નીરવે ફેસબુક પર 19 ડિસેમ્બર 2018થી 28 ફેબ્રુઆરી 2019 દરમિયાન જે 68 નીડર કવિતાઓ લખી જે તેમાં વાચકો ખંધા રાજકારણીઓ અને ખૂંખાર રાજરમતોને જોઈ શકે છે
કાળઝાળ કવિતાઓ કરનારા નીરવ પટેલ આખરે ગયા, કૅન્સરની સામે લડ્યા પણ કેવી રીતે ? – પ્રગતિશીલ પ્રતિબદ્ધ સર્જક તરીકે ઉદ્દામ કવિતાઓ રચીને ફેસબુક પર મૂકતાં અને ચર્ચા કરતાં, પ્રિયજનોને હળતાં-મળતાં-ફોટા પડાવતાં તે ગયા. આખરી માનવંદના ચોથી તારીખે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સન્માન રૂપે સ્વીકારી. અલબત્ત, તેઓ દેશના અગ્રણી દલિત કવિ તરીકે નામના મેળવી ચૂક્યા જ હતા. અંગ્રેજી કવિતાઓના તેમના બે સંગ્રહો છે : ‘બર્નિન્ગ ફ્રૉમ બોથ ધ એન્ડસ’ અને ‘વૉટ ડિડ આઇ ડુ ટુ બી સો બ્લૅક ઍન્ડ બ્લ્યુ’. તેમની ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ થયા છે, તેમની મુલાકાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અમદાવાદ, હૈદરાબાદ, જયપુર અને ટૉરેન્ટોના લિટરરિ ફેસ્ટિવલ્સમાં તે નિમંત્રિત સર્જક હતા. બહુ મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અને એકંદર સર્જન માટે ગુજરાત સરકારનું કબીર સન્માન અને ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું સન્માન મળ્યું હતું.
નીરવ અમદાવાદ પાસેના ભુવાલડી ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાએ આપબળે ચર્મકારથી જમીનદાર સુધીની પ્રગતિ સાધી હતી. પણ આખા કુળમાં પહેલા શિક્ષિત એવા નીરવે અંગ્રેજીમાં એમ.એ. અને દલિત સાહિત્ય પર પીએચ. ડી. પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ અમદાવાદની મિલકામદારો અને શ્રમજીવીઓની ચાલીઓમાં 1960થી ‘80ના સમયના ધબકતા રાજકીય અને સામાજિક માહોલે નીરવના દલિત સાહિત્યકાર તરીકેના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ભાષા, સર્જકતા અને વાચનથી સજ્જતા પ્રાપ્ત કરીને દલિત ચેતનાની કવિતા રચતા જતા હતા. દલિત પૅંથર ચળવળ, મિલ કામદારોનાં સંગઠન, ગુજરાતમાં જેતલપુર તેમ જ ગોલાણામાં દલિતોનાં થયેલાં હત્યાકાંડો અને અનામત આંદોલનો જેવાં અનેક પરિબળોનો ઘેરો પ્રભાવ નીરવના સર્જન-ચિંતન પર છે. દલિત સાહિત્યના પહેલા સામયિક ‘આક્રોશ’થી લઈને કેટલાંક સામયિકો અને સંચયોનાં સંપાદન નીરવે કરેલાં છે. સંપાદન હોય કે સર્જન, નીરવ મૂળભૂત રીતે સામાજિક વેદના અને વિદ્રોહના કવિ છે. સંસ્થાગત ધર્મવ્યવસ્થાએ ઊભી કરેલી અસમાનતાને કારણે વંચિતોની હિંસાપૂર્વક કરેલી અવદશા જોઈને કવિ અત્યંત વ્યથિત થાય છે. એ વ્યવસ્થા તોડી પાડીને સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા આધારિત સુંદર દુનિયાના સ્વપ્ન તે જુએ છે.
કવિનું આ માનસ જિંદગીના આખરી તબક્કા સુધી ટકી રહ્યું છે. તેમણે 19 ડિસેમ્બર 2018થી 28 ફેબ્રુઆરી 2019 દરમિયાન લખેલી 68 કવિતાઓ ફેસબુક પર છે. આ કવિતાઓમાં દેશમાં પ્રવર્તી રહેલી એકંદર અસમાનતા અને સાંપ્રદાયિકતાની વાત તો છે જ, પણ હમણાંની સ્પેસિફિક ઘટનાઓ તેમને અત્યંત અસ્વસ્થ કરે છે. પુલવામા પછી તે પૂછે છે :
આ શહીદોના માનમાં યોજાયેલ
કૅન્ડલ માર્ચ હતી
કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો?
‘આદિવાસી’ કવિતામાં તે લખે છે :
ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે
20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા
એમની જંગલઝૂંપડીઓમાંથી.
ગાંધી પુણ્યતિથિએ હિન્દુત્વવાદી જૂથોએ ગાંધીજીની હત્યાની ઘટનાને રિ-એનેક્ટ કરી તે અંગેના સમાચાર આંબેડકરના અભ્યાસી કવિને અસ્વસ્થ કરે છે :
ગાંધીજીએ આ દેશને સ્વતંત્ર કર્યો :
હવે સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર છે
કંઈ પણ કરવા માટે.
ગાંધીનો વધ કરો,
ગોડસેની પૂજા કરો.
