મનુષ્ય માટે વિચાર એ એક આગવી શક્તિ છે. એક ઉક્તિમાં એમ કહ્યું છે કે; ‘‘હું વિચારું છું તેથી હું છું.’’ માનવીના અસ્તિત્વ સાથે વિચાર કરવાની શક્તિ અને સંવેદના મહત્ત્વના છે. છાપકામની શરૂઆત થઈ તે પહેલાં હસ્તલિખિત ગ્રંથો અને મૌખિક પરંપરા જ્ઞાન અને માહિતીના સંક્રમણના માધ્યમો હતા. છાપકામ બાદ શિક્ષણ પ્રથામાં મોટા ફેરફારો આવ્યા. માનવી-માનવી માટે વિચાર વિનિમય માટે શબ્દો ખાસ કરીને છપાયેલા શબ્દોની ભૂમિકા અજોડ રહી. દૈનિક વર્તમાન પત્રો ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક કે માસિક મેગેઝીનોના પ્રકાશન થકી સમાજમાં વાંચન દ્વારા નિરંતર શિક્ષણની એક આગવી પરંપરા સ્થાપિત થઈ. અનેક લેખકોએ ખૂબ લોકપ્રિયતા અને આદર મેળવ્યા. વાંચન એ સતત સ્વાધ્યાય ઉપરાંત અનેક અવનવી બાબતોની જાણકારી આપવામાં ઉપયોગી સાબિત થયું.
ત્યાર બાદ ૨૧મી સદીની શરૂઆત સાથે ડિજીટલ યુગનો આરંભ થયો. સ્માર્ટ ફોન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તેમ જ સ્પૅશ્યિલ એપ્લિકેશન સાથે લગભગ દરેક વ્યક્તિનું વિશ્વ વિશાળ બન્યું, અનેક સ્રોતોમાંથી સચિત્ર માહિતી આંગળીના ટેરવે મળવા લાગી. આના કારણે અનેક લોકોની પુસ્તક કે સામાયિક વાંચવાની ટેવ છૂટી જવા લાગી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં વાચકોના અભાવે, નાણાંકીય કટોકટીકે સ્થાપકની ઉંમર કે ગેરહાજરીના કારણે અનેક લઘુ-અખબારો અને સામાયિકો બંધ પડવા માંડ્યાં છે. વ્યક્તિના અવસાન પ્રસંગે આપણે ‘‘મૃત્યુ તો અનિવાર્ય છે’’, ‘‘જાતસ્ય ધ્રુવો હી મૃત્યુ’’ – ‘‘નામ તેનો નાશ છે’’ જેવા ઉચ્ચારણો સાથે મનને શાંત કરવા પ્રયત્ન કરીએ છીએ. સંસ્થા અને સામાયિકોનું આયુષ્ય પેઢી દર પેઢી ચાલે તેમાં આશ્ચર્ય ન હોય. હાલ જે ઝડપથી સમાજના ઘડતરમાં પ્રદાન કરતાં સામાયિકલ બંધ પડી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે.
ડિજીટલ મીડિયાની મર્યાદાઓ છે. સોશ્યલ મીડિયા દ્વારા થઈ રહેલ આક્રમણના ઘેરા અને વિપરીત પ્રત્યાઘાતો આપણી સમક્ષ છે. મન સ્વભાવથી જ ચંચળ છે અને ડિજીટલ મીડિયા તેને સતત ઉશ્કેરીને વધારે ચંચળ અને ઉગ્ર બનાવે છે.
