ભારત અને ચીનનો વિખવાદ આ પહેલાં હંમેશાં દ્વિપક્ષીય રહ્યો છે પણ હવે કોરોના વાઇરસ રોગચાળા પછી એવી સ્થિતિ છે કે જેમાં ચીન હશે તેમાં યુ.એસ.એ. હશે જ
એક તરફ આપણે કોરોના વૉરિયર્સને બિરદાવીએ છીએ, જેમના જીવ જાય છે તેમને માટે દુઃખી થઇએ છીએ અને આ સંજોગોમાંથી કેવી રીતે બહાર નીકળાશે તેનો વિચાર, ચર્ચા, ક્યારેક વિવાદથી માંડીને બધું જ ચાલ્યા કરે છે. તો બીજી તરફ જે દેશને કારણે આ કાળમુખો કોરોના આખા વિશ્વ પર ફરી વળ્યો છે, એ ચીને તો કંઇક ભળતી જ અવળચંડાઇ કરવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાના રોગચાળાએ આખા વિશ્વને હંફાવી દીધું છે ત્યારે ભારત અને ચીનની સરહદે જે તણાવ શરૂ થયો છે તેની અસર માત્ર બે રાષ્ટ્રોને જ થશે એવું માની લેવાની કોઇ જરૂર નથી. વાટાઘાટો કરવાની અને હવે શાંતિપૂર્વક કામગીરી કરવાની વાતો ચોક્કસ થઇ છે પણ જે પણ ખટરાગ થયો તેની અવગણના કરાય તેમ નથી.
ભારત અને ચીન વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા બે રાષ્ટ્ર છે અને અને જે વિસ્તારોમાં આ સંજોગો વણસ્યા છે ત્યાં મીડિયાનું પહોંચવુ પ્રતિબંધિત છે, એટલે જે પણ જાણકારી મળી તે અધિકૃત વિધાનો અને કોઇ ખબરીએ આપેલી માહિતીને આધારે જ મળી શકી.
ભારત અને ચીનનાં સરહદી મુદ્દા કંઇ આજકાલનાં નથી. ૨૦૧૭માં ડોક્લામ વિવાદ પછી સંબંધો વધારે બગડ્યા. આમ પણ જ્યારથી બન્ને રાષ્ટ્રોનાં નેતૃત્વની રાષ્ટ્રીય અને વૈશ્વિક શક્તિ બનવાની ઇચ્છા વધારે પ્રબળ બની ત્યારથી આ દોરડાં ખેંચ વધુ થવા માંડી. એમાં રોગચાળાને કારણે આખી દુનિયામાં ચીન તરફી અને ચીન વિરોધી સમીકરણો બદલાઇ ગયા છે. જેનો સીધો પ્રભાવ વર્ષોથી ચાલી રહેલા ટ્રેડ વૉર પર પડશે. અમેરિકાએ તો ચીન સામે એ હદે શિંગડા ભેરવ્યા છે કે યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પે તો ચીનને મ્હેણાં ટોણાં મારવામાં કંઇ બાકી નથી રાખ્યું. તેમણે તો એ હદે કહી દીધું છે કે કોરોના વાઇરસ રોગચાળો ચીને આપેલી સૌથી બકવાસ ભેટ છે. વળી ભારત અને ચીન વચ્ચે વિખવાદ થયા ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ આ બિલાડીના ઝગડામાં વાંદરો ફાવે વાળી સ્થિતિનો લાભ લેવા માગે છે એવી ચર્ચા પણ છેડાઇ. ટ્રમ્પે બન્ને રાષ્ટ્રો વચ્ચે મધ્યસ્થી બનવાની વાત કરી ત્યારે ચીનનાં પક્ષીય અખબાર ગ્લોબલ ટાઇમ્સનાં તંત્રીએ આવા અર્થનું ટ્વીટ સુદ્ધાં કર્યું હતું.
ભારત અને ચીન ૨,૧૬૭ માઇલ લાંબી સરહદ શૅર કરે છે અને બન્ને રાષ્ટ્રોની વસ્તી થઇને આખા વિશ્વની વસ્તીનો ત્રીજો હિસ્સો થાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં બન્ને રાષ્ટ્રોનો આર્થિક વિકાસ પણ થયો છે. ૧૯૫૦માં પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્વિકારનાર ભારત પહેલું રાષ્ટ્ર હતું પણ બેઇજિંગે તિબેટને કબજામાં કરી લીધું પછી મામલો બિચક્યો અને ૧૯૬૨માં હિમાલયની સરહદે મહિનો લાંબુ યુદ્ધ ચાલ્યું. લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ એટલે કે LACમાં આ ઉચાટ ચાલતો રહે છે. સરહદ પર ૧૯૮૮માં ફરી સંઘર્ષ થયો અને તે પછી તત્કાલિક વડાપ્રધાન રાજીવ ગાંધી, બેઇજિંગ જઇને ત્યારના વડાપ્રધાન ડેંગ ઝિયાપિંગને મળ્યા હતા. સોવિયેટ યુનિયનનાં કાંગરા ખરવા માંડ્યા હતા અને ચીન તથા ભારતે ભેદભાવ બાજુમાં મૂકીને આર્થિક વિકાસ પર સાથે કદમ માંડવા સુલેહ કરી લીધી. હવે એવી સ્થિતિ છે ચીન આર્થિક સ્તરે બહુ જ વિકસ્યું છે અને ભારતમાં જે વિકાસ થયો છે તે ચીનને માટે સ્પર્ધક તરીકે પણ અગત્યનો નથી. સાદા શબ્દોમાં કહીએ તો ચીનની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ૧૪ ટ્રિલિયન ડૉલર્સ છે અને ભારતની ૨.૭ ટ્રિલિયન ડૉલર્સ. આ તરફ ચીન સાથે પાકિસ્તાનના સંબંધો સારા છે જેને કારણે ભારત સાથે વધુ તંગ છે. ચીન અને પાકિસ્તાન તો બેલ્ટ અને રોડ પ્રોજેક્ટમાં ભાગીદાર છે.
હિમાલયની સરહદે સૈનિકોનાં ટોળાં ખડકવામાં આવી રહ્યાં છે અને ચીને તો ધમકી સુદ્ધાં આપી કે જો કંઇ થયું તો ભારતને વધુ વેઠવાનું આવશે. ભૂતકાળમાં જે થયું છે અને હમણાં જ જે રીતે બન્ને દેશો પહેલાં એકબીજા સામે દાંત કચકચાવ્યા અને પછી શાંત પડી ગયા એ જોતાં લાગે છે આ વખતે પણ તણખાનો ભડકો થાય એ પહેલાં મુદ્દા પર ધૂળ નાખી દેવાશે. ભારત અને ચીન બન્નેના વડા એ સાબિત કરવાનું નહીં જ ચૂકે કે પોતે કેટલા સક્ષમ છે એટલે પડદા પાછળના ખેલમાં કોની સૂતળી કેટલી ખેંચાય છે, કેટલા વળ પડે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે.
બાય ધી વેઃ
ભારત અને ચીનનો વિખવાદ આ પહેલાં હંમેશાં દ્વિપક્ષીય રહ્યો છે પણ હવે કોરોના વાઇરસ રોગચાળા પછી એવી સ્થિતિ છે કે જેમાં ચીન હશે તેમાં યુ.એસ.એ. હશે જ, અને ટ્રમ્પનાં મધ્યસ્થી બનવાના ઉત્સાહથી આપણે એ સમજી જવું જોઇએ. યુદ્ધ માત્ર શક્તિપ્રદર્શન નથી હોતું, એ વૈશ્વિક રાજકારણની શતરંજનો ખેલ હોય છે. સૌથી અગત્યનું તો એ કે અહીં વાઇરસ સામેનું યુદ્ધ જીતવાનાં કોઇ રસ્તા હજી સ્પષ્ટ દેખાતા નથી ત્યારે ચીનને સરહદ પર આછકલાઇ કરવી છે અને તે જરા ય પ્રશંસનીય નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 મે 2020