સેવાગ્રામ-સાબરમતી સંદેશયાત્રાની પૂર્ણાહુતિના વળતે અઠવાડિયે આ લખી રહ્યો છું ત્યારે છાપામાં જોઉં છું કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઈકૉર્ટની દેવડીએ આશ્રમ નવીકરણ પ્રોજેક્ટ સબબ ‘રુક જાવ’ની ધા નાખી છે. તુષારભાઈ મોહનદાસ કરમચંદ ગાંધીના પ્રપૌત્ર છે એ અલબત્ત જોગાનુજોગ છે. સ્વાભાવિક જ એમણે લીધેલી ભૂમિકા કોઈ કથિત ‘વારસ’ તરીકેની નથી પણ નેતાજીએ જેમને રાષ્ટ્રપિતા કહ્યા તે ગાંધીજી પરત્વે નાગરિક સમાજના દાયિત્વમાંથી એ આવેલી છે. એમની જનહિતયાચિકા(પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ની બાકી વિગતોમાં નહીં જતાં અહીં એક જ વિગતમુદ્દો ટાંકું કે ગાંધીજીના ગયા પછી જ્યારે ગાંધી સ્મારક નિધિની રચના થઈ ત્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાઈ હતી કે અહીં સરકારી અંકુશ નહીં હોય. અધિકૃત દસ્તાવેજને આધારે પ્રસ્તુત જનહિતયાચિકામાં ટંકાયેલા કેટલાક શબ્દો યથાવત્ અંગ્રેજીમાં જ ઉતારું : “The deed of the Trust “clearly lays out its objectives” and that “government … were never allowd any control / Caubrz fzut authority over the institutions, monuments, memorials.” ભારત સરકાર કે રાજ્ય સરકારનો રોલ ફંડ આપવાનો હોઈ શકે છે. “But the execution of the project … has always been directly within / the purview of respective Trust.”
તુષાર ગાંધીની જનહિતયાચિકામાંથી આ અંશો ઉતાર્યા તે એ સમજવા સારુ કે લોકફાળા સાથે સરકારના સહયોગપૂર્વક રચાયેલ ગાંધી સ્મારક નિધિએ આશ્રમ આદિના સંચાલન વિશે એક સ્પષ્ટ ભૂમિકા લીધી હતી, અને સત્તાવાર સરકારી વલણ એને વશવર્તી હતું. આશ્રમના કથિત નવીકરણની હાલની સરકારી પહેલ આ પૃષ્ઠભૂમિ લગારે દરકાર વગર આવી પડેલી છે.
અને સરકારી માનસ, શું કહેવું એને વિશે. શરૂશરૂમાં પરબારા પડમાં પધારવાનું થયું ત્યારે હવામાં ગૂંજેલા શબ્દો હતા કે અમે અહીં જે પણ કરીશું તે ‘વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ એટ્રેક્શન’ હશે. ભલા ભાઈ, આશ્રમની અપીલ અને આકર્ષણ એ ગાંધીની તપોભૂમિ હોવામાં છે અને તે કોઈ ડિઝનીલૅન્ડની હરીફાઈમાં તો હોઈ શકે નહીં.
ગમે તેમ પણ, બે’ક વરસ પર આવો કશોક ગણગણાટ સંભળાયો ત્યારે જયપ્રકાશના યુવા સાથી, ગાંધી શાન્તિ પ્રતિષ્ઠાનના વર્તમાન અધ્યક્ષ કુમાર પ્રશાન્તે આશ્રમ ટ્રસ્ટના અગ્રણી ઈલાબહેન ભટ્ટને નિસબત અને ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. ઈલાબહેને આવું કશું પણ અમારી જાણ અને રજા બહાર (ગાંધી મૂલ્યોમાંથી વિપરીતપણે) ન જ થઈ શકે એ મતલબનો સહૃદય ઉત્તર પણ પાઠવ્યો હતો. પરિણામે આશ્વસ્ત (ગાફેલ નહીં પણ આશ્વસ્ત) રહેવું બેઉ પક્ષે સ્વાભાવિક હતું.
વળી બે-ત્રણ મહિના પહેલાં સરકારને કેમ જાણે એકદમ જ સોલા ઉપડતો વરતાયો : આ હેવાલો સાથે સંમિશ્ર પ્રતિભાવો અને તીવ્ર પ્રતિક્રિયા તેમ જ કંઈ આશંકાનું જાગવું સહજ હતું. ગણેશ દેવીની પહેલકારીથી આ લખનાર અને આનંદ પટવર્ધને ચિંતા ને નિસબત સાથે તૈયાર કરેલી નોંધ વેગે ફરી વળી અને દેશમાંથી જ નહીં પણ દુનિયાભરમાંથી આશ્રમ સાથે સંભવિત સરકારી વ્યવહાર વિશે ‘રુક જાવ’નો સાદ વાચકની પેઠે ફરી વળ્યો. આશ્રમના ટ્રસ્ટીઓએ સહીકારો પૈકી કેટલાક સાથે દિલી સંવાદ કર્યો, અને વળી એ જ આશ્વસ્તિ !
