Opinion Magazine
Number of visits:
10192087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 September 2026

ચંદુ મહેરિયા

ન માત્ર વીસમી સદીના, આગામી ઘણી સદીઓના મહાન વૈજ્ઞાનિકોની પંગતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન(૧૮૭૯- ૧૯૫૫)નો પાટલો પહેલી પંગતમાં માંડવો પડે એવું એમનું પ્રદાન છે. ગાંધીજીના જન્મ(૧૮૬૯)ના એક દાયકા પછી અને હિટલરના જન્મ(૧૮૮૯)ના એક દાયકા પહેલાં (૧૮૭૯માં) જન્મેલા આઈન્સટાઈન મહાનતમ વૈજ્ઞાનિક તરીકે તો જાણીતા છે જ પરંતુ તેમની સામાજિક-રાજકીય નિસબતને લીધે પણ તેઓ એટલા જ જાણીતા હોવા જોઈતા હતા. જો કે તેમના જીવનનું આ પાસું તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પછવાડે ઢંકાયેલું જ રહ્યું છે. આઈન્સ્ટાઈને ત્રણસો ઉપરાંત વિજ્ઞાનને લગતા લેખો લખ્યા છે. તો દોઢસો લેખો વિજ્ઞાનેતર વિષયો પર લખ્યા છે. તેમાં “સમાજવાદ જ શા માટે?” જેવા લેખો પણ છે. અને આ જ બાબત તેમની જાહેર નિસબતનો પુરાવો છે. 

જર્મનીના ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી યહૂદી પરિવારમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભારે જિજ્ઞાસુ અને વિજ્ઞાન તરફ ઢળેલા હતા. પ્રકૃતિના રહસ્યો જાણવાની તેમને અદમ્ય ઇચ્છા હતી. જર્મન સરકારના નિયમ મુજબની ફરજિયાત મિલિટરી સર્વિસ કરવી તેમના સ્વભાવને અનુકૂળ નહોતી એટલે સોળ વરસની વયે પરિવારની પરવાનગી લઈને કાયમી ધોરણે જર્મનીની નાગરિકતા ત્યજી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સ્વિત્ઝરલેન્ડ જતા રહ્યા. મુક્ત વાતાવરણ ધરાવતા જુરિચમાં તેઓ ભણવા લાગ્યા. આ દરમિયાન તેમના વૈજ્ઞાનિક સંશોધનો પણ ચાલતા હતા. 

આઈન્સ્ટાઈન ૧૭ વરસે ગ્રેજ્યુએટ થયા હતા, ૨૧ વરસે પીએચ. ડીની ડિગ્રી મેળવી અને ૪૨ વરસે ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત થયા હતા. અવસાનના સાત દસકા પછી પણ તેમની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વિષે વિચારતાં સમજાય છે કે તેમણે ફિઝિક્સના અધ્યયનમાં યુગાંતકારી પરિવર્તન આણ્યું હતું. દુનિયાને જોવા-સમજવાની લોકોની દૃષ્ટિ બદલી હતી. સાપેક્ષવાદ (Theory of relativity), સામૂહિક ઉર્જાની સમાનતા, પદાર્થ અને ઉર્જા વચ્ચેનો સંબંધ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઉપરાંત સમયના ચોથા પરિમાણની શોધ તેમની મહત્ત્વની શોધો છે. એમના શોધેલ E = mc2 સમીકરણના આધારે અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો. 

ડોકટરેટની ડિગ્રી છતાં આઈન્સ્ટાઈનને પ્રોફેસરની નોકરી મળી નહોતી અને તેઓ બર્નમાં આવેલ સ્વિસ પેટેન્ટ ઓફિસમાં સામાન્ય નોકરી કરવા લાગ્યા. આખરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વચ્ચેની હરીફાઈમાં તેમને વતન જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ પ્રાધ્યાપકની નોકરીની ઓફર કરી, જે તેમણે સ્વીકારી. ૧૯૧૪માં તે પ્રોફેસરી કરવા જર્મની ગયા ત્યારે જ  પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. જર્મની તેમાં મોખરે હતું. આઈન્સ્ટાઈન શાંતિવાદી અને યુદ્ધવિરોધી હતા.પરંતુ તેઓ એટલા તો પ્રસિદ્દ હતા કે તેમની પ્રતિભા અને પ્રસિદ્ધિના ડરે સરકારે તેમનો વિરોધ ચલાવી લીધો. તેઓ મુખર પરિવર્તનકામી તો હતા જ સ્પષ્ટ રાજકીય વિચારો પણ ધરાવતા હતા. 

