ગઈ કાલે આપણે જોયું કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કરતાં કહ્યું હતું કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો.
સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી, અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અદાલતે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે ભારતની અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.
આ ૧૯૯૪નો અભિપ્રાય છે. અત્યારે ૨૦૧૭ ચાલે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એની પચીસમી વરસી છઠ્ઠી ડિસેમ્બરે હતી અને પાંચમી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો અને અદાલતના ત્રણ જજો ચર્ચા કરતા હતા કે શુદ્ધ સંપત્તિને લગતો ટાઇટલ સૂટ અત્યારે સાંભળવો જોઈએ કે ૨૦૧૯ના જુલાઈ મહિના પછી.

શા માટે ૨૦૧૯નો જુલાઈ મહિનો? કારણ કે ૨૦૧૯ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને BJP સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીનો કે કદાચ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો રાજકીય લાભ લઈ શકે છે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે જો અત્યારે ડે-ટુ-ડે ખટલો સાંભળવામાં આવે તો એનો રાજકીય ઉપયોગ કે દુરુપયોગ થવાની શક્યતા છે. આ એટલો મહત્ત્વપૂર્ણ કેસ છે જે દેશના ઇતિહાસને બદલી શકે એમ છે. કપિલ સિબલે સર્વોચ્ચ અદાલતના ૧૯૯૪ના અભિપ્રાયની યાદ અપાવતાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે પોતે જ ચેતવણી આપી હતી કે રાજકીય હેતુઓ માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવામાં ન આવે. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો વગેરે. આ રીતની દલીલ કરવામાં કપિલ સિબલ સાથે બે અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવન અને દુષ્યંત દવે પણ જોડાયા હતા.
હરીશ સાળવેનું નામ તમે સાંભળ્યું હશે. બહુ મોટા વકીલ છે જે ૧૯૯૩થી ૨૦૦૨નાં વરસોમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ હતા. ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો અને જે અભિપ્રાય આપ્યો ત્યારે હરીશ સાળવે ભારત સરકાર વતી અદાલતમાં ઉપસ્થિતિ થતા હતા. હરીશ સાળવે ધર્મે ખ્રિસ્તી છે અને અયોધ્યાવિવાદનો ઉપયોગ બહુમતી કોમવાદીઓ કરે તો એમાં લઘુમતી કોમને નુકસાન થવાનું છે એ હરીશ સાળવે સારી રીતે જાણે છે. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા બાબરી કેસમાં હરીશ સાળવે હિન્દુ પક્ષકાર વતી ઊભા રહે છે. કપિલ સિબલને એમ લાગ્યું કે હરીશ સાળવે ખ્રિસ્તી છે એટલે બાબરી કેસનો બહુમતી કોમવાદીઓ લોકસભાની ચૂંટણી વખતે રાજકીય દુરુપયોગ ન કરે એવી તેમની રજૂઆતને હરીશ સાળવે ટેકો આપશે અને જો ટેકો નહીં આપે તો વિરોધ તો નહીં જ કરે.
આની સામે હરીશ સાળવેનું અદાલતમાં વલણ કેવું હતું? આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. આ વાક્યનો અનુવાદ કરવાની જરૂર નથી. જગતભરમાં વકીલોનો આ મુદ્રાલેખ છે. અસીલના પક્ષે દલીલ કરવાની, સત્યના પક્ષે નહીં. અસત્યને પકડી પાડવાની જવાબદારી સામેના પક્ષના વકીલની છે અને સત્યને શોધવાની જવાબદારી જજોની છે. જો પૈસા મળતા હોય તો ધર્મ આડો ન આવે, દેશનું સેક્યુલર પોત આડું ન આવે, દેશનું ભવિષ્ય આડું ન આવે, લઘુમતી કોમનાં હિત આડાં ન આવે, ફાસીવાદની ચિંતા કરવાની ન હોય વગેરે. ૧૯૯૪માં કૉન્ગ્રેસ સરકાર બાબરી કેસ સર્વોચ્ચ અદાલતના ખોળામાં ધકેલીને જવાબદારીમાંથી છટકવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવા માગતી હતી જેમાં હરીશ સાળવે કૉન્ગ્રેસ સરકારના વકીલ હતા અને અત્યારે હિન્દ્દુત્વવાદીઓ બાબરી કેસનો રાજકીય દુરુપયોગ કરવા માગે છે અને હરીશ સાળવે તેમના વકીલ છે. આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. વાત પૂરી.
હજી બે મહિના પહેલાંની વાત છે. શાસકો જેની તપાસ ચાલી રહી હોય એવા સંવેદનશીલ મુદ્દે વાણીસ્વાતંત્ર્યના નામે જાહેર નિવેદનો કરીને અભિપ્રાય આપી શકે? સર્વોચ્ચ અદાલતમાં આવો એક કેસ ચાલી રહ્યો છે જેમાં હરીશ સાળવે અને ફલી એસ. નરીમાન પિટિશનર છે. દેખીતી રીતે આ જાહેર હિતનો કેસ છે એટલે એને ક્લાયન્ટ સાથે નહીં પણ કૉઝ સાથે નિસબત છે. શાસકો અને રાજકારણીઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને કઈ રીતે જુઠ્ઠાણાં, બકવાસ, ઇંગિત, હલકા ઇશારાઓ કરે છે અને ટાર્ગેટ કરીને કોઈને બદનામ કરે છે એની તેમણે અદાલતમાં આપવીતી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજનો કેસ લડતા હતા ત્યારે ચોક્કસ વિચારધારાના ટ્રોલ્સે તેમની ધર્મશ્રદ્ધા વિશે એટલા અભદ્ર ઇશારા કર્યા હતા કે તેમણે આખરે થાકીને ટ્વિટર અકાઉન્ટ બંધ કરવું પડ્યું હતું. આપણે હરીશ સાળવેને એટલી જ યાદ અપાવવી છે કે ટ્રોલ્સ ટૂ આર વર્કિંગ ફૉર અ ક્લાયન્ટ.
