આ કટારલેખકના ટૂંકા વેકેશન દરમ્યાન આટલી ઘટનાઓ બની છે.
દેશનો વિકાસદર (જી.ડી.પી.) સરકારી આંકડા મુજબ સાડા ચાર ટકા સુધી નીચે આવી ગયો છે. આ તો બે વરસ પહેલાં સરકારે વિકાસદરના માપદંડો બદલીને પોતે જ પોતાના માટે બનાવેલા રિપોર્ટ કાર્ડ મુજબના માર્ક્સ છે. સાચો વિકાસદર તો અઢી ટકાની આસપાસનો હોવાનું અર્થશાસ્ત્રીઓ કહે છે.
દેશની આર્થિક સ્થિતિ વિષે નાણા પ્રધાન કહે છે કે અર્થતંત્રની ગતિ થોડી મંદ પડી છે પણ તેને મંદી ન કહેવાય. તેમણે તો એમ કહ્યું છે કે ભારતમાં મંદી ક્યારે ય આવવાની જ નથી. માત્ર વર્તમાન નહીં ભવિષ્યની બાબતમાં પણ તેઓ નિશ્ચિત છે, એટલે પ્રજાએ કેટલું નિશ્ચિત રહેવું એ પ્રજાએ નક્કી કરવાનું છે. નિર્મલાબહેનનું આ વચન જોઈને પ્રજાને ચિંતા થાય કે ન થાય, પણ નિર્મલાબહેનનો આત્મવિશ્વાસ જોઈને તેમના પતિ પરાકલા પ્રભાકર ચિંતિત થઈ ગયા. પ્રભાકર પોતે અર્થશાસ્ત્રી છે અને તેમણે ‘ધ હિંદુ’માં લેખ લખીને જાહેરમાં સલાહ આપી છે કે નાણા પ્રધાને ડૉ. મનમોહન સિંહને સાંભળવા જોઈએ, તેમની સલાહ લેવી જોઈએ અને એકંદરે પી.વી. નરસિંહરાવ – ડૉ. મનમોહન સિંહની જોડીએ ત્રણ દાયકા પહેલાં અખત્યાર કરેલો માર્ગ અખત્યાર કરવો જોઈએ. તેમણે દેશ આર્થિક સંકટમાં છે તેનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી છે અને કહ્યું છે કે તેનો એક માત્ર ઈલાજ મનમોહન સિંહનો માર્ગ છે.
નિર્મલા સિતારામના પતિ ગભરાઈ ગયા એનું બીજું પણ એક કારણ છે. નિર્મલા સિતારામને લોકસભામાં કહ્યું કે તેઓ શાકાહારી છે એટલે તેઓ લસણ-ડુંગળી ખાતાં નથી એટલે આ બે ચીજો સાથે તેમને કોઈ નિસબત નથી. આને કારણે તેના આસમાને ગયેલા ભાવ વિષે તેઓ કાંઈ જાણતા નથી. પહેલી વાત તો એ કે ડુંગળી શાકાહારી છે, એ પ્રધાનસાહેબા જાણતાં નથી. શાકાહારીઓમાં કેટલાક લોકો ડુંગળી-લસણ ખાતા નથી એ જુદી વાત છે, પણ ૯૦ ટકા શાકાહારીઓ શાકાહારી હોવા છતાં ડુંગળી-લસણ ખાય છે. બીજું એ કે પ્રધાનસાહેબા છાપાઓ પણ વાંચતા હોય એવું લાગતું નથી. અર્ધાંગિનીનાં આવાં અમૃતવચનો જોઈને બાકીના અર્ધા અંગને લાગ્યું હોવું જોઈએ કે હવે જરા બોલવું જોઈએ.
આ બાજુ આપણા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ સિનેમા ઘરોમાં દોડી ગયા અને કહ્યું કે તાજી રિલીઝ થયેલી ત્રણ ફિલ્મો સોલીડ વકરો કરે છે એટલે મંદી નથી. આના કરતાં વધારે મોટી સાબિતી જગતનો કયો અર્થશાસ્ત્રી લઈ આવવાનો હતો? આમ એકથી એક હીરામોતીથી સજ્જ આ સરકાર છે.
બીજી ઘટના કાશ્મીરની છે. કાશ્મીર વિશેનો ઐતિહાસિક નિર્ણય લેવાયો તેને આજ ૧૨૩ દિવસ વીતી ગયા છે, પણ ત્યાં મોકલવામાં આવેલા લશ્કરની એક પણ કુમક પાછી લેવામાં નથી આવી. કડકડતી ઠંડીમાં ૨૮,૦૦૦ સૈનિકો કાશ્મીરમાં ફરજ પર છે અને તેમને ઠંડીથી રક્ષણ આપવા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચતી હશે. આનો અર્થ શું થયો? આનો અર્થ એટલો જ કે કાશ્મીરની ખીણમાં શાંતિ નથી. ગોદી મીડિયા આ વાસ્તવિકતાથી તમારું ધ્યાન અન્યત્ર ખેંચવાનો પ્રયાસ કરતા રહે છે. વિદેશી મીડિયા અને બીજી એજન્સીઓ પણ કહે છે કે કાશ્મીરની ખીણમાં શાંતિ નથી. વધારે મોડું થાય અને મદમાં ને મદમાં કાશ્મીર ભારતનું બંગલાદેશ થાય એ પહેલાં કાશ્મીરીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ત્રીજી ઘટના ડોકલામની છે. તમે જાણો છો કે કેટલાક મહિનાઓથી ભૂતાન ભારતને બાજુએ રાખીને સીધું ચીન સાથે વાટાઘાટ કરી રહ્યું છે? નથી જાણતા ને? ગોદી મીડિયા તમને અંધારામાં રાખે છે. ભૂતાન અને ચીન વચ્ચે વાટાઘાટોના પચીસ રાઉન્ડ થઈ ચૂક્યા છે જેમાં ભારત પક્ષકાર નથી. ભૂતાન ભારતનો રક્ષિત દેશ છે. ભૂતાનના રક્ષણની જવાબદારી ભારતની છે. એટલે જ્યારે ભૂતાનના કબજાના ડોકલામ ઉપર ચીને કબજો જમાવ્યો ત્યારે ભારતે દરમ્યાનગીરી કરી હતી. ચીને ભૂતાનને ઓફર કરી છે કે જો ભૂતાન ડોકલામનો ૨૬૯ ચોરસ કિલોમીટરનો પ્રદેશ છોડે તો ચીન સામે ૪૯૫ ચોરસ કિલોમીટર પ્રદેશ આપવા તૈયાર છે. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ચીનની ઓફર ઠુકરાવનાર ભૂતાન આજે નરેન્દ્ર મોદીની સરકાર વખતે ભારતને બાજુએ રાખીને ચીન સાથે સીધી વાતચીત કરી રહ્યું છે.
જો ભૂતાન અને ચીન વચ્ચે સાટાપાટાની સંધી થઈ જશે (અને હવે એમ લાગે છે કે ઘણું કરીને થશે) તો ચીન ઇશાન ભારત સાથે તળ ભારતને જોડનારી બગલાની ડોક જેવી કોરીડોર પર આવીને બેસી જશે. ચીન જો એ ડોક કાપી નાખે તો ઇશાન ભારત ભારતથી જુદું પડી જાય. ભારતનું અત્યાર સુધીનું ભરોસાપાત્ર પાડોશી મિત્ર ભૂતાન પણ હાથથી ગયું? આવી સ્થિતિ એટલા માટે બની કે ભારત ડોકલામની વાસ્તવિકતા છૂપાવે છે. હજુ થોડા દિવસ પહેલાં અરુણાચલ પ્રદેશના બી.જે.પી.ના જ સંસદસભ્યે ડોકલામ વિષે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ડોકલામ અક્ષરસહ: ચીનના કબજામાં છે એ વાત સાચી છે? તેમને સંસદમાં સ્પષ્ટ જવાબ આપવામાં નહોતો આવ્યો.
જો બાબરી મસ્જિદ હિંદુઓના કબજામાં હોય અને મુસલમાનોને તેનો ન્યાયી કબજો મળી શકે એમ જ ન હોય તો મુસલમાનોને ન્યાય આપવો કઈ રીતે એમ વિચારીને ભારતની સર્વોચ્ચ અદાલત જો ન્યાય કરવાની બાબતે પાણીમાં બેસી જાય, તો ભૂતાન વ્યવહારુ ભૂમિકા અપનાવે એમાં શું નવાઈ! ભૂતાન જાણે છે કે જે રીતે બાબરી મસ્જિદ પર હિંદુઓનો કબજો છે અને જેની પાસેથી ધર્મસ્થળ છીનવી લેવામાં આવ્યું છે એ તેને પાછું મળવાનું નથી એમ ડોકલામ પર ચીનનો કબજો છે અને જેની છોડાવવાની ફરજ છે એ છોડાવી શકે એમ નથી, ત્યારે વાટાઘાટ કરીને સોદો શા માટે ન કરવો? આવતા થોડા મહિનાઓમાં ભૂતાન-ચીન સમજૂતી થાય તો આશ્ચર્ય નહીં પામતા. જો એમ બનશે તો એ નરેન્દ્ર મોદીની સરકારની વાસ્તવિકતાઓને છૂપાવવાનું અને તેનાથી દૂર ભાગવાની નીતિનું પરિણામ હશે.
ચોથી ઘટના શ્રી લંકામાં બની છે. ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં શ્રીલંકામાં ગોટાયાબા રાજપકસાનો વિજય થયો છે. ગોટાયાબાએ બે મુદ્દત માટે પ્રમુખ રહી ચૂકેલા તેમના મોટા ભાઈ મહિંદા રાજપકસાને વડા પ્રધાન બનાવ્યા છે. નાનો ભાઈ પ્રમુખ અને મોટો ભાઈ વડો પ્રધાન. જ્યારે મોટો ભાઈ પ્રમુખ હતો ત્યારે તેણે નાના ભાઈ ગોટાયાબાને સંરક્ષણ પ્રધાન બનાવ્યો હતો. બંને ભાઈઓ ઝનૂની અને નિર્દયી સિંહાલા રાષ્ટ્રવાદીઓ છે, એટલે શ્રી લંકાની શું હાલત થશે એની કલ્પના કરી શકાય એમ છે. દાયકા પહેલાં બન્ને ભાઈઓએ મળીને તમિલોને નિર્દયતાથી કચડી નાખ્યા હતા. નાનો ભાઈ અને નવો પ્રમુખ ગોટાયાબા લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ લશ્કરમાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા.
શ્રી લંકા ભારતની ભ્રમણકક્ષામાંથી લગભગ બહાર નીકળી ગયું છે અને હવે સાવ નીકળી જશે. બન્ને ભાઈઓ ચીનતરફી, ભારતવિરોધી અને સ્વભાવે આક્રમક ખડૂસ છે. ૨૦૧૪માં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે મહિંદા રાજપકસા પ્રમુખ હતા અને ત્યાર પછી બે દેશો વચ્ચેના સંબંધો તળિયે ગયા હતા. ૨૦૧૫માં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ ત્યારે મહિંદા રાજપકસાએ જાસૂસો દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવાનો ભારત પર આરોપ મૂક્યો હતો અને કોલંબો ખાતેની ભારતીય એલચી કચેરીના કેટલાક અધિકારીઓને ભારત પાછા મોકલ્યા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી આવ્યા અને મહિંદા રાજપકસાની વરસ પછી મુદ્દત પૂરી થઈ હતી, પણ આ વખતે એવું બન્યું છે કે નરેન્દ્ર મોદી બીજી મુદ્દત માટે અને રાજપકસા બંધુઓ એક સાથે અને અનેકગણી વધુ તાકાત સાથે સતામાં પાછા આવ્યા છે. આમ શ્રી લંકા ચીન માટે રેડ કાર્પેટ બીછાવવાનું છે એ વાતમાં કોઈ શંકા જ નથી.
આની વચ્ચે પાંચમી ઘટના નાગરિક ધારામાં સુધારો કરવાની છે. કાશ્મીરમાં અશાંતિ છે. ભૂતાન ડોકલામ છોડવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન પછી શ્રી લંકા ચીનની પાંખમાં જતું રહ્યું છે. નેપાળના બંધારણની બાબતમાં ભારતે કારણ વગર દખલગીરી કરીને નેપાળ સાથેના સંબંધો બગાડ્યા છે. અત્યારે નેપાળ પણ ચીનની નજીક છે. આની વચ્ચે નાગરિક ધારામાં સુધારો કરીને ઇશાન ભારતમાં અશાંતિ પેદા કરવામાં આવી છે. ઇશાન ભારત ભડકે બળી રહ્યું છે. સરકારની ગણતરી એવી હતી કે નાગરિક ધારામાં મુસ્લિમ વિરોધી સુધારા કરવાથી ઇશાન ભારતની અને બંગાળની ગેર મુસ્લિમ પ્રજા રાજીની રેડ થઈ જશે અને ત્યાં બી.જે.પી.ને પ્રવેશવાનો મોકો મળશે. બની રહ્યું છે એનાથી ઊલટું.
જો ભારતના ઇતિહાસની, ભારતની વર્તમાન વાસ્તવિકતાઓની અને ભારતના સામાજિક સ્વરૂપની આજના શાસકોને જાણ હોત, તો એક સાથે આટલા બધા મોરચા ખોલવાની ભૂલ ન કરી હોત. આગલા શાસકો બેવકૂફ નહોતા. તેઓ ભારતને અને દક્ષિણ એશિયાને તેના સાચા સ્વરૂપમાં જાણતા હતા એટલે હળવે હલેસે કામ લેતા હતા.
આ લખનારે ભોગવેલા વેકેશન દરમ્યાન છઠ્ઠી ઘટના સર્વોચ્ચ અદાલતમાં બની છે. બળાત્કારની ઘટનાઓ સામે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે, અને લોકો, ખાસ કરીને સ્ત્રીઓ ત્વરિત ન્યાય માગી રહ્યાં છે ત્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેસાહેબે કહ્યું છે ન્યાયની એક પ્રક્રિયા હોય છે. ન્યાય આ રીતે ચપટી વગાડતા ત્વરિત ન મળી શકે. વાત તો સાચી, પણ મોડામાં મોડો ક્યારે મળવો જોઈએ એની પણ કોઈ સમયસીમા આપવી જોઈતી હતી. કોઈ પત્રકારે તેમને આ પ્રશ્ન પૂછ્યો નહોતો. આની વચ્ચે પોલીસ બળાત્કારીઓને બારોબાર મારી નાખે અને લોકો અભિનન્દન આપે એમાં શું આશ્ચર્ય!
સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ચૂકાદાની રિવ્યુ પિટીશન ફગાવી દીધી છે એ સર્વોચ્ચ અદાલતની આજની અવસ્થા જોતાં ઘટના હોવા છતાં ય ઘટના નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2019