Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9297663
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બૌદ્ધ ધર્મ અને દર્શનના ભાષ્યકાર : ધર્માનંદ કોસંબી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 October 2024

ધર્માનંદ કોસંબી

એ યુવાન માટે તેના સંબંધીનું ભવિષ્યકથન હતું કે, ‘તું જો યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુદ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં  ભારતમાં તેનો શો ઉપયોગ?’ આ જ વ્યક્તિ માટે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે, ‘તેમની વિદ્વતાનો ઉપયોગ તો પ્રથમ અમેરિકાએ જ કર્યો.’ કોણ છે એ વ્યક્તિ, જેની કદર ઘરઆંગણે ન થઈ એટલી અમેરિકામાં થઈ ? એ વ્યક્તિનું નામ છે ધર્માનંદ દામોદર કોસંબી. ઔપચારિક શિક્ષણ તો એમનું નામમાત્રનું હતું. પણ અધ્યયન, અધ્યાપન અને વિધ્યાવ્યાસંગ એટલા જોરદાર કે દેશ-વિદેશની ખ્યાત યુનિવર્સિટીઓમાં વગર ડિગ્રીએ તે પ્રોફેસર બન્યા. તેમના વિદ્યાર્થીઓ વિશ્વભરમાં પંકાયા.

પાલિ ભાષાના આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત અને બૌદ્ધ ધર્મ તથા બૌદ્ધ દર્શનના ભાષ્યકાર ધર્માનંદ કોસંબીનો જન્મ નવમી ઓકટોબર ૧૮૭૬ના રોજ ગોવાના એક ગામડામાં થયો હતો. બસ હવે એક જ વરસનું છેટું છે તેમના સાર્ધ શતાબ્દી વરસને. મરાઠી અને ગુજરાતીમાં તેમના આત્મચરિત્રો અનુક્રમે ‘નિવેદન’ (૧૯૨૪) અને ‘આપવીતી’(૧૯૨૫)ના પ્રાગટ્યનું પણ આ શતાબ્દી વરસ છે.

બાળક ધર્માંનંદ ‘નિશાળનો કંટાળ્યો ઘરે બેઠો’ એટલે પિતાએ દીકરો ગામનો કુળકર્ણી (તલાટી) થશે એવી જે આશા રાખેલી તે ધૂળમાં મળી ગઈ. નિશાળ છૂટી પણ કોઈની ય પ્રેરણા વિના ૧૮૯૧થી વાચનનો રસ જાગ્યો. પુસ્તકો અને સામયિકોનું વાચન વધતું હતું તે દરમિયાન સોળ વરસે તેમના લગ્ન થયા. નબળા શરીરે પણ વાચતા રહ્યા. તુકારામનું જીવનચરિત્ર, તેમના અભંગ અને ગાથાઓએ તેમને વિચાર કરતા કરી મૂક્યા. વાચનને કારણે હિંમત વધી, જીવનક્રમમાં સ્થિરતા આવી અને યુવાનીની વિકારવશતાથી મુક્ત થયાનું તેમણે નોંધ્યું છે.

‘જે કંઈ મળી આવે તે વાંચવું’ની તેમને ધૂન લાગેલી. વાંચવા-શીખવા તેમણે એકાધિક વાર ઘર છોડ્યું હતું. ૧૮૯૭માં મરાઠી માસિક ‘બાલબોધ’માં ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું અને ‘મારું સર્વસ્વ બુદ્ધ છે’ એમ તેમને લાગવા માંડ્યું. પાલિ, અંગ્રેજી, સંસ્કૃત ભાષા અને બુદ્ધનો મૂળ ઉપદેશ જાણવા-સમજવા દોઢેક મહિનાની દીકરી અને પત્ની-પરિવારને છોડી બીજી ઓકટોબર ૧૮૯૯ના રોજ તેઓ નીકળી પડ્યા. જ્ઞાનોપાસના માટે કેટકેટલું ભટક્યા. ટાઢ, તડકો, ભૂખ, માંદગી સઘળું વેઠ્યું. પણ અંતે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યા. તેમના આ વિદ્યા-પ્રવાસનું બયાન તેમના આત્મચરિત્ર ‘આપવીતી’માં છે. ગાંધી વિચારક કિશોરલાલ મશરૂવાળાએ ‘આપવીતી’ સંદર્ભે કહ્યું છે કે, ‘સત્યધર્મની શોધ માટે પુરુષાર્થી મુમુક્ષુ શું શું કરશે અને કેટલાં કષ્ટો વેઠશે તેની તવારીખ આ પુસ્તકમાં છે. વળી આટલી મહેનતે જે મેળવ્યું તેને જગતમાં વહેંચવા તેમણે અણથક પરિશ્રમ કર્યો છે. એક વિશાળ ભંડારમાંથી તેમણે ઉત્તમ મોતી પસંદ કરીને આપણને આપ્યા છે. તે મોટા સંત પુરુષ છે.’