ખેર, આપણે અયોધ્યાના પ્રશ્ને સર્વોચ્ચ અદાલતમાં પાછા ફરીએ. રાજકીય હેતુ માટે શાસકો અને રાજકારણીઓ ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે અને દેશનો સેક્યુલર ઢાંચો જળવાઈ રહેવો જોઈએ એવો સર્વોચ્ચ અદાલતે ૧૯૯૪માં અભિપ્રાય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે માલિકીના ઝઘડાનો ટાઇટલ સૂટ અદાલતો સાંભળશે. અલાહાબાદની વડી અદાલતે ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં બાબરી મસ્જિદના ટાઇટલ સૂટમાં એક ચુકાદો આપ્યો હતો જે વાસ્તવમાં ન્યાય કરનારો ચુકાદો નહોતો, પણ સમાધાનકારી ફૉમ્યુર્લા હતી. એ ચુકાદારૂપી ફૉમ્યુર્લાને બધા જ પક્ષકારોએ નકારી કાઢી હતી અને તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં ગયા હતા. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એ આ અપીલ છે.
હવે સર્વોચ્ચ અદાલતને અને કપિલ સિબલ જેવા સંબંધિત વકીલોને કેટલાક સવાલ પૂછવાના રહે છે.
એક. ૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય મુજબ અદાલતો શ્રદ્ધાના નહીં, ટાઇટલના કેસ સાંભળશે તો પછી આટલા મહત્ત્વપૂર્ણ ઝઘડામાં કરવામાં આવેલી અપીલ સાત વરસ સુધી કેમ સાંભળવામાં ન આવી? સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં આટલો લાંબો સમય લાગતો નથી સિવાય કે અદાલત કેસ ન સાંભળવા માગતી હોય. અયોધ્યાનો કેસ સાત વરસ સુધી હાથ ન ધરવા પાછળનું કારણ કેસમાં રહેલી કોઈ ખામી છે કે પછી એનાં રાજકીય પરિણામોનો ભય છે? જો ખામી હોય તો ખામી બતાવીને કેસને ફગાવી દેવો જોઈએ, પણ સુનાવણી જ હાથ ધરવામાં ન આવે એની પાછળનું શું કારણ હતું? એ જ જેના તરફ કપિલ સિબલે ઇશારો કર્યો હતો. ખટલાનો રાજકીય દુરુપયોગ.
બે. ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે અયોધ્યાના કેસમાં રોજેરોજ સુનાવણી કરીને સત્વરે ચુકાદો આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ દાખલ કરી હતી અને તેમની અપીલના જવાબમાં અદાલતે ઠરાવ્યું છે કે આવતા વરસના ફેબ્રુઆરી મહિના પછીથી ખટલો રોજેરોજ ચાલશે. હવે સુબ્રહ્મણ્યમ સ્વામી તો મૂળ પક્ષકાર સુધ્ધાં નથી તો પછી તેમની ઉત્સુકતા પાછળનો ઇરાદો રાજકીય નથી તો બીજો શો છે? અદાલતોનો રાજકીય હેતુ માટે ઉપયોગ થવા નહીં દેવાનો ૧૯૯૪નો અભિપ્રાય સામે છે. સાત વરસ સુધી કેસને હાથ નહીં લગાડવાનો ઇતિહાસ સામે છે અને હવે ત્રાહિત માણસની રાજકીય ઇરાદાવાળી અપીલમાં સર્વોચ્ચ અદાલત સક્રિયતા બતાવી રહી છે એ વિચિત્ર નથી લાગતું? અત્યારે જ અયોધ્યાના કેસનો રાજકીય ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં થઈ રહ્યો છે.
ત્રણ. આજે નહીં તો ક્યારે? સર્વોચ્ચ અદાલતે આજે નહીં તો કાલે અયોધ્યાનો ટાઇટલનો કેસ હાથ ધરવો જ પડે એમ છે તો આજે શા માટે નહીં? એનો રાજકીય દુરુપયોગ તો થવાનો જ છે અને એને કોઈ રોકી શકે એમ નથી, પણ એનો અર્થ એવો નથી કે કેસને કાર્પેટ તળે ઢબૂરી રાખવામાં આવે. અદાલતે ઓછામાં ઓછો રાજકીય દુરુપયોગ થાય એની બની શકે એટલી ચીવટ રાખવી જોઈએ અને તમામ પક્ષકારો પાસેથી સોગંદનામા દ્વારા લેખિત બાંયધરી લેવી જોઈએ કે ચુકાદો તેમના માટે બંધનકર્તા રહેશે. ભારત સરકાર પાસે પણ ચુકાદાના અમલની બાંયધરી સોગંદનામા દ્વારા અદાલતમાં આપવી જોઈએ.
ચાર. શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ડિસેમ્બર 2017
![]()


આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.
નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.
સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.