જર્મનીમાં હિટલર અને નાઝીવાદના ઉદયના ગાળામાં આઈન્સ્ટાઈન ત્યાં હતા. તેમણે યહૂદીઓને બચાવવા માટે કાર્યરત સંગઠનોનું સમર્થન કર્યું હતું. કોલેજ શિક્ષણની વધતી  ફી સામે તેમણે ગરીબ બાળકોને કોલેજ પછી મફત ભણાવવાનું કામ કર્યું હતું. રાજકીય સવાલો તેઓ વિજ્ઞાનના સંમેલનોમાં પણ ઉઠાવતા હતા. ૧૯૩૩માં નાઝીઓએ સત્તા કબજે કર્યા પછી આઈન્સ્ટાઈન માટે ત્યાં રહેવું જોખમી બન્યું હતું. તેઓ વિદેશોમાં વ્યાખ્યાન આપવા ગયા હતા એ દરમિયાન તેમનાં પુસ્તકો સળગાવવામાં આવ્યાં. તેમના જીવને જોખમ હોઈ તેમણે અંગરક્ષકો સાથે રાખીને  વિદેશોની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા હતા. સ્થિતિ સ્ફોટક હોઈ તેમણે બર્લિન પરત જવાને બદલે અમેરિકામાં રોકાઈ જવાનું ઈષ્ટ માન્યું. અમેરિકાના ન્યૂજર્સીના પ્રિંસટન નગરમાં તે રહ્યા. ૧૯૪૦માં તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી. એટલે જીવનના અંત સુધી તે ત્યાં જ રહ્યા હતા. 

અમેરિકાવાસ દરમિયાન પણ તેમની જાહેર નિસબત ઓછી ન થઈ. અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો. તેનો વિશ્વયુદ્ધમાં ઉપયોગ અને યુદ્ધ માત્રનો તેમનો વિરોધ હતો. પરમાણુ વૈજ્ઞાનિકોની આપાતકાલીન સમિતિના અધ્યક્ષ તરીકે પરમાણુશસ્ત્રોનો માનવીના વિનાશ માટે વપરાશના તે પ્રખર વિરોધી હતા. તેમનો વિરોધ સરકારને ખૂંચતો હતો. અમેરિકાએ વિશ્વ યુદ્ધમાં તો એક અમેરિકા અને સમાનતાના ગાણા ગાયા હતા પરંતુ દેશમાં રંગભેદ અને ભેદભાવ વ્યાપક હતાં. રોજગારના ક્ષેત્રમાં ભેદભાવ વધુ હતો. એટલે શ્યામવર્ણી અમેરિકનો બેરોજગાર હતા. ઘર, રોજગાર અને શિક્ષણમાં કાળાઓને અન્યાય અને ભેદભાવ સહેવો પડતો હતો. ૧૯૩૭માં પ્રિંસટનમાં અશ્વેત ગાયિકા અને સંગીતકાર મેરિયન એન્ડરસને તેમના અવાજ અને સંગીતથી કાળા-ગોરાઓની ખૂબ તાળીઓ બટોરી પણ રહેવા માટે હોટલ ન મળી. એટલે આઈન્સ્ટાઈને તેમને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. વિચાર અને આચાર બેઉમાં આઈન્સટાઈન સમાન હતા. 

