Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદારોને કાકામાંથી ભત્રીજા બનાવતી આ 2019ની ચૂંટણી !

મનીષી જાની|Opinion - Opinion|24 April 2019

આપણા ગુજરાતમાં મતદાન પૂરું થયું, પણ દેશમાં હજી ચૂંટણીનો માહોલ છાપાં, ટીવી, પાટિયાં, સભા, નિવેદનો અને સોશ્યલ મીડિયામાં ચાલુ છે.

લોકો બધું ચૂપચાપ જોયાં કરે છે. ક્યાંક એમને ખોંખારો ખાઈને મોટાપાયે બોલવાની કોઈ તક મળતી હોય એવું ક્યાં ય જણાતું નથી. શું આપણે આને હતાશાથી ખીચોખીચ ચૂપકીદી ગણીશું ?

કારણ કે ચૂંટણીમાં રચ્યાપચ્યા રહેલા નેતાઓને તો બેફામ ને દાદાગીરીથી બોલતા આપણે છેલ્લા એક મહિનાથી જોઈ જ રહ્યા છીએ.

આપણા ગુજરાતમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાનમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાએ આદિવાસી વિસ્તારની એક ચૂંટણી પ્રચાર સભામાં જે રીતે વાત મૂકી એ આ દેશના સૌ કોઈને ચિંતા ઉપજાવનાર બનવી જ જોઈએ.

ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લીમાં કેમેરા લઈને બધું જોતા બેઠા છે. તેમની નજર બધાં પર છે. તમારા ગામની અંદર બુથ માં કોને કેટલા મત પડ્યા તે બધું કેમેરાથી જૂએ છે … એટલે જે મત નહીં આપે તેને ઝૂંપડું બાંધવા પૈસા નહીં મળે ..!'

આ ધારાસભ્ય સામે ચૂંટણી આચારસંહિતા હેઠળ ચૂંટણી કમિશને શું પગલાં લીધાં એ હજી જાણવા નથી મળ્યું. પરંતું આ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યની ભાષા ધમકીની છે, લાલચની છે, છેતરપિંડીની છે અને સૌથી વધારે તો મતદારોને બેવકૂફ માનવાની અને તેમની બુદ્ધિશક્તિના અપમાનરૂપ છે એવું શું ન કહી શકાય ?

ધારાસભ્ય કટારાની આ વાત કોઈને રમૂજભરી જરૂર લાગે પણ સવાલ તો ગંભીર ઊભા કરે છે કે અત્યાર સુધીમાં દેશમાં આ 17મી લોકસભાની ચૂંટણી છે. આઝાદીને સાત દાયકા થયા અને તે પછી પણ આદિવાસીઓને માત્ર મજૂર બનાવી દઈ, નાદાન-ભોળા-મૂરખ સમજી અને સમજાવીને ચાલવું એ કેટલું ન્યાયપૂર્ણ ? આદિવાસીઓનાં મનુષ્ય જીવનને લગીરે બહેતર બનાવવાના પ્રયત્ન નહીં કરવા અને ફક્ત યોજનાઓ, ઝૂંપડાંઓ બનાવી આપવાની લાલચ આપી; જૂઠ-ધમકીના સહારે દિલ્હીમાં બેઠેલા કોઈ રાજા પોતાના ખિસ્સામાંથી આદિવાસીઓને કેમેરાના સહારે કંઈક ખેરાત આપીને ઉપકાર કરી રહ્યા છે, એવી વાત ફેલાવવી એ કેટલી વાજબી કહેવી ? અને બધાં લોકો એ માની લેશે તેવી ખાતરી હોવી એ આખા દેશના વિકાસના મુદ્દાને ભાંગીને ભૂક્કો કરી નાખતું કલંક કહેવાય કે નહીં ?

અને આઝાદી પૂર્વેથી દેશનાં રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવી રહેલા પરિવારની સભ્ય, વંશવાદની માનસિકતાના ટેકે રાજકારણમાં સ્થાન મેળવનાર, ભા.જ.પ.નાં નેતા, કેન્દ્રીય સરકારમાં પ્રધાન એવાં મેનકા ગાંધીનાં ચૂંટણી સભાનાં વિધાનો ચોંકાવનારા રહ્યા છે. તેમણે ચૂંટણી પ્રચારમાં કહ્યું કે 'મુસલમાનો અમને મત આપજો નહીંતર તમારો વિકાસ નહીં થાય !'

આ વિધાનો અંગે ભારે વિવાદ-ફરિયાદ બધું થયા બાદ પણ ફરીથી પોતાની આ આડકતરી ધમકીને વીગતવાર કહેતાં મેનકાજી બીજી એક ચૂંટણી પ્રચાર સભામાં કહે છે કે 'જે ગામોમાંથી જેવા મત મળે એ પ્રમાણે તેમનાં કામ કરું છું. મેં ચાર કેટેગરીમાં ગામોને વહેંચ્યાં છે. ‘એ' કેટેગરીમાં એવાં ગામ આવે છે જ્યાં બી.જે.પી.ને 80% મત મળશે. જ્યાં બી.જે.પી.ને 60% મત મળશે તે 'બી' કેટેગરી, જ્યાં 40% વોટ મળશે તે 'સી' કેટેગરી અને જ્યાં 30% કરતાં પણ ઓછા બી.જે.પી.ને વોટ મળશે તેને 'ડી' કેટેગરીમાં રાખવામાં આવશે. સૌથી પહેલાં 'એ' કેટેગરીવાળાં ગામોનાં કામ થશે પછી 'બી', ત્યાર બાદ જે કંઈ વધશે તેમાં 'સી' અને છેવટે 'ડી' કેટેગરીનાં ગામો !'

દેશ આખાના નાણાં-ધન અને સુવિધાઓને મહેનતના સહારે અને તેમાં ય સામાન્ય લોકોનાં કામ, ગામડાંનાં લોકોનાં કામ તે આપણા સાંસદો કરે છે, તે મુદ્દો તો ચર્ચાનો વિષય છે જ ! પરંતું તે વાતને બાજુએ મૂકીને વિચારીએ તો આપણાં નેતાઓ ખૂદ લોકોને ધમકીયુક્ત લાલચો આપે છે તે કેવી વરવી વાસ્તવિકતા છે ? લોકોને નિ:સહાય -મજબૂર સમજનારા આ નેતાઓ સામાન્ય જનતા વિશે કેવી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવે છે, એ સૌ જાગૃત નાગરિકોએ વિચારવા જેવો પ્રશ્ન બની રહે છે.

મથુરામાંથી ચૂંટાયેલાં અને અત્યારે ફરીથી ચૂંટણી લડી રહેલાં ફિલ્મ સ્ટાર હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે 'તમારા લોકસભા ક્ષેત્રનાં તમે કયાં કયાં કામ કર્યાં ?' તો જવાબમાં તેમણે કહ્યું કે 'બહુ કર્યાં, એ બધાં કંઈ યાદ નથી !'

અને આ જ સાંસદનો વીડિયો થોડા સમય પૂર્વે ખૂબ વાઇરલ થયેલો કે જેમાં હેલીપૅડ પર લેવા ગયેલા સ્થાનિક કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું અને જે ગાડીમાં તેમને લઈ જવાનાં હતાં ત્યાં તેમને દોર્યા ત્યારે તેમણે ઉદ્દંડ થઈ ને કહ્યું કે આવી નાની ગાડી મને નહીં ચાલે … મોટી લાવો .. અને પૂછ્યું કે કેટલા કિલોમીટર દૂર કાર્યક્રમ છે ?'

નાની-મોટી ગાડીના મોભામાં જીવનાર અને પોતાનાં કામ વિશે પાંચ મિનિટ વાત નહીં કરી શકનાર આ સાંસદ હેમાજીએ આ વખતે પોતાની ઈમેજ સુધારવા ખેતરોમાં જઈ પોઝ આપીને ગ્રામીણ મહિલાની જેમ માથે ભારા ઊંચકીને ,ધાન વાઢતા ને બળદગાડું-ટ્રેકટરમાં બેસીને ફિલ્મી સ્ટાઈલથી ફોટા પડાવી તેને મીડિયામાં વહેતાં કર્યાં.