‘વાઇબ્રન્ટ ગ્લોબલ ઇવેન્ટ’ને એક મદારીના નજરબંધીના ત્રણ દિવસના ખેલ તરીકે બતાવતી કવિતા અહીં છે. ઉત્તરાયણને દિવસે લખાયેલી કવિતા છે : ‘2019નું ઇલેક્શન’. તેમાં ‘લોકશાહીના ઉત્સવ’ની સામે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે’ એવી સંભાવનાનો અલબત્ત વક્રોક્તિપૂર્ણ ઉલ્લેખ છે. ‘ચાણક્ય’ના મુખમાં આ ચૂંટણી અને પાનીપતની સરખામણી છે. જનતા માટે બેફિકર રહી સત્તા અને સંપત્તિ માણતા નેતા એક વખત રિન્ગમાસ્ટર તરીકે અને એક કરતા વધુ વખત રાજા નીરો તરીકે આવે છે. વળી રાજકારણી એક વખત મતપેટીમાંથી નીકળતા, તો બીજી વખત ‘પ્રાણીઓની નહીં, પાર્લામેન્ટની ભાષા’ બોલતા જાનવર તરીકે આવે છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કવિતામાં હિંસાચાર, બળાત્કાર અને આત્મહત્યાની વાસ્તવિકતાની સામે કવિ જી.ડી.પી., માથાદીઠ આવક, વિશ્વગુરુની પરિભાષા મૂકે છે. ઝનૂની રાષ્ટ્રવાદના સંદર્ભો સાથેના કાવ્યોમાં સહુથી સીધું છે તે ‘વન ડે માત્રમ’. અન્યત્ર પણ માર્મિક શબ્દરમત છે :
વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના ભેંકડા તાંણીએ?
આ સર્જક પાસેથી ‘ધર્મઆભડેલ જનાવર’, ‘રાજધાર્મિક ક્રિયા’ કે ‘દલિતનારાયણીઓ’ જેવા શબ્દપ્રયોગો પણ મળે છે.
ધર્મસંસ્થા કે પરંપરાઓને પડકારવાની, મૂર્તિભંજક રીતે મૂકવાની દલિત સહિત્યની લાક્ષણિકતા ધરાવતી કવિતાઓ ઘણી છે. ‘હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો’ એવી કવિની અપીલ છે. પુલવામા વિશેના ‘કલિંગબોધ’ કાવ્યમાં
ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે.
‘વગડાની જેમ દેશમા પણ વસંત ખીલે’ તે માટે બત્રીસ લક્ષણાનો ભોગ લેવાને લગતો ઉલ્લેખ નીરવ જેવા કવિ જીવનના અંતિમ તબક્કે ન કરે તો જ નવાઈ. ‘બ્રાહ્મણ’ એવા જ નામની કવિતા એ તર્ક આપે છે પ્રબુદ્ધ હોવામાં કે બુદ્ધુ હોવામાં બ્રાહ્મણ અને અન્ય જ્ઞાતિમાં કોઈ ફેર હોતો નથી. ‘હિન્દુ’ નામની કવિતાની છેલ્લી પંક્તિઓ છે :
હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે : 'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ’ અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.’ ધર્મ એ માત્ર એક વિભાવના જ છે એ વાતનું નિરૂપણ કરતી રચનાને અંતે કવિ લખે છે :
કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.
દેશની એકંદર હાલત ‘દશામા’ કવિતામાં છે : ‘દેશ માથે દશામા બેઠાં છે’ એમ કહીને તે એક વાર વસંતનું વર્ણન કરે છે, અને પછી કહે છે :
દેશમાં ગંગા ગંધાય છે,
પ્રદેશમાં સાબરમતીને લોકો ગટરગંગા કહે છે,
નર્મદાનાં નીર નર્યાં કાદવિયાં થયાં છે.
‘ગાવડી’ નામની વલોવી નાખતી રચના ગાયને ખૂબ હેતથી ઉછેરતા મુસ્લિમ પરિવારના લિન્ચિન્ગ પર છે. ‘માયાનગરી’ અને ‘રિવરફ્રન્ટ’ વિકાસના ફુગ્ગાને ટાંકણી મારે છે. જો કે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે ‘રિપ વાન વિન્કલ’ કવિતા. અમદાવાદના ત્રણ બગીચાઓ પરનાં મનોહર કાવ્યો છે. બજેટ, સ્વચ્છતા અભિયાન, ગોલાણાના શહીદો, રેશનાલિઝમ, પુસ્તકો જેવાં અનેક વિષયો પરની કવિતાઓ મળે છે. સમાજમાં સબૉલ્ટર્ન હોવા પર અને કે કવિતામાં મિથકના હોવા પર પણ નીરવ લખે છે. નીરવની કવિતામાં વિધાનો, વાગ્મિતા અને અલબત્ત, અનેક કાવ્યપ્રયુક્તિઓ છે. કવિતા અને કવિકર્મ પણ વિષયો તરીકે આવે છે. ‘કવિતા દલિતોની મુક્તિદાત્રી છે’, સરસ્વતી દલિત કવિની કમ્પૅનિયન છે. આજુબાજુના હિંસક, ભેદભાવી જગતથી સાબદા રહેવા દરરોજ એક તાજી કવિતા જરૂરી છે. નીરવને મતે ઉત્તમ કવિ ‘કર્મશીલ-કમ- કવિ છે’.
નીરવે મૃત્યુને ‘માયા’ ગણીને કવિતા કરે છે. ‘દુનિયા’ કવિતામાં તે લખે છે : ‘મને ભોગિયાને તો બિલકુલ નથી ગમતું આ દુનિયા છોડી જવાનું.’ એક કવિતા છે ‘શાંગ્રિલા’ :
તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.
એમનું શાંગ્રિલા એટલે એક નોખો દેશ.
એ દેશમાં સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી.
કવિ ત્યાં પહોંચી ગયા, ગઈ કાલે સવારે , ‘વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને’ .
+++++++
16 મે 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 17 મે 2019