ગુજરાતનું મંત્રીમંડળ જાહેર થઈ ગયું છે. સૌ મંત્રીઓને અભિનંદનો અને શુભેચ્છાઓ. આમ તો એ 15મીએ જાહેર થવાનું હતું, પણ સિનિયર મંત્રીઓને રિપીટ નહીં કરાય એવું લાગતાં કેટલાક અસંતુષ્ટોએ વિરોધ નોંધાવતા વાત 16મી પર આવી હતી ને કાલે બપોરે 10 કેબિનેટ કક્ષાના, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓની રાજભવન ખાતે શપથ વિધિ સંપન્ન થઈ હતી. આ લખાય છે ત્યાં સુધીમાં જે તે મંત્રીઓને ખાતાંની ફાળવણી થઈ નથી, પણ આ મંત્રીમંડળ સાહસનું પરિણામ છે. સાહસનું એટલે કે એમાં રૂપાણી સરકારનો કોઈ મંત્રી રિપીટ થયો નથી. એને, નકરાયેલા મંત્રીઓ કેવી રીતે લે છે તે જોવાનું રહે, પણ પૂર્વ મુખ્ય મંત્રી સહિત, પૂર્વ નાયબ મંત્રી, ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ ઉપરાંત રાષ્ટ્રીયકક્ષાના મોવડીઓ શપથવિધિ વખતે હાજર રહ્યા હતા એટલે કમ સે કમ નીતિન પટેલને હવે બહુ વસવસો નહીં હોય એમ ધારી શકાય. એક પણ મંત્રી રિપીટ થયા નથી એ સંદર્ભે એટલું કહી શકાય કે મોવડીઓનો હેતુ નવા ચહેરા અને તરવરાટને અજમાવવાનો છે અથવા તો હાઈકમાંડને કોઈ પૂર્વ મંત્રીઓથી સંતોષ ન હતો એમ માનવાનું રહે. જો કે, એ મંત્રીઓ પણ એમની ઇચ્છાથી જ આવ્યા હતા એટલે એમને પસંદ કરવામાં એમણે ત્યારે થાપ ખાધી કે હમણાં, તે તો 2022ની ચૂંટણી કહેશે. કામ કરતાં બધાં જ મંત્રીઓ એકાએક જ નકામા લાગવા માંડે એ સમજાતું નથી. કોઈ મંત્રી નિષ્ફળ જાય એમ બને, પણ બધાં જ નકામા લાગે એ સમજવાનું અઘરું છે. જો કે, હજી એક વખત મંત્રીઓને અજમાવવાની તક દિલ્હીને છે, કારણ આ ખેલ પણ થોડા મહિનાઓ પૂરતો જ છે. 2022ની ચૂંટણી પછી ભા.જ.પ.ની સરકાર આવે તો ફરી મંત્રીમંડળનાં પાનાં ચીપવાના થાય એમ બને.
એટલું સ્પષ્ટ છે કે નવા મંત્રીઓની પસંદગી 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ થઈ છે. આ બધાં મંત્રીઓ પૂરા સક્રિય થાય તે પહેલાં તો ચૂંટણી આવી જશે અને કામગીરીને આધારે કોઇની પસંદગી કરવાની તક ત્યારે ઓછી જ રહેવાની. ખુદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કેટલું કરી શકશે તે પણ પ્રશ્ન જ છે. એ રીતે આ નવી સરકાર નિષ્ફળ જવાની તકો વધારે જ છે ને એનો ભા.જ.પ.ને કેટલો લાભ થશે તે પ્રશ્ન જ છે. મંત્રીમંડળમાં પાટીદાર, ઓ.બી.સી., ક્ષત્રિય, બ્રાહ્મણ, દલિત, જૈન જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ થયું છે. ઝોન પ્રમાણે પણ મંત્રીઓનું પ્રતિનિધિત્વ ધ્યાન ખેંચનારું છે. આ વખતે દક્ષિણ ગુજરાત ટોચ પર છે, તેનાં 8 મંત્રીઓ પસંદ થયા છે. એ ઉપરાંત મધ્ય ગુજરાતનાં 7, સૌરાષ્ટ્ર અને કચ્છના 7 અને ઉત્તર ગુજરાતનાં 3 મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવાયા છે. નવી કેબિનેટમાં 2 મહિલા મંત્રીઓ પણ છે. મંત્રીપદ સોંપવામાં ઓલપાડ, ગણદેવી, પારડી, મોરવા હડફ, કેશોદ, કપરાડા સુધી નજર દોડાવાઈ છે એટલે મન ફાવે તેમ પસંદગી થઈ છે એમ કહી શકાશે નહીં. શિક્ષણની રેન્જ જોઈએ તો મંત્રીઓ એલએલ.બી.થી માંડીને 10મું પાસ સુધીનું શિક્ષણ ધરાવે છે. પૂર્વ વિધાનસભા સ્પીકર અને વડોદરાના નેતા રાજેન્દ્ર ત્રિવેદીનું કેબિનેટમાં સ્થાન બે નંબરનું હશે તેમ લાગે છે. સૌથી વધુ સંપત્તિ નિકોલ – અમદાવાદનાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ (14.75 કરોડ) પાસે છે તો સૌથી ઓછી સંપત્તિ મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ (12.57 લાખ) પાસે છે. એ પણ નોંધનીય છે કે સુરતના જ બે મંત્રીઓ પૂર્ણેશ મોદી અને હર્ષ સંઘવી વિધાનસભામાં સ્થાન પામ્યા છે.
એ ખરું કે મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિનું સમીકરણ કામે લગાડાયું હોય તો પણ, 2022ની ચૂંટણી પાટીદારો જ જિતાડી આપવાના હોય તેમ પાટીદારને મુખ્ય મંત્રી બનાવાયા છે. માત્ર એટલી જ ગણતરી હોય તો બીજી જ્ઞાતિ- જાતિના મતો, પક્ષને અપેક્ષિત નથી એમ માનવું પડે. આમાં જાતિવાદ વકરાવવાનું થાય છે ને અમુકને ખુશ કરવા જતાં બીજાને અપમાનિત કરવા જેવું પણ થાય છે. અગાઉ ક્યારે ય ન હતું એવું જાતિ-જ્ઞાતિનું સમીકરણ અત્યારે સક્રિય છે ને આપણે વાતો બિનસાંપ્રદાયિકતાની કરીએ છીએ ત્યારે મશ્કરી થતી હોય એવું લાગે છે. રાજકીય પક્ષો, અનામતને નામે, હિન્દુ-મુસ્લિમ કોમને નામે, પાટીદારને નામે, આર્થિક પછાતને નામે મત મેળવે છે. એમાં આચરી શકાય એવી બધી જ ભ્રષ્ટતા પક્ષો આચરે છે ને લક્ષ્ય એક જ રાખે છે, ચૂંટણી જીતવાનું. કોણ કેટલા મત લાવી શકે છે કે તોડી શકે છે એને આધારે જેને તેને પદો સોંપાય છે. એમાં ક્યારેક પાપડી ભેગી ઇયળ પણ બફાતી હોય છે.
મૂળ ભા.જ.પ.ના અસંતુષ્ટો તો પદ મળે કે ન મળે, ચુમાઈને પણ ભા.જ.પ.માં જ રહેશે, પણ એક જૂથ કૉન્ગ્રેસમાંથી ભા.જ.પ.માં આવેલાઓનું છે. એમનું કહેવું છે કે બધું છોડીને ભા.જ.પ.માં આવ્યા હોઈએ ને મંત્રીપદ પણ ન જળવાય તો એમાં ન્યાય નથી. એમણે સમજવું જોઈએ કે એમને નિમિત્તે કૉન્ગ્રેસ તૂટતી હોય તો ભા.જ.પ. મંત્રીપદ આપે એમાં નવાઈ નથી ને રહી અન્યાયની વાત, તો કૉન્ગ્રેસને છોડીને ભા.જ.પ.માં ઘૂસવામાં કયો ન્યાય હતો એ જાતને જ પૂછી લેવાનું રહે. કૉન્ગ્રેસમાંથી ભા.જ.પ.માં ઘૂસેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ તો ખુલ્લી ધમકી આપી હતી કે કોળી મતો ધરાવતા બાવળિયાને મંત્રીપદ નહીં અપાય તો કોળી સમાજ અપમાનનો બદલો વિધાનસભાની ચૂંટણીમાં લેશે. એવી જ વાત મંત્રીપદ ન મળે તો, ભા.જ.પ.ના નારાજ મંત્રીએ પંચાયતો ઉથલાવવા સંદર્ભે પણ કરી હતી.
આવા બીજા પણ હશે. આવા લોકોને કોઈ પક્ષે સંઘરવા ન જોઈએ. એમનો હેતુ પક્ષમાં રહીને સેવા કરવાનો હોતો જ નથી. તેઓ કોઈ પણ રીતે સત્તામાં આવવા માંગે છે ને પછી તે છોડવા માંગતા નથી. એમનો હેતુ કૈં મેળવવાનો જ છે. એક તરફ પક્ષ તરફથી સોંપાય તે કરવાવાળા લોકો છે તો બીજી તરફ સત્તા મેળવવા, પક્ષને ધમકી આપનારા લોકો પણ છે. ખરેખર તો ભા.જ.પ.ને અન્ય પક્ષમાંથી આવતા કોઈ સભ્યોની સાડાબારી જ ન હોવી જોઈએ. જે પોતાના પક્ષને દગો દઈ શકે છે તે ભા.જ.પ.ને ન જ દે એવું કઈ રીતે માની શકાય? એવાઓથી દૂર રહેવામાં ભા.જ.પ.ને કોઈ સંકોચ ન હોવો જોઈએ.
