પ્રો. ગણેશદેવીએ દેશમાં વધતી જતી અસહિષ્ણુતાના વિરોધમાં પોતાનો ઍવોર્ડ પાછો આપી દેવાની જાહેરાત કરતી વખતે અકાદેમીને પાઠવેલો પત્ર, અક્ષરશઃ
પ્રતિ,
પ્રોફેસર વિશ્વનાથ પ્રતાપ તિવારી, અધ્યક્ષ, સાહિત્ય અકાદેમી,
ડૉ. ચંદ્રશેખર કંબર, ઉપાધ્યક્ષ, સાહિત્ય અકાદેમી
હું બહુ જ ખેદ સાથે જણાવી રહ્યો છું કે મને મારી રચના ‘આફ્ટર એમનેઝિયા’ (૧૯૯૨) માટે ૧૯૯૩માં અંગ્રેજી પુસ્તકોની કૅટેગરીમાં મળેલો સાહિત્ય અકાદેમી ઍવોર્ડ હું પરત કરી રહ્યો છું. તાજેતરમાં દેશમાં મુક્ત અભિવ્યક્તિ માટેની ઘટતી જતી મોકળાશ અને ભિન્ન મત માટે વધતી જતી અહિષ્ણુતાના વિરોધમાં પોતાની ચિંતા અને વ્યગ્રતા વ્યક્ત કરવા માટે પોતાના ઍવોર્ડ પાછા આપી દેનાર કેટલાય અગ્રણી સાહિત્યકારોની સાથે સૂર પૂરાવવા માટે હું આ કદમ ઊઠાવી રહ્યો છું. આ પ્રસિદ્ધ સાહિત્યકારોએ તમને પાઠવેલાં નિવેદનમાં તથા વિવિધ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ તથા ચર્ચાઓમાં પોતાની ચિંતાઓને વાચા આપી દીધી છે અને તેથી તમને પહોંચાડવામાં આવેલા સંદેશાનો પુનરોચ્ચાર કરવાની જરૂર મને જણાતી નથી.
જો કે, હું એટલું ઉમેરવા ઇચ્છીશ કે સ્વ. ડૉ. એમ.એમ. કાલબુર્ગીનો ભોગ લેનાર અતિશય આઘાતજનક હુમલાના ત્રણ જ સપ્તાહ પહેલાં ઑગસ્ટના પહેલા સપ્તાહમાં મેં ધારવાડની મુલાકાત લીધી હતી. હું ત્યાં વી.કે. ગોકાક મેમોરિયલ લેક્ચરના પ્રથમ મણકારૂપે વક્તવ્ય આપવા ગયો હતો. આપને સ્મરણ હશે કે આપ અત્યારે સમગ્ર સાહિત્યિક સમુદાય વતી જે ઉચ્ચ ગૌરવશાળી પદ પર બિરાજમાન છો તે પદ પર આપના પુરોગામી તરીકે બિરાજી ચૂકેલા મહાન સાહિત્યકારોમાં એક વી.કે. ગોકાક પણ હતા. આઝાદીની ચળવળ દરમિયાન તેઓ વિલિંગ્ડન કૉલેજના આચાર્ય હતા. એકવાર પોલીસ વિદ્યાર્થીઓની ધરપકડ કરવા આવી હતી ત્યારે ગોકાક કૉલેજના પ્રવેશદ્વાર પર ઊભા રહી ગયા હતા અને તેમણે પોલીસને પ્રવેશ કરતી અટકાવી દીધી હતી. તેમણે પોલીસને જણાવી દીધું હતું કે તમારે વિદ્યાર્થીઓને હાથ લગાડતાં પહેલાં મારી ધરપકડ કરવી પડશે. ગોકાકે પોતે જે સંસ્થાઓના અધિષ્ઠાતા રહ્યા તે સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય માટે આ પ્રકારે ચિંતા સેવી હતી. મને આશા છે કે તમે એવું નહીં માનતા હો કે ગોકાક પર્યાપ્ત શાણપણ ધરાવતા ન હતા.
મેં જ્યારે ગોકાક મેમોરિયલ લેકચર આપ્યું ત્યારે ડૉ. કાલબુર્ગી હયાત હતા. કમભાગ્યે તેઓ પણ અસહિષ્ણુ બળોનો ભોગ બન્યા. તેમની હત્યાના એક સપ્તાહ બાદ મેં સાહિત્ય અકાદેમી દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનાર નાગપુરમાં યોજાયો હતો. મારે ઉદ્દઘાટન સત્રમાં અધ્યક્ષ તરીકે હાજરી આપવાની હતી. ત્યારે હું એ વાતે બહુ જ ખિન્ન થયો હતો કે એ સેમિનાર અકાદેમી દ્વારા સન્માનિત થઈ એવા એક વિદ્વાન પર થયેલા હુમલાના કોઈ ઉલ્લેખ વિના જ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સત્રના અંતે જ્યારે મારા વક્તવ્યનું ટાણું આવ્યું ત્યારે મેં ઉપસ્થિત શ્રોતાઓને પૂછ્યું હતું કે હું એ અધમ હત્યા અંગે શોક વ્યક્ત કરવા બે મિનિટનું મૌન પાળું તો શું કોઈને વાંધો હશે? મહેરબાની કરીને એ વાતની નોંધ લેજો કે ત્યારે ઉપસ્થિત તમામ લોકો મારી સાથે મૌન પાળવા માટે ઊભા થઈ ગયા હતા.
જો આપણા લેખકો અને સાહિત્યિક વિદ્વાનો નાગપુરમાં એ રીતે ઊભા થઈ શકવાની હિંમત દાખવી શકતા હોય, તો દેશમાં મુક્ત અભિવ્યક્તિના જે હાલ થઈ રહ્યા છે તે વિશે રવીન્દ્ર ભવન શા માટે અકળાવનારું મૌન સેવી રહ્યું છે તે સમજવામાં હું નિષ્ફળ ગયો છું. હું આપ બંનેને મારા વરિષ્ઠ તરીકે વ્યક્તિગત રીતે જાણું છું અને તમારાં લખાણો અને સાહિત્યરચનાક્ષમતાનો પ્રશંસક છું. શું હું એવું કહેવાનું સાહસ કરી શકું તે તમારે તમારો ધર્મ બજાવવાનો સમય પાકી ગયો છે? મને આશા છે કે તમે આ દેશને એવી ધરપત બંધાવશો કે ભૂતકાળમાં પણ તમામ સમયે સમજ, શુભેચ્છા, મૂલ્યો, સહિષ્ણુતા અને પરસ્પર સન્માનને બચાવવાનો માટે સાહિત્યકારો અને ચિંતકો જ આગળ આવ્યા છે. જો તેવું ના હોય તો આપણે આપણા મહાન સંત કવિઓને શા માટે યાદ કરી રહ્યા છીએ જેમણે આજની આધુનિક ભારતીય ભાષાઓને તે હાલ જે સ્વરૂપમાં જે તે સ્વરૂપ બક્ષ્યું છે. વિવિધતા અને વિભિન્નતા પરત્વે ગાઢ સહિષ્ણુતા એ જ તો ભારતની મહાન સંકલ્પનાનો આધાર છે. આ સંકલ્પના એટલી અગત્યની છે કે તે અન્ય તમામ મુદ્દાઓ કરતાં સર્વોપરી છે. હાલત એવી છે કે આપણા આદરણીય રાષ્ટ્રપતિને દેશને એ યાદ અપાવવું પડ્યું છે કે આ સંકલ્પનાને ભારતના-જેની સાથે કોઈ બાંધછોડને અવકાશ ના થઈ શકે તેવા – મૂળભૂત આધાર તરીકે જ જોવી જોઈએ. આ બાબત જ સાહિત્ય અકાદેમી પાસે હવે સક્રિય હસ્તક્ષેપ માટે પૂરતું કારણ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 03