પ્રાથમિક શિક્ષણ ને બે ભાગમાં સમજવાનું છે. પ્રથમ તબક્કો આત્મનિર્ભરતાનો છે. જન્મથી અત્યાર સુધી તે કોઈની દેખરેખ-સંભાળમાં રહ્યું છે. એટલે પ્રથમ તેને કુટુંબથી છૂટું પાડવાનું છે. તેને આત્મવિશ્વાસ બેસે કે તે એકલું રહી શકે છે, પોતાના કામ જાતે કરી શકે છે, પોતાની જરૂર બીજાને જણાવી શકે છે. બાળમંદિર કે કે.જી.ના આ તબક્કામાં તે પુસ્તકના નહીં, જીવનના પાઠ શીખે છે.
પછી શરૂ થાય છે બીજો તબક્કો ઔપચારિક શિક્ષણનો. તેમાં પ્રથમ તેને વિષયની ઓળખાણ કરાવવાની હોય છે. તેને વિષયની પાસે લાવવાનું હોય છે. અહીં કોઈ સાથે બેસીને જ તેને ભણાવી શકે. બાળકને ખબર નથી કે આ કબૂતર નો ‘ક’ છે કે એકડે એક છે. તેને પાસે બેસીને સમજાવવું પડે, જે ઑનલાઇન શક્ય જ નથી.
આમ પણ મોબાઇલ કે કમ્પ્યૂટર ચાલુ કરવા, સ્કૂલની લિન્ક ખોલવા કોઈ તો જોઈએ જ. ત્યાર પછી સાહેબ કહે તે પ્રમાણે બાળકને કરાવવા માટે પણ કોઈની જરૂર પડે. તેના કરતાં આપણે જ બાળકને કક્કો કે એકડો ઘુંટાવીએ તો વધુ સારું.
ઑનલાઇન શિક્ષણ માત્ર બાળકની આંખો નથી બગાડતું, પણ તેને ભણવા માટે અણગમો ઊભો કરે છે. તો પ્લીઝ, તમારા બાળક ને તમે જ કક્કો ઘૂટાવો …. પાસે બેસી ને. સ્કૂલ એ માટે દબાણ કરતી હોય તો ત્યાંના શિક્ષકો સાથે પણ વાતચીત કરી જુઓ અને શક્ય હોય ત્યાં સુધી, ટાળી શકાય એમ હોય ત્યાં સુધી આવી પરિસ્થિતિ ટાળો.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 05
![]()


‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના વાર્ષિક અભ્યાસ ‘પ્રેસ ફ્રીડમ રિપોર્ટ’માં ભારત 2020માં 180 દેશોમાંથી 142મા સ્થાને છે (2019માં તે 140મા ક્રમે હતું). આ સંસ્થાએ નોંધ્યું છે કે, “દુનિયાભરમાં પત્રકારો પરત્વે આક્રમક વલણ અને ઘૃણા સુધ્ધાં વધી રહી હોવાથી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.” બોલ્સોનારોના શાસન હેઠળના બ્રાઝિલને 102 અને ટ્રમ્પ-શાસિત અમેરિકાને 45મા ક્રમે મૂકીને આ અહેવાલ કહે છે કે “આ બે નેતાઓ મીડિયાને બદનામ કરતા આવ્યા છે અને પત્રકારો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.” એ રિપોર્ટમાં મીડિયાની વૈશ્વિક સ્થિતિનો ચિતાર મળે છે, જ્યારે ગીતા સેશુ અને ઉર્વિક સરકાર લિખિત ‘ગૅટિંગ અવે વિથ મર્ડર’માં ભારતની વાત છે. તેઓ નોંધે છે કે 2019માં પત્રકારો પર 36 વાર હુમલા થયા હતા, જ્યારે 2014થી 2019 સુધીમાં એવી કુલ 198 ઘટનાઓ બની હતી. પાંચમાંથી એક હુમલામાં હત્યા પણ થઈ હતી. આવી ઘટનાઓ વધી રહી છે તે ચિંતાની વાત છે. લગભગ દરેક કિસ્સામાં ગુનેગારને સજા થઈ નથી. મોટા ભાગના કિસ્સા તો એફ.આઈ.આર.ના તબક્કાથી આગળ જ વધ્યા નથી અને જૂજ કેસ અદાલત સુધી પહોંચ્યા છે. આ અહેવાલ અનુસાર, હુમલાખોરોમાં “સરકારી સંસ્થાઓ, સુરક્ષા દળો, રાજકીય પક્ષોના સભ્યો, ધાર્મિક સંપ્રદાયો, વિદ્યાર્થીજૂથો, ગુનેગારોની ટુકડીઓ અને સ્થાનિક માફિયા”નો સમાવેશ થાય છે.
