આઝાદીનો અમૃતમહોત્સવ લગભગ કોઈ ગણનાપાત્ર ઉત્સવ મનાવ્યા વિના પૂરો થઈ રહ્યો છે. આમાં આશ્ચર્ય માટે કોઈ કારણ નથી. ગાંધીજીની સાર્ધ-શતાબ્દી પણ આ રીતે જ ઉજવવામાં આવી હતી. વર્તમાન શાસકો જે વિચારકુળમાંથી આવે છે એ કુળને ભારતની આઝાદી સાથે કોઈ હાર્દિક સંબંધ નથી. નહોતો પહેલાં કે નહોતો અત્યારે. કારણ એ હતું કે આઝાદીનાં આંદોલન વખતે ભાવિ ભારત(આઈડિયા ઑફ ઇન્ડિયા)ની જે કલ્પના કરવામાં આવી હતી એ તેમને મંજૂર નહોતી. તેમનો પ્રતિકાર તેઓ કરી શક્યા નહોતા, કારણ કે ગાંધીજી સામે રાજકીય રીતે ટકવું ત્યારે મુશ્કેલ હતું. ખુદ લોકમાન્ય તિલક જેવા તિલકે તેમના અનુયાયીઓને કહ્યું હતું કે હવે વિકલ્પ બે જ બચ્યા છે; કાં ગાંધીનું નેતૃત્વ સ્વીકારો અને કાં જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ જાઓ. મને ગાંધીનું નેતૃત્વ સ્વીકારવામાં કોઈ વાંધો નથી એમ કહીને તેમણે તેમના અનુયાયીઓને સલાહ આપી હતી કે તેમણે ગાંધીને સાથ આપવો જોઈએ. કારણ? કારણ કે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે. પાછળથી ગાંધીજીએ જેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું એ વલ્લભભાઇ પટેલે પણ ગુજરાત ક્લબમાં ચેસ રમતા રમતા ઉદ્ગાર કાઢ્યા હતા કે, “માવલંકર, આ માણસ દેશને આઝાદી અપાવી શકે એમ છે.” તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન વખતે ગાંધીજીએ આપેલું મર્દાનગીની મિસાલ જેવું, પણ સંયમ અને સભ્યતાથી તરબોળ ભાષણની વિગતો છાપામાં વાંચી હતી અને તેમના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા.
એ સમયે આ માણસ આઝાદી અપાવી શકે એમ છે એની પ્રતીતિ માત્ર લોકમાન્ય તિલક કે સરદારને જ નહોતી થઈ, દેશના લગભગ તમામ નેતાઓને અને દેશની સમગ્ર પ્રજાને પણ થઈ હતી. અહીં ‘સમગ્ર’ શબ્દ મહત્ત્વનો છે અને તેને મનમાં કેન્દ્ર સ્થાને રાખજો. ગાંધી દેશને આઝાદી તો અપાવી શકે એમ હતા, પણ ભાવિ ભારત વિશેની ગાંધીની એક કલ્પના હતી. માત્ર ભાવિ ભારત અંગેની જ નહીં, ભાવિ માનવ-સમાજ વિશેની પણ ગાંધીની ચોક્કસ કલ્પના હતી. ગાંધીજી તેમની કલ્પનાના ભારતનાં સ્વરૂપ વિષે અને તેમની કલ્પનાના માનવ-સમાજના સ્વરૂપ વિષે લખતા-બોલતા પણ હતા અને એ પણ સતત અવિરત. સંભાળીને બોલવું, અનેક અર્થ નીકળે એ રીતે બોલવું, વિરોધાભાસી વિધાનો કરવાં, આજે એક કહેવું કાલે બીજું કહેવું, છુપાવવું, બોલવું કાંઈક અને કરવું કાંઈક એ ગાંધી માટે અગ્રાહ્ય હતું. પાપ હતું. એટલે ગાંધીએ ફોડ પાડીને અને વારંવાર પોતાની કલ્પનાના ભારત વિશેની અને માનવ-સમાજ વિશેની રૂપરેખા રાખી હતી.
