બી.જે.પી.ના રાજ્યસભાના સભ્ય અને એક સમયના પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ તેમની ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માંની પાક્ષિક કૉલમમાં લખ્યું હતું કે અદાલતોએ સામાજિક સુધારાઓ કરનારા ચુકાદા આપતા પહેલાં સમાજને સુધરવાની તક આપવી જોઈએ. સમાજમાંનાં નવી સમજ પ્રાપ્ત કરેલા લોકો પોતાના સમાજનું પ્રબોધન કરે, નવા વિચારો અને અભિગમ સ્વીકારવા માટે પોતાના સમાજના લોકોને તૈયાર કરે, સામાજિક સુધારાનાં આદોલન કરે, પ્રજાને માનસિક રીતે તૈયાર કરે એ પછી જો કાયદા બને તો એ વધારે સફળ નીવડે. અદાલતોના ચુકાદાઓ પણ એ પછી જ ઉપયોગી થઈ શકે. બાકી માથે મારવામાં આવેલા ચુકાદાઓનો કોઈ અર્થ નથી.
તેમની વાત કંઇક અંશે સાચી છે. જો કે આ બાબતે પણ બે અભિપ્રાય છે. એક અભિપ્રાય સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યો એવો છે અને બીજો અભિપ્રાય એવો છે કે સમાજ આપમેળે સુધરે એની રાહ જોઇને બેસી રહીએ તો મૂળભૂત માનવીય મૂલ્યો આધારિત આધુનિક રાજ્ય સેંકડો વરસ પછી પણ સાકાર ન થાય. માટે કેવું રાજ્ય જોઈએ છે એ લખીને બંધારણમાં અંકે કરી લેવું જોઈએ અને એ પછી નાગરિકને તેને અનુકૂળ બનાવવા પ્રબોધન કરવું જોઈએ. એ ઉપરાંત કાયદાનો ડારો હોવો જોઈએ અને અદાલતોની કાયદાના અમલ બાબતમાં અને કાયદામાંની ત્રુટિ બાબતમાં ચાંપતી નજર હોવી જોઈએ. લક્ષ અંકે કરી લો અને એ પછી શિક્ષણ દ્વારા, સમાજ પ્રબોધન દ્વારા, કાયદા દ્વારા અને ન્યાયતંત્ર દ્વારા સમાજને તૈયાર કરો. આઝાદી પછી ભારતે બીજો માર્ગ અપનાવ્યો હતો જેને કારણે ભારતીય રાજ્ય હસ્તક્ષેપી રાજ્ય તરીકે ઓળખાય છે. મૂળભૂત માનવીય મૂલ્યોથી વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ ધર્મ, સામાજિક રિવાજ કે પરંપરાના નામે થતી હશે તો રાજ્ય હસ્તક્ષેપ કરશે. ટ્રીપલ તલાક, ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭, સેક્શન ૪૯૮ અને હવે સબરીમાલા અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા આ રીતના હસ્તક્ષેપી છે.
સ્વપ્ન દાસગુપ્તાએ આવી દલીલ કરતો લેખ સમલિંગી સંબંધો વિશેનો સેક્શન ૩૭૭ અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે લખ્યો હતો. બી.જે.પી.એ સમલિંગી સંબંધો વિશે અથવા કહેવાતા અકુદરતી જાતીય સંબંધોના કેટલાક લોકોના અધિકાર વિશે ચુપકીદી સેવી હતી. બોલવાનું જ નહીં. સર્વોચ્ચ અદાલતે મોંમાં આંગળા નાખીને કેન્દ્ર સરકારને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું ત્યારે કેન્દ્ર સરકારે એટલું જ કહ્યું હતું કે અદાલત જે કોઈ ભૂમિકા લે તેની સામે સરકારને કોઈ વાંધો નથી. આવી જ ભૂમિકા સેક્શન ૪૯૮ની બાબતમાં અને સબરીમાલાની બાબતમાં પણ હતી. ટેકેદાર રૂઢિચુસ્ત હિન્દુઓ નારાજ ન થવા જોઈએ.
સવાલ એ છે કે પહેલાં સ્વૈછિક સામાજિક સુધારા, પછી કાયદા અને એ પછી અદાલતોનો હસ્તક્ષેપ એ બ્રહ્મજ્ઞાન ટ્રીપલ તલાક વખતે ક્યાં છુપાઈ ગયું હતું? જ્યારે મુસલમાનો દલીલ કરતા હતા કે પહેલાં અમારા સમાજને તૈયાર થવા દો ત્યારે નફરત સાથે દલીલ કરવામાં આવતી હતી કે તમે તો હજારો વરસ સુધી સુધરો નહીં તો અમારે શું અમારી મુસ્લિમ ભગિનીઓને ન્યાયથી વંચિત રાખવાની? રાજધર્મ નામની કોઈ ચીજ ખરી કે નહીં? ગુજરાતના મુખ્ય પ્રધાન રાજધર્મ ભલે ચૂકી ગયા હોય, વડા પ્રધાન ન ચૂકી શકે. ગુજરાતના મુખ્ય પ્રધાને મુસ્લિમ સ્ત્રીઓને મુસલમાનોની સંખ્યા વધારવા રાહત છાવણીઓમાં બચ્ચા જણનારી તરીકે ઓળખાવી હતી. પણ પછી એ જ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થયા પછી અચાનક કેવી અનુકંપા જાગી મુસ્લિમ બહેનો માટે! ભક્તો તો પોરસાતા હતા કે મુસ્લિમ સ્ત્રીઓ મનોમન નરેન્દ્ર મોદીને ભાઈ માનીને રાખડી બાંધે છે.
કેન્દ્રના એક માત્ર પોણા કદના પ્રધાન (બાકીના અડધા કદના પણ નથી) અરુણ જેટલીએ શબરીમાલાના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી કહ્યું હતું કે સામાજિક સુધારાઓ સૂચવનારા કાયદાઓ અને અદાલતી ચુકાદાઓ દરેક સમાજ માટે એકસરખા હોવા જોઈએ. આ ભૂમિકાએથી તો ટ્રીપલ તલાકના પ્રશ્ને કેન્દ્ર સરકારે સક્રિય ભૂમિકા લઈને મુસ્લિમ બહેનોની રાખડી ઉઘરાવી હતી. સંસદમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. તો પછી સબરીમાલાના ચુકાદાનો વિરોધ શા માટે કરવામાં આવે છે? હિન્દુ બહેનો પણ મનોમન નરેન્દ્ર મોદીને ભાઈ માનીને રાખડી બાંધવા આતુર છે. તેઓ કાગડોળે ભાઈ પાસેથી વીરપસલીની રાહ જોઇને બેઠી છે, પણ હિન્દુ બહેનોનો ધરવામાં આવેલો વીરો હંમેશ મુજબ ચૂપ છે. અદાલતમાં સુનાવણી ચાલતી હતી ત્યારે પણ હિન્દુ બહેનોની તરફેણમાં મુસ્લિમ બહેનોના વીરાએ કોઈ ભૂમિકા નહોતી લીધી. હિન્દુ નરપુંગવ મુસ્લિમ બહેનોની યાતના જોઈને વિલાપ કરે અને હિન્દુ બહેનોનાં દુખડાં સામે આંખ આડા કાન કરે એવા હિન્દુ રાજ્યની કોઈએ કલ્પના નહીં કરી હોય.
ભક્તરાજ, કાંઈ સમજાય છે?
સંઘપરિવારની ભૂમિકામાં અને રૂઢિચુસ્ત મુસલમાનોની ભૂમિકામાં ઝાઝો ફરક નથી. બીજાએ સુધરવું જોઈએ, બાકી અમારો ધર્મ તો શ્રેષ્ઠ અને ખામીરહિત છે. એટલે પોતાના ધર્મમાં સુધારા કરવાની કે કાયદાકીય/અદાલતી હસ્તક્ષેપની વાત આવે ત્યારે તેઓ કાં વિરોધ કરે છે અથવા ચૂપ રહે છે. સુધરે એ જેનામાં ખામી હોય. અમારા સમાજમાં પણ દુર્ગુણો છે અને સુધરવાની જરૂર છે એમ કહેવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ જે ગાંધીજીમાં હતી. કાન આમળનારાને કોઈ પૂજ્ય મહાત્મા કહે? ગાંધીજીને હિન્દુઓ કહેતા હતા. આઘાત એ વાતનો છે કે પોતાને ગાંધીજીનો વારસદાર સમજનાર કૉન્ગ્રેસ પણ સબરીમાલાના ચુકાદાનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધીને પણ હિન્દુ બહેનોની રાખડી નથી ખપતી.
માત્ર ભારતમાં નહીં, જગત આખામાં વામનયુગ ચાલી રહ્યો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉક્ટોબર 2018
![]()








There they are rather like music. Every time a song is sung or played, it comes just a shade different, depending on the musician’s state of being—physical and psychological—external factors like the climate, natural and aesthetic, and the availability of musical aids which change, vary, diversify from age to age. The song stays the same; its singing varies.