નવી બાળવાર્તા
એક રાજા હતો. એને મોટીમોટી સભાઓ અને મેળાઓ અને રેલીઓ કરવાનો ભારે શોખ હતો. વળી, લાંબી લાંબી વાર્તાઓ સાંભળવાનો પણ ભારે શોખ હતો. એનો આગ્રહ હતો કે હું ‘પછી?’ ન કહું ત્યાં સુધી વાર્તા ચાલવી જોઈએ. જો કોઈ વાર્તા આગળ વધારી ન શકે, તો એનો દંડ થશે, પરંતુ હું ‘પછી?’ પૂછી ન શકું, તો એવી અનંતવાર્તા કહેનારને મોટું ઇનામ મળશે.
ઇનામની લાલચે ઘણા ભાટ, ચારણ, કથાકાર, ગુણિયલ કલાકાર વગેરે આવ્યા. પરંતુ કોઈ અનંતકથા કહી શક્યું નથી. જો કે આખરે એક ખેડૂતપુત્ર આવ્યો અને એણે વાર્તા માંડી.
વાર્તા દુકાળની હતી ખેતરોમાં પાક ઊતરતા નહોતા પરંતુ રાજાનો અન્નભંડાર ભરપૂર હતો. એટલે એક ચકલી આવી, એણે ભંડારમાંથી અનાજનો એક દાણો ખાધો અને ફરરર કરતી ઊડી ગઈ. બીજી ચકલી આવી, એણે અનાજનો એક દાણો લીધો અને ફરરરર કરતી ઊડી ગઈ.
રાજા ‘પછી?’ ‘પછી?’ કરતો રહ્યો અને જુવાન ત્રીજી ચકલી, ચોથી ચકલી … દસમી ચકલી … સોમી ચકલી બોલતો જ રહ્યો. એની કથાનો અંત આવતો જ નહોતો. આખરે રાજાએ કંટાળીને ‘પછી?’ પૂછવાનું બંધ કર્યું અને જુવાનને ઇનામ આપીને વિદાય કર્યો.
આમ, એક વાર ભોંઠા પડવા છતાં રાજાનો અનંતવાર્તા સાંભળવાનો શોખ ગયો નહીં. એણે તો કથાકારોને આવકારવાનું ચાલુ રાખ્યું. જો કે જે કોઈ આવે તે દંડ ભરીને પાછા જતા.
એટલામાં એક વાર ભારત નામના દેશમાંથી એક કથાકાર આવ્યો. કહે કે હું અનંતકથા કહું. રાજાએ એને ચેતવ્યો. ‘ભલા માણસ, હું ‘પછી ?’ પૂછવાનું ચાલુ રાખીશ. પૂછી ન શકું ત્યાં સુધી કથા કહેવી પડશે. જો તું વાર્તા આગળ વધારી ન શકે. તો દંડ ભરવો પડશે.
શરત કબૂલ રાખીને ભારતદેશના કથાકારે શરૂ કર્યું. ‘મહારાજ! એક ખેતીપ્રધાન દેશ હતો. ત્યાં ઘણા ખેડૂતો રહેતા હતા. પણ બન્યું એવું કે ખેડૂતો દેવાના બોજ હેઠળ કચડાવા લાગ્યા. એક ખેડૂતે આપઘાત કર્યો.’
‘હં … પછી?’
‘પછી બીજા ખેડૂતે આપઘાત કર્યો.’
‘પછી ?’
‘ત્રીજા ખેડૂતે આપઘાત કર્યો.’
‘પછી? ચોથા, પાંચમા, છઠ્ઠા ખેડૂતે આપઘાત કર્યો.’
એમ જ તારી વાર્તા ચાલવાની છે ને પેલી ચકલીની જેમ?
‘ના, મહારાજ, આ કથા જુદી રીતે ચાલે છે.’
‘હં … પછી?’
આમ ને આમ હજારો-હજારોએ આપઘાત કર્યા.
‘પછી?’
‘પછી આ ખેતીપ્રધાન દેશના રાજાએ ખેડૂતોના આપઘાતોની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે હૂકમ કર્યો.’
‘પછી?’
‘ઇન્દિરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ આવ્યો.’
‘વાહ! પછી?’
‘તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ સાયન્સીઝનો રિપોર્ટ આવ્યો.’
‘પછી?’
‘યશવન્તરાવ ચવાણ એકાદમી ઑફ ડેવલપમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનનો પણ રિપોર્ટ આવ્યો.’
‘પછી?’ રાજાએ જરાક કંટાળા સાથે પૂછ્યું.
ડૉક્ટર સુધીર ગોયિલનો રિપોર્ટ આવ્યો.
‘પણ પછી? આટલા બધા રિપોર્ટ આવ્યા પછી ખેડૂતોના આપઘાત અટક્યા કે નહીં?’
‘ધીરજથી સાંભળો, મહારાજ! પછી સ્વામીનાથન પંચનો રીપોર્ટ આવ્યો …’
‘ઓહ પછી?’
પછી ડૉ. નરેન્દ્ર જાધવ સમિતિનો રિપોર્ટ આવ્યો.
‘પછી?’
‘ખેડૂતો તો આપઘાત કરતા જ રહ્યા’
‘પ … છી?’ રાજાની ધીરજનો અંત આવી રહ્યો હતો.
‘રાજાએ પાર્લામેન્ટરી સમિતિ રચવાનો હુકમ કર્યો.’
‘વળી સમિતિ? ખેડૂતોના આપઘાતનું શું? પેલી જૂની વાર્તામાં તો ચકલીઓ આવીઆવીને ઊડી જતી હતી. અને અહીં તો ખેડૂતોના આપઘાત! મારે નથી સાંભળવી તારી આ વાર્તા! ઇનામ લે અને ભાગ અહીંથી.’
(‘સદ્દભાવના સાધના’માંથી ચંન્દ્રકાન્ત વાનખેડેની કૃતિનું રૂપાંતર)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 20