Opinion Magazine
Number of visits: 9454255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવકાશ વિજ્ઞાન હોય કે અણુ ટેકનોલોજી, વિકાસ અગત્યનો છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2019

ચન્દ્રયાન-ટુમાં શું ખરાબી આવી અને ખરેખર અત્યારે તે કઈ સ્થિતિમાં છે અને શું પરિણામ મળ્યું કે મળશે એની જાણકારી તો ભવિષ્યમાં અવશ્ય મળશે, પણ અત્યારે હું બીજો મુદ્દો ચર્ચવા માગું છું. આ પ્રશ્ન એકલી નરેન્દ્ર મોદીની સરકારને લાગુ પડતો નથી, બલકે તેને તો કરાય લાગુ નથી પડતો; પરંતુ આઝાદી પછીના ભારતને લાગુ પડે છે. ભારતની અત્યાર સુધીની દરેક સરકાર માટે આ સવાલ છે.

ઈસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ના નામે કરી હતી. એ સમયે એ વિભાગ અણુ ઊર્જા પંચ હેઠળ કામ કરતો હતો. ૧૯૬૯ની ૧૫મો ઑગસ્ટે ઇન્દિરા ગાંધીએ ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ રિસર્ચની રચના કરીને ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચને ઈસરોમાં ફેરવી હતી. નેહરુના સમયમાં ભારતે જ્યારે સ્પેસ રિસર્ચનું કામ હાથ ધર્યું ત્યારે પણ તેની આવશ્યકતા વિષે સવાલ પેદા થયો હતો. અનેક લોકો ત્યારે એમ કહેતા હતા કે ભારતની પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન માટેની હોવી જોઈતી હતી. કૃષિવિકાસ હોવો જોઈએ, કારણ કે ભારત ગામડાંમાં વસે છે. ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને જાણીતા વિજ્ઞાની વિક્રમકુમાર સારાભાઈએ બચાવ કર્યો હતો કે વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવતું રોકાણ સર્વાંગીણ રાષ્ટ્રીય ઉત્થાન માટેનું છે. ગરીબ દેશ તેની થોડી મૂડી ભવિષ્યના વિકાસ માટે ખર્ચે તો એને દેખાવ ન કહેવાય. બીજું, બૌદ્ધિક ક્ષેત્રે જગત સાથે કદમ મેળવવાથી એક પ્રકારની રાષ્ટ્રીય ચેતના જન્મે છે અને એ પણ વિકાસ જ છે.

એ સમયે તેમની એ વાત સાચી હતી એમ હું માનું છું. ભારત જો અવકાશ સંશોધન કરે અને ભવિષ્યમાં ઉઘડતી બારીઓ માટે તૈયાર રહે તો તેમાં કાંઈ ખોટું નહોતું. બારીઓ ઉઘડી પણ હતી અને હજુ વધુ ઉઘડતી જતી હતી. સેટેલાઈટ દ્વારા સંદેશવહન અને જમીન તળેના સંશોધન માટે ઈસરોના અવકાશ સંશોધન કાર્યક્રમે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તરતની જ વાત કરીએ તો ગયા વર્ષે ઓરિસ્સા અને તેલંગાણામાં વાવાઝોડું ત્રાટકે એ પહેલાં રાજ્ય સરકારો સમુદ્રકિનારેનાં ગામો ખાલી કરાવી શકી તો એનું કારણ ઈસરો હતું. ઈસરોએ પ્રચંડ મોટા વાવાઝોડાની ચેતવણી આપી હતી.

જે પ્રશ્ન છે એ એ પછી હાથ ધરવામાં આવેલા સંશોધન વિષે છે. ચન્દ્ર, મંગળ અને બીજા ગ્રહો-ઉપગ્રહોના સંશોધન હાથ ધરાવાની કોઈ જરૂર હતી ખરી? અમેરિકા આ છ દાયકાથી કરે છે. ૧૯૬૯માં અમેરિકાએ ખગોળશાસ્ત્રીઓને ચન્દ્ર પર મોકલ્યા હતા. પાંચ દાયકા પહેલાંની અમેરિકાની સિદ્ધિ સામે ભારતની સિદ્ધિ ખાસ કોઈ વિસાતમાં નથી. અમેરિકાની હરીફાઈમાં રશિયા(એ સમયના સામ્યવાદી રશિયા)એ અવકાશ સંશોધનના કાર્યક્રમ હાથ ધર્યા હતા. પાછળ ચીન એમાં જોડાયું હતું, એ બતાવવા કે હમ ભી કિસી સે કમ નહીં હૈ. લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એ ન્યાયે સામ્યવાદી રશિયાની અમેરિકા સામે દેખાડો કરવામાં આર્થિક રીતે ઉઠાંતરી થઈ ગઈ. ૧૯૮૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં જ્યારે રશિયાની બાંધી મૂઠી ખૂલી ગઈ ત્યારે જગતને જાણ થઈ કે એની પાસે ખાવાના પણ વાંધા હતા.

સવાલ એ છે કે છ દાયકા પહેલાં અમેરિકાએ ચન્દ્ર વિષે જે શોધ્યું એ પછી આ છ દાયકામાં નવું શું હાથ લાગ્યું છે? જોઈ જુઓ વિજ્ઞાનની વેબસાઈટો. કાંઈ ખાસ હાથ નહીં લાગે, કારણ કે કોઈને કશું હાથ લાગ્યું નથી. પાછળથી જોડાયેલા સામ્યવાદી રશિયા, ચીન અને ભારત પણ કોઈ નવું તથ્ય જગતને આપી શક્યાં નથી. બીજું ચન્દ્ર પર પાણી છે એમ શોધી પણ કાઢો તો તેનાથી પ્રજાની સુખાકારીમાં શો ફરક પડે છે? આવું જ મંગળની બાબતમાં. અબજો ડોલર કારણ વિનાના સંશોધન પાછળ જગતના દેશોએ ખર્ચી નાખ્યા છે. બીજું કોઈ એક દેશ એક સંશોધન કરતું હોય તો તેનું અનુકરણ કરવાની શી જરૂર છે? એ વિજ્ઞાન અને એ ટેકનોલોજી આખા જગતની બની ગઈ.

યુરેનિયમને ભઠ્ઠીમાં સમૃદ્ધ કરીને અણુ બનાવી શકાય છે અને તેમાંથી મહાવિનાશક અણુ બોમ્બ બનાવી શકાય છે એ અમેરિકાએ ૧૯૪૦માં શોધી કાઢ્યું હતું. એ ટેકનોલોજી છૂપી નહોતી. અમેરિકા આગળ નીકળી ગયું એટલું જ. બીજા વિશ્વયુદ્ધ પછી એ ટેકનોલોજી ઉઘાડી પડી ગઈ હતી. એમાં પણ અનુકરણ કરવાની હોડ શરૂ થઈ હતી. જવાહરલાલ નેહરુએ ત્યારે અણુ કાર્યક્રમ વિષે શું કહ્યું એ યાદ છે? ભારત જગતનો પહેલો દેશ છે જે પ્રજાકીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માગે છે, લશ્કરી ઉપયોગ માટે નહીં. વિકાસલક્ષી કાર્યકર્મ, દેખાવલક્ષી તો બિલકુલ નહીં.

પાછળથી અણુ અને અવકાશ સંશોધન બંને હરીફાઈના અને દેખાવના વિષયો બની ગયા. તમે જ્યારે અણુઉત્પાદન કરી શકો છો તો બોમ્બ તો ટૂંકી નોટિસમાં પણ બનાવી શકાય છે. કારણ વિના અણુ હરીફાઈ પેદા કરવામાં આવી હતી.

મને ખબર છે કે મોટા ભાગના વાચકોને મારા વિચાર નહીં ગમે. ‘હમ ભી કિસીસે કમ નહીં’નો દેખાવ કરવાની લાલચ રોકવી મુશ્કેલ છે. ખાસ કરીને ગરીબ માણસ મધ્યમવર્ગી બને ત્યારે તે આગલી પેઢીના શ્રીમંત કરતાં પણ વધુ દેખાવ કરવા માંડે છે. ભારત અન્ન પુરવઠાની બાબતમાં સ્વાવલંબી બન્યું નહીં કે દેખાવ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતે લાખો કરોડ રૂપિયા ગ્રહો-ઉપગ્રહોના સંશોધન પાછળ ખર્ચ્યા છે જે ગરીબોના વિકાસ માટે ખર્ચી શકાયા હોત.

બુલેટ ટ્રેન આવું બીજું ઉદાહરણ છે. જ્યારે ઉતારુ ટ્રેન ઓછી પડતી હોય, દેશમાં અનેક રૂટ પર હજુ બે લાઈન પાથરવામાં ન આવી હોય, હજુ હજારો કિલોમીટર રેલવે લાઈનને બ્રોડગેજમાં ફેરવાવાની બાકી હોય, જ્યાં દરેક ટ્રેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવમાં મોડી પડતી હોય ત્યાં પ્રાથમિકતા શું હોવી જોઈએ? બુલેટ ટ્રેન? ઘરમાં છાપરું મળે નહીં અને બાવન ઈંચનું એલ.ઈ.ડી. ટીવી વસાવવા જેવી આ વાત છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ એક વાર કહ્યું હતું કે દિખાના પડતા હૈ જી. 

ભારત કરતાં સમૃદ્ધિમાં ઘણાં આગળ અને જેને વિકસિત કહી શકાય એવા એક ડઝન દેશ ગ્રહો-ઉપગ્રહોના સંશોધન પાછળ અને બુલેટ ટ્રેન પાછળ પૈસા વેડફતા નથી. એક એક સમૃદ્ધ દેશ પર સગી આંખે નજર કરી જુઓ. જેમાં ખાસ કાંઈ હાથ લાગતું નથી, કોઈ માહિતી હાથ લાગે તો પણ તેનો કોઈ ખપ નથી અને વળી બીજા દેશો એ કરે જ છે તો પછી તેની પાછળ પૈસા ખર્ચવાની જરૂર શું છે? મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં એક આંટો મારી આવો, પ્રાથમિકતા કઈ હોવી જોઈએ એનું જ્ઞાન થશે.

10 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2019

Loading

12 September 2019 admin
← ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે’ પસ્તીમાંથી મળી આવ્યા ગીતકાર સાહિર લુધિયાનવીના કિંમતી દસ્તાવેજ
વિચરતા વિચારો →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved