આર્થિક અને અન્ય નીતિઓના ઘડતર અને તેમની અસરકારકતા તપાસવા માટે સંબંધિત ક્ષેત્રના વિશ્વાસપાત્ર આંકડા આધારસામગ્રી બની રહે છે. એ જ રીતે સામાજિક શાસ્ત્રોમાં રજૂ થતા સિદ્ધાંતોની ચકાસણી માટે ભરોસાપાત્ર આંકડાઓની ઉપલબ્ધિ જરૂરી થઈ પડે છે. આ માટે સ્વતંત્ર કે સ્વાયત્ત સંસ્થાઓ એ કામગીરી બજાવતી હોય તે આવશ્યક છે. તેથી દેશમાં આયોજનના આરંભ સાથે નૅશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન(એન.એસ.એસ.ઓ.)ની રચના કરવામાં આવી હતી. એ પછી નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓ પોતાની રીતે કામ કરવા અને એના આધાર પર પ્રાપ્ત થતી માહિતી પ્રગટ કરવા મુક્ત હતી. ‘હતી’ એમ લખવું પડે છે કેમ કે સરકારે તેમની કામગીરીમાં હસ્તક્ષેપ શરૂ કર્યો છે. એની શરૂઆત જી.ડી.પી.ના વૃદ્ધિદરથી થઈ.
મોદી સરકારે જી.ડી.પી. ગણવા માટેનું આધાર વર્ષ બદલ્યું. પૂર્વે જે ૨૦૦૪-૦૫ હતું તે ૨૦૧૧-૧૨ કરવામાં આવ્યું. તેથી ૨૦૧૧-૧૨ પૂર્વેમાં વર્ષોથી જી.ડી.પી. અને તેના વૃદ્ધિદરને પછીનાં વર્ષો સાથે તુલનાત્મક બનાવવા માટે તેનું ૨૦૧૧-૧૨ના ભાવોએ નવેસરથી આગણન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ કામગીરી માટે કમિશને એક સમિતિ નીમી. તેણે જે અંદાજો રજૂ કર્યા તે સરકારને માફક ન આવ્યા. સમિતિએ આપેલા તુલનાત્મક અંદાજો આ પ્રમાણે હતા : યુ.પી.એ.-૧ (૨૦૦૪-૨૦૦૫થી ૨૦૦૮-૦૯) જી.ડી.પી.નો વૃદ્ધિદર : ૮.૮૭ ટકા, યુ.પી.એ.-૨ (૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪) ૭.૩૯ ટકા. મોદી સરકાર (૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮) ૭.૩૫ ટકા. યુ.પી.એ. શાસનનો જી.ડી.પી.નો વૃદ્ધિદર પોતાના શાસનની તુલનામાં વધારે હોય એ મોદી સરકારને માન્ય ન હોય તે સમજી શકાય તેવું છે. તેથી તેણે નીતિઆયોગને કામે લગાડ્યું. તેણે અપેક્ષા પ્રમાણે મોદી સરકારને ઊજળી દેખાડતા અંદાજો આપ્યા. ૨૦૦૫-૦૬થી ૨૦૧૩-૧૪ : જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટીને ૬.૭ ટકા થઈ ગયો અને મોદીસરકારનાં શાસનનાં પ્રથમ ચાર વર્ષનો વૃદ્ધિદર સહેજ વધીને ૭.૪ ટકા થયો. આ દર હજીયે વધશે; કેમ કે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરી તત્કાલીન નાણાપ્રધાને નોટબંધીના વર્ષે ૨૦૧૬-૧૭ની જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૧ ટકાથી વધારીને ૮.૧ ટકા કર્યો છે. મતલબ કે નોટબંધીથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો એવા અર્થશાસ્ત્રીઓના મતમાં કોઈ તથ્ય નથી. મોદીસરકારનું કોઈ પગલું ભૂલભરેલું હોઈ શકે જ નહિ!
બીજો પ્રશ્ન બેકારીના આંકડાઓના સંદર્ભમાં ઊભો થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી નામની સંસ્થા ખાનગી સ્વરૂપની છે. તેની સ્થાપના ૧૯૭૬માં નરોત્તમ શાહે કરેલી. તેણે નોટબંધી પછી, વર્ષ ૨૦૧૮માં દેશમાં એક કરોડથી અધિક લોકોએ રોજગારી ગુમાવી હોવાનો અંદાજ આપ્યો. એ અંદાજને એક બીજા સ્રોતમાંથી સમર્થન સાંપડ્યું. સત્તાવાર રીતે સમયાન્તરે કરવામાં આવતી શ્રમિકો (લેબર ફાર્સ) અંગેની એક મોજણીનાં તારણોનો હેવાલ ડિસેમ્બર ૨૦૧૮માં તૈયાર હતો જે સરકાર પ્રગટ કરવા માગતી નથી. પણ એ હેવાલનું મોટું તારણ બહાર આવી ગયું. તે પ્રમાણે દેશમાં બેકારીનું પ્રમાણ છ ટકાથી અધિક છે, જે છેલ્લાં ૪૫ વર્ષોમાં સહુથી વધારે છે. સરકારે એ રિપોર્ટ કેમ દબાવી રાખ્યો છે તે બહાર આવેલી વિગત ઉપરથી સમજી શકાય છે. આ માટે પણ સરકારે નીતિઆયોગને કામે લગાડ્યું છે. એ પોતાના નવા અને અલબત્ત, સરકારને અનુકૂળ આવે એવા અંદાજો સાથે બહાર આવે એ દરમિયાન નીતિ આયોગના વહીવટી વડાએ એક અંદાજ રજૂ કરી દીધો છે : ૨૦૧૪-૧૬નાં વર્ષોમાં દેશમાં બે કરોડથી અધિક રોજગારી સર્જાઈ છે. મતલબ કે દેશમાં બેકારીના પ્રશ્ને ખોટો ઊહાપોહ કરવામાં આવી રહ્યો છે.
સરકાર આંકડાઓની બાબતમાં કેટલી સંવેદનશીલ બની છે તેના બીજા બે દાખલા નોંધીએ. સરકારનું એક ઔદ્યોગિક ખાતું સીધાં વિદેશી રોકાણો(એફ.ડી.આઈ.)ની વિગતો એની સત્તાવાર વેબસાઇટ પર રજૂ કરતું હતું. ડિસેમ્બર ૨૦૧૭ પછી એ વેબસાઈટ પર કોઈ વિગતો મૂકવામાં આવી નહીં. હવે ફેબ્રુઆરી ૨૦૧૯થી ફરીથી એ વિગતો મૂકવામાં આવી છે. મોદી સરકારના આરંભનાં વર્ષોમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં આવેલા ઉછાળાને સરકાર પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરતી હતી. હવે એને અંગે મૌન પાળી રહી છે. કારણ સમજી શકાય તેવું છે : વિદેશી રોકાણો ઘટી રહ્યાં છે.
એક બિનઆર્થિક ક્ષેત્રનો દાખલો નોંધીએ. ૧૯૯૫થી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દેશમાં થતા આત્મહત્યાના આંકડા પ્રગટ કરતો હતો. તેમાંથી ખેડૂતો દ્વારા કરાતી આત્મહત્યાનો પ્રશ્ન કેટલો ગંભીર છે તેનો ખ્યાલ આવતો હતો. કેન્દ્ર સરકારના ગૃહખાતાએ ૨૦૧૬થી આંકડા પ્રગટ કરવાનું જ બંધ કરી દીધું છે. આંકડા પ્રગટ થાય તો ઊહાપોહ થાય ને ? પણ સરકારે ખેડૂતોની આત્મહત્યાના આંકડા દબાવી રાખ્યા એનાથી ખેડૂતોમાં પ્રવર્તતા અસંતોષને પ્રગટ થતો રોકી શકાયો નથી. આવું જ, ફુલાવીને રજૂ કરાતા જી.ડી.પી. અને રોજગારીનાં આંકડાઓની બાબતમાં બની રહ્યું છે.
ગયા દાયકામાં જી.ડી.પી.માં સાત ટકાના વૃદ્ધિદરને ચમત્કારિક ગણવામાં આવ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી આ ચમત્કારિક દરે અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યાના આંકડા પ્રગટ કરવામાં આવી રહ્યા છે, પણ લોકો કોઈ રીતે તે અનુભવી રહ્યા નથી. કદાચ આ વૃદ્ધિનો સિંહભાગ ઉપલા ૧૦ ટકાને જ મળી રહ્યો છે. આવું જ રોજગારીની બાબતમાં બની રહ્યું છે. શિક્ષિત યુવાનો અને ગ્રામીણ વિસ્તારમાં મજૂરી કરતા લોકોને દેશમાં રોજગારી વધી રહ્યાનો અનુભવ થતો નથી. ઉપજાવી કાઢેલા આંકડાથી લોકોને કેટલો સમય છેતરી શકાશે ? આંકડા
એમની વિશ્વસનીયતા ગુમાવે તેના સંદર્ભમાં વિનોબાજીનું એક માર્મિક અવલોકન ધ્યાનમાં રાખવાનું છે : જે સ્થાન માનવજીવનમાં શ્વાસનું છે તે સમાજજીવનમાં વિશ્વાસનું છે.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 01-02