આવું બધું જોઈ વિચાર તો થાય જ કે જાણે આ બધાં ચૂંટણી લડતાં ખેલાડીઓ મતદારોને બહુ ભોળા અને નાદાન સમજે છે અને પોતાના વિશેની એક ફિલ્મસ્ટાર તરીકેની જે મોટી ઇમેજ ઊભી કરી છે તેનાથી તેઓ ખુદ જ મંત્રમુગ્ધ છે એવું જણાયા વગર રહેતું નથી.

ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને આ વખતે ફરીથી ટિકિટ નહીં આપીને તેમનું માનભંગ થયું એ હકીકત, પણ તે વાતને લઈને મુરલી મનોહર જોશીએ જાણે કે હવે ભા.જ.પ. હારશે એવો અંદાજ કાઢતો એક પત્ર અડવાણીને લખ્યો હોય એવું જુઠ્ઠાણું નકલી પત્ર સોશ્યલ મીડિયામાં વહેતો કરાયો … મુરલી મનોહરે ખુદ આ અંગે ખુલાસો કર્યો અને ચૂંટણી કમિશન પાસે જુઠ્ઠો પત્ર લખનારને પકડી પાડવા વિનંતી કરી પણ હજી સુધી કોઈની ધરપકડ કે ખુલાસો ચૂંટણી કમિશન કરી શક્યું નથી તે નિષ્ફળતાને આપણે કેમ તે મૂલવીશુ ?

વળી ચૂંટણી કમિશનના મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં જે મુદ્દાઓને ખાસ ભારપૂર્વક ચૂંટણીના પ્રચારમાં નહીં સંડોવવાનું લખવામાં આવ્યું છે, જેના પર પ્રતિબંધ છે તેમાં સૈન્યનાં કામોનો સમાવેશ થાય છે.

પણ આપણા દેશના વડાપ્રધાન જેઓ એવું માનતા જણાય છે કે તેમને ભારે બહુમતીથી આ દેશનાં લોકોએ ચૂંટીને મોકલ્યા છે, એટલે આ દેશનાં તમામ તંત્રો તેમના તાબામાં રહીને જ કામ કરવા જોઈએ.

કેટલાક તંત્રો આપણી લોકશાહી રાજ્યવ્યવસ્થામાં એવાં રખાયાં છે કે જેના પર ચૂંટાયેલી સરકાર કે તેનાં આગેવાનોનું સીધું નિયંત્રણ ન રહે અને સ્વતંત્ર રીતે લોકહિતમાં કામગીરી બજાવી શકે.

પણ આપણા દેશના આ વડાપ્રધાને આવાં તમામ સ્વાયત્ત તંત્રોને યેનકેન પ્રકારે પોતાના તાબામાં, નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે અને તે સંદર્ભે જોઈએ તો આદર્શ આચારસંહિતાના આ મુખ્ય મુદ્દાને જ બાજુમાં મૂકી, તેનો ભંગ કરી વડાપ્રધાને ખુદ એક ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું કે 'પહેલીવાર મત આપનારાં મારા યુવાનો યાદ રાખજો, તમે જ્યારે મત આપવા જાવ ત્યારે પુલવામાના શહીદોને યાદ કરીને બટન દબાવજો ..!'

અને દેશના આ વડાપ્રધાને હદ તો ત્યારે કરી કે જ્યારે તેમણે ગુજરાતમાં એક સભામાં કહ્યું કે 'જો તમે બીજું કોઈ બટન દબાવ્યું તો તમારું ધનોતપનોત નીકળી જશે ..!'

આવાં વિધાનો લોકોને ભયગ્રસ્ત રાખવા માટેનાં, ડરાવવા-ધમકાવવા માટેનાં જ માનવા રહ્યા ને ?

ઘણી જગ્યાએ, ઘણા નેતાઓએ આ દેશની લઘુમતી કોમોને સીધી કે આડકતરી રીતે મત નહીં આપો તો તમારાં કામ નહીં થાય એવી ધમકીઓ તો અપાતી રહી, તો સાક્ષી મહારાજ જેવા ભગવાધારી સાંસદે તો જેઓ તેમને મત નહીં આપે તેમને શ્રાપ આપવાની જ સીધી ધાર્મિક ધમકી આપી !

