મૂળ રશિયન પરંતુ મૂડીવાદી વિચારધારાથી પ્રેરિત થઈને અમેરિકા ‘નાસી’ ગયેલા વ્યક્તિવાદી વિચારક અને લેખક આયન રેન્ડે, 1943માં, “ધ ફાઉન્ટેનહેડ” નામની તેમની પ્રથમ યશસ્વી નવલકથા લખી હતી. આ એક એવી નવલકથા હતી, જેના પરથી દુનિયાના મોટા બિઝનેસમેન અને મૂડીવાદીઓ પ્રેરિત થયા હતા.
આ નવલકથા વ્યક્તિવાદના ચિંતન પર આધારિત છે, જે કહે છે કે એક વ્યક્તિની પોતાની વિચારધારા સર્વોપરિ હોય છે. આ એ વિચારધારાથી વિપરીત છે, જે સમાજના હિતોને સર્વોપરિ માને છે અને જે સમૂહવાદને અનુસરે છે.
આવી વ્યક્તિવાદી વિચારધારાને ઉચિત ઠેરવવા માટે રેન્ડે નવલકથામાં આર્કિટેકચરનું ભણતા હોવાર્ડ રોઆર્ક નામના એક એવા હીરોનું સર્જન કર્યું હતું જે આર્કિટેકચરની સ્થાપિત પરંપરામાં માનતો નથી અને ખુદનું ઇનોવેશન કરવા માટે તુક્કા લડાવતો રહે છે. રોઆર્ક અત્યંત પ્રતિશાળી છે અને તેની તમામ કૃત્રિમ ઘણી રચનાત્મક હોય છે, પરંતુ તે બિનપરંપરાગત હોવાથી લોકોને અજીબ લાગે છે.
મંગળવારે [24 જાન્યુઆરીએ], દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત, ગુજરાતના આર્કિટેક બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનું અવસાન થયું, ત્યાર તેમના પર વિચાર કરતી વખતે “ધ ફાઉન્ટેનહેડ”ના હોવાર્ડ રોઆર્કની યાદ આવી ગઈ. બી.વી. દોશીએ પણ ટ્રેન્ડની ભેડચાલમાં ચાલવાને બદલે પોતાના આગવા ચિંતન અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આર્કિટેકચરનું નિર્માણ કર્યું હતું.
તેમને 2018માં, આર્કિટેકચરનું નોબેલ ગણાતું, પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું, ત્યારે જ્યુરીએ એવોર્ડમાં જે નોંધ્યું હતું તેમાં ક્યાંક હોવાર્ડ રોઆર્કના વિચારોનો પડઘો હતો; “બાલકૃષ્ણ દોશીએ ક્યારે ય ટ્રેન્ડને અનુસરવાનો પ્રયાસ નથી કર્યો. તેમણે હંમેશાં વાસ્તુકલામાં ગંભીરતા જાળવી છે. તેમની ઇમારતોની સુંદર વાસ્તુકલામાં શહેરી યોજના માટે જરૂરી તત્ત્વો વાતાવરણ, નિર્માણસ્થળ, નિર્માણકાર્ય માટેની ટેક્નોલૉજી તથા કળાનો સંગમ જોવા મળે છે.”
દોશીએ એવોર્ડના પ્રતિભાવમાં કહ્યું હતું, “મારું દરેક સ્થાપત્ય મારા જીવન, મારી ફિલૉસૉફી અને આત્મા ધરાવતા સ્થાપત્યોનો વારસો ઊભો કરવાનો અંશ છે.” આર્કિટેકચર એટલે શું? દોશીએ તેની બહુ સરળ વ્યાખ્યા કરી હતી; “આપણી આસપાસ જે પણ ચીજવસ્તુઓ છે – રોશની, આસમાન, પાણી અને આંધી-તોફાન, એ બધું જ એક લયમાં હોય છે. એ લયનું નામ આર્કિટેકચર.”
આ એવોર્ડ પછી, દોશીએ પત્રકાર-મિત્ર પારસ જહા સાથે વાતચીતમાં આખી વાતને વધુ સરળ કરી આપી હતી; “આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે એ જોઇએ છીએ કે કપડાં આપણને અનુકૂળ છે કે નહિ, પણ અનુકૂળ કપડાં એ ફેશન ડિઝાઇન નથી.
એવી જ રીતે, જે વસ્તુ જે જગ્યા માટે, જે સંસ્કૃતિ માટે, જે લોકોની રહેણીકરણી માટે અનુકૂળ હોય અને એનાથી એમને આનંદ થતો હોય, તો મારા હિસાબે સ્થાપત્ય એને કહેવાય. ડિઝાઈન કરવી, કોતરણી કરવી એ ડેકોરેશન છે, સ્થાપત્ય નહીં.”