છતાં, સરકાર બાબતે ગાફેલ ન રહેવું અને જનમતને જાગ્રત રાખવો એ આશયથી ૧૭મી ઑક્ટોબરે સેવાગ્રામથી સંદેશ યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો સંદેશ યાત્રા નીકળી – અને, જુઓ કે લગભગ એ જ કલાકોમાં બે જાહેરનામાં આવી પડ્યા! ગાંધીઆશ્રમની ટ્રસ્ટી મંડળની યાદી આવી કે સરકારે કથિત નવીકરણ વિશે અમે (આશ્રમ) શું માનીએ છીએ અને ઇચ્છીએ છીએ તે વિશે એક વિભાવના નોંધ (કોન્સેપ્ટ નોટ) માગી છે. અમે ઇચ્છીએ છીએ કે અસલનાં સાદગી ને સૌંદર્ય જળવાય એ જરૂરી છે. આ અંગે જરૂરી વિચાર અને નિર્ણય પ્રક્રિયા ખૂલ્લાણમાંને પારદર્શક રીતે થાય તે ઇષ્ટ છે. વળી અમારે મતે આ મામલો, કેમ કે તે ગાંધીજીની સ્મૃતિનો છે, માત્ર આપણા બે વચ્ચેનો એટલે કે આશ્રમ અને સરકાર વચ્ચેનો નથી. એમાં ત્રીજું પરિબળ, વ્યાપક સમાજ, સિવલ સોસાયટીની ય સહભાગિતાનું હોય તે જરૂરી છે.
વાચકે નોંધ્યું હશે કે જાહેર ઊહાપોહ પછી જ સરકારને ‘વિભાવના નોંધ’ માગવાનો વિવેક સૂઝયો. આશ્રમે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની આ તક ઝડપી તે વિપળવાર પણ વહેલી નહોતી એ તરતના કલાકોમાં સમજાઈ રહ્યું જ્યારે સરકારે સૂચિત નવીકરણ વિશે પોતાના તરફથી એક વીડિયો રમતો મૂક્યો. એમાં બીજું તો ઠીક પણ એક છેવટે છેવટે નામને ખાતર વિભાવના નોંધ માગનાર ધણી કઈ હદે આગળ વધી ગયેલ હશે, એનો ય અંદાજ મળી રહ્યો. મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગવર્નિંગ કાઉન્સિલ, મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને હા, નવીકરણ નિમિત્તે એક નવું ટ્રસ્ટ ! સરા જાહેર છે કે સઘળી સફાઈ છતાં વસ્તુતઃ એક તરેહના સરકારીકરણની બાજી ગોઠવાઈ રહી છે.
સરકાર કહે છે કે નવીકરણમાં અમે આર્કાઈવ્ઝ અને લાઈબ્રેરીના વિકાસ પર ભાર મૂકીશું જેથી અભ્યાસીઓ અને સંશોધકોને સુવાણ રહે. સુવાણ જ શા સારું. સરકાર-બાપા તમે કહો ને કે બખ્ખે બખ્ખા. હશે ભાઈ, બખ્ખે ભખ્ખા ભલા‘દમી, સરકારનો સાર્શ એટલે શું એન.ડી.એ.-૧ હસ્તક સી.ડબલ્યુ.એમ.જી.(કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી, સંપૂર્ણ ગાંધી વાંઙમય)ની શી હાલત થઈ હતી એ તો સંભાળશે. ગાંધીના એકોએક અક્ષરની પવિત્રતા જાળવીને પૂર્વવત્ ગોઠવતાં એક આખો દસકો નીકળી ગયો. પણ એની ફિકર ચિંતા કોને છે?
સેવાગ્રામથી નીકળેલી સંદેશયાત્રા ખાનદેશ વટી બારડોલી-વ્યારા-કિમ-ભરૂચ-વડોદરા-નડિયાદ થઈ ૨૩મીએ અમદાવાદ પહોંચી ત્યારે સાંજની જાહેર સભામાં અને વળતી સવારે આશ્રમભૂમિ પરની પ્રાર્થનાને અંતે આશ્રમ પર સત્તા-પ્રતિષ્ઠાનના ગ્રહણ સામેનો અવાજ બુલંદ બની રહ્યો હતો. આ જ દિવસોમાં યાત્રાપથ ઉપરાંત દેશમાં ઠેકઠેકાણે નાનાં મોટાં આયોજનો આ જ વાત કહેવા માટે થયાં હતાં પણ સમાચાર પત્રોમાં કે ચેનલ ચોવીસામાં એની છબિ પૂરતી ઝિલાઈ નથી. અમદાવાદમાં પણ પત્રકાર-પરિષદ વખતે જાણવા મળ્યું હતું કે યાત્રા સંબંધે સમાચારને મહત્ત્વ ન આપવું એવી સૂચના ભા.જ.પ.ની મીડિયા સેલ અને માહિતી ખાતા તરફથી અપાઈ રહી હતી.
દરમિયાન પળવારનો તો પળવારનો ય ચાંગળુંક રાહતરાજીવો ચોક્કસ કે સરકારે કેટલુંક સ્પષ્ટ કરવું પડ્યું; અને હા – સંદેશયાત્રાથી આશ્રમ ટ્રસ્ટીઓને કંઈક પણ હોઝલા અફસાઈ, હૂંફ ને હૈયાધારણનો અનુભવ તો થયો જ હશે. આપણે આશ્રમ ટ્રસ્ટીઓની એ લાગણી દોહરાવીને હાલ પૂરતા વિરમીએ કે પ્રક્રિયા પારદર્શક હોય અને સિવિલ સોસાયટી પણ એમાં સહભાગી હોય … તેમ છતાં, આ કિસ્સામાં જ માત્ર નહીં, હર જમાને હર જનતંત્રને એનો એક ડાયોજીનસ તો જોઈશે જ જે યથાપ્રસંગ ભલા ભૂપતિને ય કહી શકે કે આઘો હટ ને તડકો આવવા દે!
લખ્યા તા. ઑક્ટોબર ૨૮, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 01-02