23, 24, 25 જૂન, 2022 દરમિયાન શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાઇ ગયો. એક સમય હતો જ્યારે માતા કે પિતા બાળકને લઈને નજીકની સરકારી સ્કૂલમાં જતાં ને બાળકને સ્કૂલમાં દાખલ કરાવી આવતાં. બહુ થાય તો પેંડા, સાકર કે ચોકલેટ વર્ગમાં વહેંચાતાં ને એમ પ્રવેશોત્સવ પૂરો થતો. એમાં જેનો પ્રવેશ થતો તેને રડવા સિવાય ખાસ કૈં કરવાનું આવતું નહીં ને એ સ્થિતિ લગભગ બધાં બાળકોની જ રહેતી. પછી તો માબાપ પણ તેડું ન આવે ત્યાં સુધી સ્કૂલમાં ફરકતાં નહીં ને પિતાને તો ખબર પણ ન રહેતી કે કંતાન જેવું સંતાન કયાં ધોરણમાં ભણે છે? પણ હવે એવું નથી. હવે તો માબાપ પણ સજાગ થયાં છે ને પોતે ભલે એક એક ધોરણમાં બબ્બે વર્ષ રહ્યાં હોય, પણ સંતાનને તો એ પ્રથમથી ય આગળ રાખવા મથે છે. હવે તો પ્રથમ ધોરણ અગાઉ પણ પ્રિ –પ્રાઇમરી કે પ્લે ગ્રૂપ જેવું શરૂ થયું છે. એટલે બાળક સ્કૂલમાં જન્મતું નથી એટલું જ, બાકી તે ખૂબ વહેલું સ્કૂલનું મોં જોઈ લે છે ને પહેલાંમાં આવતાં સુધીમાં તો છોકરું ખાસું રીઢું થઈ ગયું હોય છે. કોઈએ સીધું પહેલાંમાં દાખલ થવું હોય તો પ્રાથમિક સ્કૂલો તો છે જ. તે એડ્મિશન આપે જ છે, પણ હવે શાળાપ્રવેશ એકલદોકલ થતો નથી. તેનો હવે સામૂહિક ‘પ્રવેશોત્સવ’ ઉજવાય છે.
શું છે કે સરકારને પણ મોડે મોડે સ્કૂલોમાં જવામાં રસ પડવા લાગ્યો છે. મંત્રીઓને, ધારાસભ્યોને, કોર્પોરેટરોને, નેતાઓને ને એમ તમામ સ્તરના રાજકારણીઓને પણ હવે સ્કૂલે જવાનું મન થાય છે. તેમને પણ થાય છે કે ભણવું જોઈએ એટલે એ બાળકો સાથે ભણવા પણ બેસે છે, ચોપડી ચત્તી ખોલીને વાંચતાં હોય એવા ફોટા પડાવે છે ને પછી છાપાઓમાં દેખા દે છે. મંત્રીઓ પણ વાંચતા હોય, ભણતા હોય એ જોવાનું સારું લાગે છે. આવું જોવા માત્રથી શિક્ષણનું ધોરણ સુધરે છે. એ પછી બાળકો માસ પ્રમોશનથી આગળ વધે તો પણ વાંધો નથી આવતો, કારણ ધોરણ તો બદલાઈ ચૂક્યું હોય છે. શું છે કે આ પ્રવેશોત્સવ બાળકોનો જ નથી, રાજકારણીઓનો પણ છે. ભલે બાળકોને બહાને, પણ નેતાઓ સ્કૂલે આવતા તો થયા ! સરકારે સારી વાત એ કરી કે મંત્રીઓ, નેતાઓને સ્કૂલે મોકલ્યા. બાકી સ્કૂલે જવા ભાગ્યે જ કોઈ રાજી હોય છે. એ ખરું કે શિક્ષકોને સ્કૂલ ગમે છે, કારણ પગાર અહીંથી થાય છે. કેટલીક સ્કૂલોમાં શિક્ષકો નથી કે ઓછા છે, એટલે ખરેખર તો ત્યાં શિક્ષકોનો પ્રવેશ થવો જોઈએ.
થશે. એ પણ થશે. એવું શું વહી જાય છે? કોરોના પાછો માથું ઊંચકી જ રહ્યો છે ને થોડે થોડે મહિને એનો પ્રવેશ પણ થતો જ રહેવાનો છે. હવે જો એનું આવવાનું નિયમિત હોય તો શિક્ષકોને નિયમિત કરીને કામ શું છે? ને વાત મોડી વહેલી માસ પ્રમોશન પર જ આવવાની હોય તો માસ્તરોને મસ્ટર સાઇન કરાવવાની ઉતાવળ કરવા જેવી ખરી? એ પૈસા બચે તો બીજે કામ લાગે એ નહીં વિચારવાનું? માસ્તરોને સ્કૂલે આવવાનું ગમે એ ખરું, બાકી બાળકો સ્કૂલે જવા ભાગ્યે જ રાજી હોય છે. પણ હવે નેતાઓ, મંત્રીઓ પ્રવેશોત્સવ કરાવે છે એટલે બાળકો હોંશે હોંશે સ્કૂલે આવે છે. સાહેબો પાછા ખાલી હાથે નથી આવતા. બાળકોને શૈક્ષણિક કિટ આપતા હોય છે. ઘણાં કિટને બદલે કીટ લખે છે. કીટ એટલે કીડો. એટલે ગમ્મત પણ થાય છે કે કીટ, કિટ આપે છે. કોઈ સાહેબ ચોકલેટ આપે તો કોઈ સ્કૂલમાં ઇનામો આપે, કોઈ યુનિફોર્મનું દાન આપે, કોઈ આદર્શની વાત કરે, કોઈ એવું ભાષણ આપે કે ઘેન ચડે, કોઈ બાળકને નાનેથી જ ટોપી પહેરાવે ને એવું ગામેગામ, શહેરે શહેર, આખા રાજ્યમાં સતત ત્રણ દિવસ ચાલે તો ‘જન ગણ મન …’ ગાવાનું જ મન થાય કે બીજું કૈં? આખા રાજ્યમાં આનંદ મંગળ થાય તો કોને ન ગમે?
હવે તો નાનેથી જ બાળક રાજકારણ પણ શીખે એની સરકાર કાળજી રાખે છે. છ સાત વર્ષનાં બાળકને શાસક પક્ષ અને વિપક્ષ એટલે શું તે ન સમજાય એટલે સરકારે કમળ કોને કહેવાય ને ઝાડું કોને કહેવાય તે દાખલાઓ દ્વારા સમજાવ્યું. બાળકો કમળ-ઝાડું વચ્ચેનો ફરક સમજે એટલે કેટલીક સ્કૂલોમાં તો ડેમો પણ અપાયા. જેમ કે, કેટલાંક ઝાડુંઓ એમ જ પ્રવેશોત્સવમાં ફરી વળ્યાં, કમળની સફાઇ કરવા. ઝાડુંઓ બોલ્યાં કે એક ચોક્કસ સ્કૂલમાં એક જ શિક્ષક છે. પૂરતા શિક્ષકો નથી … વગેરે વગેરે. આમ તો વાલીઓ બહુ સ્કૂલે આવતા નથી, પણ એમને ગંધ આવી ગઈ કે ઝાડુંઓ સાફ થયેલી સ્કૂલ વાળવા આવ્યાં છે એટલે થોડા વાલીઓ ઝાડું જ સાફ કરવા બેઠા. બોલ્યા કે તમારું રાજકારણ અહીં ના ખેલો. પૂરતા શિક્ષકો સ્કૂલમાં છે, પછી શિક્ષક નથી એમ કેમ કહો છો? તમારું પોલિટિક્સ બહાર રમો. ઝાડુંને લાગ્યું કે આત્મનિર્ભર તો જાતે જ થવા જેવું છે ને મેલું ઝાડું તો કમળને સાફ કેવી રીતે કરે? ઇન શોર્ટ. ઝાડુંઓ બહાર નીકળી ગયાં.
ઝાડું આત્મનિર્ભર થવા ફરી બીજી સ્કૂલમાં પહોંચ્યા. એમને સમજાયું કે અત્ર તત્ર સર્વત્ર કમલમ્ કમલમ્ જ ચાલે છે તો અહીં પણ કૈં ઊકળવાનું નથી, તો પણ હોબાળો તો કર્યો જ ! ધમાચકડી વધી પડી. કારનાં કાચ તૂટયા. ઝાડું, કમળ વચ્ચે તૂ તૂ મે મે થયું. ધોલધપાટ થઈ, કપડાં ફાટયાં ને ફિલ્મમાં આવે છે તેમ છેલ્લે પોલીસ પણ આવી. જ્યાં ‘કમળો’ હોય ત્યાં ઉઠમણું, સોરી, ઉજવણું કરવા ઝાડું પહોંચી જ જાય એ બરાબર નથી, પણ બાળકોને રાજકારણનો ખ્યાલ આવે, શાસક પક્ષ શું કરે છે કે વિપક્ષ શું કરે છે એ પ્રવેશોત્સવથી જ જાણે, એવા ઉમદા હેતુથી સરકારે (પ્ર)વેશોત્સવ થોડાં વર્ષોથી શરૂ કર્યો છે. જો કે, બાળકોની સામે જ, ઝાડું કમળની મારામારી થાય કે કારના કાચ ફૂટે તો બાળકો રડે કે વિચારે ચડે કે મૂંઝાય એ બનવાનું. બાળકો એ વાતે મૂંઝાય કે આ હાળું કેવું? ધમાલ અમારે કરવી જોઈએ તે શાંત છે ને આ મોટેરાંઓ ધમાલ કરે છે ! ખબર જ નથી પડતી કે અમારામાં વધારે નાનું કોણ છે? પણ એમને નાનેથી જ ખ્યાલ આવી જાય છે કે આવું ન કરે તો નેતા બીજું કરે પણ શું? રાજકારણીઓની ભવાઇ બાળકોને નાનેથી જ બતાવવામાં સરકાર સફળ રહી છે.
આવામાં પણ 3 દિવસમાં પહેલાં ધોરણમાં 5.72 લાખ બાળકોને પ્રવેશ અપાયો એ કેવી મોટી વાત છે ! એવું બને કે ક્યાંક બાળકો માટે શિક્ષકો ન હોય, ક્યાંક સ્કૂલોમાં પૂરતા વર્ગો ન હોય, નેતાઓ ફરી દેખાવાના ન હોય, પણ આટલાં બાળકો પ્રવેશ્યાં તે ઓછું છે? તેમાં કેટલાંકનાં તો કુમકુમ પગલાં લેવાયાં ને તેને લેમિનેટ પણ કરાયાં, બાળકોને તો આટલું મળે કે રાજી ! એ તો ખુલ્લામાં પણ ભણી લેશે ને ગરોળીવાળું મધ્યાહ્ન ભોજન પણ ચાવી જશે આખરે આવાં દેશમાં જ તો એણે ‘ભારત તમારો દેશ છે,’ સોરી, ‘ભારત મારો દેશ છે.’ બોલવાનું છે.
શું છે કે નેતાઓ વર્ષમાં એક વાર આમ આવતા હોય છે ને પછી કૈં આ તરફ ફરકતા નથી, તો એક જ વાર સાગમટે આવતા સાહેબોની વ્યવસ્થાઓ નહીં કરવાની? એમને મંચ પૂરો પાડવાનો હોય, એમના રસાલાને મસાલા પૂરા પાડવાના હોય, ત્યાં મધ્યાહ્ન ભોજન જોવાનું કે સાહેબનું શિડ્યુલ સાચવવાનું? બાળકો તો એડમિશન ના આપીએ તો ય સ્કૂલમાં આવવાના જ છે, પણ સાહેબ આપણે આંગણે ક્યાંથી? એટલે જ સ્કૂલોએ બાળકો પાસે થોડી કસરત પણ કરાવી. વારુ, વાલીઓ પણ આવવાના હતા. એમને બેસવા ખુરશીઓ મૂકવાની. તે કોણ મૂકે? આ શું, બાળકો છે જ ને ! એમણે ખુરશી મૂકી ને ઉપાડી પણ ! હવે મજૂરો શોધવા ક્યાં જવાનું? આ બાળકોને પ્રવેશ જ તો એટલે આપ્યો કે ફંક્શનમાં ખુરશીઓ ગોઠવે, ઉપાડે, સાહેબોને પાણી પાય, ચાના કપરકાબી ઊંચકે. હવે સાહેબ ઘૂસે ત્યારે જ કાર્યક્રમમાં ગાય પણ ઘૂસે તો ચાલે? એટલે ચોકીદારો બહાર રાખ્યા. આવે વખતે ચોકીદાર શોધવા કયાં જવાનું? બાળકો હોય તો એ જ ચોકીદાર ! દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી ! માઈકની એરેન્જમેન્ટ, સ્પીકરની ગોઠવણી આ બધાંમાં બાળકો જ પડખે રહ્યાં. એમનો જ તો ઉત્સવ હતો, તો એટલું તો કરે જ ને ! કર્યું. સાહેબો ઉજવાઇ ગયા.
પણ અહીં કેટલાક પ્રશ્નો ઊઠે છે. આ પ્રવેશોત્સવ ન થાય તો ચાલે કે કેમ? આ નાના મોટા સાહેબો આખા ગુજરાતમાં ત્રણ દિવસ માટે ગાડીમાં દોડે તે મફત તો નહીં થતું હોય. એ ખર્ચા ને બદલે થોડા શિક્ષકો ના ખરીદાય? એમાંથી જ સ્કૂલોમાં ઘટતા ઓરડા બંધાય કે બીજી સુવિધાઓ ઊભી કરી શકાય, એવું નહીં? ને સૌથી મોટી વાત. આ માસ્તરો સાહેબ, આવવાની લ્હાયમાં જે રીતે દિવસો સુધી દોડતા રહે છે તેમને, આ પ્રવેશોત્સવ ન થાય તો એટલો ઓક્સિજન મળે એવું ખરું કે કેમ? થાય છે એવું કે સાહેબોની સરભરામાં જેમને માટે પ્રવેશોત્સવ થાય છે તેમને જ મજૂરીએ જોતરવાં પડે છે. ઉત્સવ બાળકોનો હોય ને એ જ શોભાનાં ગાંઠિયા જેવા બની રહે એ બરાબર છે? શુક્રવારે કેવડિયામાં કેન્દ્રના રમતગમત મંત્રી આવી ગયા. એમણે કહ્યું કે રમતગમતમાં ખેલાડીઓ પાછળ જેટલો ખર્ચો કરવો જોઈએ એના કરતાં વધારે ખર્ચ તો ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં થાય છે. એવું આ પ્રવેશોત્સવનું નથી લાગતું? વર્ષમાં થાય એનાથી વધુ ખર્ચ જો પ્રવેશોત્સવમાં જ થતો હોય તો એ કરવા જેવો ખરો? ને શેને માટે થાય છે આ બધું? બાળકો માટે કે પક્ષના પ્રચાર માટે? કોણ જાણે કેમ પણ દરેક બાબતમાં દખલ ને દેખાડો આખા દેશની નસેનસમાં કોઈ ચેપી રોગની જેમ ફેલાઈ ગયો છે. આ રોગચાળા માટે કોઈ રસી શોધાવી જોઈએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જૂન 2022