હવે જેમને ગાંધીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો માનવ-સમાજ સ્વીકાર્ય નહોતા તેમની પાસે બે વિકલ્પો હતા. એક પ્રતિકાર અને બીજો પ્રતિવાદ. સ્વાભાવિકપણે આ બે જ વિકલ્પો હોઈ શકે. વળી ગાંધીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો માનવ-સમાજ સ્વીકાર્ય નહોતા એવા ભારતમાં ઘણા લોકો હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા આમાં અગ્રેસર હતા. થોડા કૉંગ્રેસીઓ પણ હતા. પણ તેમણે નહોતો ગાંધી સામે ઈમાનદારીપૂર્વક પ્રતિવાદ કર્યો કે નહોતો હિંમતથી પ્રતિકાર. શા માટે? જો તેમણે ગાંધી સામે પ્રતિવાદ અને ગાંધીનો પ્રતિકાર કર્યો હોત તો અંગ્રેજોએ તેમને છૂટા હાથે મદદ કરી હોત. અંગ્રેજો તો તત્પર હતા કે કોઈ ગાંધી સામે પ્રતિવાદ અને ગાંધીનો પ્રતિકાર કરે. અંગ્રેજોએ ડૉ. આંબેડકરને મદદ કરી હતી, ઝીણાને મદદ કરી હતી, તો આ લોકો તો હિંદુ હતા અને ગાંધી જે ધર્મસમાજમાંથી આવતા હતા અને ગાંધીજીને જે પ્રજાનો સૌથી વધુ ટેકો મળતો હતો તેમાં ઘોંસ પાડી શકે એમ હતા. પણ તેમણે નહોતો ઈમાનદારીપૂર્વક ગાંધી સામે પ્રતિવાદ કર્યો કે નહોતો ગાંધીનો પ્રતિકાર.
શા માટે? આ લાખ રૂપિયાનો સવાલ છે અને તમે પણ એ વિષે વિચારો. જોઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ નેતાને પૂછો કે શા માટે તમારા ગાંધીના સમકાલીન નેતાઓએ ત્યારે ગાંધી સામે કોઈ પ્રતિવાદ નહોતો કર્યો કે કરવો જોઈતો હતો એવો પ્રતિકાર નહોતો કર્યો? શા માટે?
હમણાં જ મેં કહ્યું કે ‘સમગ્ર’ શબ્દ મનમાં કેન્દ્રસ્થાને મૂકી રાખજો. દેશની સમગ્ર પ્રજા અને સકળ જગતની સમગ્ર પ્રજા ગાંધીની કલ્પનાના ભારતમાં અને ગાંધીની કલ્પનાના વિશ્વમાં કેન્દ્રસ્થાને હતી. સમગ્ર એટલે સમગ્ર, ભેદભાવ કે કોઈને તારવ્યા કે તરછોડ્યા વિના સમગ્ર. જેને રૂઢ અર્થમાં આપણે નિર્બળ કહીએ છીએ અને ‘પ્રજા’ના ખાતામાં નિર્બળને ખતવી દઈએ છીએ એ અદના ઇન્સાન ઉપર ગાંધીની અખૂટ અને અતુટ શ્રદ્ધા હતી. એ દુન્યવી અર્થમાં સામાન્ય છે પણ આધ્યાત્મિક અર્થમાં અસામાન્ય છે એ ગાંધીજીએ બતાવી આપ્યું હતું. ભૌતિક તાકાત કરતાં આત્મિક તાકાત અનેકગણી વધારે શક્તિશાળી હોય છે અને તે વિશ્વના સૌથી શ
ક્તિશાળી સામ્રાજ્યને પણ ધરાશયી કરી શકે છે એની ગાંધીજીએ ખાતરી કરાવી હતી. દેશનો અદનામાં અદનો માણસ તેની અંદર રહેલી, પણ અત્યાર સુધી નહીં ઓળખેલી કે નહીં સ્વીકાર પામેલી શક્તિનો અહેસાસ કરવા લાગ્યો હતો. લોકો પ્રજાસમૂહનો હિસ્સો હોવા છતાં અંગત રીતે પોતે શક્તિપૂંજ હોવાનો અનુભવ કરવા લાગ્યા. એ માટે તેઓ કોઈ ઓળખના મોહતાજ નહોતા. માણસ તરીકેનું હોવાપણું પૂરતું હતું.