બી.વી. દોશી ઇમારતને જીવતા માણસ જેવી ગણતા હતા એટલા માટે તેમના આર્કિટેકચરમાં એક પ્રકારની આત્મીયતા મહેસૂસ થતી હતી. મજાની વાત એ છે કે “ધ ફાઉન્ટેનહેડ”માં કોલેજમાંથી નિષ્કાસિત કરાયેલો રોઆર્ક ન્યુયોર્ક જાય છે અને ત્યાં હેન્રી નામના એક આર્કિટેકની ફર્મમાં કામ શરૂ કરે છે. તે દરમિયાન, ન્યુયોર્કના સ્થાપિત આર્કિટેક્સ પણ તેની ટીકા કરે છે. તેવા એક પ્રસંગે તે કહે છે;
“એક ઇમારત, એક માણસની જેમ, જીવંત હોય છે. તેની નિષ્ઠા તેના સત્યને, તેની વિષય-વસ્તુને અને તેના હેતુને અનુસરવાની હોય છે. એક માણસ જેમ તેના શરીરના હિસ્સાઓને ઉછીના મેળવતો નથી, તેવી રીતે એક ઇમારત પણ તેના આત્માના ટુકડાઓને ઉછીના નથી મેળવતી. તેનો સર્જક તેને આત્મા આપે છે અને પ્રત્યેક ભીંત, ખિડકી અને સીડી તેને વ્યક્ત કરે છે.”
દોશીએ પણ એક ઈન્ટરવ્યૂમાં કઈંક આવી જ વાત કરી હતી; “મને સ્પેસ કાયમ જીવંત લાગી છે. લાઈટ અને સ્પેસ એક મૂવમેન્ટ ઊભી કરે છે, એક સંવાદ સર્જે છે, એક ગતિવિધિ પેદા કરે છે અને ત્યાં તમે જીવનનો હિસ્સો બનો છો. આર્કિટેકચર જીવનની પૃષ્ઠભૂમિ છે. આપણે આપણી અંદર એટલા મશગૂલ હોઈએ છીએ કે સ્પેસ શું કહેવાય કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ નથી. હું મારા આર્કિટેકચરથી લોકોને તેમની અંદર અને બહાર જે થઈ રહ્યું છે તેને મહેસૂસ કરાવું છું.”
દોશી મૂળ પુણેના હતા. ત્યાં પરિવાર મોટો થાય તેમ ઘરો બે માળ, ત્રણ માળનાં બનતાં જાય. ત્યાં શેરીમાં નીકળો તો ય દરેક ઘર પાડોશ લાગે. ગમે તેટલાં ઘર હોય, તમને અજાણ્યું ન લાગે. ઘર-પરિવાર અને સમુદાયની ભાવના ઘરોની આ આત્મીય રચનામાંથી આવે છે.
“આર્કિટેકચર સામાજિક હોય છે. એ મારી ડિઝાઇન ફિલૉસૉફીનો મૂળ પાયો છે,” એમ દોશીએ પારસ જહાને કહ્યુ હતું, “જેવી રીતે આપણી આત્મીયતા આપણા પરિવાર સાથે હોય તેટલી જ આત્મીયતા આપણા મકાન અને આપણા આસપાસના વાતાવરણ સાથે હોય તો એમ કહેવાય કે એ આત્મીયતા મારી છે.”
ગુજરાત સરકારમાં માહિતી ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર દોશીને કોન્ક્રીટ અને ઈંટની કવિતા કરતા આર્કિટેક કહે છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા એક લેખમાં પરમાર લખે છે, “બી.વી. દોશી વિશ્વ પ્રવાહો સાથે ચાલ્યા પણ તેના કાંઠા ભારતીય રાખ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઇમારતોની રચનામાં પણ એક પ્રકારનો વાસ્તવવાદ આવ્યો. ઝાઝો શણગાર નહિ, ઓછું મટીરિયલ અને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારોની ભવ્યતા ધરાવતી ઇમારતો બની રહી હતી. કોન્ક્રીટના મોટા ચોસલા કે ઈંટોનું સીધું ચણતર જ દેખાય એવી ઇમારતો બીજા વિશ્વ યુદ્ધ પછીના આર્કિટેક્ટ જગતને આકર્ષી રહી હતી. બી.વી. દોશીએ તેમાં ભારતીયતા ઉમેરી, હવા અને પ્રકાશનો સંબંધ ઉમેર્યો, આપણી આદતો અને લાગણીઓ પણ તેમાં ઉમેરી. પરિણામે એવા સ્થાપત્યો રચાયા જેમાં માણસ માણસ વચ્ચે સંવાદ સધાય.”
“ધ ફાઉન્ટેનહેડ”ની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં હોવાર્ડ રોઆર્કને યુનિવર્સિટીમાંથી કાઢી મુકવામાં આવી રહ્યો છે. આર્કિટેકચરનું ભણતી વખતે તેણે અમુક એવી ડિઝાઈન બનાવી હતી જે તેના શિક્ષકોને પસંદ આવી નહોતી.
તેને કાઢી મુકવાના નિર્ણયની જાણ કરતી વખતે કોલેજના ડીન હોવાર્ડ રોઆર્કને કહે છે, તેં આ જે ડિઝાઈન્સ બનાવી છે, તે એટલી બધી નવી છે કે આવી ઇમારતો બનાવાની તને કોણ અનુમતિ આપશે? તેના જવાબમાં રોઆર્ક કહે છે, “સવાલ એ નથી કે મને કોણ બનાવા દેશે. સવાલ એ છે કે મને કોણ રોકશે?”
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ પણ કદાચ એવું જ વિચાર્યું હશે; સવાલ એ છે કે મને કોણ રોકશે?”
પ્રગટ : “ગુજરાતમિત્ર”; 29 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર