આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે
વિવાદમાં : શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ત્રણ દિવસના વિશ્વ સંસ્કૃિત મહોત્સવ માટે યમુના નદીના પટમાં ચાલી રહેલું કામ. યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં જતાં એણે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.
બીજા કરતાં પોતાને આધુનિક ગણાવતા અધ્યાત્મગુરુ શ્રી શ્રી રવિશંકર (નામની આગળ બે શ્રીનાં વિશેષણ શા માટે મૂકવામાં આવે છે એનો ખુલાસો તેમણે કોઈ જગ્યાએ કર્યો હોય એવું જોવામાં આવ્યું નથી, પરંતુ સંસ્કૃતના જાણકારો કહે છે કે બે શ્રી નોકર માટે વાપરવાની પ્રાચીન યુગમાં પરંપરા હતી. આના કરતાં શ્રી x ૧૦૦૮નું વિશેષણ વધારે સલામત ગણાય) દિલ્હીમાં બીજા ધર્મગુરુઓને ઝાંખા પાડે એવો અત્યાર સુધીનો મોટો ખેલ પાડવાના છે. તેમણે ૧૧ માર્ચથી ત્રણ દિવસ માટે વિશ્વ સંસ્કૃિત મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં વિશ્વભરમાંથી ૩૫ લાખ લોકો હાજર રહેવાના છે અને એની તૈયારીઓ ચાલી રહી છે.
૩૫ લાખ ડેલિગેશનનો આંકડો એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઑફ લિવિંગને ૩૫ વર્ષ થઈ રહ્યાં છે. કુલ ૧૫૫ દેશોમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન શાખા ધરાવે છે અને સત્તાવાર રીતે ફાઉન્ડેશન એવો દાવો કરે છે કે ગુરુજીના વિશ્વભરમાં ૩૭ કરોડ અનુયાયીઓ છે. ૩૭ કરોડ અનુયાયીઓમાંથી માત્ર ૩૫ લાખ અનુયાયીઓ દિલ્હી આવવાના છે. ધર્મને જાહેર દેખાડા સાથે અને મેળાવડા સાથે નાભિનાળ સંબંધ છે અને એ જ મુક્તિમાં બાધક છે એમ ગંગાસતીએ અનુભવ્યું હોવું જોઈએ. એટલે તેમણે પાનબાઈને સલાહ આપી હતી કે અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં. ગંગાસતીના ભજનમાંથી માત્ર આટલી પંક્તિ ટાંકુ છું:
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દૂર રે
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે … અભ્યાસ જાગ્યા પછી …
પાનબાઈ કહે છે કે મંડપ અને મેળા અધૂરિયાનાં કામ છે, બાકી જેણે પૂરું ભાળી લીધું છે એ મંડપ અને મેળાવડામાં ભટકતા નથી અને બીજાને ભટકાવતા પણ નથી. ખેર. શ્રી શ્રી રવિશંકર ૩૫ લાખ લોકોને ત્રણ દિવસના મેળાવડા માટે મંડપમાં બોલાવવાના છે.
ન્યુઝ એ નથી કે શ્રી શ્રી રવિશંકર અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો યોજવાના છે. ન્યુઝ એ છે કે એના માટે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશને દિલ્હીની યમુના નદીના પાત્રને અને એના કિનારાને ખેદાનમેદાન કરી નાખ્યું છે. યમુનાને મળતાં નાનાં-નાનાં વોકળાઓ અને જળાશયો બૂરી દેવામાં આવ્યાં છે. જ્યાં નદીનાં કુદરતી વળાંકો અને ઊંડાણો આવ્યાં છે એમાં માટી ભરીને લેવલિંગ કરવામાં આવ્યું છે. મહત્ત્વના મહેમાનો મોંઘીદાટ ગાડીઓ સાથે ફ્લાયઓવરથી સીધા સ્ટેજ નજીક પહોંચી શકે એ માટે રૅમ્પ બાંધવામાં આવ્યો છે અને એ માટે વૃક્ષો કાપવામાં આવ્યાં છે. સામાન્ય ભક્તો માટે ૬૫૦ ટૉઇલેટો નદીની બન્ને બાજુ બાંધવામાં આવ્યાં છે અને ભક્તો બન્ને બાજુનાં ટૉઇલેટોનો ઉપયોગ કરી શકે એ માટે પીપાપુલ બાંધવામાં આવી રહ્યા છે. સ્ટેજ અને મંડપ બાંધવા માટે નદીના પશ્ચિમ કિનારે ૫૦થી ૬૦ હેક્ટર જમીનને વૃક્ષો હટાવીને સાફ કરી છે અને માટી પૂરીને સમથળ કરી છે.
આ એવા ધર્મગુરુ અને સંસ્થા દ્વારા થઈ રહ્યું છે જે આધ્યાત્મિક વિકાસ ઉપરાંત સમાજ માટે સરોકાર હોવાનો દાવો કરે છે. આર્ટ ઑફ લિવિંગની ઑફિશ્યલ વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે તેઓ ડિઝૅસ્ટર રિલીફ, સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટ વગેરે ઉપરાંત એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેિબલિટી માટે કામ કરે છે. ચિરંતન અને ટકાઉ પર્યાવરણ માટે કામ કરનારાઓ યમુના નદીને લાંબા ગાળાનું અને કદાચ કાયમ માટે નુકસાન પહોંચાડી રહ્યા છે. યાદ રહે કે આવો આક્ષેપ કરનારા ઝોળાવાળા પર્યાવરણવાદીઓ નથી જેમને દરેક જગ્યાએ અનર્થ નજરે પડતો હોય અને આંદોલનો કરવાની આદત પડી ગઈ હોય. આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન યમુના નદીને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવાં જોઈએ એવી માગણી નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કરી છે.
નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ભારત સરકારે ૨૦૧૦માં કાયદો કરીને કરી હતી. એનું કામ એન્વાયર્નમેન્ટ, ઇકૉલૉજી, જંગલ, નદીઓના રક્ષણનું છે. ગ્રીન ઇન્ડિયાને નુકસાન પહોંચતું હોય એવું કોઈને લાગે ત્યારે ભારતીય નાગરિક ટ્રિબ્યુનલમાં પિટિશન કરી શકે છે અને ટ્રિબ્યુનલ માત્ર આને લગતા જ કેસો સાંભળે છે. આર્ટ ઑફ લિવિંગ દ્વારા યમુના નદીને કરવામાં આવતા નુકસાનનો કેસ ટ્રિબ્યુનલમાં આવ્યો ત્યારે ટ્રિબ્યુનલે તપાસ યોજીને કહ્યું હતું કે ફાઉન્ડેશને યમુના નદીને પહોંચાડેલું નુકસાન એવડું મોટું છે જે કદાચ ક્યારે ય સુધરી નહીં શકે. આ ઉપરાંત યમુનાના પાત્ર અને કાંઠા સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે દિલ્હી પર પૂરનું સંકટ વધવાનું છે. ટ્રિબ્યુનલે ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ કરવાની ભલામણ કરી છે.
જી હા, ૧૨૦ કરોડ રૂપિયા. દંડની રકમ જોઈને હવે ખાતરી થઈ ગઈ હશે કે આધ્યાત્મિક ભટકાવ કેવડો મોટો છે અને સરોકાર કેટલો ખોટો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 માર્ચ 2016
http://www.gujaratimidday.com/features/columns/sri-sri-ravi-shankars-art-of-living-to-cause-lasting-environmental-damage-say-activists-2