ધર્માનંદ દામોદર કોસંબી

ધર્માનંદ માત્ર બૌદ્ધ સાહિત્યના અભ્યાસી ના રહ્યા. પણ સંપૂર્ણ બૌદ્ધમય બની ગયા. ભીક્ષુ પણ બન્યા અને ચીવર પણ પહેર્યા. મૂળ પાલિમાં સઘળું બૌદ્ધ સાહિત્ય વાંચ્યું. અધ્યયન પછીનો તેમના જીવનનો મહત્ત્વનો તબક્કો  અધ્યાપનનો રહ્યો. કલકત્તા યુનિવર્સિટી, ગાંધીની વિદ્યાપીઠથી છેક મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી રશિયાની યુનિવર્સિટીઓમાં સંશોધન, લેખન, સંપાદન અને અધ્યાપન કર્યું હતું. ૧૯૦૬માં કલકત્તાની નેશનલ કોલેજથી આરંભાયેલો અધ્યાપન કાળ જીવનના અંત સુધી ચાલ્યો. આખા ભારતના અને નેપાળ, શ્રીલંકા તથા આજના મ્યાંમારના બૌદ્ધ તીર્થોનો પ્રવાસ કર્યો હતો.

ગુજરાત સાથે પણ તેમનો નિકટનો નાતો હતો. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી બંને સાથે તેમના સંબંધ બંધાયા અને બંનેનો તેમનાં વિદ્યાકાર્યોમાં સહયોગ રહ્યો હતો. ૧૯૦૭માં વડોદરામાં સયાજીરાવને પહેલી વખત મળ્યા ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ‘બૌદ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવાના કર્તવ્ય માટે’ કલકત્તા યુનિવર્સિટીની મહિને અઢીસો રૂપિયાની નોકરી છોડી મહારાજાની મહિને પચાસ રૂપિયાની ઓફર સ્વીકારી હતી. આ ઓફર હેઠળ તેમણે મૌલિક, અનૂદિત અને સંપાદિત એવા બૌદ્ધ ધર્મનાં પુસ્તકો તૈયાર કર્યાં હતા. ૧૯૧૦માં તેમણે વડોદરામાં બૌદ્ધ ધર્મ અને દર્શન પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. જે ‘બુદ્ધ, ધમ્મ અને સંઘ’ નામે ગ્રંથસ્થ થયા છે.

ગાંધીજીની નજરમાં તેઓ હતા એટલે ૧૯૨૨માં અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં જોડાયા અને પાલિ ભણાવવા લાગ્યા. વિદ્યાપીઠ વાસ દરમિયાન તેમણે બુદ્ધ ચરિત, બુદ્ધ લીલા, ધર્મચક્ર્પ્રવર્તન, ભગવાન બુદ્ધના પચાસ સંવાદો, આપવીતી, સુત્તનિપાત વગેરે પુસ્તકો લખ્યા. ૧૯૧૬માં તેઓ ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી જ ગાંધી રંગે રંગાયા. સમાજસેવા અને લોકહિતનાં કામો તેમની પ્રાથમિકતામાં પાછળ ધકેલાયા હતા તે હવે આગળ થયા. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને અઢાર મહિનાની જેલની સજા ભોગવી.

ઇંગ્લેંડની મુલાકાત દરમિયાન અચાનક પરિચય થયેલ ડચ મિત્ર પાસેથી ધર્માનંદે પહેલીવાર કાર્લ માર્ક્સ અને સમાજવાદ વિષે જાણ્યું. એટલે અમેરિકા – ઇંગ્લેન્ડવાસ દરમિયાન તેમણે આ વિશે  ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ લાહોરના કાઁગ્રેસ અધિવેશનમાં કાઁગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કોસંબીએ તેમની સાથે સમાજવાદ અંગે ચર્ચા કરી હતી. બૌદ્ધ ધર્મના અપરિગ્રહ અને સામ્યવાદના સમાનતાના સિદ્ધાન્ત વચ્ચે કોસંબીને સામ્ય લાગ્યું હતું. અમેરિકાના પ્રવાસ અને સામ્યવાદના અભ્યાસ પછી તેઓમાં વૈચારિક ઊથલપાથલ મચી હતી. તેમનો કામદારોના સંગઠનો અને સમાજવાદ પ્રતિ ઝુકાવ વધતો રહ્યો. મુંબઈના પરેલના મિલ કામદારોના વિસ્તારમાં બહુજનવિહાર બાંધી ત્યાં તેમનું રહેવું કદાચ આ જ પરિવર્તનના કારણે બન્યું હશે.

દામોદર ધર્માનંદ કોસંબી

બુદ્ધની જેમ ધર્માનંદે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડ્યું હતું. જો કે તેઓ ઘરની જવાબદારીઓ ભૂલ્યા નહોતા. એટલે કામ પૂર્ણ થયેથી તેમણે પત્ની-સંતાનો અને ઘર-ગામ-પરિવારનો સંપર્ક કર્યો હતો. તે સંસારમાં પાછા ફર્યા પણ સંસારી ન બની ગયા. એમના દીકરા દામોદર ધર્માનંદ કોસંબી(ડી.ડી. કોસંબી)નું ઇતિહાસ અને બૌદ્ધ ધર્મ વિશેનું વિદ્યાકાર્ય એ હદનું છે કે બાપને ભૂલી બેટાને જ યાદ કરવા પડે.

આજાર શરીરનો જ્યારે તેમને બોજ લાગ્યો ત્યારે લાંઘણો કરીને ઈચ્છામૃત્યુ તરફ જવાનો માર્ગ તેમણે પસંદ કર્યો. પરંતુ ગાંધીજીએ તેમને અધવચ્ચેથી વાર્યા અને તેમની વધુ સારી સંભાળ લેવાય એટલે સેવાગ્રામ આશ્રમમાં નિવાસ કરવા પ્રેમાદેશ કર્યો. પણ કાયા એ હદે જર્જર થયેલી હતી કે તેમને જીવવું અકારું થઈ પડ્યું. એટલે ફરી આમરણ અનશનનો માર્ગ લીધો. આ વખતના સંથારાને ગાંધીજીનું પણ કમને સમર્થન મળ્યું હતું. ચોથી મે ૧૯૪૭થી તેમણે આહાર લેવો બંધ કર્યો અને અંતે ૨૪ જૂન ૧૯૪૭ના રોજ ૭૧ વરસની વયે તેઓ સેવાગ્રામમાં જ નિર્વાણ પામ્યા હતા.

ધર્માનંદ કોસંબી કોઈ કોરા ધાર્મિક નહોતા. જીવન અને ધર્મનો સંબંધ અને તે બે વચ્ચેની પ્રાથમિકતા અંગે તેઓ બહુ સ્પષ્ટ હતા. પાંડિત્યના ભાર વિનાના આ બૌદ્ધ વિદ્વાને આત્મચરિત્રના સમાપનમાં લખ્યું છે કે, ‘બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પોતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે? પહેલાં તો તેને શુદ્ધ અને ઘટતા આહારવિહાર મળે એવો બંદોબસ્ત થવો જોઈએ. ગંદી ચાલીઓમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનોમાં તેને વસાવવો જોઈએ. તો જ ધાર્મિક માર્ગે તેનું વલણ થવું સંભવે છે.’  ધાર્મિક ઉન્માદમાં રમમાણ ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓને કોસંબીની આ વાત સમજાશે ?

e.mail : maheriyachandu@gmail.com 

Loading

16 October 2024 ચંદુ મહેરિયા
← ગુજરાતના જાતજાતના એવોર્ડ વિજેતાઓ નોબેલ ઈનામ વિજેતા અર્થશાસ્ત્રીમાંથી કશું શીખે ખરા? 
પણ રાજકારણને કેવળ રાજકારણીઓને ભરોસે રેઢું મેલી શકાય નહીં →

Search by

Opinion

  • માથેરાનમાં હાથી અને ઊંટ! 
  • સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
  • ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 
  • ઋણબદ્ધ
  • વાણી વિલાસ, કરશે ખલાસ !

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved