નીતિ અને અર્થશાસ્ત્ર ભાગ – ૬
અર્થશાસ્ત્રના બચાવમાં તેનો એ હેતુ દર્શાવાયો કે તે લોકોને તેમની વપરાશ સંતોષવા માટે સક્ષમ બનાવવાનો નથી, પરંતુ ગરીબી અને બીમારીનો અંત લાવવા માટે લોકોને સહાય કરવાનો છે. એક વાર એ સિદ્ધ થઈ જાય પછી તેનું મુખ્ય કાર્ય પૂર્ણ થયું ગણાય. દાર્શનિકો, સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, મનોવૈજ્ઞાનિકો વધુ ને વધુ એમ કહેતા જશે કે સુખાકારી અને દુઃખાકારીનાં કારણો માપી શકાય તેમ નથી. એ જ બાબત કેન્દ્રમાં આવીને ઊભી રહી. અર્થશાસ્ત્રીઓ તો પણ ઉપયોગી રહેશે. તેનું કારણ એ કે વસ્તુઓ અને સેવાઓમાં અછત તો પ્રવર્તશે જ. તેથી કાર્યક્ષમ ફાળવણીની જરૂર રહેશે જ, કમ સે કમ સમયની કાર્યક્ષમ ફાળવણી તો કરવાની રહે જ.
જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા આ જ વિચારવામાં આવ્યું હતું. તેમણે એના સારાંશ રૂપે એમ કહ્યું કે “સાચા ધર્મનો હેતુ આવક વધારવાનો બની ગયો.” તેમણે એવો દાવો કર્યો કે આવકનો વધારો એટલે કે સાધનો એ નૈતિક પ્રશ્નને ચાવી ગયા કે “આવકનો વધારો શાને માટે?”
આપણામાંના મોટા ભાગના ચિંતન કર્યા પછી આ પ્રશ્નનો જવાબ એ આપીશું કે વધુ સારી જિંદગી જીવવા માટે. અર્થશાસ્ત્રીઓ લોકોની એવી લાગણી સાથે સંમત થઈ ગયા કે સુખાકારી માટે ભૌતિક સુવિધાઓ જરૂરી છે. પણ સુખાકારી એટલે શું? દરેક વ્યક્તિના મનની સ્થિતિ છે કે પછી કોઈક વસ્તુલક્ષી બાબત છે?
જો આપણે લાયોનેલ રોબિન્સની વાત સ્વીકારીએ તો વ્યક્તિને સુખાકારીનો અનુભવ ત્યારે થાય કે જ્યારે તેની જરૂરિયાતો સંતોષાય, એટલે કે તેનું પેટ ભરાઈ જાય. આને સુખાકારીની વસ્તુલક્ષી બાબત કહી શકાય. પરંતુ કાલ્પનિક જરૂરિયાતો સાપેક્ષ હોય છે, એટલે વ્યક્તિ સુખાકારી માટે કેટલું જરૂરી છે એ કદી કહી શકે જ નહિ. અછત હંમેશાં રહેશે જ. જ્યાં સુધી લોકો તેમની પાસે જે છે તેના કરતાં વધુ પ્રાપ્ત કરવા માગશે ત્યાં સુધી, અર્થશાસ્ત્રનો હેતુ માત્ર એ જ એક હશે કે વધુ કાર્યક્ષમ રીતે આવક કેવી રીતે વધારવી. આ જ માત્ર તેનો ધર્મ છે. એ સિવાય તેની પાસે ઉપદેશ આપવા માટે બીજું કશું રહે જ નહિ.
આપણે આવકની વૃદ્ધિના સવાલનો જવાબ ત્રણ રીતે આપી શકીએ. પહેલો એ કે આવક વધ્યા જ કરે, તેનો કોઈ અંત નથી, કારણ કે લોકો પાસે જે છે તેનાથી કદી તેમને સંતોષ થતો જ નથી. આ અસંતોષ કેટલી સંપત્તિ પ્રાપ્ત થયેલી છે તેના પર આધાર રાખતો જ નથી કે પછી કેટલી અસમાનતા છે તેની સાથે પણ તેને નિસ્બત નથી.
ખરેખર તો, જુદા જુદા વર્ગના લોકો વચ્ચે આવકની ખાઈ મોટી હોય તો સાપેક્ષ જરૂરિયાતોની અસર મોટી હોય. તેનું કારણ એ કે ઈર્ષા વધારે વ્યાપક હોય અને સ્પર્ધા વધારે તીવ્ર હોય.
બીજું, ડાબેરીઓ દલીલ કરે છે તેમ, જો આવકની સમાનતા વધારે હશે તો આવક વૃદ્ધિ ઓછી ઝડપી હશે. લોકોને તેમને સમાજની કુલ આવકમાંથી જે હિસ્સો મળે છે તેનાથી સંતોષ હશે. જે અસંતોષ દેખાય છે તે તો ખરેખર તો અસમાનતાનું પરિણામ છે. એટલે આવક વૃદ્ધિ કરતાં આવકની વધુ સમાન વહેંચણીની જરૂર છે. જો કે, આવક પણ સાથે સાથે વધતી રહે તો એ કામ સિદ્ધ કરવાનું વધુ સરળ થાય.
જ્હોન કેનેથ ગાલબ્રેથની ભાષામાં કહીએ તો, આપણે ઓછી ખાનગી અને વધુ જાહેર વિપુલતાની જરૂર છે. જો સમાજની આવક વધુ સમાન રીતે વહેંચાયેલી હોય અને જો જાહેર સેવાઓ સારી હોય તો અર્થતંત્રમાં ઝડપી વધારો ન પણ થાય. કદાચ ધનવાન દેશોમાં તો અર્થતંત્રની વૃદ્ધિની જરૂર જ ન રહે. આને લીધે એક નૈતિક સવાલ ઊભો થાય છે. તેમાં મૂળમાં વ્યક્તિની ઈર્ષા નથી, અસંતોષની લાગણી નથી; પરંતુ વાજબીપણા માટેની સામાજિક માંગ છે.
ત્રીજો મુદ્દો વધુ સમકાલીન છે. તેમાં એવી દલીલ કરવામાં આવે છે કે પૃથ્વીને લાંબે ગાળે ભારે હાનિ પહોંચી રહી છે. વધુ ને વધુ પ્રાપ્ત કરવાની આપણી અથાગ વૃત્તિ ભાવિ પેઢીઓને માટે નુકસાન ઊભું કરે છે. માટે હવે આવકની વૃદ્ધિ નહિ કરવી જોઈએ એવી દલીલ થાય છે.
જો કે, આ તફાવતો ભૌતિક બાબતોના સંતોષની આસપાસ ફરે છે. શાને માટે એની જરૂર છે તેની ચર્ચા તેઓ કરતા નથી. તેથી આપણે શિક્ષણ અને આરોગ્ય પાછળ થતા ખર્ચને સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું સાધન ગણીએ છીએ અને તેને વાજબી ઠેરવીએ છીએ; પણ આપણે તેને જ સુખકારીનો ભાગ ગણતા નથી અને તેથી તે અંતર્ગત રીતે જ મૂલ્યવાન બાબતો છે એમ સમજતા નથી.
દરેક વ્યક્તિનો સુખાકારી વિશેનો ખ્યાલ જુદો જુદો હોય છે તેથી, અર્થશાસ્ત્ર માત્ર સાધનો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ એવી ધારણા કરી લે છે કે લોકો ભૌતિક બાબતોના સંતોષને સુખાકારીમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે. એટલે જ, અર્થશાસ્ત્ર કુલ રાષ્ટ્રીય આવક (જી.ડી.પી.) અથવા માથાદીઠ આવક પર આવીને અટકી જાય છે; કારણ કે કમ સે કમ આપણે તેને માપી તો શકીએ છીએ.
આવક વૃદ્ધિની બહાર નીકળીને વિચારવાની નીતિ અંગે કેટલાક છૂટાછવાયા પ્રયાસો પણ થયા છે. એક પ્રેરણા ટેક્નિકલ ટીકામાંથી આવી છે. તે એ છે કે કુલ રાષ્ટ્રીય આવકમાં શું માપી શકાતું નથી. જી.ડી.પી. તો તમામ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યનો વાર્ષિક સરવાળો છે. પણ તેમાં સ્વૈચ્છિક રીતે થતું કામ, ઘરમાં થતું કામ, બાળ ઉછેર જેવી ખર્ચ વગરની ચીજો ગણતરીમાં લઈ શકાતી નથી. બીજી તરફ, તેમાં ગુનાખોરી, પ્રદૂષણ, માદક દ્રવ્યોનું બંધાણ, સંસાધનોનું ધોવાણ વગેરે સામે થતું ખર્ચ તો ગણાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીના પિતા ગણાતા સાયમન કુઝનેટ્સ જેવા અર્થશાસ્ત્રી પણ એમ તો કહે જ છે કે “રાષ્ટ્રનું કલ્યાણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાંથી ભાગ્યે જ તારવી શકાય.”
(ક્રમશઃ)
સ્રોત:
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર