રોટલા માટે તલસતાં બાળકોનો ચહેરો જ્યારે જોઈ ન શકાય, ત્યારે કોઈ માણસ બાંધેલી રકમ સામે વરસ-બે વરસ-પાંચ વરસ કે આખી જિંદગી લખી આપે તેને બંધવા મઝદૂર તરીકે ઓળખવામાં આવે છે. તેણે ચૂપચાપ બાંધેલી રકમ સામે બાંધેલી મુદ્દત સુધી મજૂરી કરવાની. જે લોકો પદ, પ્રતિષ્ઠા કે પૈસાની લાલચે વરસ-બે વરસ-પાંચ વરસ કે આખી જિંદગી માટે વિવેક અથવા અંતરાત્મા લખી આપે છે, એવા લોકોને આપણે કયા શબ્દ દ્વારા ઓળખાવીશું? બંધવા પોપટ ઠીક રહેશે? દેશભક્તોએ હમણાં જેમને ઢોરમાર માર્યો એ સ્વામી અગ્નિવેશ બે ગુનાના ગુનેગાર છે. એક તો તેઓ બંધવા મજદૂરોને મુક્ત કરાવીને ઠેકેદારોની ગેમ બગાડે છે, અને ઉપરથી બંધવા પોપટ થવાની ના પાડે છે. આવા દેશદ્રોહીને કઈ રીતે સાંખી શકાય? પણ એ વાત જવા દો, તમે બંધવા મઝદૂર અને બંધવા પોપટમાંથી કોને આદર આપો? જવાબ પરથી તમે પણ તમારી મુક્તિનું પ્રમાણ નક્કી કરી શકશો. શરમાશો નહીં, ચિત્તને ઢંઢોળો. આમાં ગુલામી સિવાય કાંઈ જ ગુમાવવાનું નથી. ખોટનો સોદો હરગીજ નથી.
ખેર, સ્મૃિત ઈરાની કેન્દ્રના વસ્ત્રોદ્યોગ ખાતાનાં કેબિનેટ કક્ષાનાં પ્રધાન છે. મૂળમાં તો તેમને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું હતું, પરંતુ સ્મૃિતબહેન ધાર્યા કરતાં વધારે અભણ નીકળ્યાં એટલે તેમને હટાવવા પડ્યાં હતાં. ઉચ્ચવિદ્યા વિભૂષિત અને જાગતિક ખ્યાતિ ધરાવતા વિદ્વાન પત્રકાર એમ.જે. અકબર રાજ્ય કક્ષાના પ્રધાન હતા, અને કેબિનેટની રચના કરવામાં આવી ત્યારે અત્યારના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન પણ રાજ્ય કક્ષાનાં પ્રધાન હતાં, પરંતુ સ્મૃિત ઈરાની કેબિનેટ કક્ષાનાં પ્રધાન હતાં. શપથવિધિના દિવસે સ્મૃિત ઈરાનીને કેબિનેટ પ્રધાનોની હરોળમાં બેસેલાં જોઇને જ સમજાઈ ગયું હતું કે અચ્છે દિન આવવાના નથી, અને ઇવેન્ટના તાશેરા યોજીને નજરબંધી કરવાનું ગુજરાત મોડેલ દેશમાં લાગુ થવાનું છે. એક્ઝેક્ટલી આ શબ્દોમાં નહીં, પણ લગભગ મળતા શબ્દોમાં મેં ત્યારે લખ્યું પણ હતું.
કાંઈક કરી છૂટવું હોય તો કેવી ટીમ જોઈએ, એ શીખવાડવાનું ન હોય. અભણ કડિયાને પણ જાણ હોય છે કે નાકેના મજૂરોથી તાજ મહાલ બાંધી ન શકાય. આઝાદી પછી જવાહરલાલ નેહરુએ પહેલી કેબિનેટ રચી, ત્યારે અડધો ડઝન પ્રધાનો કૉન્ગ્રેસના તો નહોતા જ, પરંતુ રાજકારણી પણ નહોતા. તેમણે આઝાદીના આંદોલનમાં ભાગ લીધો નહોતો. કેટલાક તો એવા હતા, જે આઝાદીના અંદોલનનો, કૉન્ગ્રેસનો અને ગાંધીજીનો સુદ્ધાં વિરોધ કરતા હતા. એ સમયે કોન્ગ્રેસમાં પ્રતિભાશાળી નેતાઓની ખોટ પણ નહોતી. આમ છતાં સી.ડી. દેશમુખ, જ્હોન મથાઈ, સી.એચ. ભાભા જેવા લોકોને કેબિનેટમાં ખાસ લેવામાં આવ્યા હતા. કારણ એટલું જ હતું કે બસો વરસની શોષણયુક્ત ગુલામી પછી દેશને બેઠો કરવાનો હતો, એટલે ક્ષમતાવાન લોકોની જરૂર હતી. મૂળમાં તો કાંઈક કરી છૂટવાની ભાવના હતી અને તેને તેઓ શાસકનો ધર્મ સમજતા હતા. ભગવાનનો પાડ! કે જવાહરલાલ નેહરુમાં લઘુતાગ્રંથિ નહોતી. પોતાના કરતાં પણ વધારે પ્રતિભાશાળી લોકોની વચ્ચે તેઓ વિહરી શકતા હતા.
જો બી.જે.પી.માં ટેલેન્ટનો અભાવ હતો તો નરેન્દ્રભાઈ બહારથી ટેલેન્ટ લાવી શક્યા હોત. દેશમાં ટેલેન્ટનો અભાવ નથી. લાખ રૂપિયાનો સવાલ છે; કાંઈક કરી છૂટવાનો ઈરાદો હોવો જોઈએ. તો પહેલીવાર કેબિનેટ જોઇને લાગ્યું કે આમાં ટેલેન્ટનો ભયંકર અભાવ છે અને તેમની જગ્યા બંધવા પોપટોએ ભરી છે. કેબિનેટમાં, પક્ષમાં, અમલદારશાહીમાં, મીડિયામાં, ત્યાં સુધી કે લશ્કરમાં અને ન્યાયતંત્રમાં સુદ્ધાં એમ અત્ર તત્ર સર્વત્ર બંધવા પોપટોને ગોઠવવામાં આવ્યા. એક તો પોપટ અને એ પણ ગુલામ. તેમણે જયજયકાર કરવામાં આપસમાં હરીફાઈ કરવા માંડી. એવું હું શું બોલું કે સાહેબને સારું લાગે અથવા મારું બૌદ્ધિક સાહસ સાહેબના કાન સુધી પહોંચે. એ બંધવા પોપટની હરીફાઈનું તાજું ઉદાહરણ સ્મૃિત ઈરાની છે.
એ બહેને કહ્યું છે કે સ્ત્રીઓ જ્યારે માસિકસ્રાવમાં હોય ત્યારે કોઈના ઘરે મળવા પણ જતી નથી, તો ભગવાનના ઘરે તો જવાય જ કેમ! તેઓ કયા જમાનાની વાત કરે છે? પહેલી વાત તો એ કે તેઓ કયા જમાનામાં જીવે છે? બીજું એક કેબિનેટ પ્રધાન તરીકે તેઓ કયા જમાનાના સંસ્કાર સ્ત્રીઓને આપવા ધારે છે? મને ખબર છે કે સ્મૃિત ઈરાની જે બોલ્યાં છે એમ તેઓ ખરેખર માનતા નથી અને જીવતાં તો જરા ય નથી. જે લોકો સ્મૃિત ઈરાનીને ઓળખે છે એ દરેક કહેશે કે તેઓ બૌદ્ધિક મર્યાદા ભલે ધરાવે છે, પરંતુ રહેણીકરણીમાં પછાત નથી. પોતાના કરતાં એક મોટી ઉંમરના પારસી બીજવર સાથે તેમણે લગ્ન કર્યાં છે. તો પછી તેઓ આવું કેમ બોલે છે? આ બંધવા પોપટની ભાષા છે. માલિકોને ગમે એ બોલવાનું. આ થોડી નેહરુની કેબિનેટ છે, જ્યાં નેહરુની આંખમાં આંખ પરોવીને પ્રતિવાદ કરી શકાય! ‘યુ આર (ઓલ્વેઝ, ઓલ્વેઝ, ઓલ્વેઝ) રાઈટ સર’ એમ કહ્યા પછી રાઈટ હોવાનાં કારણો શોધવાનાં જેમાંથી મનોરંજન પેદા થાય છે. આવું મનોરંજન તમને બંધાવા પોપટોની ટીવી ડિબેટમાં અને કૉલમોમાં પણ મળી રહેશે.
બિચારા કરે શું એટલે શરમાયા વિના કહી દે કે સતયુગમાં સાવજ ભૂલ્યા વિના અગિયારસનો ઉપવાસ કરતા હતા. જૈન હોય તો કહે કે ના અઠ્ઠાઈ કરતા હતા. આવા પણ દિવસો આવશે એની કલ્પના નહોતી કરી. એક વાર અંતરાત્માને મારીને સાચનો સોદો કરી નાખ્યો પછી શરમ ક્યાં આડી આવે છે. જો શરમ હોત તો એમ.જે. અકબર રાજ્ય કક્ષાના પ્રધાન ન બન્યા હોત. તો સ્મૃિત ઈરાની કહે છે કે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીઓ કોઈના ઘરે જતી નથી તો સબરીમાલા તો ભગવાનનું ઘર છે ત્યાં કેમ જવાય. આવું આજે છે ખરું? સંસદ અને તેમનું પ્રધાન તરીકેનું દફતર લોકતંત્ર નામના આધુનિક ભગવાનનું પવિત્ર ઘર છે. સ્મૃિત ઈરાની માસિકસ્રાવ વખતે રજા પાળે છે? સ્ત્રીઓ જ્યાં નોકરી – ધંધે જાય છે એ માતા લક્ષ્મીનું પવિત્ર ઘર છે. ત્યાં શું સ્ત્રીઓને માસિકધર્મની છૂટ્ટી આપવામાં આવે છે? શાળા-કોલેજો સરસ્વતીનું પવિત્ર મંદિર છે. ત્યાં છોકરીઓને દર મહિને ત્રણ દિવસની રજા આપવામાં આવે છે? સ્મૃિત ઈરાની પોતે ખૂણે બેઠાં નથી, પરંતુ બીજાંએ ખૂણો પાળવો જોઈએ એની હિમાયત કરે છે.
સ્ત્રી સ્ત્રીના હિતની વિરુદ્ધ બોલી શકે? બોલી શકે જો અંતરાત્માને મારીને સાચનો સોદો કરી નાખ્યો હોય અને બંધવા પોપટનો અવતાર ધારણ કરી લીધો હોય. શરદી થઈ હોય અને વહેતા નાકે કોઈના ઘરે જાવ તો એ ખોટું છે. કોઈને ચેપ લાગે. માસિક સ્રાવમાં તો એ પણ જોખમ નથી. માસિકસ્રાવ એ સો ટકા જોખમરહિત નરવી કુદરતી પ્રક્રિયા છે એ ૨૧મી સદીમાં સમજાવવું પડે? અને એ પણ એવા લોકોને જે દાવો કરે છે કે જગતમાં જેટલું પણ જ્ઞાન-વિજ્ઞાન છે એ ભારતમાંથી બહાર ગયું છે? બન્યું પણ હોય. જ્ઞાનના ઝીલનારા ન હોય એવા ઉજ્જડ ગામમાં જ્ઞાન કરે પણ શું? કદરદાનની જરૂર જ્ઞાનને પણ પડી હશે.
હિન્દી કવિ અશોક વાજપેયીએ એક વાર મજાની વાત કરી હતી. આ દિવસોને આપણે હસવાના, બે ઘડી મોજ કરવાના, થાક ઉતારવાના દિવસો તરીકે જોવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં બંધવા પોપટો ઊતરી આવ્યા છે એ ઈશ્વરની યોજના હોવી જોઈએ. થાકોડો ઉતારવાની યોજના!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 અૉક્ટોબર 2018