ટ્રામ, ભાંગ વાડી, એડવર્ડ થિયેટર, કે ખાદી ભંડાર,
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
આજે આપણે એક સગાને ઘરે જવાનું છે. કોના સગા? તમારા, મારા, આપણા સૌના. પણ આજકાલના નહિ હોં, લગભગ ૭૦-૮૦ વર્ષ પહેલાંના મુંબઈમાં વસતા ભગવાનદાસ કાકાને ત્યાં જઈએ. કાલબાદેવી રોડ પરના ગોવિંદ નિવાસ નામના ચાર માળના મકાનમાં ચોથે માળે રહે છે ભગવાનદાસ કાકા અને તેમનું ૮ જણનું કુટુંબ. પણ જશું કઈ રીતે? બસમાં ય જવાય, પણ બસ તો મોંઘી, પૈસાદારને પોસાય એવી. આપણું કામ નહિ. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા એવું કરવું હોય તો ટ્રામમાં જ જઈએ.
મુંબઈની ટ્રામ
ટ્રામ એ મુંબઈનું પહેલવહેલું લોકશાહી વાહન. ૧૮૭૪ના મે મહિનાની નવમી તારીખે મુંબઈમાં પહેલવહેલી ટ્રામ દોડતી થઈ. જો કે એને ઘોડા ખેંચતા હતા. એ વખતે તેના માત્ર બે જ રૂટ હતા : એક, કોલાબાથી પાયધૂની, અને બીજો, બોરીબંદરથી પાયધૂની. પછી આવ્યું ૧૯૦૭નું વરસ. ઘોડાની ટ્રામ બંધ થઈ અને દોડવા લાગી ઇલેક્ટ્રિક ટ્રામ, એ વર્ષના મે મહિનાની સાતમી તારીખથી. પહેલાં તો એક માળવાળી અને એક ડબ્બાની જ ટ્રામ હતી. પછી બે ડબ્બાની ટ્રામ આવી. અને પછી ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં આવી બે માળવાળી ટ્રામ. તો આપણે આવી બે માળવાળી ટ્રામમાં જ જઈએ, ઉપલે માળે સૌથી આગલી સીટ પર બેસીને. આ આવ્યો ખાખી યુનિફોર્મ પહેરેલો કંડક્ટર પંચિંગ મશીન ખખડાવતો. ટ્રામની ટિકિટને ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં એ ન્યાય લાગુ પડે. કોલાબાથી કિંગ્સ સર્કલ જવું હોય તો ટિકિટ એક આનો, બે સ્ટેન્ડ પછી ઊતરી જવાના હો તો પણ ટિકિટ એક આનો. બાર વરસથી ઓછી ઉંમરના માટે અડધો આનો, એટલે કે બે પૈસા, એટલે કે એક ઢબુ. ૧૬ આનાનો એક રૂપિયો. એક આનાના ચાર પૈસા. એક પૈસાની ૧૨ પાઈ. લો, ખિસ્સામાંથી કાઢીને હું જ આપી દઉં છુ ભાડું. બદલામાં મળી સફેદ રંગની નાનકડી ટિકિટ. ક્યાં જવું છે એ કહ્યું એટલે ટિકિટના બે આંકડા પર પંચ વડે કાણાં પાડ્યાં. પહેલું, ક્યાંથી બેઠા, બીજું ક્યા ઊતરવાના એ બતાવવા માટે. ટ્રામનાં કુલ ૪૦ સ્ટેન્ડનાં નામ પણ ટિકિટ પર છાપેલાં છે. વળી એક બીજી સગવડ પણ છે, ટ્રાન્સફર ટિકિટની. અમુક અમુક જગ્યાએ ટ્રામના બે રૂટ ભેગા થતા હોય. ત્યાં તમે એક રૂટની ટ્રામમાંથી ઊતરીને બીજા રૂટની ટ્રામમાં બેસી શકો, નવી ટિકિટ લીધા વગર. બે માળવાળી ટ્રામના બંને માળ પર એક એક કંડક્ટર. પાછલા ભાગમાં ઉપર ચડવા માટેનાં પગથિયાં. ટ્રામની બંને બાજુ ડ્રાઈવર માટેની જગ્યા. તેની બાજુમાં જ ચડવા-ઊતરવાની જગ્યા. ખાખી કપડાં અને લાંબા લાલ ફૂમતાવાળો સાફો પહેરેલો ડ્રાઈવર. સામે બે જુદી જુદી જાતનાં હેન્ડલ. જરૂર પ્રમાણે ઘૂમાવતો જાય. ઝડપની વધ-ઘટ કરે, વળાંક હોય ત્યાં ટ્રામને ધીમેથી વાળે. આગળ પાટા પર કોઈ માણસ કે બીજું કોઈ વાહન દેખાય તો પગથી ઘંટડી વગાડી તેને ચેતવે. પેસેન્જરને ચડવા-ઊતરવા સ્ટેન્ડ પર ટ્રામ થોભાવે. કંડક્ટર બે ઘંટડી મારે પછી જ ડ્રાઈવર ટ્રામ ચાલુ કરી શકે. ચાલતી ટ્રામે પણ ગમે ત્યારે કંડક્ટર એક ઘંટડી મારે તો તરત ટ્રામ ઊભી રાખે. દિવાળી અને બીજા કેટલાક તહેવારોમાં વીજળીના દીવાઓથી શણગારેલી ટ્રામ પણ સાંજ પછી ફરે, પણ ખાલી. તેમાં પેસેન્જર ન બેસી શકે. માત્ર રોશની જોઇને રાજી થવાનું.
એક આનાની ટ્રામની ટિકિટ
ટ્રામમાં બેસીને બંને બાજુનો નઝારો જોવાની મજા પડી ને? આ આવ્યું આપણે ઊતરવાનું સ્ટેન્ડ, ધોબી તળાવ. પહેલાં અહીં મોટું તળાવ હતું જ્યાં ધોબીઓ કપડાં ધોવા આવતા. એટલે એવું નામ પડેલું. વખત જતાં તળાવ પૂરાઈ ગયું, પણ નામ રહી ગયું, ધોબી તળાવ. ટ્રામમાંથી ઊતરીને આપણે કાલબાદેવી રોડ પર જવાનું છે. અહીં આવેલા કાલબાદેવીના મંદિર પરથી આ રોડનું નામ પડ્યું છે. કહે છે કે પહેલાં આ મંદિર માહિમ ખાતે હતું. પણ ૫૦૦ વર્ષ સુધી તેની મૂર્તિનાં દર્શન કોઈને કરવા દેતા નહોતા. પછી ત્યાંથી મંદિર અહીં આવ્યું. પણ પછી જ્યારે ટ્રામ શરૂ થઈ ત્યારે તેના પાટા નાખવા માટે થઈને એ મંદિર સરકારે તોડ્યું, પણ તેના બદલામાં નવું મંદિર બાંધવાનો બધો ખર્ચ સરકારે આપ્યો. ટ્રામના પાટા રસ્તાની વચ્ચોવચ. એટલે ઊતરતી વખતે જરા ધ્યાન રાખવાનું. બીજા કોઈ વાહનની હડફેટે ચડી ન જઈએ તેનું. જો કે હજી મોટરો તો બહુ ઓછી. વિક્ટોરિયા કહેતાં ઘોડાગાડી ખરી. તો ય થોડું ધ્યાન રાખવું સારું.
એડવર્ડ થિયેટર
ભાંગવાડી – હાથી રહ્યો, થિયેટર ગયું
ચાલો, હેમખેમ ફૂટપાથ પર આવી ગયા. જરા આગળ જુઓ : ફુર્તાડો મ્યુઝિકની દુકાન. છેક ૧૮૬૫માં શરૂ થયેલી. ભગવાનદાસ કાકાનો મોટો દીકરો શિવલાલ ઘણી વાર આ દુકાનની બહાર ઊભો રહી અંદરના મોટા મોટા પિયાનો જોયા કરે અને મનમાં વિમાસે : આવું મસ મોટું વાજિંત્ર વગાડતા કઈ રીતે હશે? હવે જુઓ, આ એડવર્ડ થિયેટર. ૧૯૧૪માં બંધાયેલું. મુંબઈનાં પાંચ જૂનામાં જૂનાં થિયેટરમાંનું એક. જરા આગળ ચાલીએ એટલે આવે ભાંગવાડી થિયેટર. મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પિયર. દર શનિ-રવિવારે સાંજે નાટકનો ખેલ શરૂ થાય તે સવારે ત્રણ-ચાર વાગ્યે પૂરો થાય. નાટકમાં દસ-બાર ગીત, અને દરેક ગીતને બે-પાંચ વન્સ મોર તો મળે જ. ભગવાનદાસ કાકા અવારનવાર અહીં નાટકો જોવા આવે. ઈન્ટરવલમાં ફેરિયા થિયેટરની અંદર આવી ખારા કાજુ ને પિસ્તાંનાં પડીકાં ચાર-ચાર આને વેચે તેમાંથી બે પડીકાં લે. એક પોતે ખાય, બીજું ઘરે લઈ જાય. જયશંકર સુંદરી, માસ્ટર કાસમભાઈ, અશરફખાન, વગેરે નટના ચાહક. પણ ભગવાનદાસ કાકા ઓળઘોળ થઈ જાય તે તો ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’વાળાં મોતીબાઈ પર.
કાલબાદેવી મંદિર
કાલબાદેવી એટલે એક મોટું બજાર. રસ્તાની બંને બાજુ જાતભાતની દુકાનો. આ જ રસ્તા પર આવ્યો છે શુદ્ધ સ્વદેશી ભંડાર. ૧૯૧૯ના જૂનની ૧૮મી તારીખે મહાત્મા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કરેલું. અને ગોકુલદાસ મોરારજી માર્કેટ પણ અહીં જ આવેલી છે. ગાંધીજીએ સ્વદેશીની લડત ઉપાડી ત્યારે અહીંની બધી દુકાનોએ વિલાયતી કાપડ વેચવાનું બંધ કર્યું અને ફક્ત સ્વદેશી કાપડ જ વેચવાનું શરૂ કર્યું. આથી તે ‘સ્વદેશી માર્કેટ’ બની. કહે છે કે અહીં કાપડની માર્કેટ બની તે પહેલાં ભોંયતળિયે ઘોડાના તબેલા હતા. આ ગોકુળદાસ તે મુંબઈની ગોકુળદાસ મોરારજી સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ નંબર એક અને નંબર બેના માલિક. આ મિલની શરૂઆત છેક ૧૮૭૧માં થયેલી. આપણે જેમને મળવા જઈએ છીએ તે ભગવાનદાસ કાકાની આ સ્વદેશી માર્કેટમાં દુકાન છે, ધોતિયાં અને પાંચ વારી સાડી વેચે છે. બંને કોટન. મોટો દીકરો શિવલાલ પણ આ જ માર્કેટમાં આડતિયાનો ધંધો કરે છે. ઉજળિયાત વર્ગના લોકો બહારનું ખાવાનું પસંદ કરે નહિ. એટલે એ બંને માટે રોજ બપોરે ઘરેથી ટિફિન લઈને ઘરઘાટી સોનું દુકાને આવે. હા, દિવસમાં બે-ત્રણ વાર થોડે દૂરની શંકર વિલાસ હિંદુ હોટેલમાંથી ચા મગાવીને દુકાનના બધા માણસો પીએ ખરા. પણ તે માટે મોટા અને નાના શેઠે ઘરેથી આણીને પિત્તળના કપ-રકાબી દુકાનમાં રાખ્યા હતા અને તે બંને તેમાં જ ચા પીએ, કારણ કાચનાં વાસણ તો ભ્રષ્ટ, અપવિત્ર.
ખાદી ભંડારના ઉદ્ઘાટનની જાહેર ખબર
સ્વદેશી માર્કેટ જૂનું મકાન
આઠ જણના કુટુંબ માટે ગોવિંદ નિવાસની જગ્યા થોડી સાંકડી તો પડતી હતી, પણ ત્યાંથી ચાલીને દુકાને પહોંચતાં માંડ દસ મિનિટ થતી એટલે ભગવાનદાસ કાકા ઘર બદલતા નહોતા. વળી પહેલાં કરતાં હવે તો ભાડાં અને પાઘડી પણ વધી ગયાં છે. (નોકરોના) પરસેવાની કમાણી પાઘડીમાં નાખી દેવા કરતાં એટલા પૈસા ધંધામાં નાખ્યા હોય તો વધુ બરકત આવે એમ ભગવાનદાસ કાકા માને છે. એમનાં પત્ની વિલાસબહેનને પણ અડોશપડોશ સાથે ગોઠી ગયું છે અને રોજિંદા જીવનની બધી જરૂરિયાતો આસપાસમાં જ મળી રહે એટલે એમને પણ આ ઘર છોડવું નથી. જો કે સૌથી નાનો દીકરો રમેશ ઘણી વાર કહે છે કે સાંતાક્રુઝ કે પાર્લામાં ઘર લઈએ તો ઘણી મોટી જગ્યા મળે અને વળી હવા-પાણી પણ ચોક્ખાં. પણ આ વાત નીકળે કે તરત ભગવાનદાસ કાકા પોતાનો ‘વિટો’ વાપરે. ભગવાનદાસ કાકા મૂળ ધરમપુરના વતની. પિતા ગોરધનભાઈ ખિસ્સામાં સાત રૂપિયા લઈને ૧૬ વરસની ઉંમરે મુંબઈ આવેલા. એક ઓળખીતાની મદદથી ખિસ્સા રૂમાલ, નેપકીન, અને ટુવાલની ફેરી શરૂ કરેલી. આખો દિવસ અનેક ઘરના દાદરા ચડી-ઊતરીને થાકીને ઠેં થઈ જાય. પણ ‘લગે રહો.’ દીકરો પોતાની દુકાન કરી શકે એટલું કમાયા. મોટા દીકરાને દુકાન સોંપીને ભગવાનદાસ કાકા દર વરસે એક વાર ‘ગામ’ જાય છે અને હાશકારો અનુભવે છે. ધરમપુરનાં કુંવરીબા – જે પછીથી ગોડળનાં મહારાણી બનેલાં – નંદકુંવરબાએ આખી દુનિયાની પ્રદક્ષિણા કરેલી અને તેને વિષે ચોપડી પણ લખેલી એ વાતનું અભિમાન ધરમપુર જાય ત્યારે ભગવાનદાસ કાકા પ્રગટ કરે છે. વાંચવાની વાત તો દૂર રહી, એ પુસ્તક એમણે જોયું પણ નથી એ જુદી વાત. ભગવાનદાસભાઈ મોજમાં હોય ત્યારે ‘માલવપતિ મુંજ’ નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત ગણગણતા હોય :
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે,
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.
આજે તો હવે મોડું થઇ ગયું. એટલે આ અને આવાં બીજાં ગીતો ગણગણવાનો શોખ ધરાવતા ભગવાનદાસ કાકાને ઘરે જઈને મળશું હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 14 ડિસેમ્બર 2019