કાળચક્રની ફેરીએ
આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે, જેમના જન્મને ૨૦૦ વર્ષ પૂરાં થશે, તે દલપતરામ ડાહ્યાભાઈ ઓળખાય છે કવીશ્વર તરીકે. પણ તેમનું પહેલું પુસ્તક કવિતાનું નહોતું. તેમનું પહેલું પુસ્તક પ્રગટ થયું તેના નામમાં ‘નિબંધ’ શબ્દ આવે છે. પણ આ ‘નિબંધ’ એટલે આજે આપણે જેને નિબંધ ઉર્ફે ‘એસે’ તરીખે ઓળખીએ છીએ તે નહિ. એ લખાણને જો કોઈ ચિઠ્ઠી ચોડવી જ હોય તો લાંબા કથાત્માક ગદ્ય લખાણની ચોડી શકાય. દલપતરામના એ પહેલા પુસ્તકનું નામ ‘ભૂતનિબંધ.’
૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે કેટલાક અંગ્રેજ અમલદારોએ ભેગા મળીને અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયાટી’(આજની ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. એ અંગેની પહેલ કરી હતી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે. પોતે કરવાનાં જે કામો સોસાયટીએ ઠરાવ્યાં હતાં તેમાંનું એક કામ ‘નિબંધો’ માટે ઇનામી હરીફાઈ યોજીને તેમાંનાં યોગ્ય લખાણોને પુસ્તક રૂપે પ્રગટ કરવાનું કામ પણ હતું. મુંબઈમાં કેપ્ટન જર્વિસની આગેવાની હેઠળ ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલબુક્સ સોસાયટી’ આવી હરીફાઈઓ યોજતી હતી. એ વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી, એટલે હરીફાઈ માટે લખાણ મગાવતી વખતે ‘હસ્તપ્રત’ શબ્દ વપરાય તો ઘણાના મનમાં ગૂંચવાડો થાય એવી શક્યતા હતી. એટલે ગદ્ય કે પદ્યમાં લખાયેલાં લાંબાં લખાણો માટે જર્વિસે ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. તેમાં જે ‘ઇનામ’ અપાતું તે આજનું ‘પ્રાઈઝ’ કે ‘એવોર્ડ’ નહિ, પણ આજે લેખકને અપાતો ‘પુરસ્કાર.’ મુંબઈમાં ચાલુ થયેલી આવી ‘ઇનામી નિબંધ સ્પર્ધા’નો ચાલ અમદાવાદની સોસાયટીએ અપનાવ્યો. ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે સોસાયટીની કમિટીની બેઠક મળી તેમાં આવી ઇનામી હરીફાઈ માટે પહેલો વિષય ‘ભૂતપ્રેત’નો પસંદ કરવામાં આવ્યો. એ અંગે પ્રગટ કરેલી જાહેરાતમાં લખ્યું હતું : “શરીરમાં ભૂત આવે છે , એવો ભ્રમ લોકોએ માની લીધો છે. તે ભ્રમ શાથી ઉત્પન્ન થાય છે, એનાં કારણનાં શોધની સાચી વિગત લખવી તથા ભ્રમણાથી માની લીધેલા ભૂતને શરીરમાંથી કાઢવાને માટે ગુજરાતમાં શા શા ઉપાયો કરે છે એ આદિક સવિસ્તાર માસ છની અવધમાં લખવો.” પસંદ થયેલા લખાણના લેખકને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ આપવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. દેખીતું છે કે આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ સાહિત્ય સર્જનનો નહોતો, પણ અંધશ્રદ્ધા કે વહેમના નિવારણનો હતો.
સોસાયટીની સ્થાપના થઇ તે પહેલાં ભોળાનાથ સારાભાઈની ભલામણથી અને તેમની હાજરીમાં ૧૮૪૮ના નવેમ્બરની પહેલી તારીખે અમદાવાદમાં ફાર્બસ અને દલપતરામ પહેલી વખત મળ્યા હતા. અને તે જ દિવસથી ફાર્બસે પોતાના મદદનીશ તરીકે દલપતરામને નોકરીએ રાખી લીધા હતા. એક દિવસ ફાર્બસે દલપતરામને પૂછ્યું કે તમે આ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ. ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે, એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળી ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથીએ બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ‘ભૂતનિબંધ’ લખીને હરીફાઈ માટે મોકલ્યો. હરીફાઈમાં કુલ ત્રણ હસ્તપ્રતો આવેલી. તેમાંથી ‘ઇનામ’ માટે દલપતરામનું લખાણ પસંદ થયું. તેમનું આ લખાણ ચાર ‘પ્રકરણ’ અને ૫૫ ‘વાર્તાઓ’માં વહેંચાયેલું છે. તેમાં મુખ્યત્વે ભૂતપ્રેત અંગેની એ જમાનાની પ્રચલિત વાર્તાઓ દલપતરામે નોંધી છે અને ભૂતપ્રેત અંગેની માન્યતાનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. આખા લખાણના સારાંશરૂપે છેવટે દલપતરામ લખે છે : “કોઈ રીતનો ભ્રમ તથા મંત્રજંત્રની વાતો સર્વેનો તપાસ સારી રીતે કરવો. ગપ્પાની વાતોમાં વિશ્વાસ રાખવો નહિ અને ભૂત તથા મૂઠચોટઆદિકની બીક છોડી દઈને, પરમેશ્વરની બીક મનમાં રાખીને જુઠ્ઠું બોલવા આદિક પાપ કરવું નહિ અને સદ્ગુરુની સેવા કરવી. કપટી તથા દુષ્ટ આચરણવાળાની સોબત કરવી નહિ, તથા કોઈ ઢોંગી માણસ પાસે ઠગાવું નહિ. આ સંપૂર્ણ ગ્રંથનો સારાંશ એટલો છે.” જોઈ શકાય છે કે પોતાનું લખાણ માત્ર ભૂતપ્રેત વિરોધી ન લાગે, પણ સર્વસાધારણ ઉપદેશાત્મક લાગે એવો અહીં જાણ્યે-અજાણ્યે પ્રયત્ન થયો છે.
ફાર્બસ આ ‘નિબંધ’થી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે, જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા. “પહેલી જ કૃતિ ‘ભૂતનિબંધ’ની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ, પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો બહુ ઓછા જોવા મળે છે, અને તેથી એ નિબંધ વધુ મૂલ્યવાન બની રહે છે.”
ફાર્બસને આ લખાણ એટલું ગમી ગયું હતું કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાવી પુસ્તક રૂપે પ્રગટ કર્યો. તેના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ Dalpatram Daya એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા. અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે જોઈ નવાઈ લાગે. આ અનુવાદની ફાર્બસે લખેલી પ્રસ્તાવના પણ નોંધપાત્ર છે. દેશી ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત તેમાં ફાર્બસે કરી છે. તેઓ લખે છે : “હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ. પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, એ બંને સાથોસાથ ચાલવા જોઈએ.” તો ‘ભૂતનિબંધ’ના લેખક દલપતરામ વિષે ફાર્બસ લખે છે : “તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષામાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.”
‘ભૂતનિબંધ’ના અંગ્રેજી અનુવાદમાં ક્યાં ય તેની પ્રકાશન સાલ છાપી નથી. પણ ડબ્લિન યુનિવર્સિટીના મેગેઝીન ‘લિટરરી એન્ડ પોલિટિકલ જર્નલ’ના જાન્યુઆરી-જૂન ૧૮૫૧ના અંકમાં આ અનુવાદનું અવલોકન પ્રગટ થયું હતું. એટલે જૂન ૧૮૫૧ પહેલાં ક્યારેક આ અનુવાદ પ્રગટ થયો હતો. અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ‘ભૂતનિબંધ’નો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે.
પોતાના ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકમાં કવિ નાનાલાલે એવી છાપ ઊભી કરી છે કે ‘ભૂતનિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂતનિબંધ એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયાટીની ગ્રંથપ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોકપ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂતનિબંધ.” પણ હકીકતમાં આ વાત સાચી નથી. ‘ભૂતનિબંધ’ પહેલાં પ્રગટ થયેલી જ નહિ, ખુદ દલપતરામના જન્મ પહેલાં પણ પ્રગટ થયેલી ગુજરાતી ગદ્યકૃતિઓ છેક ૧૮૧૫થી જોવા મળે છે.
પણ દલપતરામનું આ પહેલું પુસ્તક છપાયું ક્યારે? ઉપરના અવતરણમાં નાનાલાલ એ અંગે મૌન સેવે છે અને તે ૧૮૪૯માં લખાયું હતું એટલું જ કહે છે. ગુજરાતી, મરાઠી વગેરે ‘દેશી’ ભાષાઓમાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સર એલેક્ઝાન્ડર ગ્રાંટે તૈયાર કરેલી સૂચિ મુંબઈ સરકારે પ્રગટ કરી હતી. આ સૂચિ મોટે ભાગે પ્રત્યક્ષ પુસ્તકો જોઇને નહિ, પણ બીજે-ત્રીજેથી મળેલી માહિતીને આધારે તૈયાર થઇ હતી. એ જોતાં જણાય છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં ઘણાં પુસ્તકોની પ્રકાશન સાલ તેમાં ૧૮૪૮ આપવામાં આવી છે, જે હકીકતમાં સોસાયટીનું સ્થાપના-વર્ષ છે. એ સૂચિમાં ‘ભૂતનિબંધ’ની પ્રકાશન સાલ પણ ૧૮૪૮ આપી છે. જાતે ખાંખાખોળાં કરવાની કુટેવ આપણા મોટા ભાગના વિવેચકો અને ઇતિહાસ લેખકોએ પાડી કે પાળી નથી, એટલે ઘણાખરાએ ૧૮૪૮ની સાલ સ્વીકારી લીધી છે. એટલે દીવા જેવી ચોખ્ખી વાત પણ તેમની નજરે ચડી નથી. જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઇનામી હરીફાઈ માટે આ ‘નિબંધ’ લખાયો હતો તે સોસાયાટીની પોતાની સ્થાપના જ ૧૮૪૮ના ડિસેમ્બરમાં થઇ હતી. હરીફાઈની જાહેરાત ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે થઈ, અને તેમાં નિબંધ લખી મોકલવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો, એટલે કે નિબંધો ૧૮૪૯ના ડિસેમ્બર સુધીમાં લખી મોકલવાના હતા. એ મુદ્દત સુધીમાં સોસાયટીને કુલ ત્રણ ‘એન્ટ્રી’ મળી. તેને વાંચી, જોઈ-ચકાસી, ઇનામી કૃતિ પસંદ કરવામાં પણ બે-ત્રણ મહિનાનો સમય ગયો હોય તેમ માની શકાય. એ પછી એ જમાનામાં લિથોગ્રાફ પદ્ધતિથી પુસ્તક છાપીને તૈયાર કરવામાં પણ સારો એવો સમય ગયો હોય. એટલે હકીકતમાં ‘ભૂતનિબંધ’નું પ્રકાશન વહેલામાં વહેલું ૧૮૫૦ના પાછલા છ મહિનામાં થયું હોઈ શકે. તેના અંગ્રેજી અનુવાદનું અવલોકન ૧૮૫૧ના જૂનના અરસામાં પ્રગટ થયું હતું તે આપણે અગાઉ જોયું છે. એટલે મૂળ ગુજરાતી પુસ્તક અને તેના અંગ્રેજી અનુવાદ વચ્ચે છ મહિનાનો ગાળો માનીએ તો પણ ગુજરાતી પુસ્તક ૧૮૫૦ના અંત સુધીમાં પ્રગટ થયું હોવું જોઈએ.
ભૂતનિબંધ સર્જનાત્મક કૃતિ નથી જ. તેનું ગદ્ય પણ વહેવારુ બોલચાલની નજીકનું છે. એટલે કે ગદ્ય કૃતિ તરીકે ય તે કોઈ ખાસ છાપ પાડે તેમ નથી. તેમાં વહેમ કે અંધશ્રદ્ધા વિષે જે લખાયું છે, તેનું સ્વરૂપ આજે ઘણું બદલાયું છે. છતાં એક વાત તો સ્વીકારવી જ પડે : આ પુસ્તક પ્રગટ થયું તે પછી લગભગ ૧૭૦ વર્ષે પણ આપણા સમાજમાંથી આવા વહેમો અને તેને પરિણામે પાંગરતા કુરિવાજો પૂરેપૂરા દૂર થયા નથી. અને એટલે અંશે હજી આજે પણ ‘ભૂતનિબંધ’ સમાજ સુધારણા માટે ઉપયોગી થાય તેમ છે. અને દલપતરામના પહેલવહેલા પુસ્તક તરીકે તેનું ઐતિહાસિક મહત્ત્વ તો છે જ.
xxx xxx xxx
Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan KalelkarMarg, Kalanagar, Bandra (E), Mumbai 400 051
Email: deepakbmehta@gmail.com
સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, ડિસેમ્બર 2019