સ્વતંત્રતા આંદોલનના દિવસોમાં ઉચ્ચ આદર્શ અને મહાત્મા ગાંધીનું અનોખું નેતૃત્વ
કરો યા મરો. તમે અને આપણે સૌ સ્વતંત્ર છીએ. હવે તમે નક્કી કરો કે કેવી રીતે રહેવાનું છે. તમે જ તમારા માલિક છો. 8 ઓગસ્ટ, 1942ની રાતે આશરે 11 વાગ્યાની આસપાસ મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં મસમોટા મંડપની નીચે મહાત્મા ગાંધીએ હિંદી અને અંગ્રેજીમાં આ ભાષણ આપ્યું ત્યારે મારી ઉંમર અંદાજે 18 વર્ષની હતી. આટલી રાતે પણ બેથી ત્રણ હજારની ભીડ ગાંધીજીને અત્યંત શાંતિથી સાંભળી રહી હતી. મંચ પર નહેરુજી, મૌલાના આઝાદ સહિત આઇ.સી.સી.ની વર્કિંગ કમિટીના સભ્યો બેઠા હતા.
એ સમયે જયપ્રકાશ નારાયણ જેલમાં હોવાથી તેઓ બેઠકમાં હાજર રહી શક્યા નહોતા. બીજા દિવસે 9મી ઓગસ્ટે ગાંધીજી આ જ મેદાનમાં ધ્વજવંદન કરવાના હતા. પણ તે અગાઉ ‘ભારત છોડો’ આંદોલનનો પ્રસ્તાવ તમામ મોટા નેતાઓની બેઠકમાં પસાર થઈ ચૂક્યો હતો. તેથી 9 ઓગસ્ટની સવારે ભારે વરસાદ ચાલતો હોવા છતાં ગોવાળિયા ટેન્ક મેદાનમાં જે આજે ઓગસ્ટ ક્રાંતિ મેદાન નામે જાણીતું છે ત્યાં હજારોની સંખ્યામાં નવયુવાનો એકત્ર થવા લાગ્યા હતા.
આ દરમ્યાન મને મારી આંખમાં બળતરાનો અનુભવ થયો. કોઈએ કહ્યું કે અંગ્રેજોએ અશ્રુ ગેસના ગોળા છોડ્યા છે. આંખોની બળતરા ઓછી થયા બાદ મેં મારો રુમાલ કાઢ્યો અને મેદાનમાં ભરાયેલા પાણીમાં પલાળ્યો અને આંખો લૂછી. મેં જોયું કે ભીડે ગોરા અંગ્રેજોને ઉઠાવી ઉઠાવીને ત્યાં આવેલા પોલીસવાળાઓ પર ફેંકવાનું શરૂ કર્યું હતું. એ પછી પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો. આ ઘટનાની જાણકારી આગની જેમ સમગ્ર શહેરમાં અને પછી સમગ્ર દેશમાં ફેલાઈ. ગાંધીજી અને તમામ મોટા નેતાઓની અંગ્રેજોએ સવારે ચાર-પાંચ વાગ્યે જ ધરપકડ કરી લીધી હતી. કસ્તૂરબા ગાંધી પણ ગોવાળિયા ટેન્ક મેદાનમાં આવવાના હતાં પણ તેઓ આવી શક્યાં નહીં.
હું ત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ હતો ત્યારે એ વીટી સ્ટેશન નામે ઓળખાતું હતું. તેની પાસે આવેલી સેન્ટ ઝેવિયર કોલેજની હોસ્ટેલમાં હું રહેતો હતો. 9 ઓગસ્ટની રાતે હોસ્ટેલ પરત ફર્યા બાદ મેં મારા સાથીદારોને એકત્ર કર્યા અને બીજા દિવસે 10 ઓગસ્ટથી ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાવાનો અમે નિર્ણય કર્યો. એ પછી 10 અને 11 ઓગસ્ટે અમે કોલેજનો ઘેરાવ કર્યો અને તેને બંધ કરાવી. 12મી ઓગસ્ટે અમે ચર્ચગેટ પહોંચીને રેલવે રોકવાનો નિર્ણય કર્યો. પણ મને તથા મારા 40-50 સાથીદારોને અડધા રસ્તે જ અંગ્રેજોએ અટકાવ્યા અને ધરપકડ કરી. ત્યાંથી અમને વરલીની બી.આઇ.ટી. ચાલમાં બનાવવામાં આવેલી કામચલાઉ જેલમાં રાખવામાં આવ્યા.
ત્યાં સુધીમાં ‘ભારત છોડો’ આંદોલન એટલું તો તીવ્ર થઈ ગયું હતું કે મુંબઈની ભાયખલા તથા આર્થર રોડ જેલમાં આંદોલનકારીઓને રાખવા માટે જગ્યા જ નહોતી બચી. વરલીની જે જેલમાં અમને લાવવામાં આવ્યા હતા ત્યાં એક એક ઓરડામાં 10-12 લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા. બહાર થોડી જગ્યા હતી પણ ટોઇલેટ-બાથરૂમ કોમન હતા. જેલમાં અમને શરૂઆતમાં ચા મળતી નહોતી. સૂવા માટે એવી ચટ્ટાઈ આપવામાં આવી જે અમને ખૂંચતી હતી. તેના કરતાં જમીન પર સૂઈ જવું વધારે સારું લાગતું. બાદમાં અમને ચા, લંચ અને ડિનર પણ મળવા લાગ્યું હતું. જેલમાં અમે એક દિવસ અમે કેટલાંક પુસ્તકો અને સ્પોર્ટસ સાહિત્યની માગણી કરી. આ માગણી પૂરી નહીં થવા બદલ અમે સવારે ઉપવાસ કર્યા. સાંજે અંગ્રેજોએ અમારી સાથે મારપીટ કરી.
1942ના આંદોલન દરમ્યાન મેં 10 મહિનાની જેલ ભોગવી હતી. જેલવાસ દરમ્યાન કોંગ્રેસ તથા સમાજવાદી વિચારધારાના નેતાઓએ કેટલાક મોટા નિર્ણયો લીધા હતા. તેમાં હું પણ સામેલ હતો. એ સમયે મુંબઈના ટ્રેડ યુનિયન સામ્યવાદીઓના હાથમાં હતા. તેથી જેલમાં અમે એક સમાંતર ટ્રેડ યુનિયન બનાવવાનો નિર્ણય કર્યો. જેલની બહાર આવ્યા બાદ તે બન્યું પણ ખરું. તેને આજે આઝાદ હિંદ મજદૂર સભાના નામે ઓળખવામાં આવે છે. એ સમયે સ્ટુડન્ટ ફેડરેશનો પણ કમ્યુિનસ્ટોના હાથમાં હતા. તેથી અમે સ્ટુડન્ટ કોંગ્રેસ બનાવવાનો નિર્ણય કર્યો. એ પછી નક્કી કર્યું કે બાદમાં સ્ટુડન્ટ ફેડરેશનને કેપ્ચર કરવામાં આવશે.
આ ઉપરાંત કમ્યુિનસ્ટોના ઇપ્ટા એટલે કે ઇન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિએશનની જેમ ઇન્ડિયન નેશનલ થિયેટર બનાવવાનો નિર્ણય પણ વરલીની જેલમાં લેવામાં આવ્યો. ગાંધીજીને મેં પહેલીવાર ગુજરાતના વઢવાણ કેમ્પમાં જોયા હતા. આ સ્થળ હવે ગુજરાતના સુરેન્દ્રનગરના નામે ઓળખાય છે. ત્યારે વઢવાણ કેમ્પ એજન્સી ટાઉન હતી અને તે અંગ્રેજોનો વિસ્તાર હતો. એ પછી હું મારા અભ્યાસના સંદર્ભમાં 1934-35માં કાનપુરમાં હતો ત્યારે ઉત્તર પ્રદેશમાં ગાંધીજી સાથે મુલાકાત થઈ હતી. ત્યારે મારી ઉંમર 10-13 વર્ષની હતી.
ગાંધીજીને મળવા હું તેમની કુટિરમાં ગયો હતો. ત્યારે હું વિદ્યાર્થી હોવાથી ગાંધીજી સાથે વાતચીતનો તો સવાલ જ પેદા થતો નહોતો. પણ તેમણે મને આશીર્વાદ આપ્યા હતા. ગાંધીજી ઘણા સારા વક્તા નહોતા પણ તેમની વાતોની લોકો પર ઘેરી અસર પડતી હતી. તેઓ જે કહેતા તે કરતા હતા. જ્યારે તેઓ બોલવા માટે ઊભા થતા ત્યારે પીન ડ્રોપ સાઇલન્સ થઈ જતું. કોંગ્રેસ અગાઉ મોટા લોકોની પાર્ટી હતી. બેરિસ્ટર, ડોક્ટર, વકીલ અને ભણેલાગણેલા લોકો તેના નેતા હતા. તે 1885થી 1915 સુધી ચાલ્યું. ગાંધીજીના આગમન બાદ કોંગ્રેસની કાયાપલટ થઈ.
અગાઉ જ્યાં માત્ર મોટા લોકો કોંગ્રેસના નેતાઓ હતા ત્યાં ગાંધીજીના આગમન બાદ ખેડૂત, શ્રમિક તથા અન્ય લોકોને પણ નેતા બનવાની તક મળવા લાગી. આઝાદી વખતે ગાંધીજીનો એક આગ્રહ એ હતો કે સરકારનું કામ હિંદી અથવા હિંદુસ્તાની ભાષામાં થવું જોઈએ. ગાંધીજી સમયના અત્યંત પાબંદ હતા. આઝાદી મળ્યા પછી એક વખત ડૉ. લોહિયાને તેમણે મળવા માટે બોલાવ્યા હતા. કોઈ કારણવશ તેઓ પહોંચી શક્યા નહીં. પણ જે દિવસે ડૉ. લોહિયા તેમને મળવા આવવાના હતા તેના બે-ત્રણ દિવસ પહેલા જ ગાંધીજીની હત્યા થઈ ગઈ.
આઝાદી દરમ્યાન ખાદીધારી વ્યક્તિમાં ભાગ્યે જ અપ્રામાણિકતા જોવા મળતી. મારા મિત્ર મધુ દંડવતેએ મને કહ્યું હતું કે 1942ના આંદોલન પહેલાં એક સત્યાગ્રહમાં મુંબઈના સિક્કાનગરમાં એક મહિલા સત્યાગ્રહમાં ભાગ લેવા માટે નીકળી હતી. રસ્તામાં તેણે પોતાના બધા જ દાગીના એક ખાદીધારીને સોંપી દીધા હતા અને તેને જણાવેલા સરનામે મોકલવા કહ્યું હતું. એ મહિલાને વિશ્વાસ હતો કે ખાદીધારી ક્યારે ય અપ્રામાણિક હોઈ શકે નહીં.
ડૉ. જી.જી. પરીખ ભારત છોડો આંદોલનમાં સામેલ થઈને જેલની કેદ ભોગવી ચૂકેલા મુંબઈના સ્વાતંત્ર્યસેનાની
સૌજન્ય : ‘પ્રેરણા’, “દિવ્ય ભાસ્કર”, August 22, 2016