૬૭ વરસની ઉમ્મર આ યુગમાં કાચી વય ગણાય, અને એમાં પણ જો કર્તુત્વવાન જીવન હોય તો ૬૭ની વય વધુ કાચી ગણાય. બી.જે.પી.નાં નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઉત્તમ સંસદપટુઓમાંનાં એક સુષ્મા સ્વરાજ કાચી વયે જતાં રહ્યાં. તેઓ ઘણાં સમયથી ડાયાબિટીસથી પીડિત હતાં, અને આ એવો રોગ છે જે શરીરનાં બીજાં અવયવોને પણ પ્રભાવિત કરતો હોય છે. સુષ્મા સ્વરાજની જ વયના અને આજીવન રાજકીય પ્રતિસ્પર્ધી અરુણ જેટલી પણ ડાયાબિટીસ અને તેનાં કારણે કીડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે.
કૉન્ગ્રેસ અને જન સંઘ/બી.જે.પી.ના રાજકીય તાસીરમાં એક ફરક છે. કૉન્ગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારને છોડીને બાકીના બધા જ નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ હોવા છતાં પોતપોતાનાં રાજ્યમાં પ્રભુત્વ ધરાવતા હતા. પોતાનું રાજ્ય પોતાનો ગઢ હતું. ગુજરાત મોરારજી દેસાઈનો ગઢ, મહારાષ્ટ્ર યશવંતરાવ ચવ્હાણનો ગઢ, તામિલનાડુ કામરાજ નાદરનો ગઢ, વગેરે. પોતાની સામે કોઈ પ્રતિસ્પર્ધી પેદા ન થાય એ સારુ ઇન્દિરા ગાંધીએ પોતાના પ્રદેશમાં વિશાળ જનાધાર નેતાઓ સામે વિદ્રોહ કરાવીને તેમને વેતરી નહોતા નાખ્યા ત્યાં સુધી કૉન્ગ્રેસમાં લગભગ દરેક રાજ્યમાં એક એક જવાહરલાલ નેહરુ હતા અને તેમની ઉપર જવાહરલાલ નેહરુ સર્વોચ્ચ નેતા તરીકે શિરમોર.
જન સંઘ/બી.જે.પી.એ તો સાવ નીચેથી વાવેતર કરવાનું હોવા છતાં જેમને પ્રાદેશિક ક્ષત્રપ તરીકે ઓળખાવી શકાય એવા જમીન સાથે જોડાયેલા નેતાઓ પેદા નથી કર્યા. આનું મુખ્ય કારણ એ છે કે જન સંઘ/બી.જે.પી. હજુ હમણાં સુધી શહેરી અને એમાં પણ મધ્યમ વર્ગીય વેપારીઓનો પક્ષ હતો. પાછળથી ભૈરોસિંહ શેખાવત, શાંતા કુમાર, વીરેન્દ્ર કુમાર સકલેચા, શિવરાજસિંહ ચોહાણ, કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા જેવા નેતાઓએ પોતપોતાનાં રાજ્યોમાં ગ્રામીણ જનતા સાથે સંબંધ સ્થાપ્યો હતો. ગ્રામીણ ભારતમાં મૂળિયાં નહીં હોવાના કારણે જન સંઘ/બી.જે.પી.માં જેઓ રાષ્ટ્રીય નેતાઓ હતા તેઓ રાષ્ટ્રીય ખરા, પણ તેમનો કોઈ ગઢ નહોતો. અટલ બિહારી વાજપેયીનું વતન મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર નજીક, પણ ગ્વાલિયર ક્યારે ય તેમનું નહોતું. તેઓ આખી જિંદગી અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડ્યા છે અને તેમાં જીત્યા અને હાર્યા હતા. લાલકૃષ્ણ અડવાણીનું પણ એવું જ. રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત એમ ત્રણ જગ્યાએથી તેઓ ચૂંટણી લડ્યા છે.
પછીની પેઢીમાં અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, રાજનાથ સિંહ, કંઈક અંશે નીતિન ગડકરી વગેરે પણ આ રીતે પોતીકા ઘર વિનાનાં રાષ્ટ્રીય નેતાઓ છે અને તેમાં સુષ્મા સ્વરાજનો પણ ઉમેરો કરી શકાય. અટલ બિહારી વાજપેયીની જેમ સર્વોચ્ચ રાષ્ટ્રીય નેતા બનવાના તમામ ગુણ હતા તેમનામાં, બસ એક પોતીકું ઘર નહોતું. તેઓ શાલીન હતાં, પ્રભાવી વક્તા હતાં, અભ્યાસી હતાં, ઉત્તમ સંસદપટુ હતાં, લાગણીશીલ હતાં, અજાતશત્રુ તો ન કહેવાય પણ દરેકનો આદર કરતા હતાં અને સારા વહીવટકર્તા હતાં. સર્વોચ્ચ રાષ્ટ્રીય નેતા બનવા માટે આનાથી વધારે શું ગુણ જોઈએ? આમ છતાં તેમણે ચૂંટણી લડવા માટે હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને કર્ણાટકનો આશરો લેવો પડ્યો હતો. કૉન્ગ્રસથી ઊલટું બી.જે.પી. શહેરોથી ગામડે પહોંચેલો પક્ષ છે.
આજે તો એ વાતને વર્ષો વીતી ગયાં છે અને લોકો ભૂલી પણ ગયા હશે કે સુષ્મા સ્વરાજે હરિયાણાથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ૧૯૭૭માં ૨૫ વરસની વયે હરિયાણાની સરકારમાં કેબિનેટ કક્ષાનાં પ્રધાન હતાં. બીજી અજાણી વાત એ છે કે એ સમયે તેઓ સંસ્થા કૉન્ગ્રેસના માર્ગે જનતા પાર્ટીમાં ગયાં હતાં અને જનતા પાર્ટીનું વિભાજન થતાં તેઓ બી.જે.પી.માં ગયાં હતાં. આટલી નાની વયે તેમને પ્રધાન બનવા મળ્યું એનું કારણ ઈમરજન્સીમાં તેમણે જ્યોર્જ ફર્નાન્ડીસને કરેલી મદદ હતું. જ્યોર્જ એ સમયે રાષ્ટ્રીય પૌરુષનું પ્રતિક હતા એટલે જે કોઈએ જ્યોર્જ ફર્નાન્ડીસને મદદ કરી હતી, એ બધાનો દેશ પર ઉપકાર સમજવામાં આવતો હતો. સુષ્મા સ્વરાજ જ્યોર્જનો હાથ છોડીને બી.જે.પી.માં એટલા માટે ગયાં હતાં કે તેમનો પરિવાર આર્યસમાજી હતો અને પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મહિલાઓને પ્રવેશ નહીં હોવાથી જન સંઘ/બી.જે.પી.માં મહિલાઓનું પ્રમાણ ઓછું રહ્યું છે. સિંધિયા મા-દીકરી, સુમિત્રા મહાજન અને સુષ્મા સ્વરાજ. યાદી પૂરી. આમાં પોતીકા તેજથી ઓપતો તારો એક જ; સુષ્મા સ્વરાજ અને એ પણ પુરુષ પ્રધાન સંગઠનમાં. આ એક શક્તિ માટે સુષ્મા સ્વરાજને સોમાંથી સો ગુણ આપવા જોઈએ, બાકી રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે વસુંધરા રાજે સિંધિયા અને લોકસભાના સ્પીકર તરીકે સુમિત્રા મહાજન કેવાં હતાં એ ક્યાં અજાણી વાત છે! નજીકનો ઇતિહાસ છે.
બી.જે.પી.ની બીજી પેઢીના રાષ્ટ્રીય નેતાઓ ઘર વિનાના હોવાના કારણે હજુ દાયકા પહેલાં જેમનું રાષ્ટ્રીય નેતા તરીકે બી.જે.પી.માં નામ પણ નહોતું લેવાતું એ નરેન્દ્ર મોદી દરેકને રસ્તામાંથી હડસેલી શક્યા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતને પોતાનું ગઢ કહી શકાય એવું ઘર બનાવ્યું હતું. એ ઘરને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૩-૨૦૧૪માં બી.જે.પી.માં નેતૃત્વની હોડમાં નરેન્દ્ર મોદી સામે લાલકૃષ્ણ અડવાણી સહિત બાકીના બધા રાષ્ટ્રીય નેતાઓ પરાસ્ત થયા તેનું કારણ નરેન્દ્ર મોદીએ દાખલ કરેલું ફ્રોમ બીલોવાળું રાજકારણ હતું. બી.જે.પી.ના રાષ્ટ્રીય નેતાઓને પહેલીવાર ઘરના અભાવનો અહેસાસ થયો હતો. નરેન્દ્ર મોદીના વિકલ્પ કે પ્રતિસ્પર્ધી તરીકે પ્રાદેશિક નેતા શિવરાજ સિંહ ચવાણનું નામ લેવાતું હતું, રાષ્ટ્રીય નેતા સુષ્મા સ્વરાજનું નહોતું લેવાતું.
૨૦૧૩-૨૦૧૪ના બી.જે.પી. અંતર્ગત નેતૃત્વના સંઘર્ષમાં સુષ્મા સ્વરાજે લાલ કૃષ્ણ અડવાણીને સાથ આપ્યો હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે બી.જે.પી.ને સંપૂર્ણ બહુમતી ન મળે અને ૧૬૦-૧૮૦ બેઠકોની આસપાસ બી.જે.પી. અટકી પડે એ માટે અંદરથી ભાંગફોડ કરનારી કહેવાતી ‘ક્લબ-૧૬૦’માં સુષ્મા સ્વરાજ સક્રિય હતાં એવો પણ તેમના પર આક્ષેપ હતો. એલ.કે. અડવાણીને અને બીજી હરોળના રાષ્ટ્રીય નેતાઓને જાણ હતી કે નરેન્દ્ર મોદીનો ઘરસહિતના રાષ્ટ્રીય નેતા તરીકે ઉદય થશે અને જો પક્ષને બહુમતી અપાવશે તો તેમણે ઘરે બેસવું પડશે અથવા ઓશિયાળા થઈને બતાવેલા ઘરમાં રહેવું પડશે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને પ્રધાન બનાવ્યાં અને વિદેશ વ્યવહાર જેવું મહત્ત્વનું ખાતું આપ્યું ત્યારે બી.જે.પી.ની વિચારધારાઓનો વિરોધ કરનારાઓએ પણ રાજીપો અનુભવ્યો હતો. આનું કારણ તેમની ક્ષમતા અને મર્યાદાનો વિવેક હતું જેનો બી.જે.પી.માં સાર્વત્રિક અભાવ છે. અરુણ જેટલીએ પંક્તિબહાર થઈ ન જવાય એ માટે સભ્યતાની મર્યાદાઓ ઓળંગી હતી, પણ સુષ્મા સ્વરાજે નહોતી ઓળંગી. વિદેશ પ્રધાન હોવા છતાં તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવતી હતી અને વિદેશ પ્રવાસ વખતે સાથે નહીં લઈ જઈને તેમનું આપમાન પણ કરવામાં આવતું હતું. તેમની પાસે વિદેશમાં ફસાયેલા લોકોને ઘરે લાવવા જેટલું જ કામ હતું, પણ એ કામ પણ તેમણે નિષ્ઠાથી કર્યું હતું. તેમનાથી જુનિયર અને રાજકીય દુ:શ્મન અરુણ જેટલીને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું તે અપમાન પણ તેમણે પચાવી લીધું હતું.
આંતરધર્મીય લગ્ન કરવા વિષે વિઝા ઈશ્યુ કરનારા અધિકારીએ હિંદુ યુવતીને અનુચિત પ્રશ્નો પૂછ્યા તેનો સુષ્મા સ્વરાજે વિરોધ કર્યો હતો. એ ગુના માટે ગૌરી લંકેશને કૂતરી તરીકે ઓળખાવનારા ટ્રોલ્સ સુષ્મા સ્વરાજની પાછળ પડી ગયા હતા. જાણે કે સુષ્મા સ્વરાજ હિંદુત્વવાદી ન હોય પણ સેક્યુલર કૉન્ગ્રેસી હોય. આ ઘટના ૨૦૧૮માં બની અને એ પછી થોડા મહિને સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે આરોગ્યનું કારણ આપ્યું હતું, પરંતુ તે સાથે બી.જે.પી.ની બદલાયેલી રાજકીય સંસ્કૃતિ પણ એક કારણ હતું.
મર્યાદા માટે જાણીતાં સુષ્મા સ્વરાજ પોતે બે વખત મર્યાદા ચૂક્યાં હતાં અને તે માટે તેમણે મનોમન ક્ષોભ પણ અનુભવ્યો હશે. ૨૦૦૪માં તેમણે જાહેરાત કરી હતી કે જો એક વિદેશીની સોનિયા ગાંધી ભારતનાં વડાં પ્રધાન બનશે તો તેઓ મુંડન કરાવી લેશે અને આજીવન સફેદ કપડાં પહેરશે. સોનિયા ગાંધી વડાં પ્રધાન બની શકે એમ હતાં, પણ બન્યા નહીં એ જુદી વાત છે. બીજું એ જ વરસમાં કર્ણાટકમાં બેલારીથી સોનિયા ગાંધી સામે ચૂંટણી લડતી વખતે ત્યાંના કોલ માફિયા રેડ્ડીબંધુઓની તેમણે એટલી મદદ લીધેલી અને એટલો ઘરોબો કેળવ્યો હતો કે તે ઘટના તેમના માટે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની ગઈ હતી. રેડ્ડી બંધુઓને તેમણે પુત્રો તરીકે ઓળખાવ્યા હતા અને બંને પુત્રોને માથે હાથ મૂકીને આશીર્વાદ આપતી તસવીરે આજીવન કાળા ઓળા તરીકે પીછો કર્યો હતો.
સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીના વિરોધમાં જે આત્યંતિક વિધાન કર્યું હતું એ માટે તેમણે ક્યારે ય માફી માગી નહોતી કે ભૂલ સ્વીકારી નહોતી; પણ ભૂલ સુધારી તો લીધી જ હતી. તેમનો એ પછીનાં વર્ષોમાં સોનિયા ગાંધી સાથે એટલો હૂંફાળો સંબંધ બંધાયો હતો કે જાણે બે સખીઓ હોય!
રાજકારણીઓ શાસક અને મનુષ્ય બન્ને હોય છે. જે સારા શાસક હોય અને સારા મનુષ્ય હોય તેને ઇતિહાસ યાદ રાખે છે. સુષ્મા સ્વરાજ આવાં હતાં.
08 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2019