વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઈના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે. આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે
જપાનનો બે રીતનો ખપ છે. ભારત સરકારને જપાનનો ખપ છે ચીન સામે દીવાલ રચવા અને નરેન્દ્ર મોદીને જપાનનો વધારાનો ખપ છે જંગી ખર્ચવાળી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા પ્રજાને આંજીને ચૂંટણી જીતવા. જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેની ભારત મુલાકાત દરમ્યાન ભારતની અને વડા પ્રધાનની મહેચ્છાઓ કંઈક અંશે પૂરી થઈ છે. પહેલા ભારતની વાત.
ભારત અને જપાન બન્ને ચીનના વિસ્તારવાદથી પરેશાન છે અને બન્ને વિકલ્પની શોધમાં છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા પણ છે જે જપાનને વધારે પરેશાન કરી રહ્યું છે. ભારતની સમસ્યા એ છે કે ભુતાન સહિતના દક્ષિણ એશિયાના દેશો કેટલો સમય ચીનનું દબાણ ખાળી શકશે એ કહેવું મુશ્કેલ છે. આવતા વર્ષે ભુતાનમાં સામાન્ય ચૂંટણી છે (ભુતાનમાં રાજાશાહી હોવા છતાં મર્યાદિત પણ નક્કર લોકતંત્ર પણ છે) અને અત્યારથી જ કહેવાનું શરૂ થઈ ગયું છે કે શા માટે ડોકલામમાંના ભારતના હિત માટે ચીન સાથે સંબંધ બગાડવા? ડોકલામનો લશ્કરી ખપ ભુતાન કરતાં ભારતને વધારે છે, કારણ કે એ તળ ભારત સાથે ઈશાન ભારતને જોડનારા બગલાની ડોક જેવા કૉરિડોરની નજીક છે. ટૂંકમાં ડોકલામનો ખપ જેટલો ભારતને છે એટલો ભુતાનને નથી અને ભારત આ જાણે છે. ભારત ખાતર ચીન સાથે સંબંધો નહીં બગાડવા માટે ભુતાનની સરકાર પર દબાણ આવી રહ્યું છે એ પણ ભારત જાણે છે.
જપાનની ચિંતા સાઉથ ચાઇના સીમાં ચીનના વિસ્તારની અને કબજો કરવાની યોજનાની છે. અહીં પણ ચીન સમુદ્રને કિનારે આવેલા નાના દેશોને આર્થિક સહાય અને વિકાસની લાલચ આપીને પટાવે છે અને જે દેશો ચીનની છત્રીમાં નથી આવતા એની સાથે ચીન દાદાગીરી કરે છે. આ સમુદ્રના પેટમાં ૧૧ અબજ બૅરલ ક્રૂડ ઑઇલ અને એક લાખ ૯૦ હજાર અબજ ઘનફૂટ જેટલો ગૅસ છે. ફિલિપીન્સ, બ્રુનેઈ, સિંગાપોર, મલેશિયા, વિયેટનામ, ઇન્ડોનેશિયા, તાઇવાન વગેરે દેશો આ સમુદ્રના કાંઠે આવેલા છે. વાસ્તવમાં ભૌગોલિક રીતે જોઈએ તો સાઉથ ચાઇના સી પર આ બધા નાના દેશોનો હક વધારે છે, પરંતુ ચીન એના વિરોધને ગણકારતું નથી. ગયા વરસના જુલાઈ મહિનામાં હેગની વિશ્વ અદાલતે સાઉથ ચાઇના સીમાં થાણા સ્થાપવાની બાબતે ફિલિપીન્સની તરફેણમાં અને ચીનની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવા છતાં ચીન એને ગણકાર્યા વિના આગળ વધી રહ્યું છે. આમ જેવી સ્થિતિ ભારતની ડોકલામમાં છે એવી સ્થિતિ જપાનની સાઉથ ચાઇના સીમાં છે. જેમ ભારત અને ચીન વચ્ચે ડોકલામના પ્રશ્ને સીધો ઝઘડો નથી એમ સાઉથ ચાઇના સીમાં ચીનનો સીધો ઝઘડો જપાન સાથે નથી. આમ છતાં ભારતની જેમ જ સાઉથ ચાઇના સીમાં નિશાન જપાન છે. એટલે તો જપાનને ચીનનો વિસ્તાર નડે છે.
ભારત સાઉથ ચાઇના સીના પ્રશ્નમાં રસ લઈ રહ્યું છે એની સામે ચીનને વાંધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથ ચાઇના સીના કિનારે આવેલા લગભગ બધા જ દેશોની મુલાકાત લીધી છે અને જે દેશોની મુલાકાત નથી લીધી ત્યાં હવે પછી જવાના છે.
આવતા નવેમ્બર મહિનામાં તેઓ ફિલિપીન્સ જવાના છે. ચીનને ભારત સાઉથ ચાઇના સીમાં રસ લઈ રહ્યું છે એ પસંદ નથી અને એટલે કદાચ ચીને ૧૧૦ દિવસ માટે ડોકલામ પર કબજો જમાવ્યો હતો અને અત્યારે પણ ચીન ત્યાંથી સાવ હટી ગયું છે એવું નથી. આ બાજુ ઈશાન ભારતમાંની વિકાસ યોજનાઓમાં જપાન મદદ કરવાનું છે એની ચીને ટીકા કરી છે.
જપાન અને ભારતને અકળાવનારી હજી એક બાબત અમેરિકાની ઉદાસીનતા છે. ડોનલ્ડ ટ્રમ્પને સાઉથ ચાઇના સીમાં કે ભુતાનમાં ચીન શું કરે છે એની સાથે નિસબત નથી. બન્ને દિશાના ચીનના વિસ્તારવાદ સામે અમેરિકાએ સરખું નિવેદન સુધ્ધાં બહાર પાડ્યું નથી. ડોનલ્ડ ટ્રમ્પ કોઈ ધોરણસરના પ્રમુખ નથી એટલે અમેરિકા પાસેથી ચોક્કસ ધોરણની અપેક્ષા રાખી શકાય એમ નથી. તમને જાણ હશે કે સાઉથ ચાઇના સીના લગભગ બધા જ દેશો અમેરિકાની પાંખમાં છે અને છતાં અમેરિકા એની મદદે નથી આવતું. દક્ષિણ એશિયામાં અને દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકા મોટી વગ ધરાવે છે, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને મળેલા બિનભરોસાપાત્ર કહો કે મૂરખ પ્રમુખ છે એટલે ભારત અને જપાન માટે અત્યારે તો અમેરિકાનો કોઈ ખાસ ખપ નથી.
આમ ભારત અને જપાનની હાલત આવ ભાઈ હરખા આપણે બે સરખા જેવી છે એટલે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત અને જપાનના વડા પ્રધાનો વચ્ચે ત્રણ વરસમાં ત્રણ દ્વિપક્ષી બેઠકો યોજાઈ છે. પહેલી વાર નરેન્દ્ર મોદી જપાન ગયા હતા જ્યાં તેમણે કારણ વિના ચીનને અસભ્ય દેશ હોવાનો વાગે એવો ટોણો માર્યો હતો. બે વખત જપાનના વડા પ્રધાન ભારત આવ્યા છે જેમાં આ વખતની મુલાકાત વધારે મહત્ત્વની છે. એક કારણ હેગની અદાલતના ચુકાદાની ચીને કરેલી અવગણના છે અને બીજું કારણ ડોકલામ છે. બન્ને દેશોના વડા પ્રધાને સંયુક્ત નિવેદનમાં સાફ શબ્દોમાં ત્રાસવાદી સંગઠનોના નામ લઈને ત્રાસવાદની નિંદા કરી છે. એ પછી સવાલ આવે છે ચીનના વિસ્તારવાદનો તો એ વિશે ચીનનું નામ આપ્યા વિના ચીનની સાઉથ ચાઇના સીમાંની અને વન બેલ્ટ વન રોડની નીતિની ટીકા કરી છે. નામ લેવામાં નથી આવ્યું, કારણ કે ચીનના વિસ્તારવાદને ખાળવા ભારત અને જપાનને અમેરિકાની જરૂર છે અને અમેરિકન પ્રમુખ ગાંડી માથે બેડું લઈને ફરે છે.
આ થઈ ભારતની જરૂરિયાતની વાત. જપાનની એક જરૂરિયાત નરેન્દ્ર મોદીને પણ છે. એ જરૂરિયાત છે દેશને આંજી દેનારી મોટા કદની યોજનાઓ લઈ આવવાની. એટલે તો લોકો મજાકમાં કહે છે કે જપાનના વડા પ્રધાનને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઍરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. એ પછી ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારી બુલેટ ટ્રેનની સમજૂતી થઈ હતી. નોટબંધી દ્વારા કુલ મળીને જેટલું કાળું નાણું હાથ લાગ્યું એનો સાત ગણો ખર્ચ બુલેટ ટ્રેન પાછળ થવાનો છે. જે દેશમાં સરેરાશ અઠવાડિયામાં બે રેલવે-અકસ્માત થતા હોય, જે દેશમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોય, જે દેશમાં કુપોષણને કારણે બાળમરણ થતાં હોય એ દેશના વડા પ્રધાનને બુલેટ ટ્રેનનાં સપનાં જોવામાં શરમ નથી આવતી. જપાનના વડા પ્રધાન પણ મનોમન હસતા હશે આ પણ દેશની એક કમનસીબી છે.
દરમ્યાન બનારસને ક્યોટો બનાવવાની યોજના હવે ભૂલી જવામાં આવી હોય એમ લાગે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ગયા વરસે જપાનના વડા પ્રધાનને બનારસ બોલાવવામાં આવ્યા હતા અને ગંગાઆરતી બતાવ્યા પછી બનારસને ક્યોટો જેવું પ્રાચીન પણ અત્યાધુનિક શહેર બનાવવાની સમજૂતી થઈ હતી. એ યોજનાનું શું થયું યાદ છે?
અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોના રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે એ સાહેબને કોણ સમજાવે?
સૌજન્ય : ‘કારણ-તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2017