કોઈ પણ દેશ અથવા સંસ્કૃિતના ઇતિહાસનું રૂપ ખાસ્સું જટિલ હોય છે અને એ સર્વસ્વીકૃત નથી હોતું. સંસ્કૃત ‘ઇતિ’નો અર્થ છે, જેવું થયું તેવું, ‘હ’નો અર્થ છે ‘સાચેસાચ’ અને ‘આસ’નો અર્થ છે, ‘નિરંતર રહેવું અથવા બોધ રહેવો.’ ઇતિ+હ+આસ એટલે પરંપરામાંથી મળતા પ્રસંગોનો સમૂહ. ગ્રીકમાં ‘હિસ્ટ્રી’ શબ્દનો અર્થ થાય છે ‘વણવું’. જે વિદિત હોય તેવી ઘટનાઓને વ્યવસ્થિત વણીને સાર્થક અને સુસંબંધ ચિત્ર ઊભું કરવું એટલે ‘હિસ્ટ્રી’. એટલા માટે જ અતીતના ઇતિહાસકારો, શાસકો, પ્રતિસ્પર્ધી દેશો, યાત્રીઓ અને વિદેશી હિતો માટે કામ કરતા નિષ્ણાતો તરફથી ઇતિહાસનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો પેશ થતાં રહે છે અને એને સ્વીકારનારા કે વિરોધ કરવાવાળા લોકો પણ પર્યાપ્ત સંખ્યામાં મળતા રહે છે. આ જ કારણથી ઇતિહાસ સાથે જોડાયેલા ભ્રમ મોટા થઈ જાય છે અને એ બહસ સચ્ચાઇથી દૂર થતી જાય છે.
ભારતીય સભ્યતાના મૂળ સ્થાનને લઈને આવી જ રીતે પરસ્પર વિરોધી વિચારો, તર્કો પેશ થતા રહ્યા છે અને એમાં હવે એક નવો ઉમેરો બી.એમ.સી. (બાયોમેડ સેન્ટ્રલ) ઇવોલ્યુશનરી બાયોલોજીમાં પ્રકાશિત શોધપત્રથી થયો છે. આ જેનેટિક શોધને માધ્યમ બનાવીને વરિષ્ઠ પત્રકાર ટોની જોસેફ ‘ધ હિન્દુ’ સમાચારપત્રમાં એવી દલીલ પેશ કરી છે કે આર્ય ભારતના મૂળ નિવાસી ન હતા.
ત્રણ મહિના પહેલાં પ્રકાશિત જેનેટિક અભ્યાસને ટાંકીને ટોની જોસેફે કહ્યું કે દુનિયામાં અંદાજે એક અરબ લોકોમાં ‘હેપ્લોગ્રુપ આરએ-વન’ ડીએનએ પૂલ જોવા મળે છે. તેના ‘વાય ક્રોમોઝોન’ (જે પિતામાંથી પુત્રમાં જાય છે તે પૈતૃક ગુણ સૂત્ર) ઉપરથી ખબર પડી છે કે ભારતમાં 17.5 પ્રતિશત પુરુષોમાં આ જ ગુણ સૂત્ર છે, જે પૂરા મધ્ય એશિયા, યુરેશિયા અને દક્ષિણેશિયાના પુરુષોમાં પ્રાપ્ત થાય છે. આ એ જ ક્ષેત્રો છે, જે આર્યોની આબાદીવાળાં ક્ષેત્રો ગણાય છે. ટોની જોસેફનો તર્ક છે કે યુરોપ-એશિયામાં આરવન-એ ડીએનએ પૂલ હોવા અને ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એના ઉપસમૂહ ‘ઝેડ93’નું મળવું એ હકીકત એ તર્કને ખારીજ કરે છે કે ‘હેપ્લોગ્રુપ’નું ઉદ્્ગમ ભારતમાં થયું હતું અને અહીંથી યુરોપ અને મધ્ય એશિયામાં ફેલાયું હતું.
અપેક્ષા પ્રમાણે જ ‘આર્યો વિદેશી હતા’ એવી ટોની જોસેફની દલીલનો વિરોધ થયો છે અને એને વામપંથી (એટલે કે સામ્યવાદી-સમાજવાદી) વિચારધારાનું કાવતરું ગણવામાં આવી છે. આ વર્ગ માને છે કે ગોરા રંગના યુરોપિયન લોકોએ ભારત ઉપર આક્રમણ કરીને શ્યામ રંગી સ્થાનિક મૂળ નિવાસીઓને ગુલામ બનાવીને આર્ય સભ્યતાની સ્થાપના કરી હતી, એવી થિયરી અંગ્રેજોએ પ્રચલિત કરી હતી અને આ કામ જર્મન વિદ્વાન મેક્સમૂલરને સોંપ્યું હતું. આ મેક્સમૂલરે જ સંસ્કૃત શબ્દ ‘આર્ય’નું મૂળ યુરોપિયન મૂળની આર્યન પ્રજાતિમાં જોયું હતું.
