'નિરવધી આ કાળ પડ્યો છે, ને વિપુલ આ પૃથ્વી પથરાયેલી છે. આજ નહીં તો કાલે, કોઈ કાળાન્તરે મારો સમાનધર્મી જન્મશે ને મારી કૃતિઓની કદર કરશે'.
કવિ ભવભૂતિએ આ બોલ ભાખ્યો. તે ઉક્તિ આજે પણ અનેક લેખકોનું આશ્વાસન બની રહી છે. જેઓની રચના વર્તમાન યુગના વાચકોને આકર્ષી શકતી નથી. તેઓ પોતાની રચનાનાં યોગ્ય મૂલ્ય મૂલવનારાં ભાવિ વાચકોની રાહ જુએ છે.
કેટલાએક પોતાની કૃતિને અમરત્વ મળે તેવી ઝંખના સેવે છે.' આજની પ્રજા મને સમજી શકતી નથી એટલું બધું મારા સર્જનનું ગહનત્વ છે.' : એવી ભ્રમણા ઘણા ઘણા સેવતા હશે. ક્ષણજીવી સાહિત્ય, સમયજીવી સાહિત્ય અને ચિરંજીવી સાહિત્ય આવા ભેદ દોરાય છે.
રિચર્ડ ઍલ્ડિંગ્ટન નામના વિવેચક આ 'અમરત્વના માયાવીપણા' પર પ્રકાશ નાખે છે. એ કહે છે કે લેખકની અથવા હર કોઈ કલાકારની આ 'અમરતા' એ તો 'રેનેસાં'ના પંડિતોએ ઊભી કરેલ એક કપોલ-કલ્પના છે. જનસામાન્યનાં ધ્યેયો અને પ્રશ્નોથી અળગા ઊભા રહીને માત્ર પોતાના નમ્ર શિષ્યોના અહોભાવમાં રાચનારા મહાન સાહિત્ય સ્વામી, 'ગ્રેટ માસ્ટર’, બનવાની મહત્ત્વાકાંક્ષા તો ગઈકાલની વસ્તુ બની ગઇ છે.
આજના વાર્તાકારે ઉપર કહી તેવી પોતાની અમર પ્રતિભાની એકલતામાં રાચવાનું નથી. જગત એને જુગ જુગ સુધી ન સંભારે તો તેથી એણે નાઉમેદ થવાનું નથી. માનવપ્રાણને અને ઊર્મીઓને દિન પર દિન જાગ્રત તેમ જ ગ્રહણશીલ રાખવાનું જે કર્તવ્ય અદા કરવા માટે લેખકો, કલાકારો અથવા અન્ય કાર્યકર્તાઓનો જે મહાન સંઘ પોતપોતાની શક્તિ-મતિ મુજબ મથી રહેલ છે, તેમાંના એક એકમ તરીકે જ પ્રત્યેક સાહિત્યકારે પોતાના વિશે વિચારી લેવાનું છે.
લોકસંઘના એ વહેતા જીવનનો બુદ્ધિ-ઊર્મીઓનો પ્રવાહ ખરું જોતાં તો વર્તમાનપત્રે જ વહનશીલ રાખવાનો હોય છે. પણ વર્તમાનપત્રનો કાર્યપ્રદેશ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ વાર્તાકારનો શરૂ થાય છે. સમૂહજીવનને સ્પર્શતા બનાવોની વર્તમાનપત્રો અદલ તસ્વીરો ખેંચે છે અને એ તસ્વીરોમાંથી વસ્તુ ઉપાડીને રંગરેખા ભર્યા ભાવચિત્રો વાર્તાકારે આપવાના રહે છે. અખબાર પ્રજા અને સત્ય પીરસવા સાચી ઘટનાઓ આપે, ને વાર્તાકાર પ્રજાને સત્ય પીરસવા સાધન લેખે વાર્તાનો ઉપયોગ કરે.
વાર્તાકારે બનતા બનાવો વિશે નહીં પણ લોકોના વ્યક્તિ-જીવનનાં ઊંડાણોનું આલેખન કરવાનું છે. વર્તમાનપત્રના કરતાં વાર્તાકારના લાભની વાત તો આ છે, કે એને જાહેરખબરો પૂરી પાડનારાઓની અથવા ગ્રાહકોની સારીમાઠી લાગણીનો વિચાર રૂંધી શકતો નથી. અમુક વર્ગને અપ્રિય એવા વિચારો મૂકનાર લેખકને બેશક અમુક પ્રકારના છૂપા બહિષ્કારના તેમ જ નનામાં રુચિહીન ચર્ચાપત્રોના ષડયંત્રના ભોગ થવું જ રહે છે, તેમ છતાં પોતાને જે કહેવાનું છે તે તો પ્રજા પાસે પહોંચી જ જાય છે. ઍલ્ડિંગ્ટનનું કહેવું એવું નથી કે વાર્તાકારે કેવળ વ્યક્તિ-જીવનનું 'રિપોર્ટિંગ' જ કરવાનું છે. નહીં, એથી તો ઘણું વિશેષ એણે આલેખવાનું છે. પરંતુ 'ત્રિકાલાબાધિત અમર કૃતિને' નજર સમક્ષ રાખવી એ તો કોઈ અચોક્કસ પ્રકારની આગામી પેઢીને માટે લખવા બેસવાની બેવકૂફી કરવા બરોબર સમજવું.
ચિરકાળને માટે નિર્માણ થતી કૃતિ એકેય કાળની નહીં રહે, અને ભાવિ પ્રજાને પહોંચાડવાનો સંદેશો એ સરનામે પહોંચવાનો જ નથી. પ્રજાને ન સમજાય એવું સર્જવામાં મહત્તા સમજવી એ છેક વાહિયાત પ્રકારની અદ્ભૂતપ્રિયતા છે. પોતાની કૃતિનો રસ અમુક મર્યાદિત કાળ કરતાં વધારે ટકવાનો છે એવી માન્યતા પણ એક ભ્રમણા છે.
આ યુગની અંદર ઊતરી પડેલો વિપુલ વાર્તાફાલ કેટલાય નિરાશાવાદીઓને સાહિત્યની સંગીનતા કથળી પડી હોવાનો દુઃખભાવ ઉપજાવે છે. હશે કદાચ એમ પણ હશે કે કવિતાના યુગે સરજાવેલાં બલિષ્ઠ અર્કને આજે આપણે ગદ્યનાં નીરમાં મિલાવી મોટો જથ્થો જ નિપજાવીએ છીએ. બીજી દૃષ્ટિએ આપણે એમ પણ કહી શકીએ કે સાહિત્ય આજે પુરાતન જડતાનાં બંધનોમાંથી મોકળું બનીને જીવનના હર કોઈ તત્ત્વને યથેચ્છ ઘાટ આપી રહેલ છે .
સમકાલીન સાહિત્ય – વાર્તાનું અથવા હર કોઈ અન્ય પ્રકારનું – અલ્પજીવી અને કામ ચલાઉ હોવું જોઈએ એનું બીજું પણ એક કારણ છે. આજે સંસ્કૃતિનો એક મહાયુગ સમાપ્તિ પામે છે. અને નવો યુગ હજુ એટલી બધી અચોક્કસ ભૂમિકામાં છે, કે એચ.જી. વેલ્સ સરીખા ક્રાન્તદર્શીને પણ આગામી વિશ્વ-રચનાનો આકાર કેવળ દૂરથી અનુમાનના આધારે જ કલ્પવો પડે છે.
આજ સુધી જેમ ઋતુચક્રની ચોક્કસતા પર અવલંબન લેતું ખેતીવાડીનું જ્ઞાન અમુક નિશ્ચિત ચીલે ચાલ્યા કરતું તે જ રીતે માનવજીવન પર મુકરર ચક્રમાં આંટા લેતું.
બધું જ જાણે કે નક્કી કરી મુક્યાં મુજબ જ બન્યા કરતું. કાલે જે સાચું હતું તે આજે અને કાળાંતરે પણ તેનું તે જ રહેવાનું છે, એવી માન્યતા વચ્ચે ભાવિ અમરતા મેળવવાનો જીવનનો એક ઉદ્દેશ હતો.
આજે એ બધું જ પડી ભાંગ્યું છે. આવતી કાલ સર્વ પ્રકારની અચોક્કસતાનો ભોગ થઈ પડી છે. પરિણામે આજના જીવનનાં બહુવિધ ખળભળાટો વચ્ચે જેમ એક બાજુથી કલાકારને અથવા વાર્તાકારને વિપુલ વસ્તુસામગ્રી હાથ પડવાનો અવસર છે, તેમ બીજી બાજુથી અને ક્ષણજીવીપણાની મર્યાદા છે. એટલે વાર્તાકાર ચાહે તેટલો તેજસ્વી હોય, તો પણ એણે પોતાના પ્રભાવની મર્યાદાને સૈકાઓની તો ગણતરીની બહાર જ રાખવી; એટલું જ નહીં પણ દાયકાઓને હિસાબેય નહિ, વર્ષોને હિસાબે પોતાની કૃતિની આવરદા માપવી રહેશે.
વસ્તુત: આજના સાહિત્યકારે કેવળ એક પ્રામાણિક ને સત્યનિષ્ઠ પત્રકાર બની જવાનું ધ્યેય રાખવું પડશે.
અને એમાં શી શરમ છે ? પત્રકારત્વ કંઈ ઓછું ઈજ્જતવાન છે ?
આજે તો કથાસાહિત્યને માટે મોટો ભય ઊલટાનો એ છે, કે એ થોડાક પંડિતોને સંતોષવા માટે વર્તમાન જીવનપ્રવાહને ઝીલનારી લૌકિકતા રખે ગુમાવી બેસે.
(‘જન્મભૂમિ’ ,30-06-1939; “પરિભ્રમણ 2”)
[સૌજન્ય : અમીતભાઈ ચાવડાની ફેઈસબૂક વૉલ પરેથી સાભાર]