કાળાઓના સમર્થનમાં અને અમેરિકી ગોરાઓની માનસિકતા સંદર્ભે આઈન્સ્ટાઈને એક  જાહેર સભામાં કહ્યું હતું કે, “અમેરિકનોની સામાજિક દૃષ્ટિ, માનવીય ગરિમા અને સમાનતા અંગેની તેમની સમજ માત્ર ગોરી ચામડી ધરાવતા લોકો માટે જ મર્યાદિત છે. મને મારા અમેરિકી હોવા પર પારાવાર પીડા થાય છે. કાળાઓ પ્રત્યેનું ગોરા અમેરિકનોનું વલણ મને પણ સહઅપરાધી બનાવે છે. આ મનોગ્રંથિથી હું ત્યારે જ મુક્ત થઈ શકીશ જ્યારે હું તેના વિરોધમાં મારો અવાજ બુલંદ કરીશ.”. 

અમેરિકામાં ઘટતી ઘટનાઓના સમાજવાદી અને માર્કસવાદી પરિપ્રેક્ષ્યથી વિશ્લેષણ માટે ૧૯૪૯માં શરૂ થયેલા ‘મંથલી રિવ્યૂ’ સામયિકને આઈન્સ્ટાઈનનો ટેકો હતો. એટલું જ નહીં તેમણે તેના પ્રથમ અંકમાં જ ‘સમાજવાદ જ શા માટે?’ મથાળે લેખ લખ્યો હતો. આ લેખમાં આઈન્સ્ટાઈને જે વ્યક્તિ આર્થિક-સામાજિક વિષયો પર નિષ્ણાત નથી તેણે સમાજવાદ વિષે લખવું ઉચિત છે? તેઓ પ્રશ્ન કરી સમાજવાદની આવશ્યકતા સમજાવી હતી. આ લેખમાં તેમણે મૂડીવાદનો વિરોધ કર્યો હતો. અને સમાજવાદની સ્થાપના કેટલીક અત્યંત કઠિન સામાજિક-રાજકીય સમસ્યાઓના સમાધાનની માંગ કરે છે તેમ પ્રતિપાદિત કર્યું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા તેમના મતે માનવીય સંકટો અને આર્થિક અરાજકતાનું મૂળ હતું. માત્ર સમાજવાદ જ એવી અર્થવ્યવસ્થા છે જે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ તેમનું દૃઢપણે માનવું હતું. 

આઈન્સ્ટાઈનના શિક્ષણ વિશેના વિચારો પણ તેમના અનુભવો અને નિસબતમાંથી જન્મ્યા હતા. જર્મનીમાં તેમના આરંભિક શિક્ષણ અંગે આઈન્સ્ટાઈનને લાગતું હતું કે જર્મન શિસ્તવાળી શાળામાં જ્યાં તે ભણતા હતા ત્યાં તેમને શિક્ષકો લશ્કરના લેફટેનન્ટ જેવા લાગતા હતા. શાળાકીય શિક્ષણ અંગે તેમના વિચારો હતા કે શાળાઓમાં ગોખણપટ્ટીને કારણે વિધ્યાર્થીઓમાં રહેલા રચનાત્મક વિચારો અને શિખવાની પ્રક્રિયા બંને ખોવાઈ ગયા છે.

જીવનના આખરી વરસોમાં આઈન્સ્ટાઈનનું કીર્તિદા કાર્ય તે બર્ટાન્ડ રસેલ સાથેનું તેમનું સંયુક્ત ઘોષણાપત્ર હતું. જેમાં તેમણે વૈજ્ઞાનિક ચેતના સાથે સામાજિક ન્યાય અને માનવીય કરુણા પણ એટલી જ જરૂરી હોવાની જિકર કરી હતી. આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત તેમના ઊંડા ચિંતનનો પરિપાક હોવાનું નિ:શંક લાગે છે. 

E.mail :  maheriyachandu@gmail.com 

Loading

16 September 2026 Vipool Kalyani
← ‘હિંદુ હોને કા ધર્મ’: દેશના કોમી ઇતિહાસનો એક અધ્યાય
દીવાલો પાછળ ઢંકાયેલા સૂર્યો …  →

Search by

Opinion

  • દીવાલો પાછળ ઢંકાયેલા સૂર્યો … 
  • ‘હિંદુ હોને કા ધર્મ’: દેશના કોમી ઇતિહાસનો એક અધ્યાય
  • સ્લમમાં સફર
  • એક અકેલા ઇસ શહર મેં 
  • હૈયું પરબીડિયું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved