૧૯૮૭માં સલમાન રશ્દીની નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’ હજી તો પ્રકાશિત થઈ ન થઈ અને જગતભરમાં મુસ્લિમ દેશોમાં વિવાદ જાગ્યો હતો.
ઈરાનના મૌલવી આયાતોલ્લા ખોમૈનીએ રશ્દી સામે મોતનો ફતવો બહાર પાડ્યો હતો અને એક પછી એક મુસ્લિમ દેશો પુસ્તક પર પ્રતિબંધ મૂકતા હતા. એ સમયે ભારતમાં રાજીવ ગાંધીની સરકાર હતી અને રાજીવ ગાંધીએ જાતે રસ લઈને ભારતમાં ‘ધ સેતાનિક વર્સિસ’ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજીવ ગાંધીની સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે એ પુસ્તકની નકલ હજી ભારતની બજારમાં આવી નહોતી અને એ કોઈએ એ પુસ્તક જોયું પણ નહોતું. સરકારે ત્યારે કારણ આપ્યું હતું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ન સર્જાય અને અશાંતિ પેદા ન થાય એ માટે આગોતરો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વાંચવાનું તો બાજુએ રહ્યું, જોયા પણ વિના પુસ્તક પર પ્રતિબંધ કઈ રીતે મૂકી શકાય? કૃતિને અને વ્યક્તિને જોયા પણ વિના અભિપ્રાય આપવાની આપણે ત્યાં લાંબી પરંપરા છે. ૨૦૦૯માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંત સિંહના ભારતના વિભાજન વિશેના પુસ્તક પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પુસ્તક હજી માર્કેટમાં આવ્યું નહોતું, નરેન્દ્ર મોદીએ કાગળની સુગંધ લીધી પણ નહોતી એ પહેલાં જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. કારણ એ હતું કે એ પુસ્તકમાં કૉન્ગ્રેસના બીજા નેતાઓ સાથે સરદાર પટેલને ભારતના વિભાજન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. એમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરસંઘચાલક એચ.વી. શેષાદ્રિએ પણ ભારતના વિભાજન માટે સરદારને દોષી ઠેરવનારું ‘ધ ટ્રેજિક સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ નામનું પુસ્તક લખ્યું છે અને એ ગુજરાતમાં ઠેર-ઠેર સંઘની ઑફિસોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઉપલબ્ધ છે. એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોની ભાવના ન દુભાય એ માટે આગોતરો પ્રતિબંધ મૂક્યો હતો.
હજી ત્રણ દિવસ પહેલાંના સમારંભમાં બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘અભિવ્યક્તિસ્વાતંત્ર્ય વિશે બેમત હોઈ જ ન શકે, કારણ કે ભારત એ લોકશાહી દેશ છે અને એ માટે ભારત ગર્વ અનુભવે છે. ભારતની આ ધરોહર છે અને એને કોઈ પણ ભોગે જાળવી રાખવામાં આવશે.’ કોની અભિવ્યક્તિ? તો કહે ભારતના અદના નાગરિકની અને કઈ રીતની અભિવ્યક્તિ ? તો કહે દરેક સ્વરૂપની? ઇન એની ફૉર્મ એમ વડા પ્રધાને કહ્યું છે અને અહીં હું તેમના પોતાના શબ્દો ટાંકું છું ઍની ફૉર્મ ઑફ એક્સપ્રેશન. તો પછી જસવંત સિંહને અભિવ્યક્તિનો અધિકાર નહોતો મળવો જોઈતો? અભિવ્યક્તિ પુસ્તકના રૂપમાં છે એટલે વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાનો? આ જ રાહે સંજય લીલા ભણસાલીના અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું શું? શા માટે ‘પદ્માવતી’ ફિલ્મના પ્રદર્શન માટે સરકાર મદદ નથી કરતી? વાચકોને યાદ હશે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘ન્યુડ’ અને ‘એસ. દુર્ગા’ નામની બે ફિલ્મોને ગોવા વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાંથી હટાવી દીધી છે. શું એના નિર્માતા અને દિગ્દર્શકો ભારતના નાગરિકો નથી? શું તેમને અભિવ્યક્તિનો અધિકાર નથી. ઇન ઍની ફૉર્મ ઑફ એક્સપ્રેશનમાં ફિલ્મોનો સમાવેશ નથી થતો? હદ તો એ વાતની છે કે સિલેક્શન કમિટીએ આ બે ફિલ્મોને ફેસ્ટિવલ માટે પસંદ કરી હતી. સિલેક્શન કમિટીની રચના ભારત સરકારે કરી હતી અને હવે એ જ સરકારે કમિટીની ઉપરવટ જઈને ફિલ્મને ન મોકલવાનો નિર્ણય લીધો છે. આ બધાં વાતોનાં વડાં છે. સાચો લોકશાહીપ્રેમ ધરાવનારા પહેલા અને છેલ્લા વડા પ્રધાન આ દેશમાં જવાહરલાલ નેહરુ હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને કહ્યું છે કે ‘પદ્માવતી’ના વિવાદનો અંત લાવવામાં આવે અન્યથા રાજ્યમાં અશાંતિ સર્જાશે અને ઉત્તર પ્રદેશ સરકારને ગરબડ જોઈતી નથી. લોકતાંત્રિક દેશના લોકતાંત્રિક માર્ગે ચૂંટાયેલા મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે ‘સંજય લીલા ભણસાલીને ફિલ્મ બનાવવાનો અધિકાર છે અને લોકોને એ જોવાનો અધિકાર છે. સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરશે અને એ સરકારનો ધર્મ છે. જેને ફિલ્મ સામે વાંધો હોય એ ન જુએ. તેમના ફિલ્મ ન જોવાના કે ફિલ્મનો બહિષ્કાર કરવાના અધિકારનું પણ સરકાર રક્ષણ કરશે.’ આની જગ્યાએ યોગીબાબા કહે છે કે ઝંઝટ નહીં જોઈએ. અરે ભાઈ, ઝંઝટથી બચવું હતું તો ગોરખપુરના અખાડામાંથી બહાર આવવાના કોણે સોગંદ દીધા હતા?
હવે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાનને લખ્યું છે કે ‘ફિલ્મ ‘બાબા’ રિલીઝ કરતાં પહેલાં ખાતરી કરી લો કે કોઈને કાંઈ વાંધો તો નથીને? જો વાંધો હોય તો સંબંધિત કોમ કે ઇતિહાસકારો સાથે વાતચીત કરવામાં આવે અને તેઓ કહે એ મુજબ ફેરફાર કરવામાં આવે. પાછળથી ઝંઝટ નહીં જોઈએ.’ વસુંધરા રાજેને કોઈ ડાહ્યા માણસે કહેવું જોઈએ કે આ ફીચર ફિલ્મ છે, પદ્માવતીના જીવન પરની ડૉક્યુમેન્ટરી નથી. ફીચર ફિલ્મ અને ડૉક્યુમેન્ટરીમાં ફરક હોય છે અને એ સાધારણ નાગરિક પણ જાણે છે. હજી જોઈએ તો આ કાલ્પનિક ફિલ્મ છે અને એને જે કોઈ ઇતિહાસ હોય એની સાથે સંબંધ નથી એવો ખુલાસો કરનારું ડિસ્ક્લેમર મૂકવામાં આવે. જે કોઈ ઇતિહાસ એટલા માટે કે ‘પદ્માવતી’ની ઐતિહાસિકતા હજી સુધી સાબિત નથી થઈ. પદ્માવતી હતી એનાં જ જ્યારે ઇતિહાસકારો પ્રમાણ નથી આપી શક્યાં તો એ કેવી હતી અને ફિલ્મમાં એ કેવી નથી એ ઇતિહાસકારો કઈ રીતે કહી શકે? આમ વસુંધરા રાજેનો ધર્મ જો તેમનામાં રસિકતા કેળવાયેલી હોય તો સર્જકને અનુકૂળ વાતાવરણ પેદા કરવાનો છે અને સૌથી વધુ તો જે લોકો કૃતિ માણવા કે વાંચવા માગે છે તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમનો ધર્મ જસવંત સિંહના પુસ્તકને વાંચવાના ગુજરાતમાં વસતા ભારતના નાગરિકના અધિકારનું રક્ષણ કરવાનો હતો. ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં સર્જકો પોતાની રચના કોઈ પણ પ્રકારના અવરોધ વિના રજૂ કરી શકે એની અનુકૂળતા પેદા કરી આપવાનો છે. યુવક-યુવતી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા માગતાં હોય, તેમને ગમે એવાં કપડાં પહેરવા માગતાં હોય કે પોતાની પસંદગીનું ભોજન કરવા માગતાં હોય તો તેમનો એ અધિકાર છે અને વડા પ્રધાન તરીકે તેમના અધિકારનું રક્ષણ થાય એ જોવાનો તેમનો ધર્મ છે. બાકી પ્રસંગ જોઈને ડાહી-ડાહી વાતો કરવાની અને મૂલ્યોનું હનન થાય ત્યારે ચૂપ રહેવાનું એ ઢોંગ છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 નવેમ્બર 2017