હવે એ તો દેખીતી વાત છે એક નવા પ્રકારના ઉઘાડને રોકવો હોય તો એવા જ પ્રબળ પ્રતિવાદ માટે સામગ્રી (આજકાલ અંગ્રેજીમાં વપરાતો શબ્દપ્રયોગ કરીએ તો કાઉન્ટર નેરેટિવ્ઝ) હોવી જોઈએ જે તેમની પાસે હતી નહીં. આજે પણ નથી. માટે ગાંધીજી સામે પ્રતિવાદ કરવાની જગ્યાએ ગાંધીજીને બદનામ કરવાનો સસ્તો અને સહેલો માર્ગ અપનાવામાં આવે છે. બીજું પોતાની અંદર રહેલી શક્તિનો અહેસાસ થયા પછી લોકો પાછળ વળીને કોઈને જોવા-સાંભળવા તૈયાર નહોતા. એવું નથી કે ત્યારે તમામ લોકોને ગાંધીજીની કલ્પનાનું ભારત અને ગાંધીની કલ્પનાનો મનાવ-સમાજ કેવો હશે એ સમજાઈ ગયું હતું અને તેને તેમણે આત્મસાત કરી લીધાં હતાં, પણ ગાંધીમાં શ્રદ્ધા અખૂટ હતી. આમ સહિયારા, ન્યાયી અને અહિંસક માનવીય સમાજ અને એવા જ ભારતની ગાંધીની કલ્પનાનો પ્રતિવાદ કરવા માટે હિન્દુત્વવાદીઓ પાસે ગળે ઉતરે એવી સામગ્રી નહોતી અને પ્રજાની ગાંધીશ્રદ્ધા જોતાં પ્રતિકાર કરવા જેટલી હિંમત પણ નહોતી. મુસ્લિમ કોમવાદી નેતાઓએ હિંદુ બહુમતીનો ડર બતાવીને અને દલિત નેતાઓએ સવર્ણ હિંદુઓના વર્ચસનો ડર બતાવીને અનુક્રમે મુસલમાનોને અને દલિતોને ગાંધીના પ્રભાવમાં આવતા રોકવામાં થોડીઘણી સફળતા મળી હતી, પરંતુ બહુમતી હિંદુઓને ગાંધીના પ્રભાવમાં આવતા રોકવાનું હિન્દુત્વવાદીઓ માટે અઘરું હતું.
હવે બે વાત બનવાની હતી અને બની પણ. એક એ કે ગાંધીની કલ્પનાનું ભારત બંધારણ દ્વારા બંધારણીય રીતે અસ્તિત્વમાં આવ્યું. શબ્દપ્રયોગ પર લક્ષ આપવામાં આવે; માત્ર બંધારણ દ્વારા બંધારણીય રીતે અસ્તિત્વમાં આવ્યું. તેની અંદર આત્મા પૂરવો બાકી હતો. આ આત્મા પૂરવાનું કામ દેશની સમગ્ર પ્રજા તેને આત્મસાત કરે ત્યારે જ થાય એમ હતું. ગાંધીજીએ ભૂમિકા બનાવી આપી હતી, રસ્તો કંડારી આપ્યો હતો, મંજીલ સુધી પહોંચવાની અને પહોંચાડવાની જવાબદારી આઝાદ ભારતનાં પહેલી-બીજી પેઢીના શાસકોની અને ગાંધીજીની કલ્પનાના ભારતને જે લોકો સમજ્યા હતા અને સ્વીકાર્યું હતું એવા લોકોની હતી. દેશના દુર્ભાગ્યે એ બન્યું નહીં. શાસકો સત્તાની સાઠમારીમાં રચ્યાપચ્યા રહ્યા અને દેશના પ્રગલ્ભ નાગરિકો આઈડિયા ઑફ ઇન્ડિયાની કલ્પનાને લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા.