ધમકી અને તે પણ પુરાણપંથી ધમકી ! અને આવી જ ધાર્મિક શ્રાપ આપવાની વાત સાધ્વી પ્રજ્ઞાએ કરી જેઓ પર 100 નિર્દોષ લોકોનો જીવ ગયો એવા આતંકવાદી હુમલાના કેસમાં ઘણા આરોપીઓમાંના એક તરીકે આરોપો છે. આતંકવાદી હુમલામાં તેમની માલિકીનું સ્કૂટર વપરાયું હતું તેવો પૂરાવો કોર્ટમાં સાબિતી તરીકે મૂકાયેલો છે. આ સાધ્વી પ્રજ્ઞા જેલમાં હતાં અને તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તેવા હેલ્થ ગ્રાઉન્ડ પર તેમને કોર્ટે જામીન પર છોડેલાં છે.

આ સાધ્વી પ્રજ્ઞાની સામે બી.જે.પી.ની સરકારની પોલીસે જ તેમને આ આતંકવાદી ષડયંત્રના ભાગીદાર તરીકે પકડ્યાં હતાં અને જેઓ મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદી હુમલાઓ થયા ત્યારે આતંકવાદીઓ સામે જ લડતાં લડતાં શહીદ થયા તે જાંબાઝ પોલીસ ઓફિસર હેમંત કરકરે જ આ સાધ્વી પ્રજ્ઞાની વિગતે તપાસ કરી તેમને જેલમાં નાંખ્યાં હતાં.

આવાં હેલ્થ ગ્રાઉન્ડ પર છૂટેલાં સાધ્વી પ્રજ્ઞાને ભા.જ.પે. ભોપાલ સંસદીય ક્ષેત્રની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારી દીધાં અને સાધ્વી એ ખૂદ ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું કે 'મને ખોટી રીતે પકડનાર હેમંત કરકરેને મોઢામોઢ મેં કહ્યું હતું કે મારો તને શ્રાપ છે … અને ખરેખર મારા શ્રાપને કારણે જ તેમનું મોત થયું ..!'

પાકિસ્તાની આતંકવાદીની બંદૂકથી વીંધાઈ ગયેલા પોલીસ ઓફિસર વિશે આવી વાત કરનારાં સામે દેશભક્તિ અને રાષ્ટ્રવાદની વાત કરનારા અને શહીદોનાં નામે જ વોટ માંગનારા; સાધ્વી પ્રજ્ઞાનાં આ શ્રાપ વિશે મૌન રહે, અને તેનું અંગત મંતવ્ય છે એમ કરી છાવરે તે કેવી દંભભરી હાસ્યાસ્પદ વાત કહેવાય ?

પાંચ વર્ષમાં ક્યાં કામ કર્યાં તે મુદ્દાઓ ટાળી, ચૂંટણી પંચને મૂંગું રમકડું બનાવી દઈ અને મતદારોને દંભ, જુઠ્ઠાણાં ને ધનોતપનોત નીકળી જશે તેવી ધાકધમકી ને ગાળાગાળીથી મત મેળવવાનાં ફાંફાં મારવા અને મતદારોને તુચ્છ ગણવાની માનસિકતા દાખવવી એવું પહેલીવાર આ ચૂંટણીમાં ઉલ્લેખનીય રીતે જોવા મળી રહ્યું છે. જેનાં વિશે જાગૃત થઈ નવેસરથી ચૂંટણીઓ વિશે ચર્ચા વિચારણા કરવા સિવાય નાગરિકો પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો દેખાતો નથી.

સૌજન્ય : ‘ચિંતા” નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 24 એપ્રિલ 2019

Loading

24 April 2019 admin
← પુસ્તકો કેમ વ્યક્તિને અને સમાજને બદલી શકતાં નથી …
એ ય હુતૂતૂતૂતૂતૂતૂતૂ જામી રમતની ઋતુ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved