ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠો કે કેમિકલ પીવાને કારણે પચાસથી વધુ માણસોનાં મોત થયાં છે ને સોથી વધુ માણસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંના કેટલાંક ગંભીર છે. આમ તો લઠ્ઠાકાંડની ગુજરાતને નવાઈ નથી. માત્ર સ્થળ ને માણસો બદલાય છે એટલું જ ! 2009માં અમદાવાદમાં જ લઠ્ઠાકાંડ થયેલો ને એમાં 123 લોકોએ જીવ ગુમાવેલા તે ય ઘણાં ભૂલ્યાં નહીં હોય. ગુજરાત રાજ્ય બન્યું એ વાતને 62 વર્ષ થયાં, એ પછી સેંકડો માણસો લઠ્ઠો પીવાથી મૃત્યુ પામ્યાં છે, પણ એનો છેડો આવતો નથી ને આવે એમ લાગતું નથી. અમદાવાદ, બોટાદની ઘટના પછી પણ ફરી આવો કાંડ ન જ થાય એવું કોઈ કહી શકે એમ નથી. બીજા કોઈ રાજ્યમાં કે દેશમાં આવા શરાબ પીવાને કારણે ‘દેશી’ મોત થયાનું બહુ જાણમાં નથી. એમાં કદાચ ગુજરાત મોખરે હશે. એનું એક કારણ એવું અપાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે છાનેછપને સારો, ખરાબ દારૂ પીવાય છે. જ્યાં છૂટ છે ત્યાં લઠ્ઠો પીવાતો નથી એટલે ત્યાં આવાં કમોત પણ આટલાં મોટાં પ્રમાણમાં થતાં નથી. આ દલીલો ગળે ઊતરે એવી નથી. દારૂ પીવાથી થતાં મોતનો આંકડો અન્ય રાજયમાં શૂન્ય હોય એવું બહાર આવ્યું નથી. શરાબ પીવાથી આરોગ્ય કથળે જ છે ને કૌટુંબિક જીવનની દશા બેઠી હોય એવાં સેંકડો ઉદાહરણો અન્ય રાજયોમાંથી પણ મળી રહે એમ છે. સારો કે ખરાબ, દારૂ મોડીવહેલી હાનિ કરે જ છે, તો એની વકીલાત કરવાની જરૂર નથી. તમાકુ અને દારૂ પર પૂરા દેશમાં કડક પ્રતિબંધો લાદવા જ જોઈએ, પણ સરકાર એમાંથી થતી કમાણી ગુમાવવા રાજી નથી. લોકોનાં સ્વાસ્થ્ય કરતાં પણ આવક વધુ મહત્ત્વની છે, એ સરકારથી વધારે સારી રીતે તો બીજું કોણ સમજાવી શકે? એટલે તમાકુ, દારૂ બાબતે તે ભીનું સંકેલે એમાં નવાઈ નથી. એ જ કારણ છે કે થોડાં થોડાં મોત વટાવીને બધાં નવા કાંડની રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે. મદિરા, સોમરસને નામે શરાબને સ્વર્ગીય પીણું માનનારો વર્ગ પણ છે. એ જો સ્વર્ગીય પીણું જ છે, તો એનો લાભ સ્વર્ગમાં જ લેવાનું વધુ ડહાપણ ભરેલું છે, એવું નહીં?
ગુજરાતમાં દારૂબંધી છે ને ઘણાં એવું માને છે કે ગાંધી ગુજરાતના હતા, તો અહીં તો દારૂબંધી હોવી જ જોઈએ, તો ઘણાંને એવું પણ છે કે ગાંધી હવે ચલણી નોટ સિવાય ચલણમાં ન રહે એવી સ્થિતિ છે, તો દારૂબંધીનો આગ્રહ શું કામ? ઘણાંને એમ લાગે છે કે ગાંધીજી આખા દેશના રાષ્ટ્રપિતા હતા, તે કેવળ ગુજરાત પૂરતા સીમિત ન હતા, તો દારૂબંધી દેશ આખામાં હોય, માત્ર ગુજરાતમાં જ શું કામ? જો દેશમાં બધે દારૂની છૂટ હોય તો ગુજરાતમાં પણ હોવી જોઈએ એવું ઘણાં માને છે. ગાંધીને નામે ગુજરાતને જ દારૂબંધીનો ભોગ બનાવવાનું ઠીક નથી. કેટલાંક એમ પણ માને છે કે ગાંધી ગુજરાતમાં જન્મ્યા હતા એટલે, બીજે હોય કે ન હોય, ગુજરાતમાં તો દારૂબંધી હોવી જ જોઈએ. ગાંધી ગુજરાતના ખરા, પણ તેનું કેટલું મૂલ્ય ગુજરાતે રહેવા દીધું છે તે સૌ જાણે છે. સ્કૂલોમાંથી ગાંધીને હટાવીને બીજી સ્થાપનાઓ થઈ રહી છે તે પણ કોઇથી અજાણ્યું નથી, એટલે ગાંધીને વટાવવાનું રહેવા દઇએ તો કમ સે કમ એ વિભૂતિ પર તો ઉપકાર જ થશે.
સાચું તો એ છે કે દારૂબંધી ન હટે તેવું તંત્રો પણ ઈચ્છે છે. ચોરીછૂપીથી દારૂ ઘૂસાડવામાં જે ઉપરની કમાણી થાય છે તે કોઈ જતી કરવા તૈયાર નથી. ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, ખાનગીમાં દારૂનું વેચાણ થાય છે, તેનાં પર દરોડા પાડવામાં કે રહેમ રાહે વેચાણ ચાલુ રહેવા દેવામાં જે કમાણી થાય છે એમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા બધાંનો જ ધંધો ચાલે છે. એક તરફ દરોડા પડે ને બીજી તરફ ખરીદ વેચાણ પણ ચાલુ રહે ને એના નિયમિત હપ્તાઓ તંત્રોને મળી રહે એવી વ્યવસ્થા ઊભી થઈ છે. હવે જો દારૂબંધી હટી જાય તો આમાંથી કમાણી કરતાં લોકોએ માથે હાથ દેવાનો વારો આવે. આ કમાણી જતી કરવાનું તંત્રોનું ગજું નથી. અંદરખાનેથી તંત્રો જ એવું ઈચ્છે છે કે દારૂબંધી હટે નહીં. હટે તો ઘણા પતે એમ બને. એટલે જ કોઈ લઠ્ઠાકાંડ સર્જાય છે કે તરત તંત્રો ને સરકાર એકાએક જાગે છે, ઝડપથી કામે લાગે છે ને થોડા વખત પછી કૈં ન બન્યું હોય તેમ ઘોરવા માંડે છે. બોટાદ, અમદાવાદ લઠ્ઠાકાંડ પછી સરકાર ગોખેલું બોલવા લાગી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે … વગરે વગેરે. રાતોરાત સમિતિઓ નીમાય છે, તપાસ શરૂ થાય છે, રિપોર્ટ આવે છે, કેસ ચાલે છે, સજા થાય છે ને નવા કાંડની રાહ જોવા ફરી સૌ ઠરીને ઠીકરું થઈ જાય છે. બહુ થાય તો કોઈને વળતર બળતર આપીને મદદ-મદદ પણ રમી લેવાય છે. આ બધું યંત્રવત ચાલે છે. એમાં જીવ નથી ને એટલે જ ઘણાંના જીવ જાય છે.
જીવ જાય કે પોલીસ એક્ટિવ થઈ જાય છે. લાગતા વળગતા ને ખબર પહોંચી જાય છે કે મામલો ટાઢો ન પડે ત્યાં સુધી ભઠ્ઠીબઠ્ઠી બંધ રાખો. ધડાધડ દરોડા પડે છે. આ વખતે પણ મહેસાણા, અરવલ્લી જેવામાં દરોડા પડે છે, ધરપકડો થાય છે, ડ્રાઈવના આદેશો અપાય છે, જ્યાં કૈં નથી થયું ત્યાં પણ દરોડા પડે છે. આ અગાઉ નાછૂટકે કેસો કરીને પોલીસ ગૃહખાતાને જાણ કરીને કામ કર્યાનો સંતોષ લેતી હતી, તે કોઈ કાંડ થાય છે કે એકાએક સજીવ થઈ જાય છે ને ઠેર ઠેર તાંડવ કરી વળે છે. આ જે કૈં દુર્ઘટના પછી થાય છે તે પહેલાં પણ થઈ શકે ને ! એ ઓછું જ થાય છે. એવું નથી કે ઘટના થઈ એ જ દિવસે વધુ પીવાયો. એ તો પીવાતો જ હોય છે, પણ કાર્યવાહી થતી નથી એટલે બધું ઠીકઠાક છે એમ લાગે છે, બાકી, ધંધો બંધ થઈ ગયો એવું તો સપનું ય પડે એમ નથી.