કેટલાક નિષ્ણાતોને એમ લાગે છે કે વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના જ બાકી રહ્યા હોય ત્યારે મુખ્ય મંત્રીને ન હટાવવા જોઈએ. જો કે, આ બધું વિધાનસભાની ચૂંટણી માટે નહીં, પણ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થાય છે. રાજ્યોમાં ક્યાં ય પણ ભા.જ.પ. નબળું પડે તે વડા પ્રધાનશ્રીને પરવડે એમ નથી. ઝારખંડની હાર અને હરિયાણામાં ભા.જ.પ.ના નબળા દેખાવ પછી જ્યાં પણ મુખ્ય મંત્રીની કામગીરી નબળી પડતી લાગી ત્યાં તેમને બદલી કાઢવામાં આવ્યા છે. આ રીતે પાંચ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ બદલાયા છે. ગુજરાતમાં તો આખેઆખી સરકાર બદલી કઢાઈ છે, તેનો હેતુ ભા.જ.પ.ને લોકસભામાં પૂરી 26 સીટો 2024માં પણ મળે તે જોવાનો છે. એમ પણ વિચારાયું લાગે છે કે પીઢ નેતાઓને બદલીને, તેમને સંગઠનમાં જોડવા, જેથી સંગઠન મજબૂત બને ને સરકાર યુવા મંત્રીઓ ચલાવે તો કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર બનાવવાનું સરળ થઈ પડે.
એમ પણ લાગે છે કે અન્ય રાજયોની તુલનાએ હાઈકમાન્ડ સૌથી વધુ પ્રયોગો ગુજરાત જોડે કરે છે. યુ.પી.માં ભા.જ.પ.ની સરકાર હોવા છતાં મુખ્ય મંત્રી યોગી સાથે મોદીને મતભેદો હતા. તે એકાએક એકાદ મુલાકાત પછી ઘટ્યા છે ને હવે યોગીના વખાણ કરતાં મોદી થાકતા નથી. એવું નથી કે યોગી સરકાર સામે પ્રજાએ કશું કહેવાનું નથી, પણ ગુજરાતમાં થયેલો સરકાર બદલવાનો પ્રયોગ મોદી ઉત્તર પ્રદેશની સરકાર બદલવામાં નહીં કરે. કરે તો પરિણામો ભોગવવાં પડે. એ પણ છે કે ગુજરાતમાં સામી ચૂંટણીએ સરકાર બદલવાનો ગુજરાતમાં પહેલો પ્રયોગ નથી, અગાઉ પણ મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં લેવાયાં છે. એ દરેક વખતે સરકાર નબળી પડી હતી એવું કહી શકાય નહીં. જો સરકાર નબળી જ હોત તો ભા.જ.પ.ની સરકાર રિપીટ થઈ ન હોત. એમ પણ કહેવાય છે કે આ સ્ટંટ છે, લોકોનું ધ્યાન ખેંચવાનો, લોકોની ફરિયાદ મોદી સાંભળે છે ને લોકો માટે એ કોઈનો પણ ભોગ લઈ શકે એમ છે એવું બતાવવાનો આ પ્રયત્ન હોય તો નવાઈ નહીં.
એ સાચું કે રાજ્યોમાં ભા.જ.પ. નબળો પડે તો હાઈકમાંડ મુખ્ય મંત્રી ઉપરાંત સરકાર પણ બદલી કાઢે, પણ કેન્દ્રમાં થતી નબળી કામગીરી અંગે મોદી કઈ સ્ટ્રેટેજી અપનાવશે? કેન્દ્રમાં નાણા મંત્રીની કામગીરી નબળી છે, છતાં તેમની બદલી થતી નથી. આરોગ્ય મંત્રી બદલાયા, રેલવે મંત્રી બદલાયા, પણ બહુ ફેર પડ્યો હોય એવું લાગતું નથી. રેલવેનો કારભાર નફાથી વિશેષનો જણાતો નથી. એટલે કેન્દ્રમાં મંત્રીઓ બદલવાથી પણ કોઈ હેતુ સર્યો હોય એવું બહુ લાગતું નથી. એ સ્થિતિમાં કેન્દ્રની નબળી કામગીરીને કારણે પક્ષને વેઠવાનું આવે ત્યારે શું, એ પણ રાજ્યની સમાંતરે વિચારાવું જોઈએ એવું ખરું કે કેમ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 સપ્ટેમ્બર 2021