપર સામૂહિક બળાત્કાર કરી, તેમની મારીને હત્યા કરવા આવી. તેના કુટુંબના બીજા બે સભ્યોની હત્યા કરાઈ.
2017 : અલ્વર-રાજસ્થાનમાં પહેલુ ખાનની ગૌ રક્ષાના મુદ્દે એપ્રિલ માસમાં ટોળાંએ હત્યા કરી. જૂન મહિનામાં તામિલનાડુના એનિમલ હસ્બન્ડરી વિભાગના ઓફિસર્સની ગૌ રક્ષા મંડળે ક્રૂરતાથી મારીને હત્યા કરી. પ્રતાપગઢ-રાજસ્થાનમાં ઘરબાર વિનાની મહિલાઓ જાહેરમાં શૌચ કરતી હતી, તેમના ફોટા લેવા પર રોક લગાવનાર ઝફર ખાનની ટોળાંએ હત્યા કરી. હરિયાણામાં ઓખલા અને અસોટી વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા હાફિઝ જુનૈદની હત્યા કરાઈ.
2019 : બિશ્વનાથ ચારિઅલિ – આસામના શૌકત અલીને એપ્રિલ માસમાં ક્રૂર રીતે માર મારીને ભૂંડનું માંસ ખાવાની ફરજ પાડી કેમ કે તે ગાયનું માંસ લઈને જઈ રહ્યો હતો તેવી દહેશત પડી. લાતેહાર જિલ્લા-ઝારખંડમાં મઝલૂમ અન્સારી અને ઈમ્તિયાઝ ખાનની ગૌ રક્ષા મંડળે હત્યા કરી.
2020 : પાલઘરમાં બે સાધુઓની ટોળાંએ હત્યા કરી.
ગાંધીના હત્યારાઓના આદર્શો પર શ્રદ્ધા ધરાવનાર ઝનૂનીઓના ભોગ બનેલ અન્ય કિસ્સાઓ :
2013 : સામાજિક કર્મશીલ અને બૌદ્ધિક નરેન્દ્ર દાભોલકરની હત્યા.
2015 : ડાબેરી વિચારધારા ધરાવતા લેખક ગોવિંદ પાનસરેની કોલ્હાપુરમાં હત્યા. એમ.એમ. કાલબુર્ગીની ધારવાડમાં હત્યા.
2017 : ખબરપત્રી ગૌરી લંકેશની બેંગલુરુમાં હત્યા.
સાચી હકીકતોને ઉઘાડી પાડનાર કેટલા ય લોકોને હત્યા કરવામાં આવી.
ગણાવી ન શકાય તેટલી સંખ્યામાં કોમ અને જ્ઞાતિ ભેદને કારણે અચારાયેલ અત્યાચારો અને હત્યાઓ થઇ. એ દરેક કિસ્સામાં ઝનૂની લોકો ગુનો કરવા કોઈને ઉશ્કેરે અને પોતે છુટ્ટા થઇ ફરે. નિર્દોષ માણસો તેના ભોગ બને.
1948માં બાપુની હત્યા થઇ. મૃત્યુ પામીને તેમણે આપણને આપણી જન્મજાત ઘેલછામાંથી બચાવી લીધા, પણ એ લાંબુ ન ટક્યું. ટૂંક સમયમાં જ આપણે આપણા મૂળ સ્વભાવ પર આવી ગયા.
નફરત એ નૂતન ભારતનો નવો પંથ બની ગયો છે.
આ ‘હે રામ!’ની યાદી બાપુની દરેક સવંત્સરી સમયે પ્રસ્તુત થતી રહે છે. “રા…..મ, રા….મ, રા….મ”
•••••
વધુ રસ ધરાવનારાઓ માટે નીચેની લિંક ઉપર વધુ સામગ્રી મળી શકશે :
Detailed caste wars: https://www.satp.org/satporgtp/countries/india/terroristoutfits/massacres.htm
Caste-based violence cases: https://en.wikipedia.org/wiki/Category:Caste-related_violence_in_India
https://en.wikipedia.org/wiki/List_of_massacres_in_Bihar
Delhi violence – https://www.thehindu.com/topic/delhi-violence-2020/
e.mail : 71abuch@gmail.com