આર્ય વિદેશી હતા કે આર્ય મૂળ નિવાસી હતા તેને લઇને જબરદસ્ત વિવાદ, વિચાર અને વિરોધ છે. ભારતીય ઇતિહાસનો આ સૌથી જટિલ પ્રશ્ન છે અને બંને તર્કના સમર્થનમાં પાનાઓનાં પાનાં ભરીને લખાયું છે. નેહરુએ ‘ભારત એક ખોજ’માં લખ્યું છે કે આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હતા. બાળ ગંગાધર તિલક પણ આર્કટિક ક્ષેત્રનું ઠેકાણું આપે છે. ડૉ. આંબેડકર આ બધા વિચારોને ભ્રામક ગણે છે.
પશ્ચિમના પંડિતો કહે છે કે ઇન્ડો-યુરોપિયન ભાષાઓના સમૂહનો એક છેડો પશ્ચિમમાં યુરોપ તરફ અને પૂર્વમાં ઇરાન અને ભારત તરફ ગયો હતો. આંબેડકરે પણ કહ્યું હતું કે આર્ય શબ્દનો સંબંધ રક્ત સાથે કે શરીરના ઢાંચા સાથે કે વાળ-કપાળ સાથે નથી, પરંતુ ભાષા સાથે છે અને જે લોકો આર્ય ભાષા બોલતા હતા તે આર્ય કહેવાયા છે. પશ્ચિમના પંડિતોએ પણ તર્ક પેશ કર્યો કે જેમ અંગ્રેજી બોલનાર દરેક વર્ગ અંગ્રેજ જાતિ નથી તેવું જ આર્ય ભાષા બોલનારનું છે.
આર્યનો સંબંધ ભાષા સાથે નહીં, પણ જાતિ સાથે છે તેના સમર્થનમાં એક વર્ગ એને હિન્દુ દેવ-દેવતાઓના રંગ સાથે જોડે છે. ઇન્દ્ર, બ્રહ્મા અને દુર્ગા ગુલાબી છે. દાનવો કાળા છે અને વિષ્ણુ, રામ તથા કૃષ્ણ નીલવર્ણ છે. આ થિયરીમાં માનનારા કહે છે કે આર્યો વિદેશી નહીં, પણ ઉત્તર ભારતીયો હતા, જેમણે સિંધુ ખીણમાંથી દક્ષિણ ભારતીયોને ખદેડી મૂક્યા હતા.
‘આર્યોનું આક્રમણ’ અને ‘આર્યોનું મૂળ નિવાસ’ એવી બે પ્રતિસ્પર્ધી થિયરીમાં તર્ક અને શ્રદ્ધાના એટલાં તેલ પુરાયાં છે કે આર્યોને વિદેશી ગણાવનારાને ‘દેશ વિરોધી’ અને આર્યોને મૂળ નિવાસી માનનારાને ‘અંધ રાષ્ટ્રવાદી’ એવા બે હિંસક લેબલમાં વહેંચી દેવાયા છે. અત્યાર સુધી હિન્દુશાસ્ત્રો, જે 18મી સદીથી વ્યાપક રીતે પશ્ચિમમાં અનુવાદિત થવા લાગ્યાં હતાં, તેનો આધાર લઇને આર્યો જ મૂળ નિવાસી હતા એવી દલીલ કરવાવાળાને અવૈજ્ઞાનિક (અભણ, એવું વાંચો) કહીને ઉતારી પાડવામાં આવતા હતા. હવે જેનેટિક વિજ્ઞાનમાં પ્રગતિ થઇ તે પછી ખૂનની વંશાવલીમાં આર્યોનું કૂળ મધ્ય એશિયા-યુરોપમાં નીકળ્યું તો તેને હિન્દુઓને નીચા પાડવાના ગોરાઓના કાવતરા તરીકે જોવામાં આવે છે.
આ બંને (તરફી અને વિરોધી) દલીલોમાં ભારતીય નસ્લના અંકુર કેવી રીતે ફૂટ્યા એ જાણવાનો તંદુરસ્ત, વૈજ્ઞાનિક અભિગમ ઓછો અને એકબીજાને નીચા પાડવાની જાતીય રાજનીતિ વધારે છે. બ્રહ્માંડ વિજ્ઞાનમાં પૃથ્વી ઉપર માનવ જીવનની શરૂઆત કેવી રીતે થઇ હતી તેની તપાસથી વિપરીત આર્યોની ઉત્પત્તિમાં સત્તાની રાજનીતિ હાવી છે, જેથી એક સમુદાય બીજા સમુદાય ઉપર પ્રભાવ પાડી શકે.
આજે હિન્દુશાસ્ત્રો અને સંસ્કૃિત ઉપરથી એટલું તો સાબિત થાય છે કે એમાં જે જીવન દર્શન, જ્ઞાન અને માનવતાવાદ છે, તે સકળ વિશ્વમાં અનુઠો અને અનુકરણીય છે. સંસ્કૃિતના આરંભની ચર્ચામાં વંશીય રાજનીતિ હાવી થઈ જાય છે અને સંસ્કૃિતનું ડહાપણ કોરાણે મુકાઈ જાય છે, એ સૌથી મોટી ટ્રેજેડી છે. આમ પણ જાતિવાદી (રેસિસ્ટ) લોકોને પ્રજ્ઞા અને પાંડિત્ય સાથે ઓછી, અને રાજનીતિ તથા સત્તા સાથે નિસ્બત વધુ હોય છે. આપણે, મારા-તમારા જેવા સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?
સોચો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2017