Opinion Magazine
Number of visits: 9450311
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયાઃ માનવ સમાજને સમાંતર વિશ્વ જ્યાં રાજકારણ ‘અંગત’ યુદ્ધ છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 March 2019

૨૦૧૭-૨૦૧૮માં સોશ્યલ મીડિયા પોસ્ટ કે ફોરવર્ડને કારણે ધરપકડ થઇ હોવાનાં ઓછામાં ઓછા ૫૦ કિસ્સા બન્યાં છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશનાં રાજકારણની સ્થિતિ સંગીન બની છે અને તેનું કારણ છે કે પહેલાં પાનને ગલ્લે સિમિત રહેતી ચર્ચા હવે વૉટ્સએપ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પણ થવા માંડી છે. કાં તો લોકો વિરોધી હોય કાં તો તરફેણમાં હોય પણ જે રીતે તેઓ ચર્ચા કરતાં કરતાં લાગણીનાં જોર અથવા તો બોજનો ભોગ બની જાય છે તેને કારણે રાજકારણ છે એનાં કરતાં વધારે પેચીદું અને ‘ભયંકર’ લાગવા માંડે છે. આપણે ત્યાં મુખ્ય બે પ્રકારનાં લોકો જોવા મળે છે જે કાં તો બિંધાસ્ત વગર વિચારે પોતાનાં અથવા તો પોતે જેને ટેકો આપે છે તે પક્ષનાં વિચારોને ‘દે ધનાધન’ દીધે રાખે છે અને એટલા ખુન્નસથી પોતાની વાતને વળગે છે જાણે તેમની સાથે સંમત નહીં થનારા તમામને એમનું ચાલે તો ગોળીએ દઇ દે. ગોળીએ નથી દઇ શકતા એટલે તેઓ કાં તો ગ્રૂપમાંથી એક્ઝિટ થઇ જાય છે અથવા તો સોશ્યલ મીડિયા પર ‘અનફ્રેન્ડ’ થઇને દોસ્તી-યારીને ખતમ કરી દે છે. જેમને આ કાદવ-ઉછાળ પ્રવૃત્તિ ગમે છે એ લોકો સામસામે દલીલબાજી કરવાનું ચાલું રાખે છે, પછી ભલેને એમને એક ‘કોરમ’ થવા જેટલું ઑડિયન્સ પણ ન મળતું હોય.

હવે આ તો એક પ્રકારનાં લોકોની વાત થઇ, બીજાં પ્રકારનાં લોકો એવા છે જે સોશ્યલ મીડિયા કે ચેટ ગ્રુપ્સમાં ચાલતા મેસેજીઝ, શેર્સ, પોસ્ટ્સ અને ફોરવર્ડ્ઝને જોયા કરે છે ખરાં પણ તેમાં પ્રવૃત્ત ભાગ લેવાનું ટાળે છે. તેમનો પોતાનો મત સ્પષ્ટ હોય છે અને તેઓ બીજાને પોતાનો મત ગળે ઉતારવાની જહેમત કરવામાં નથી માનતા. આ બંન્ને મુખ્ય પ્રકારો વચ્ચે એક વધારાનો પ્રકાર છે જે નિરપેક્ષતા અને નિસ્પૃહતાથી પોતાને જે ગમતું હોય એ શેર કરે છે – શેર કરે એટલે કે એ લખાણ તેમનું પોતાનું નથી હોતું પણ પોતે જે વિચારો સાથે મેળ ખાય છે તેને બંધ બેસતું હોય છે. આવા લોકોને ટિપ્પણી કરવામાં કે પોતાના વિચારો થોપવામાં રસ નથી હોતો પણ પોતાની વાત રમૂજથી કે ગંભીરતાથી રજૂ કરી શકાતી હોય તેવી તમામ બાબતોને તેઓ બહુ સ્પષ્ટતાથી ‘શેર’ કરે છે જે તેમણે પોતે નથી લખી.

રાજકીય પક્ષો માટે સોશ્યલ મીડિયા કેટલો મોટો ફોર્સ બની ચુક્યો છે તેની વાત આપણે ગયા અઠવાડિયે કરી પણ મતદારો માટે રાજકારણની વાત આવે ત્યારે સોશ્યલ મીડિયા શું મહત્ત્વ રાખે છે તેની પણ ચર્ચા કરવી અનિવાર્ય છે.

