તન્મય ભટને ચારે બાજુથી સલાહ આપવામાં આવે છે કે તેણે મજાક કરવામાં મર્યાદા જાળવવી જોઈએ. કોઈ એમ નથી કહેતું કે ખુલ્લા સમાજમાં રહેવું હોય તો આ બધું ચલાવી લેતાં શીખવું જોઈએ. દરવાજા ખુલ્લા રાખો તો ક્યારેક ઘરમાં દુર્ગંધ પણ પ્રવેશે. અંતે મોકળાશની એક કિંમત હોય છે, પરંતુ મોકળાશની કિંમત બંધિયારપણાની કિંમત કરતાં હજારગણી ઓછી હોય છે
બન્યું છે એવું કે અંગ્રેજો જવાબદારીની જવાબદારી આપતા ગયા છે અને બંધારણ ઘડનારાઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપતા ગયા છે. અંગ્રેજોને ભારતમાં બને ત્યાં સુધી લાંબો સમય શાસન કરવું હતું એટલે તેઓ ભારતીય રૈયત પર એક પછી એક જવાબદારી લાદતા જતા હતા. બોલવા પર અંકુશો, લખવા પર અંકુશો, ફરવા પર અંકુશો, નોકરી પર અંકુશો, ભણવા પર અંકુશો, ખેતી પર અંકુશો, વેપાર પર અંકુશો, સરકારી અમલદારને અદાલતમાં પડકારવા પર અંકુશો એમ અંકુશોની વણજાર હતી. આમાં અભિવ્યક્તિ પરનો અંકુશ સૌથી મોટો અને મહત્ત્વનો અંકુશ હતો, કારણ કે અભિવ્યક્તિની એક ચિનગારી ભડકો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે તો અંગ્રેજોએ દેશદ્રોહ, રાજ્યદ્રોહ અને બદનક્ષીના કાયદાઓ ઘડ્યા હતા જેથી પ્રજા ડરેલી રહે અને જો કોઈ બોલવાનું સાહસ કરે તો તેને દંડી શકાય.
આ અંકુશો તો અંગ્રેજોએ પોતાનો સ્વાર્થ જોઈને લાદ્યા હતા, પરંતુ ભારત જ્યારે આઝાદ થયો અને બંધારણ ઘડાતું હતું ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આ અંકુશોનું શું કરવું? મારા મતે તો એક ઝાટકે બધા અંકુશો હટાવી દેવા જોઈતા હતા, પરંતુ બંધારણસભામાં બે અભિપ્રાય એવા હતા જે મર્યાદિત અંકુશો જાળવી રાખવા જોઈએ એના પક્ષમાં હતા. એક પક્ષ લોખંડી નહીં તો મજબૂત શાસન સંસ્થાના પક્ષનો હતો જે એમ માનતો હતો કે ભલમનસાઈથી રાજ ન થાય અને જો વધારે પડતી ભલમનસાઈ બતાવો તો દેશ તૂટી જાય. ખાસ કરીને અભિવ્યક્તિ પર અંકુશ તો હોવો જ જોઈએ અને શાસકોને સુરક્ષાકવચ મળવું જોઈએ. આને કારણે બદનક્ષીનો કાયદો, શાસકોના વિશેષાધિકાર અને હોદ્દા પરના શાસકને પૂર્વ પરવાનગી વિના અદાલતમાં પડકારી ન શકાય એવી અંગ્રેજોના વારાની જોગવાઈઓ જાળવી રાખવામાં આવી હતી. આજે આપણો અનુભવ એવો છે કે આ ત્રણે જોગવાઈઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.
બીજો અભિપ્રાય રૂઢિચુસ્તોનો હતો. થોડીક તો મર્યાદા હોવી જોઈએ. લોકો છાકટા થઈને ફરે, મર્યાદાહીન જીવન જીવે, પરંપરાનો અનાદર કરે, બોલવા-લખવામાં વિવેક ન જાળવે, વડીલોનો અનાદર કરે તો કેમ ચાલે. સંસ્કૃિત, સભ્યતા અને મર્યાદાના નામે તેઓ મર્યાદિત અંકુશોના પક્ષમાં હતા. શાસકો માટે તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવું થયું હતું. ચૂંટાયેલા શાસકો, અમલદારો, ધર્મ અને જ્ઞાતિના ઠેકેદારો, રાષ્ટ્રવાદીઓ, પ્રાંતવાદીઓ, પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા જળવાઈ રહે એમ માનનારા પુરુષાભિમાનીઓ વગરેનો એક સંયુક્ત શાસકવર્ગ છે જેને અંકુશો જળવાઈ રહેવાને કારણે લાભ થઈ ગયો હતો.
આમાંના કેટલાક માણસો ખરેખર ભલા છે અને સમાજનું ભલું ઇચ્છે છે. તેઓ કહેશે કે બીજા સાથે મતભેદ હોય એની સામે વાંધો નથી, પરંતુ મત વ્યક્ત કરવામાં વિવેક જાળવવો જોઈએ. ઠાવકા માણસો પાસેથી આવું કથન તમે ઘણી વાર સાંભળ્યું હશે. તેમની ચિંતા લડાઈ-ઝઘડા ન થાય એ માટેની હોય છે અને આપણે તેમના સરોકારની કદર કરવી જોઈએ. સવાલ એ છે કે તેઓ ક્યારે ય સાંભળનાર માણસને એમ નથી કહેતા કે આપણને ન ગમે એવું સાંભળવાની અને એને પચાવી લેવાની સહિષ્ણુતા કેળવતાં શીખવું જોઈએ. આ પણ એક મર્યાદા છે, સંસ્કાર છે, સભ્યતા છે, વિવેક છે, માણસાઈ છે, બધું જ છે; પણ માણસાઈની બીજી બાજુ તેમની નજરમાં નથી આવતી.
તેઓ કહેશે કે વિનોદ કરવો જોઈએ, પણ વિનોદમાં મર્યાદા જાળવવી જોઈએ. અહીં પણ વિનોદ કરનારા પાસેથી મર્યાદાની અપેક્ષા છે અને જ્યારે મર્યાદાની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે એમાં અંકુશ અભિપ્રેત હોય છે. તેઓ જેની સાથે વિનોદ કરવામાં આવ્યો છે તેને નથી કહેતા કે વિનોદ ખમી ખાવો જોઈએ અને જ્યારે ખમી લેવાની સલાહ આપવામાં આવે છે ત્યારે એમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અભિપ્રેત હોય છે. આમ જ્યારે મર્યાદાની સલાહ આપવામાં આવે છે ત્યારે અંકુશ અને સજા પીઠ પાછળ છુપાયેલાં હોય છે. મહારાષ્ટ્રનું અપમાન ન કરાય, મહારાષ્ટ્રના આઇકનનું અપમાન ન કરાય, દેશનું અપમાન ન કરાય, દેશના આઇકનનું અપમાન ન કરાય, ધર્મનું અપમાન ન કરાય, ધર્માધિકારીઓનું અપમાન ન કરાય, જ્ઞાતિનું અપમાન ન કરાય, જ્ઞાતિના વડીલોનું અપમાન ન કરાય; મર્યાદાની યાદી બહુ લાંબી છે અને દરેકની પોતપોતાની છે.
અનુપમ ખેરની તો મને દયા આવે છે. આ તે માણસ છે જેણે પચીસ વર્ષની યુવાન વયે ‘સારાંશ’ ફિલ્મમાં વૃદ્ધની ભૂમિકા કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ કરવા જેટલી હિંમત બતાવી હતી. વૃદ્ધની ભૂમિકા કરીને કોઈ કારકિર્દીની શરૂઆત કરે એ ભારતીય ફિલ્મઉદ્યોગની અનોખી ઘટના હતી. કેટલો આત્મવિશ્વાસ હશે અનુપમ ખેરમાં એનું આ ઉદાહરણ છે. પાછો ‘સારાંશ’નો વૃદ્ધ સામંતી પુરુષપ્રધાન માનસ સામે લડતી યુવતીના અધિકારના પક્ષે ઊભો હતો. આજે ઢળતી ઉંમરે અનુપમ ખેર પેલા વૃદ્ધને આંચકો લાગે એટલા જુનવાણી થઈ ગયા છે અને મર્યાદા જાળવવાની સલાહ આપે છે. ‘સારાંશ’ ફિલ્મમાં પેલો વૃદ્ધ (અનુપમ ખેર) યુવતીને ગર્ભવતી કરીને છોડી દેનાર યુવાન અને તેના બાપ સામે લડે છે. આજે એ જ અનુપમ ખેર તે યુવતીને મર્યાદા ઓળંગવા માટે અને શિયળ ન સાચવવા માટે નિંદા કરે એટલા નીચે ઊતરી ગયા છે. કદાચ સંગનો રંગ હશે. આજકાલ તેમનો મહેશ ભટ્ટ કરતાં નાગપુરના ભટ્ટો (બ્રાહ્મણો) સાથે વધારે ભાઈચારો ધરાવે છે.
તો સમાજના ડાહ્યાભાઈઓ ઠપકો આપવાની જગ્યાએ સહિષ્ણુતાની સલાહ આપે તો કેમ?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જૂન 2016
http://www.gujaratimidday.com/features/columns/aib-tanmay-bhat-whether-society-wise-men-advise-rather-than-criticize-intolerance