મને આ વરસના ફેબ્રુઆરી મહિનામાં નોકરી મળી, અને પોસ્ટિંગ મારા વતનથી બસો કિલોમીટર દૂર નવસારીમાં આવ્યું. મારે એ પહેલાં કદી ત્યાં જવાનું બન્યું નહોતું. નોકરીમાં હાજર થયો ત્યારે ત્યાં રોકાણની કશી આગોતરી તૈયારી કરીને ગયો નહોતો, કારણ કે હોદ્દાને લઈને હું સર્કિટ હાઉસમાં રહી શકવાને પાત્ર થઈ ગયો હતો, અને ત્યાં રહેવાનો અભરખો પણ હતો.
વિચાર એવો કે થોડા દિવસ ત્યાં રોકાઈને પછી ભાડેથી રહેવા કોઇ ઘર શોધી લઈશ. ત્યાં ગયા પછી ખબર પડી કે સમારકામ ચાલતું હોવાથી સર્કિટ હાઉસમાં રહેવાની મંજૂરી આપતા નહોતા. સરકારી મકાન માટે તપાસ કરતા માલૂમ પડ્યું કે નવા મકાનો બનીને તૈયાર છે, અને ઉદ્દઘાટન થયા પછી ફાળવણી થતાં જ મને મળી જશે.
મેં જોયું કે બહુ તો એકાદ મહિનામાં મકાન મળી જાય એમ છે. હું વિચારતો હતો કે થોડા દિવસ હોટલમાં રહીને કાઢી નાખું, એટલામાં ઓફિસના એક ભાઈએ પ્રસ્તાવ મૂક્યો : “હું ઘરે એકલા જ રહું છું. હોટલનો નકામો ખર્ચ ટાળવો હોય તો મારા ઘરે જ આવી જાવ.” મને એમની વાત ગમી, અને થોડા દિવસ એમને ત્યાં રોકાવાનું નક્કી કર્યું. એ ભાઈનું નામ નૌશાદ હતું.
એ મને એમના ફ્લેટ પર લઈ ગયા. એમનો રૂમ ત્રીજા માળે હતો. બિલ્ડિંગમાં નીચે ફ્લેટ નંબર પ્રમાણે નેમ પ્લેટ લગાવેલી હતી. મેં એ વાંચી, ત્યાં નામ આ મુજબના હતા : યાકૂબ, અકબર, સાદિક, અસલમ, વગેરે. આજુબાજુમાં સોસાયટીનાં મકાનો, હોટલ્સ, દુકાનો બધું મુસ્લિમ લોકોની માલિકીનું હતું. પહેલી વાર મારે આ પ્રકારના અજાણ્યા વિસ્તારમાં રહેવાનું હતું. ૧૯૪૭માં કોલકત્તામાં કોમી રમખાણો વખતે ગાંધીજી સુહરાવર્દી સાહેબને ત્યાં ઊતરેલા એવું વાંચેલું તે મને યાદ આવ્યું. અહીં તો એવો કોઇ માહોલ પણ નહોતો. મને સંકોચ ઓછો, ને રોમાંચ વધુ થયો.
નૌશાદભાઈ પોતે મારી ઉંમરના, પણ પરિણીત હતા. એમનો પરિવાર પાલનપુર રહે, અને એ પોતે પણ ત્યાં બદલી થાય એની આશામાં પરિવારને અહીં લઈ આવવાને બદલે પોતે એકલા દિવસો કાઢતા હતા. તેઓ જમવાનું બહાર ગુજરાતી લોજમાં જમતા. હું તેમની સાથે જોડાતો થયો એટલે તેમણે યજમાન તરીકે નજીકની કેટલીક ફેન્સી હોટલ્સમાં મને લઈને જવાનું શરૂ કર્યું. પણ રોજેરોજ તો એવું જમવાની મજા આવે નહિ અને મોંઘું પણ પડે. થોડા જ દિવસોમાં હું તેમની સાથે લોજ પર જતો થઈ ગયો. જમતી વખતે ઓફિસના કેટલાક કિસ્સાઓ, કર્મચારીઓની લાક્ષણિકતાઓ, વગેરેને લગતી વાતો થતી. રાતે જમ્યા પછી તે એમનું એક્ટિવા થોડું ફેરવીને મને એકાદ નવા વિસ્તારની સહેલ કરાવતા. એ રીતે હું શહેરને પણ થોડું એક્સપ્લોર કરવા લાગ્યો. રાત્રે ઘરે આવીને ક્યારેક પારિવારિક તો ક્યારેક એમના બાળપણના મિત્રોની નિરાંતે વાતો થતી. હું આમ એટલો પોચો માણસ કે ઘર છોડીને એકલા રહેવાનું આવ્યું એટલે આંખના ખૂણાં જાણે કે ભીનાં જ રહેતાં … બસ કોઇ ખભે હાથ મૂકે કે આંખો દદડી પડશે. તો ય એમની સાથે રહીને મને મજા આવવા લાગી, એકલતા ભૂલાતી ચાલી.
ફ્લેટમાં નીચેના માળે નૌશાદભાઈનાં સગાં પણ રહેતાં. શરૂઆતમાં તેઓ મારી સાથે બહુ વાત કરતા નહિ. મારું ત્યાં રહેવા આવવું તેમને ન ગમ્યું હોય, અને મને શંકાની નજરે જોતા હોય તેમ મને લાગતું. પણ થોડા દિવસો પછી એ નજરો પણ બદલાઈ ગયેલી અનુભવી. દરમ્યાન મારા સરકારી મકાનની રાહ જોતા-જોતા મહિનાઓ નીકળ્યા અને ચોમાસું આવી ગયું. આ વર્ષે નવસારીમાં પહેલાં કદી ન થયો હોય એટલો વરસાદ થયો. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને અવરજવર બંધ થઈ ગઈ. એ સમયે તેઓ મનમાં કશા ભાર વિના સહજ રીતે જ મને જમવાનું બનાવીને આપી જતાં. પૂરની તકલીફો વિશે અમારે થોડી વાત થતી. એમની સામાન્ય ફરિયાદો ઉપરાંતની નિરાશા એ વાતે રહેતી કે તંત્ર અમારા વિસ્તારને નજરઅંદાજ કરે છે અને જરૂર મુજબ સહાય પહોંચતી નથી.
મારા ફ્લેટની આસપાસના વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓ બુરખો પહેરતી. ફ્લેટના થોડાક પુરુષો સાથે માંડ થોડું બોલવા-ચાલવાનું શરૂ થઈ શકેલું, ત્યાં કોઇ સ્ત્રી સાથે કોઇ અભિવાદનની આપ-લે કે સંવાદ મારા માટે કલ્પના બહારની વાત હતી. પડોશીઓ યુગલમાં મળી જતાં ત્યારે પણ હું એ રીતે વર્તતો જાણે બહેન ત્યાં છે જ નહિ. પણ એક દિવસ એક બહેન સામેથી પૂછતાં આવ્યાં : “સુજાતભાઈ છે? એમને કહેજો કે વડોદરાથી પેંડા લેતા આવે.” એ નૌશાદભાઈના ભાભી હતાં. મને લઈ આવવા ફાવશે કે કેમ એવું પૂછ્યા વિના એમણે જે હકથી વાત કહી હતી, મને આશ્ચર્યની સાથે આનંદનો આંચકો લાગ્યો. ફરી વાર વડોદરા આવવાનું થયું ત્યારે યાદ રાખીને મેં દુલીરામના પેંડાનું બોક્સ લાવીને એમને આપ્યું.
આ મહિનાઓમાં વચ્ચે નૂપુર શર્માના ભડકાઉ બયાન અને એ પછી ઉદયપુરમાં હત્યાનો તંગદિલીવાળો માહોલ પણ આવ્યો. મેં સમાચાર વાંચવાનું તદ્દન ઓછું કરી દીધું હોવાથી દેશમાં એ મુદ્દે કેટલી ગંભીર ચર્ચાઓ થઈ રહી છે એ વિશે મને ખ્યાલ નહોતો. હું અહીં રહેતો હતો એને લઈને મારાં કેટલાંક સગાંઓએ મારી સલામતી વિશે ચિંતા પણ રજૂ કરી. પણ હું ત્યાં સુધીમાં પડોશીઓ સાથે એટલો સહજ થઈ ગયેલો કે મને ક્યારે ય એ દિવસોમાં દેશમાં કંઈ બન્યું હોવાની ગંધ જ ન આવે. અમારા સંબંધોમાં લગીરે ખારાશ ન આવી.
હું આમ તદ્દન બિનધાર્મિક છું, પણ ત્યાં હું હતો, મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ લોકો વચ્ચે રહેતો એક હિન્દુ. મારા કરતાં અલગ લોકો સાથે પહેલી વાર રહેતો હોવાથી મને ઘણાં બધાં અવલોકનો થવા જોઇતા હતાં, પણ મારા મનમાં એવું કશું નોંધાયું જ નહિ. એક દિવસ તો મને પોતાના માટે એ વાતે લઘુતાગ્રંથિ થવા લાગી કે આ દિવસોએ મને બદલ્યો નથી, કે આ લોકો વિશે મારો કોઇ નવો અભિપ્રાય નથી – મારામાં ઓબ્ઝર્વેશન પાવર જ નથી. જો કે પછી મને સમજાયું કે પોશાક-ખોરાક અને રીતરિવાજોના કેટલાક દેખીતા ફરક સિવાય તેઓ આપણાથી અલગ છે જ નહિ, તો ઓબ્ઝર્વેશન ક્યાંથી હોય! જેમ આપણી હોય છે, એવી જ જદ્દોજિહાદ એમની પણ હોય છે, કે બે છેડા મળે એ રીતે શક્ય એટલી મજાથી જીવન જીવવું. ક્યારેક બહાર જમવા જવું, ફિલ્મ જોવા જવું, ફરવા જવું, અને એ બધું પરવડશે કે નહિ એની ગણતરીઓ કરવી. રોજબરોજના સંઘર્ષોમાં ધર્મની ભૂમિકા નહીંવત હોય છે. મેં બે ધર્મો વચ્ચે કેટલીક બાબતોમાં જુદાપણું છે તે જોયું, પણ એના કરતાં બાકીની અનેક બાબતોમાં સામ્ય વધુ છે તેમ અનુભવ્યું. મેં ફક્ત થોડું કુતૂહલ જગાવવાના હેતુથી જ શીર્ષકમાં ‘એ’ શબ્દનો પ્રયોગ કર્યો છે, બાકી તમે જોશો કે આ લેખમાં કશું વક્રતા, નાટકીય કરુણાંત, રોમાંચ કે સનસનાટી પેદા કરનારું છે નહિ. આમાં કોઇ ‘સ્ટોરી’ જ નથી, અને એ જ તો હિન્દુ-મુસ્લિમની સ્ટોરી છે!
સૌજન્ય : સુજાતભાઈ પ્રજાપતિની ફેઇસબૂક દીવાલેથી સાદર