તાજેતરમાં જ આવેલા એક સમાચાર અનુસાર અંગ્રેજી બોલી શકતા ૫૫ ટકા ભારતીયો પોતાનો રાજકીય મત ઑનલાઇન પોસ્ટ કરવામાં નથી માનતા. થોડાં વર્ષો પહેલાં જ્યારે બાળ ઠાકરેનું નિધન થયું અને બે છોકરીઓએ તેમના મૃત્યુ નિમિત્તે મહારાષ્ટ્ર બંધ હોવાની વાસ્તવિકતાની ટીકા કરી ત્યારે તેમની ધરપકડ થઇ હતી. આ તો એક ઘટના છે પણ એ પછી એક કરતાં વધારે વાર એવું પણ બન્યું કે શાસક પક્ષની ટીકા કરતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી પોસ્ટ કરનારાઓની ધરપકડ કે અટક કરાઇ. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૨૦૧૮ની વચ્ચે સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે લગભગ ૫૦ લોકોની ધરપકડ કરાઇ છે. આવા પ્રકારની ધરપકડમાંથી કોઇ બાકાત નહોતું તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, રિક્સાવાળા, એક્ટિવિસ્ટ્સ વગેરે તમામનો તેમાં સમાવેશ થતો હતો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષથી બળુકો બન્યો છે અને માટે જ મતદારો તેનો ઉપયોગ પોતાનું બળ વાપરવા ન કરે તેની તકેદારી પણ જાણે રખાતી હોય એવું લાગે છે. પરંતુ આમાં કોઇ એક પક્ષની વાત નથી કારણ કે ઑનલાઇન પોતાની વાત મુકનારાઓ કોઇ એક જ પક્ષનાં હોય એ જરૂરી નથી. બન્ને મુખ્ય રાજકીય પક્ષોનાં આઇ.ટી. સેલ જેટલાં પહેલાં ક્યારે ય નહોતાં એટલાં હવે એક્ટિવ અને એલર્ટ છે. કદાચ આ કારણે જ રોઇટર્સમાં આવેલા એક રિપોર્ટ અનુસાર અંગ્રેજી બોલનારા સમૂહનો સરવે કરતાં જાણવા મળ્યું કે સત્તાધીશોની આંખે ન ચઢે એ માટે તેઓ પોતાના રાજકીય અભિપ્રાયને ઑનલાઇન પ્લેટફૉર્મ પર વ્યક્ત નથી કરતા.

આમ પણ ઑનલાઇ પ્લેટફૉર્મ પર રાજકીય વિવાદ છેડવો એ સુરંગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી સ્થિતિ હોય છે. એક સંશોધન અનુસાર ઑનલાઇન એવા જ લોકો રાજકીય વિવાદનો મધપૂડો છંછેડે છે જેમને ખરેખર તો બીજા શું વિચારે છે તેની પરવા સુદ્ધાં નથી હોતી. તેમને ટ્રોલિંગની પણ પરવા નથી હોતી અને સોશ્યલ મીડિયાનાં ‘સમાજ’માં તેમને વિષે લોકો ‘જજમેન્ટ’ કે પૂર્વગ્રહ બાંધી લેશે એનાથી પણ તેમને કોઇ ફેર પડતો નથી. હવે આ પરિસ્થિતિનું એક ભયસ્થાન એ છે કે એવાં લોકો પણ હોય છે જેમને ‘રિજેક્શન’નો ડર હોય છે. પોતે રિજેક્ટ ન થઇ જાય એટલે જેની હોહા વધારે છે તેની સાથે જોડાઇ જવુંની ગાડરિયા પ્રવાહની વૃત્તિ તેમને વધારે માફક આવે છે. આમ થાય તો અંતિમવાદી જૂથોનું કદ વધી જાય પછી ભલેને હોબાળો કરનારાંની સંખ્યા બહુ મોટી ન હોય. પરિણામ એવું પણ આવે કે આના પગલે રાજકીય ધ્રુવીકરણ વધી જાય.

વધારેને વધારે ભારતીયો હવે ઑનલાઇન છે. ગ્રામીણ મત કોઇપણ ચૂંટણી માટે સૌથી અગત્યનાં હોય છે ત્યારે સ્માર્ટફોન ધારક ગામડાંનો હોય અને શહેરનો હોય ત્યારે પણ ઘણાં સમીકરણો બદલાઇ જાય છે. શહેરનો સ્માર્ટ ફોન ધારક વિવેકબુદ્ધિ વાપરવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. તે પ્રો અને એન્ટી બંને પ્રકારની માહિતી મેળવે ત્યારે તેને ‘ફેક્ટ ચેક’ કરવાની સૂઝ હોય છે. ગામડાંનાં માણસ માટે હાથમાં સ્માર્ટફોન હોવાનું એક્સાઇટમેન્ટ જ એટલું બધું હોય છે કે તેને ‘હાઉ ઇઝ ધી જોશ?’વાળી વાતમાં જોશ જ દેખાય છે અને ફોરવર્ડ્ઝ કે પોસ્ટ શેર કરતી વખતે તેને હોશનો ઉપયોગ કરવાની જરૂર નથી લાગતી. આ સ્થિતિમાં ફેક ન્યુઝનાં ફેલાવા સહિત ગરીબ-સામાન્ય માણસની ધરપકડ જેવા કિસ્સા સામાન્ય બની જાય છે. લાઇવ મિન્ટ વેબ પોર્ટલ પર એક રિપોર્ટમાં સાવ નિર્દોષતાથી કંઇક પોસ્ટ કે ફોરવર્ડ થઇ ગયું હોવાને કારણે જેમને રાજકારણ કે ભક્તિવાદ કે વિરોધાનાદ સાથે કંઇ જ લેવા દેવા ન હોવા છતાં જેલની હવા ખાવી પડી હોવાનાં વિગતવાર કિસ્સા નોંધાયા છે. આ બિચારા માણસો પોલીસનો ત્રાસ વેઠીને આવે પછી તેમની આસપાસનો સમાજ તેમનો બહિષ્કાર કરવા માંડે છે અને અને તેમને તો પોતાનો કહેવાતો ‘ગુનો’ પણ સમજાતો નથી. ગામડાંનો માણસ આ આખી ય વસ્તી એકલો પડે છે તો શહેરનો માણસ રાજકારણની ચર્ચામાં સંબંધ બગાડવામાં એક્સપર્ટ બન્યો છે. સાહેબની વાતનો વિરોધ થાય કે નહેરુને સવાલ કરાય તો ગ્રુપમાંથી નિકળી જવાનાં અથવા તો કુટુંબનાં સભ્યોને બ્લોક કરી દેવાનાં કિસ્સા તો આસપાસનાં વર્તુળમાંથી જ પૂરતાં મળી જાય એમ છે.

વળી ફેક ન્યુઝ અને ખોટી માહિતીને પગલે રાજરમત કરાતી હોવાનો પ્રશ્ન માત્ર ભારત પૂરતો સિમીત નથી કારણ કે વિદેશમાં પણ આ મુદ્દો સળગતો રહે છે. આ બધાંની વચ્ચે સોશ્યલ મીડિયા પર રાજકીય મનોરંજનનો અસ્ખલિત પ્રવાહ વહેતો હોય છે. કુનાલ કામરા, વરુણ ગ્રોવર જેવા સ્ટેન્ડઅપ કોમિક્સ હોય કે પછી આકાશ બેનર્જી અને ધ્રુવ રાઠી જેવાં ભારતીયો બહુ નક્કર હકીકતોને ઉત્તમ કટાક્ષ સાથે રજૂ કરે છે. તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાબિત થાય છે. જે લોકો તરફી કે વિરોધી કે પછી સત્ય હકીકત લોકો સુધી લાવવાનાં એક માત્ર હેતુને પાર પાડવા માગે છે તેઓ શાંતિથી પોતાનું કામ કરતાં રહે છે. એવાં કેટલાંક લોકો પણ છે જેમની પોસ્ટ્સને પગલે ફેસબુકે તેમનું એકાઉન્ટ બ્લૉક કરી દીધું હોય પણ પછી ફરી તેમને જીવતદાન મળે છે અને તેઓ પોતાની વાત કોઇપણ પ્રકારનાં સંકોચ વગર કહે છે.

વળી આપણે ત્યાં એવાં લોકો પણ છે જે બરખા દત્ત જેવાં જર્નાલિસ્ટને બેહૂદી તસવીરો મોકલે છે અને પછી ઝડપાય પણ છે.

વિદેશમાં પણ વિવાદાસ્પદ પોસ્ટને પગલે ધરપકડ થવાનાં કિસ્સા થયાં છે. જેમ કે નોર્થ લેન્કશાયરનાં માર્કસ મીચાને પોતાનો પાળેલો કૂતરો નાઝી સેલ્યુટ કરે છે એવા વીડિયો પોસ્ટ કર્યાં અને તેને જેલભેગો કરાયો. ૨૦૧૭માં બર્લિન પોલીસે હેટ પોસ્ટ, ધમકીઓ, રંગભેદ જેવી પોસ્ટને પગલે ૩૬ જણનાં ઘરે રેડ પાડી હતી. આ એવી ઘટના હતી જેમાં ધ્રુવિકરણને રોકવાનો પ્રયાસ હતો જે સરાહનીય છે. હવે આનાંથી વિપરીત કિસ્સા જોઇએ તો ૨૦૧૮ની સાલમાં ટર્કિશ સત્તાધીશોએ નોર્થેવેસ્ટ સિરિયન ડિસ્ટ્રીક્ટ અફ્રિનમાં કરેલી લશ્કરી પહેલની ટીકા કરનારા અને શાંતિની માંગ કરનારા લોકોની મોટી સંખ્યામાં ધરપકડ કરી હતી. જોર્ડનમાં પણ સોશ્યલ મીડિયા પર સરકારની ટીકા કરનારાઓની ધરપકડ થઇ હોવાના કિસ્સા પહેલાં બની ચુક્યાં છે. આ બધાંની વચ્ચે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ જેવા બે સશક્ત રાષ્ટ્રોની વાત કરીએ તો એ સ્પષ્ટ છે કે ત્યાં લોકો પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરતાં જરા ય પાછી પાની નથી કરતા.

સેલફોનનો સ્માર્ટ ઉપયોગ કરવાને મામલે ભારત કાં તો ક્યાંક કાચો પડે છે અથવા તો પછી વધુ પડતી સમજણનું દોઢ ડહાપણ બધું ડહોળી નાખનારું સાબિત થાય છે. રાજકીય બાબતોને મામલે પ્રજા વિવેકબુદ્ધિને પ્રાધાન્ય આપે તો પ્રધાનો વધુ પડતા લાભ કે વધુ પડતા ફટકા, બંન્નેમાંથી બચી જઇ શકે એ ચોક્કસ.

બાય ધ વેઃ

રાજકીય બાબતને લગતી પોસ્ટ કે ફોરવર્ડ્ઝને કારણે ધરપકડ થઇ હોવાના કિસ્સા એવા જ દેશોમાં છે ત્યાં સરકાર અંતિમવાદી માનસિકતા ધરાવે છે જે ઉપરનાં બનાવો પરથી પણ સમજી શકાય છે. આપણે ત્યાં લિન્ચીંગનાં વીડિયો વાઇરલ થાય છે તો કશું નથી થતું પણ ભૂલથી સરકારની ટીકા થાય તો જેલના સળિયા ગણવા પડે છે. વળી એમાં એવું નથી કે ખુદ સાહેબને તેનાથી ફેર પડે છે કારણ કે તેઓ આ બધાથી પર છે અને તે પોતાના આઇ.ટી. સેલને પ્રચાર-પ્રસાર માટે જ કામે લગાડે પણ નાની જગ્યાઓએ કાયદો-વ્યવસ્થા જાળવનારાઓ બની બેઠેલા ઠેકેદારો છે અને આમ તેઓ લોકોને રંજાડીને ‘દેશભક્તિ’નો ખોંખારો ખાઇને ખુશ રહે છે. બાકી દરેક પક્ષ પોતાના આઇ.ટી. સેલના ઉપયોગથી શું કરવા ધારે છે અને શું કરી શકે છે તેને માટે ગયા અઠવાડિયાની વાત વાગોળવી રહી અને વિગતે સમજવું હોય તો ફ્લેટ સ્ક્રીનની પેલે પાર જઇને મુદ્દાને ૩૬૦ ડિગ્રીમાં સમજવો પડે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019

Loading

31 March 2019 admin
← કાશ્મીરના બહાદુર કિશોર ઇરફાનને શૌર્ય ચક્ર અને સ્વીડનની પાણીદાર કિશોરી ગ્રેટાને નોબેલ નૉમિનેશન
હું બેચૅન છું
 →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved