૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્તતા આપતા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કર્યો (આ અર્ધસત્ય છે જેનો ખુલાસો આગળ થશે) એની સામે કરવામાં આવેલી પિટીશન પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. અદાલતના પાંચ વરિષ્ટ જજોની બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી છે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કરી રહ્યા છે. સુનાવણીના બારમાં દિવસે મુખ્ય ન્યાયમૂર્તિએ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે મૂળમાં આર્ટીકલ ૩૭૦માં જે જોગવાઈ છે અને ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો ત્યારે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તા અંગેની જે વાસ્તવિક સ્થિતિ હતી એ એક સરખી હતી? બીજા શબ્દોમાં કહીએ તો આર્ટીકલ ૩૭૦માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી? કે પછી ૬૯ વરસોમાં આર્ટીકલ ૩૭૦ની જોગવાઈઓ વાસ્તવિક ધરાતલ પર ચળાતી ચળાતી નહીં જેવી થઈ ગઈ હતી? તેમણે હજુ વધુ ફોડ પાડીને પ્રશ્ન પૂછ્યો હતો કે પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે આર્ટીકલ રદ્દ કરવામાં આવ્યો એ શું એ દિવસે એના એ જ સ્વરૂપમાં લાગુ હતો જેવું તેનું સ્વરૂપ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હતું?
અને એ પછી તેમણે સવાલ પૂછ્યો હતો કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો એ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થાય એ દિશાનું તાર્કિક પગલું હતું? Was it really a logical step forward to achieve that integration?
૧૯૪૭-૪૮માં ભારતનાં અન્ય રાજ્યોની માફક જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થઈ શક્યું નહોતું. મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહની મૂર્ખાઈ હતી. કુલ મળીને ૯૦ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારા રાજ્યના રાજવી એવું સપનું જોતાં હતા કે જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહેશે, ભારત કે પાકિસ્તાનમાં નહીં જોડાય, તેઓ રાજવી તરીકે કાયમ રહેશે અને જમ્મુ અને કાશ્મીર એશિયાનું સ્વીત્ઝરલૅન્ડ બનશે. એ સમયે મહારાજા સ્વામી સંત દેવ નામના એક સાધુના પ્રભાવમાં હતા અને તેમણે મહારાજાને સ્વતંત્ર બૃહદ્દ ડોગરા રાજ્યનું સપનું દેખાડ્યું હતું. આ ઉપરાંત કેટલાક હિન્દુત્વવાદીઓને એમ લાગતું હતું કે જો જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહે તો જમ્મુ અને કાશ્મીરને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય, એટલે એ લોકો પણ જમ્મુ અને કાશ્મીર ભારતમાં ન જોડાય અને સ્વતંત્ર હિંદુરાષ્ટ્ર બને એ માટે પ્રયત્નશીલ હતા.
આ સિવાય હૈદરાબાદના નિઝામે અને જૂનાગઢના નવાબે જાણીબૂજીને એવા નિર્ણયો લીધા હતા કે જોડાણની નીતિ સામે મૂળભૂત પ્રશ્નો પેદા થાય. પ્રશ્ન એ હતો કે જોડાણ અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર કોનો? રાજવીનો કે પ્રજાનો? જો જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાને જોડાણ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે તો જૂનાગઢના નવાબના નિર્ણયને અને હૈદરાબાદના નિઝામના નિર્ણયોને પણ માથે ચડાવવો જોઈએ. જો જૂનાગઢમાં દલીલ કરવામાં આવી હતી એમ પ્રજાનો નિર્ણય આખરી હોય તો જમ્મુ અને કાશ્મીરની ૯૦ ટકા મુસ્લિમ પ્રજાનો નિર્ણય માથે ચડાવવો જોઈએ. ટૂંકમાં ભારત માટે સ્થિતિ બહુ અનુકૂળ નહોતી અને એમાં ખરા ટાણે રાજા આડો ફાટ્યો.
જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ અને તેના રાજકારણ વિષે આખું એક પુસ્તક લખાય એટલા લાંબા ઇતિહાસને ટૂંકાવીને આર્ટિકલ ૩૭૦ પર પાછા આવીએ. જમ્મુ અને કાશ્મીરને હડપી લેવા પાકિસ્તાને આક્રમણ કર્યું અને ભારતે વળતો જવાબ આપીને જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો બચાવી લીધો. મહારાજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો એટલે તેમણે ભારત સાથેનાં જોડાણને મંજૂર રાખ્યું. જો મહારાજા જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ ન કરે તો ભારત તેનું લશ્કર પણ મોકલી શકે એમ નહોતું અને કાશ્મીર તો ઠીક, રાજાને પણ બચાવી શકે તેમ નહોતું. બધું ઉતાવળે થયું હતું. બંધારણીય જરૂરિયાત મુજબ જોડાણ માટેનાં બે જોડાણખતની પ્રક્રિયા પૂરી થઈ શકે એમ હતી નહીં, આખા વિશ્વની કાશ્મીર પર નજર હતી, મુસલમાનોની વસ્તી ૯૦ ટકા કરતાં વધુ હતી, રાજ્ય પાકિસ્તાનને લાગીને હતું, જમ્મુ અને કાશ્મીરના બધા જ મુસલમાનો શેખ અબ્દુલ્લા સાથે નહોતા અને જે નહોતા એ પાકિસ્તાનમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા, શેખ અબ્દુલ્લા પણ સ્વાયત્તતાની શરતે ભારતમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા એ હકીકતો જોતાં ભારતે જમ્મુ અને કાશ્મીરમાં લોકમત લેવાની ઓફર કરી હતી અને સ્વાયત્તતાની શરત મંજૂર રાખી હતી. જમ્મુ અને કાશ્મીર માટે અલગ બંધારણસભા રચવામાં આવી હતી જેણે ભારતમાં જોડાવાનો ઠરાવ કર્યો હતો. એ સમયે એ ઠરાવની મોટી કિંમત હતી. ભારતનો એક રીતે રાજકીય અને નૈતિક વિજય થયો હતો. ભારત પાસે આ સિવાય બીજો કોઈ સારો વિકલ્પ પણ નહોતો.
ભારત સરકારે ખાસ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા બંધારણમાં આર્ટિકલ ૩૭૦ ઉમેરીને મંજૂર રાખી હતી. આ બાજુ જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું કે જેથી જ્યાં છે ત્યાંથી પાછા જવાનો વિકલ્પ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો પાસે ન બચે. બીજા શબ્દોમાં કહીએ તો જમ્મુ અને કાશ્મીર સ્વાયત્ત ભલે રહે, પણ બંધારણસભામાં ઠરાવ કરીને આઝાદી માગવાનો વિકલ્પ કાયમ માટે સમાપ્ત થઈ જાય.
હવે? હવે ભારત સરકારે નવી નીતિ અપનાવી જેને કાશ્મીરીઓ, પાકિસ્તાન, મોટાભાગના વિશ્વદેશો અને નૈતિકતામાં માનનારાઓ વિશ્વાસઘાત તરીકે ઓળખાવે છે. એ નીતિ હતી જમ્મુ અને કાશ્મીરને આર્ટિકલ ૩૭૦ હેઠળ આપવામાં આવેલી સ્વાયત્તતાને ઓગાળવાની. ક્ષીણ કરવાની. ભારત સરકારે ધીરે ધીરે સ્વાયત્તતાને ખતમ કરી નાખી હતી. જમ્મુ અને કાશ્મીરે તેની ૯૦ ટકા સ્વાયત્તતા પાંચ દાયકા પહેલાં ગુમાવી દીધી છે. એ સારુ જવાહરાલ નેહરુએ તેમના મિત્ર શેખ અબ્દુલ્લાની સરકારને બરતરફ કરી હતી, તેમના પક્ષમાં વિભાજન કરાવ્યું હતું અને શેખસાહેબને જેલમાં પૂર્યા હતા. સ્વાયત્તતાને હજુ વધુ ઓગાળવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. આર્ટિકલ ૩૭૦ એની જગ્યાએ એમને એમ કાયમ હતો, સ્વાયત્તતા આંચકી લેવામાં આવી હતી.
બીજી વાત. આર્ટિકલ ૩૭૦ જાળવી રાખવો પણ જરૂરી છે. તમને કદાચ જાણ નહીં હોય કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે આર્ટિકલ ૩૭૦ સંપૂર્ણપણે રદ્દ નથી કર્યો. એ શક્ય નથી કારણ કે એનાં દ્વારા તો જમ્મુ અને કાશ્મીરને ભારત સાથેનાં જોડાણને માન્યતા મળે છે. આર્ટીકલ ૩૭૦ છે એટલે જમ્મુ અને કાશ્મીર ભારતમાં છે. ખુદ ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦૧૯માં લોકસભામાં ખુલાસો કર્યો હતો કે આર્ટિકલ ૩૭૦માંથી માત્ર સ્વાયત્તતાની જોગવાઈ રદ્દ કરવામાં આવી છે આર્ટિકલ રદ્દ કરવામાં નથી આવ્યો. આમ નરેન્દ્ર મોદીની સરકારે આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો છે એમ કહેવું ખોટું છે.
તો પછી આમાં તમે નવું શું કર્યું? સ્વાયત્તતા તો ભારત સરકારે પાંચ દાયકા પહેલાં જ ચૂપચાપ ગોકીરો કર્યા વિના ઓગાળી નાખી હતી. તમે ખાલી વાસણ આંચકી લીધું, પણ વાસણ ખાલી કોણે કર્યું? દીર્ઘદૃષ્ટા, ચતુર અને મહાન કોણ? મૂંગે મૂંગે વાસણ ખાલી કરનાર કે પછી જે વાસણની કોઈ કિંમત જ નહોતી રહી એવા ખાલી વાસણને દુનિયા જુએ એમ આંચકી લેનાર? કોણ વધારે મુત્સદી? એક રીતે ભારત સરકારે ખોટનો સોદો કર્યો છે. કાશ્મીરના મુસલમાનોને નારાજ કર્યા અને દૂર કર્યા.
માટે ભારતનાં મુખ્ય ન્યાયમૂર્તિએ આ જ સવાલ પૂછ્યો છે. આર્ટીકલ ૩૭૦માં હતું શું જે તમે લઈ લીધું? શું પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટીકલ ૩૭૦ એ જ સ્વરૂપમાં હતો જે ૨૦મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હતો? પાંચ દાયકા દરમ્યાન આર્ટીકલ ૩૭૦ની સ્વાયત્તતાની જોગવાઈને વ્યવહારમાં ખતમ કરી નાખવામાં આવી હતી અને એ નિષ્પ્રાણ સ્વરૂપમાં હતો એ હકીકત આખું જગત જાણે છે.
તો પછી સવાલ એ બચે છે કે આ નિરર્થક વ્યાયામ કોના માટે કરવામાં આવ્યો? ભક્તો માટે. મુસલમાનો પાસેથી કે હિંદુઓના કહેવાતા દુશ્મનો પાસેથી કોઈ ચીજ આંચકી લેવામાં આવે તો તેમને તેમાં મર્દાનગીનો અહેસાસ થાય છે. તેમને કોઈની નજરમાં પણ ન આવે એવી શાંત મુત્સદી કરતાં આવી ભલે નિરર્થક પણ ચિચિયારીઓ પાડનારી મર્દાનગીમાં વધારે પોરસ ચડે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023