બીજું એ કે જેમને ગાંધીજીની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નહોતું તેમને એક વાત સમજાઈ ગઈ કે જ્યાં સુધી ગાંધીના ભારતની કલ્પના લોકો સુધી નહીં પહોંચે અને લોકો તેને આત્મસાત નહીં કરે ત્યાં સુધી તેમના માટે (હિન્દુત્વવાદીઓ માટે) જગ્યા છે. ગાંધીને પૂજનારી પેઢી સમાપ્ત થાય એ પછી આવનારી પેઢીઓના માનસ ઉપર કબજો જમાવી શકાય એમ છે. જેમણે ગાંધીજીને જોયા નથી, ગાંધીનો ચમત્કાર અનુભવ્યો નથી એવા લોકોના માનસમાં ગાંધીજી વિષે ભ્રમ પેદા કરી શકાય. તેમણે ત્રણ માર્ગ અપનાવ્યા. એક, ગાંધીજી વિષે ભ્રમણાઓ પેદા કરી અને ચારિત્ર્યહનન કરવાનું શરૂ કર્યું. બીજું, તેમણે ગાંધીજીની કલ્પનાનું ભારત સહિયારું નથી, પણ પક્ષપાતી મુસ્લિમ તરફી છે એવો પ્રચાર શરૂ કર્યો. કૉંગ્રેસે સત્તા માટે મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરીને અને સહિયારા ભારતને વરેલા લોકોએ મુસ્લિમ કોમવાદી રાજકારણને ભયગ્રસ્ત લઘુમતીનું રાજકારણ તરીકે ઓળખાવીને તેના તરફ આંખ આડા કાન કર્યા એને કારણે હિન્દુત્વવાદીઓનો પ્રચાર કામયાબ નીવડ્યો. અને તેમણે અપનાવેલો ત્રીજો માર્ગ હતો બંધારણનિર્મિત ભારતની લોકતાંત્રિક જોગવાઈઓનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે સત્તા સુધી પહોંચવાનો.
અત્યારે તેઓ સત્તા સુધી પહોંચી ગયા છે અને રાજ્ય ઉપર પૂરી પકડ તેમણે મેળવી લીધી અને યોગાનુયોગ એવો થયો કે એ વખતે જ ગાંધીજીની સાર્ધ-શતાબ્દી અને દેશની આઝાદીનો અમૃતમહોત્સવ આવી પડ્યા. ઉપરનું વિવેચન વાંચ્યા પછી હવે તમે જ કહો કે તેમને એ બેમાંથી કોઈ ઘટનામાં રસ હોય? તેમને ભેદભાવરહિત ન્યાયી અને સહિયારા ભારતની ગાંધીની કલ્પના જ જો સ્વીકાર્ય ન હોય તો ઉજવણી તો કેવી હોય! તેમને ગાંધીજીની કલ્પનાનું બંધારણીય રીતે આકાર પામેલું ભારત સ્વીકાર્ય ન હોય તો આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી તો કેવી હોય!
આ બન્ને ઉજવણી ફિક્કી નીવડી એનાં આ કારણો છે. આઝાદીના અમૃતમહોત્સવના વર્ષમાં સહિયારા અને ન્યાયી ભારતનાં આત્મા સમાન બંધારણીય ભારતનાં મૂળિયાં ઉખેડવામાં આવી રહ્યા છે એ દેશનું દુર્ભાગ્ય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 જુલાઈ 2022