૧૯૯૪માં બાબરી મસ્જિદના કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે રાજકીય ઉદ્દેશો માટે શાસકો અને રાજકીય પક્ષો ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે એમાં દેશનું કલ્યાણ છે.
એ સમયે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સર્વોચ્ચ અદાલત પાસેથી અભિપ્રાય માગ્યો હતો કે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર કે બીજું કોઈ સ્થાપત્ય હતું કે નહીં અને બાબરી મસ્જિદ એ સ્થાપત્યને તોડીને બાંધવામાં આવી હતી કે કેમ? એ દરમ્યાન ભારત સરકારે બાબરી મસ્જિદ વિશેના વિવિધ અદાલતોમાં જેટલા કેસ પડ્યા હતા એ બધાને બાજુએ હડસેલી દેવાની અને વિવાદાસ્પદ અને બિનવિવાદાસ્પદ એમ બધી જ જમીનનો કબજો લેવાની તજવીજ કરી હતી.
જ્યારે કોઈ મામલો ગૂંચવાયેલો હોય અને રસ્તો ન નીકળતો હોય ત્યારે સર્વોચ્ચ અદાલત પાસેથી માર્ગદર્શન માગવાનો રાષ્ટ્રપતિ બંધારણના આર્ટિકલ ૧૪૩(૧) હેઠળ અધિકાર ધરાવે છે અને સર્વોચ્ચ અદાલત તથ્યોનો અભ્યાસ કરીને સરકારને મદદ કરે છે. બંધારણીય ભાષામાં આને પ્રેસિડેન્શિયલ રેફરન્સ કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતની મદદ વાસ્તવમાં કેન્દ્ર સરકાર માગતી હોય છે જે રાષ્ટ્રપતિના નામે માગવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ રાજ્યના વડા (હેડ ઑફ ધ સ્ટેટ) છે.
અયોધ્યાના મામલામાં જ્યારે પ્રેસિડેન્શિયલ રેફરન્સ માગવામાં આવ્યો ત્યારે જ દેશમાં ભારે ઊહાપોહ થયો હતો અને વ્યાપક માગણી થઈ હતી કે અદાલતે રેફરન્સ પાછો કરી દેવો જોઈએ. ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી, અદાલતમાં જે જજો બેસે છે એ કાયદાના તેમ જ બંધારણના જાણકાર છે અને એ જ તેમનું કામ છે. તેઓ નથી ઇતિહાસકાર કે નથી પુરાતત્ત્વવિદ અને માનો કે કોઈ જજ ઇતિહાસ અને પુરાતત્ત્વનો જાણકાર હોય તો પણ અદાલત તેના માટેનો મંચ નથી. બાબરી મસ્જિદની જગ્યાએ કયું સ્થાપત્ય હતું અને એ પહેલાં કયું સ્થાપત્ય હતું એની કડાકૂટમાં પડવાની અદાલતને જરૂર પણ નથી અને એ એનું કામ પણ નથી. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો પણ ક્યાં ખાતરીપૂર્વક કહી શકે છે કે ક્યાં શું હતું અને ક્યારે કેવી ઘટના બની હતી. બીજો મુદ્દો એ હતો કે ઇતિહાસમાં ક્યાં સુધી ન્યાય તોળતા પાછા જવાનું? છસો વરસ જૂના બાબરીના વિવાદ વિશે અભિપ્રાય આપશો તો કાલે કોઈ બે હજાર વરસ જૂનો ઇતિહાસનો ઝઘડો અદાલતમાં લઈ આવશે.
પ્રબુદ્ધ જનતાનો અને બંધારણના જાણકારોનો સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે જ્યારે ભારતીય રાજ્ય એના બંધારણ સાથે અસ્તિત્વમાં આવ્યું એ પછીથી વિવાદોની બાબતમાં અદાલતોની ભૂમિકા શરૂ થાય છે, એ પહેલાં નહીં; સિવાય કે કોઈ ઝઘડો અદાલતમાં અંગ્રેજોના સમયથી પડ્યો હોય અને ન્યાયની પ્રતીક્ષા કરતો હોય. ફોજદારી અને દીવાની કાયદા હેઠળના અંગ્રેજોના વારાના પેન્ડિંગ કેસો અદાલતોએ સાંભળવા જોઈએ, પરંતુ ઇતિહાસ ઉખેળીને પેદા કરવામાં આવતા ઝઘડાઓનો નિકાલ કરવાનું કામ અદાલતોનું નથી.
તો બે મુદ્દા હતા. એક તો ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશે અભિપ્રાય આપવા એ અદાલતનો વિષય નથી અને બીજો, ભારતીય રાજ્યની સ્થાપના પહેલાંના અતીતમાં પાછા ફરવાની અદાલતને કોઈ જરૂર નથી. કેન્દ્ર સરકાર પ્રેસિડેન્શિયલ રેફરન્સ દ્વારા મામલો અદાલતમાં ધકેલીને અને વિવાદાસ્પદ જમીન કબજે કરીને હાથ ખંખેરી નાખવા માગતી હતી. આઝાદી પહેલાંના અને પછીના ટાઇટલ વિશેના બધા કેસ સંકેલી લેવડાવવા પાછળ પણ એ જ ઇરાદો હતો. જેના પક્ષે સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે એને જમીન આપી દેવાની અને એ સાથે જૂના ઝઘડાનો અંત આવે. જે થવું હશે એ સર્વોચ્ચ અદાલતમાં થશે અને સરકાર ઝંઝટ અને જવાબદારીથી મુક્ત થઈ જશે.
સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠને સમજાઈ ગયું હતું કે કેન્દ્ર સરકારનો ઇરાદો બળતું ઘર સર્વોચ્ચ અદાલતને હવાલે કરીને હાથ ખંખેરી નાખવાનો છે. એને એ પણ સમજાઈ ગયું હતું કે ઇતિહાસ ઉખેળવાનું કામ અદાલતોનું નથી. ખંડપીઠે ઉપર કહી એ બન્ને દલીલ ધ્યાનમાં લીધી હતી અને પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ ત્યારે પ્રારંભમાં કહી એવી નુક્તેચીની કરી હતી કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી. અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે.
છેલ્લું વાક્ય ફરી વાંચો – અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અયોધ્યાવિવાદ શ્રદ્ધાનો છે એના કરતાં ભૌતિક વધુ છે, બલકે ભૌતિક જ છે અને શ્રદ્ધાનો તો પાછળથી રંગ ઉમેરવામાં આવ્યો છે. અયોધ્યામાં જ્યાં મસ્જિદ હતી એ ઇમારતની માલિકી વિશે, એમાં કરવામાં આવેલા પગપેસારા વિશે, એની પોણાત્રણ એકર જમીન વિશે, એની આજુબાજુમાં આવેલી ૭૭ એકર જમીન વિશે આઝાદી પહેલાંથી અને પછીથી ઝઘડા ચાલે છે અને દાયકાઓથી અદાલતોમાં કેસ પડ્યા છે. આ બધા કેસ માલિકીને લગતા ટાઇટલ સૂટ છે અર્થાત ભૌતિક અસ્કામતોના છે. ૧૯૯૪માં ભારત સરકાર આ બધા કેસોને આટોપી લેવડાવવા માગતી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતના જજો રાજકીય રમત પામી ગયા હતા એટલે તેમણે કહ્યું હતું કે અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.
૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી જે મામલો અદાલત સમક્ષ છે એ અયોધ્યામાં બાબરી મસ્જિદની અસ્કામતોની માલિકીને લગતો છે, એને મંદિર કે મસ્જિદ અને એની સાથેની શ્રદ્ધા સાથે લેવાદેવા નથી. બન્ને પક્ષકારો; સુનની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડો પણ સ્થાવર મિલકત પરની માલિકીનો દાવો કરે છે. ટાઇટલ વિશેનો એક ચુકાદો ૨૦૧૦ની સાલમાં અલાહાબાદની વડી અદાલતે આપ્યો હતો જેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
રાજકારણીઓ આખરે રાજકારણીઓ હોય છે. અસ્કામતની માલિકી વિશેના કેસનો રાજકીય લાભ લેવાની પેરવી કરવામાં આવી રહી છે અને બાબરી મસ્જિદની પચીસમી વરસીની પૂર્વસંધ્યાએ સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો બાખડી પડ્યા હતા. સવાલ એવો હતો કે સર્વોચ્ચ અદાલતે કેસના મેરિટથી દોરવાઈને ચાલવું જોઈએ કે પછી એનાં રાજકીય પરિણામોથી? આની વધુ ચર્ચા આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 ડિસેમ્બર 2017