કોઈ પણ ઘટના હવે કોઈને વખોડવાની અને કોઈને બચાવવાની તકો માટે જ બનતી હોય તેમ બધાં જ તેનો લાભ ઉઠાવવા રસ્તે આવી જતાં હોય છે. કોઈ દુર્ઘટના બને છે કે વિપક્ષોની મંત્રીઓનાં રાજીનામાંની માંગ શરૂ થઈ જાય છે તો એ જ વખતે સરકાર પણ બચાવનાં સાધનો સાથે મેદાને પડે છે. એમાં અત્યારે તો ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે રાજકારણ ન ખેલાય એવું તો બને જ કેમ? મરવાવાળા મરે એમાં રાજકારણ તો બંધ ન રખાય ને ! વિપક્ષો ગૃહ મંત્રીનું રાજીનામું માંગે છે તો ગૃહ મંત્રી પણ કામગીરીની યાદી આપીને સરકાર ઊંઘતી નથી એની ખાતરી આપવા મથે છે. એ વખતે વિપક્ષ તથા મંત્રી પોતે બરાબર જાણતા હોય છે કે બંનેનો હેતુ અંતે તો રાજકીય લાભ ખાટવાનો જ છે. એમને દુર્ઘટનાનું બહુ લાગી આવ્યું છે એવું જરા ય નથી. આંસુ બંને સારે છે. એમ લાગે છે જાણે મગર, મગરનાં આંસુ સારે છે.
દેશના નેતાઓ અને તંત્રો એવી રીતે વર્તતાં આવ્યાં છે કે લોકો પર તેની સારી છાપ પડે જ નહીં. રાજ્યના ગૃહ મંત્રી પોતે કબૂલી ચૂક્યા હોય કે 2021માં 123 કરોડનો દારૂ પકડાયો હોય પછી પણ એમ કહે કે આ તો કેમિકલકાંડ છે ને તે સરકારને અને પોલીસને બદનામ કરવાનું કાવતરું છે ત્યારે હસવું એ વાતે આવે છે કે નાદાન સરકાર છે ને એમ સમજે છે કે પ્રજા નાદાન છે. આમ પણ રાજકીય નેતાઓ ઊજવણામાં જે આછકલાઈથી તલવારથી કેક કાપે છે કે હવામાં ગોળીબાર કરે છે તે લોકો જુએ છે ને તેની નકલ કરવામાં પડે છે. લોકોમાં નેતાઓનો સારો મેસેજ જવો જોઈએ, પણ તેવું બહુ ઓછું થાય છે. લઠ્ઠાકાંડની સમાંતરે જ વલસાડમાં પી.એસ.આઈ. અને કોન્સ્ટેબલ દારૂની મહેફિલ માણતા ઝડપાય તો સામાન્ય માણસ પર એની શું ને કેવી અસર પડે તે કહેવાની જરૂર છે? કયે મોઢે પોલીસ પછી દારૂ પીતાં માણસને પકડી શકે જ્યાં પોલીસ પોતે જ વગોવાયેલી હોય? 57 લાશો લઠ્ઠાકાંડમાં પડી ગઈ હોય ત્યારે પણ દારૂની ભઠ્ઠીઓ ચાલુ હોય ને એક્ટિવા પર દારૂ વેચાતો હોય કે રાજકોટના શાપર વેરાવળમાં, હિંમતનગર- બાયડ તેમ જ ગામટ પંથકમાં સોથી વધુ હાટડીઓ દારૂની ચાલતી હોય, ચોટીલાના સુખસર ગામની સીમમાં 1.17 લાખનો દારૂ પકડાતો હોય તો પ્રશ્ન થાય કે દારૂબંધી ગુજરાતમાં છે એવું કઈ રીતે માનવું?
બોટાદ-અમદાવાદ જેવી ઘટનાઓ એટલું સૂચવે છે કે સરકારને કે પોલીસને જીવતી રાખવી હોય તો પ્રજાએ થોડા થોડા વખતે મરવું પડે. તેમ નહીં થાય તો આ બંને ચૂંટણી વખતે જ જાગે એમ બને …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2022