ગુજરાતમાં તાજેતરમાં ત્રણ મહત્ત્વનાં સામાયિકો બંધ થવાના સમાચાર આવ્યા, આ દુઃખદ છે. ચાંપશીભાઈ ઉદ્દેશી દ્વારા સ્થાપિત ‘નવચેતન’ તેની શતાબ્દિ પૂરી કરશે કે તે પહેલાં બંધ પડી જશે, તેની અનિશ્ચિતતા વચ્ચે ‘નવચેતન’ ૧૦૧માં વર્ષમાં આગેકૂચ કરી રહ્યું છે તે આનંદ અને ગૌરવની ઘટના છે. જાણીતા અને કર્મઠ આગેવાન, પત્રકાર, સાહિત્યકાર, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખ પ્રકાશભાઈ શાહ સ્થાપિત ‘નિરીક્ષક’ બંધ પડ્યું તે ડિજીટલ સ્વરૂપે પ્રાપ્ત થતું રહેશે, તેવી હૈયાધારણ હતી. પ્રકાશભાઈ શાહની ઉંમર અને તબિયતના કારણે સંપાદકીય કાર્યમાં અવરોધો આવે તે સમજી શકાય તેવી વાત છે. ‘નિરીક્ષક’ સામાયિક પ્રજાલક્ષી ડાબેરી ઝોક ધરાવતું સત્તા અને સ્થાપિત હિતો સામે નિડરતાથી વિરોધ કરતું અને કર્મશીલોના વિચાર તેમ જ કાર્યોને પ્રજા સમક્ષ રજૂ કરતું હતું. આવું સામાયિક બંધ પડે એટલે સ્વતંત્ર વિચારની પ્રક્રીયામાં ખોટ આવે છે. પ્રકાશભાઈ માટે કટોકટીનો જેલવાસ હોય કે માન-સન્માનનો પ્રસંગ હોય, જાહેર મંચ હોય કે વર્તમાન પત્રની કોલમ હોય, દરેક વખતે પોતાની આગવી અભિવ્યક્તિથી અલગ દૃષ્ટિકોણ રજૂ કરે તે માણવાનો પ્રસંગ વારંવાર નહીં આવે. ‘નિરીક્ષક’ તેના મૂળ સ્વરૂપે ડિજીટલ અવતારમાં ચાલુ રહે તેવી આશા રાખીએ.
છેલ્લાં ૩૫ વર્ષથી કૃષિ અને ગ્રામીણ વિકાસને વરેલું ગ્રામ ગર્જના સાપ્તાહિકનું મણિભાઈ પટેલ સંપૂર્ણ નિષ્ઠા અને સંવેદના સાથે સફળ સંચાલન કર્યું. ૪થી ૬ પાનામાં સમાચારો, લેખો, સાહિત્ય, પ્રેરક પ્રસંગો, હાસ્ય વિનોદ સાથે દરેક અક્ષર વાંચવો ગમે તેવી રસપ્રદ રીતે તેમણે સંપાદન કર્યું. આપણા દેશની ૫૫ ટકા વસ્તી કૃષિ આધારિત અને ગ્રામીણ પ્રદેશમાં છે. આ અંગેના સમાચારો વિશાળ ફેલાવો ધરાવતા વર્તમાનપત્રો-સામાયિકો નથી છાપતા તેથી શહેરી વર્ગ અને સરકારી તંત્ર ગ્રામીણ વાસ્તવિકતાથી અજ્ઞાત રહે છે. કોઈને ગમે તે ન ગમે, સત્ય હકીકત એ છે કે આઝાદી બાદ ૭૫ વર્ષમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે જરૂરી અગ્રતાનો અભાવ રહ્યો છે. મણિભાઈ પટેલે કૃષિ અને ગ્રામીણ વિસ્તારની સમસ્યાને વાચા આપી છે. ખેડૂતો અને ગ્રામીણ પ્રજાને ઉપયોગી માહિતી પહોંચાડી છે. ‘ગ્રામ ગર્જના’ એ નિખાલસતા, સત્ય, સંવેદના અને પ્રગતિ માટે સતત જાગૃતિ સાથે બુલંદ રીતે પ્રશ્નોની છણાવટ કરી માર્ગદર્શન આપ્યું છે. ૧૯૮૮ની પહેલી મેના રોજ ‘ગ્રામ ગર્જના’ના પ્રથમ અંકનું વિમોચન તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કર્યું ત્યારે હું ચૌધરી – મુખ્ય મંત્રીના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતો હતો. ૩૫ વર્ષની ‘ગ્રામ ગર્જના’ની યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. અનેક સમસ્યાઓ સમજવામાં ગ્રામીણ ગર્જનાએ મને ખૂબ મદદ કરી છે. સમાજના તમામ વર્ગોના અગ્રણીઓ ગ્રામ ગર્જનાના વાચકો સાથે તે ઉપરાંત અનેક પ્રતિભાવો લખી સામાયિકને માર્ગદર્શન પૂરું પાડ્યું તે હકીકત ખૂબ ગૌરવપ્રદ છે. મણિભાઈ પટેલે તમામ ક્ષેત્રોમાં અંગત સંબંધો કેળવી સમાજને ઉપયોગી થવા માટે અનેક ઉમદા કાર્યો કર્યાં છે. ‘ગ્રામ ગર્જના’નું પ્રકાશન બંધ પડતાં ગુજરાતની કૃષિ અને ગ્રામીણ પ્રગતિમાં પ્રદાન કરનાર સામાયિકની ગેરહાજરી વર્તાશે. શું આપણી સહકારી સંસ્થાઓ, આવા પ્રતિબદ્ધતા ધરાવતા સામાયિકને જીવંત રાખવા કશું ન કરી શકે ? આપણે આશા રાખીએ કે મણિભાઈ અવસર મળ્યેગ્રામ ગર્જનને સોશ્યલ મીડિયા દ્વારા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચાડશે.
ત્રીજું પ્રકાશન ‘આપણું વિચાર વલોણું’ વલ્લ્ભવિદ્યાનગરના પ્રાધ્યાપક સુરેશભાઈ પરીખ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. અનેક પ્રબુદ્ધ નાગરિકો માટે આ સામાયિક મનને ઉદિપ્ત કરે તેવા વિચારોનો ફેલાવો કરતું હતું. તેના ૧૨ અંકોમાંથી ૬માં જાહેર મુદ્દાની ચર્ચા અને ૬ અંકોમાં ખ્યાતનામ પુસ્તિકોનું અવલોકન/રસાસ્વાદ આપણને પ્રાપ્ત થતો હતો. મુખ્યત્વે લવાજમ ભરતાં ગ્રાહકોની ઉદાસિનતાનાં કારણે આવા લબ્ધ પ્રતિષ્ઠિત સામાયિકો બંધ પડે ત્યારે આપણને ભવિષ્યે મનુષ્યના વિકાસમાં, સુખાકારીમાં અને સત્ય પ્રકાશમાં લાવવામાં જે સમર્પણ સાથે પ્રવૃત્ત હતા તેમનું પ્રદાન અટકી જશે. જેમને ભાવિ પેઢીની ચિંતા છે તેવી નિસ્બત ધરાવતી વ્યક્તિઓ માટે પડકાર છે કે આવાં સામાયિકો તેની પરંપરા અને મૂલ્યો જળવાય રહે તે માટે શું કરવું ? આપણી આવકનો માત્ર ૧ ટકો રકમ આપણે ભાષા, સાહિત્ય, વિચાર જગત અને લોકકલ્યાણને વરેલાં સામાયિકોને જીવંત રાખવામાં વાપરીએ તો ગુજરાતની તાસીર બદલવામાં એક ખૂબ અગત્યનું પ્રદાન ગણાશે.
આપણે આ પ્રકાશનો અને પરંપરાને જીવંત રાખવા અમે થોડા મિત્રો સંકલ્પબદ્ધ થયાં છીએ. સ્નેહી-મિત્રોની શુભેચ્છા, સહયોગથી ગુજરાતની વિચારયાત્રા અને વાંચન જરૂર સફર સાથે આપણે આગામી પેઢીને આપણા હસ્તકનો કિંમતી ખજાનો અને અમૂલ્ય વારસો આપી શકીશું તેવી શ્રદ્ધા છે. આપ પણ આ અભિયાનમાં સામેલ થઈ શકો છો.
સૌજન્ય : પ્રવીણભાઈ લહેરીની ફેઇસબૂક દીવાલેથી સાદર