
પ્રકાશ ન. શાહ
1975-77ના સત્તા-પ્રતિષ્ઠાનનું સ્થાન આજે મોદી ભા.જ.પે. લીધું છે.વિકલ્પની રાજનીતિનાં બળોના નેતૃત્વની જવાબદારી કાઁગ્રેસની છે : માન્ય પ્રતિપક્ષ તરીકે પોતાની વૈકલ્પિક ભૂમિકા માટે સન્નદ્ધ થવાની દૃષ્ટિએ કાઁગ્રસની સજ્જતા જરૂરી છે તેમ નાગરિક જરૂરત આ પાત્રોની હેરફેરને પિછાણવાની છે
સંસદીય ગતિરોધ, જંતરમંતર પછીનો ઝારખંડ ઉઠાવ – આ બધાં અલબત્ત અનિવાર્ય કોલાહલથી હઠીને આજ દેખીતી અવાંતર પણ એકદમ એકદમ જરૂરી વાત કરવી છે. બને કે શોર વચાળે એ સાવ ધીમી, કહો કે કાનમાં કહેવાતી લાગે.
આ દિવસોમાં નવી દિલ્હીમાં રચનાત્મક કૉંગ્રેસ મળી રહી છે. એનું નામ સૂચવે છે તેમ એ છે તો કૉંગ્રેસ પક્ષની જ પહેલ, પણ તે કોઈ ઈલેક્શન એન્જીન નથી; કે પછી ભા.જ.પ.ના રામ માધવ આદિ અગર તો કૉંગ્રેસના જયરામ રમેશ આદિની હોય એવી કોઈ કથિત થિંક ટૅન્ક પણ એ નથી. તો, એ છે શું. કૉંગ્રેસ પક્ષે વિધિવત આ ઉપક્રમનું સંયોજન જેને સોંપ્યું છે તે સંદીપ દીક્ષિતના શબ્દોમાં આ જમીની કાર્યકર્તાઓ સાથેના સંવાદ, સહયોગ, સખ્ય પ્રકારની આરંભિક કોશિશ છે. એમાં સામેલ થનારાઓનું પક્ષીય જોડાણ હોવું મુદ્દલ જરૂરી નથી. તળ કામગીરી દરમ્યાન એમને પ્રશ્નનું જે સ્વરૂપ સમજાયું હોય તે પક્ષને નીતિઘડતરમાં ઉપયોગી થઇ પડે તેમ જ વાસ્તવિક અમલમાં એમના પ્રત્યક્ષ કાર્યાનુભવના ઉજાસમાં ઘટતો સુધારો પણ થઇ શકે. વાત જમીની કાર્યકરોની છે એટલે એમની સામેના સંઘર્ષમુદ્દા પણ આવવાના. એમાં સંકળાતા, સત્તા પર હોઈએ ત્યારની ચરબી પણ ગળે અને રચના ને સંઘર્ષની જુગલબંદી પણ જામે.
આપણો રાષ્ટ્રીય-રાજકીય ઇતિહાસ અહીં સાંભરે છે. બે દાખલા આપું. સ્વરાજ આવ્યું અને સમાજવાદીઓ સત્તાનો મોહ છાંડીને મૂળે રાષ્ટ્રીય ચળવળ રૂપ પણ હવે સત્તાપક્ષ એટલે કે કૉંગ્રેસથી છૂટા પડયા એ પછીના ગાળામાં એમણે જે ત્રિસૂત્રી અપનાવી તેમાં મતપેટી, જેલ ભરો અને પાવડો એ ત્રણ વાટે લોકશાહી જાગૃતિ, અન્યાય પ્રતિકાર અને રચનાત્મક કાર્યનો ખયાલ હતો. આપણાં રાજકીય, સામાજિક ચયાપચય અને રુધિરાભિસરણને સમાંનમાં રાખતી અને પક્ષના પ્રજાસંધાનને સંમાર્જતી એ ગુરુકિલ્લી હતી. કૉગ્રેસ તો ગાંધીપ્રતાપે તે શિક્ષાદીક્ષા પામેલી હતી.
ઇતિહાસમા લાંબે નહીં જતાં નવનિર્માણ વખતનું ઢેબરભાઈનું એક માર્મિક અવલોકન બલકે નિદાન ટાંકી વાતનો બંધ વાળું, એમણે કહ્યું હતું કે સ્વરાજની લડતમાં તેમ જ પછીના બે’ક દાયકા લગી કોંગ્રેસ કાર્યકર હોવું અને કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયેલા હોવું સ્વાભાવિક હતું. પણ પક્ષના ભાગલા સાથે રચનાવારસો ભુલાતો ગયો અને ચૂંટણીફતેહ હાવી થઇ ગઈ, પક્ષને બદલે ઈલેક્શન એન્જીન જાણે! 1972ની યશસ્વી ફતેહ છતાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ આવી રહેલા રાજકીય ભૂકંપ વખતે ઊંઘતા ઝડપાયા એનું એક રહસ્ય આ હતું.
ભા.જ.પ.ની ચૂંટણીફતેહ ક્યારેક પક્ષના પ્રામાણિક કાર્યકર અગર સંઘના સ્વયંસેવકની સક્રિય સંડોવણીને આભારી હશે તો હશે. એનું રચનાસંધાન બહુધા બજરંગ-વિ.હિં.પ. તરેહનું રહ્યું અને આ પ્રક્રિયામાં એને, જેમ સંજય ગાંધીને, લુમ્પને લુમ્પન મળ્યાં ને વળી ફળ્યા પણ ખરાં. સમર્પિત હોઈ શકતા સ્વયંસેવકોનું સ્પોઇલ્સ અને પેટ્રોનેજના હેવાયા લોકોએ લીધું. જે એસ્પિરેશનલ મિડલકલાસને નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રીજી ફતેહ પછી દિલ્હી પર નિશાન લેતાં ખાસ આગળ કર્યો હતો એ મૂળે મનમોહસિંહના લાભાર્થી પણ જાનૈયા મોદીના, એ એક વિલક્ષણ જોણું હતું.
જય પ્રકાશજીનું આંદોલન અને એન.જી.ઓ. પરિબળ લગભગ સાથે વિકસ્યા, અલબત્ત જે.પી. પરિબળનું વિશેષ સંધાન નાગરિક સમાજની સંસ્થાઓ સાથે રહ્યું. 1975-77ના જરઠ સત્તા-પ્રતિષ્ઠાનનું સ્થાન આજે મોદી ભા/જ/પે/ લીધું છે. પ્રજાકીય છેડે જનતા બળોની જવાબદારી કૉંગ્રેસને હિસ્સે આવી છે. વિધિવત પ્રતિપક્ષ તરીકેની એની ભૂમિકામાં ઓર નિખાર આવે તે વાસ્તે રચનાત્મક કાઁગ્રેસ એક અચ્છી પહેલ બનશે? થોભો અને રાહ જુઓ.
12 ઑગસ્ટ 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

