Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—288

દીપક મહેતા|Opinion - Opinion|11 May 2025

મુમતાઝ બેગમ : જેલમાંથી મહેલમાં, મહેલમાંથી વિલાયત જતી સ્ટીમરમાં  

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ

એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor! 

પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમને મા-દીકરીને પેલી જેલમાંથી ક્યારે બહાર કાઢવામાં આવિયાં?

મુમતાઝ : બીજે દિવસે સવારે. મારી માને ચોકીદારો અમારે ઘરે મૂકી આવ્યા અને મને નામદાર મહારાજા સામે ઊભી કરી. એ વખતે હું થર થર કાંપતી હતી. મહારાજાએ મને કહ્યું કે તારે જરા ય બીવાની જરૂર નથી. આજથી તારે મારા રણવાસમાં મારી રખાત તરીકે રહેવાનું છે. તું જો મને ખુશ રાખીશ તો રખાતમાંથી રાણી બનાવીશ. અને હા, આજથી તારું નામ મુમતાઝ નહિ પણ કમલાબાઈ રહેશે. અને હું મહેલમાં રહેતી. મારી આજુબાજુ સતત ચોકીપહેરો રહેતો. મારી મા બી મને મળવા આવી શકતી નહિ. મહારાજા સાથે આ રીતે મેં નવ વરસ ગાળ્યાં. હું તેમને અવારનવાર કહેતી કે મને એક વાર મારી દાદીને મળવા અમૃતસર જવા દો. દર વખતે જવાબમાં ના. પણ એક વખત તેમના દિલમાં રહેમ જાગી હશે કે શું, મને થોડા દિવસ માટે અમૃતસર જવાની પરવાનગી મળી. અને હું મારાં દાદીને મળવા અમૃતસર પહોંચી. અલબત્ત, શંકરરાવ સાથે હતા. ત્યાં હું અમ્મા અને દાદીને મળી.

એડવોકેટ જનરલ કાંગા : તમે ત્રણે ઘણે વખતે મળ્યાં હશો, નહિ?

બચાવ પક્ષના વકીલ બેરિસ્ટર જે.એન. સેનગુપ્તા : My Lordship! મને એ સમજાતું નથી કે એડવોકેટ જનરલ કાંગા કોર્ટમાં કેસ ચલાવી રહ્યા છે, કે એક નોવેલ લખવા માટેનો મસાલો ભેગો કરી રહ્યા છે. આવી કૌટુંબિક વાતોમાં કોર્ટનો સમય બરબાદ કરવાને બદલે તેઓ સીધા મૂળ વાત પર આવે એવો આદેશ આપવા આપ નામદારને અરજ ગુજારું છું.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : Objection sustained. Mr. Kanga, please come to the point.

એડવોકેટ જનરલ કાંગા : કમલાબાઈ ઉર્ફે મુમતાઝ! બીજી બધી વાતો જવા દઈને એ બતાવો કે તમે મુંબઈ ક્યારે અને કઈ રીતે આવિયાં?

મુમતાઝ બેગમ અને તેની મા જેલમાં: ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

મુમતાઝ બેગમ : હોલકર કુટુંબ મૂળ મહારાષ્ટ્રનું. એટલે વાર-તહેવારે મુંબઈ, પૂણે, વગેરે જગ્યાએ જવાનું થાય. ૧૯૧૯માં હોળીનો તહેવાર ધામધૂમથી ઇન્દોરમાં ઉજવ્યા પછી આખું હોલકર કુટુંબ મુંબઈ જવા ઊપડ્યું. મને, મારી માને, અને બીજાં કેટલાંક રિશ્તેદારોને પણ મહારાજે સાથે લીધા. અમારા રહેવા માટે નેપિયન્સી રોડ પર ‘હુસેની બંગલો’ ભાડે રાખ્યો. બંગલાની બહાર ચોવીસ કલાક ચોકી પહેરો ગોઠવ્યો હતો. શાહી કુટુંબ તાજ મહાલ હોટેલમાં ઊતર્યું હતું. એક દિવસ મહારાજા તેમની સાથે મને ચોપાટી ફરવા લઈ ગયા. તે દિવસે મહારાજ ખૂબ આનંદમાં હતા. બીજે દિવસે બપોરે અમે આરામ કરતાં હતાં એ વખતે ખુદ મહારાજાસાહેબ અમારે ઉતારે પધાર્યા. થોડી અડીઅવળી વાતો કર્યા પછી તેમણે મારી અમ્માને કહ્યું : ‘મારી ખ્વાહીશ છે કે મુમતાઝ પહેલાં હિંદુ ધર્મ અંગીકાર કરે અને પછી મારી સાથે લગ્ન કરે.’ મેં અને અમ્માજાને આ અંગે ઘસીને ના પાડી દીધી. અમ્માજાને કહ્યું કે અમે ઇન્દોર દરબાર કાયમ માટે છોડવા તૈયાર છીએ પણ અમારો મજહબ છોડવા તૈયાર નથી. મહારાજે અમને સમજાવવાને ઘણી કોશિશ કરી પણ અમે બન્ને અમારી વાત પર અડીખમ રહ્યાં. મહારાજ નિરાશ થઈને ગયા.

બીજે દિવસે મહારાજે સંદેશો મોકલ્યો કે સાંજે સાત વાગે પિક્ચર જોવા મુમતાઝે મારી સાથે આવવાનું છે, પણ પુરુષનાં કપડાં પહેરીને. શંકરરાવ તેડવા-મૂકવા આવશે. અને હા, મુમતાઝે એકલા જ આવવાનું છે, અમ્માજાનને સાથે લાવવાનાં નથી. અમને થયું કે અમે મહારાજને નાખુશ કર્યા છતાં એ વાત ભૂલી જઈને નોતરું મોકલે છે તો પિક્ચર જોવા જવું જોઈએ. બરાબર સાંજે સાત વાગે શંકરરાવ આવ્યા. હું તૈયાર જ હતી. શંકરરાવે અમ્માને કહ્યું કે તમે ફિકર કરતા નહિ. બે કલાક પછી હું મુમતાઝને ઘરે મૂકી જઈશ. હું અને શંકરરાવ મોટરમાં બેઠાં. બીજા બે નોકર પણ ગાડીમાં બેઠા હતા. ઘરઘરાટ કરતી મોટર ઊપડી. થોડે આગળ ગયા પછી થિયેટર તરફ જવાને બદલે ડ્રાઈવરે બોરી બંદર સ્ટેશન જવાનો રસ્તો પકડ્યો. હું ચોંકી. પૂછ્યું તો શંકરરાવ કહે કે ઇન્દોરમાં તારી દાદી માંદી છે એટલે તને ત્યાં લઈ જવાની છે. મેં પૂછ્યું : પણ તો અમ્માજાનને સાથે કેમ નથી લીધાં? જવાબ મળ્યો : તેઓ પછીથી આવશે. પહેલાં તું પહોંચી જા. અમારી વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં જ સિટી વાગી અને અમારી ટ્રેન ઉપડી. ફર્સ્ટ ક્લાસના ડબામાં બધી સગવડ હતી. પણ રાતભર હું જાગતી રહી. હવે શું થશે એ વિચારો આવ્યા કરતા હતા. 

અમૃતસર સ્ટેશનેથી ઊપડતી મુંબઈની ટ્રેન

હું ઘરે પાછી ન ફરી એટલે અમ્મા તો રોઈ રોઈને અડધી થઈ ગઈ હશે. તેને મળવા તો છેક બીજે દિવસે સવારે શંકરરાવ ગયા અને મહારાજાના હુકમથી મને ઇન્દોર મોકલી છે એ સમાચાર આપ્યા. અમ્માના ગુસ્સાનો પાર નહોતો. થોડી વાર સાંભળ્યા પછી શંકરરાવ હળવેકથી ત્યાંથી નીકળી ગયા. 

એડવોકેટ જનરલ કાંગા : તમને શોધવા માટે અમ્માજાને કશું ન કર્યું?

મુમતાઝ બેગમ : અમ્મા પાસે ફક્ત પચાસેક રૂપિયા હતા. પહોંચ્યાં સીધાં એસ્પ્લનેડ કોર્ટમાં. ત્યાં મિસ્ટર વિજયકર નામના વકીલને બધી વાત માંડીને કરી. તેમણે બોમ્બેના પોલીસ કમિશનરને આપવા માટેની એક અરજી તૈયાર કરી આપી. એ લઈને પહોચ્યાં ક્રાફર્ડ માર્કેટ પાસેની પોલીસ કમિશનરની ઓફિસે. અરજીમાં જણાવ્યું હતું કે શંકરરાવ બાપુજી ગાવડે અને ઇન્દોરના મહારાજાએ કાવતરું ઘડીને મારી સગીર વયની દીકરી મુમતાઝ બેગમનું અપહરણ કર્યું છે. મને જાણ પણ કર્યા વગર એ બંને મારી દીકરીને બ્રિટિશ સલ્તનતની હદ બહાર ઇન્દોરના દેશી રાજયના તાબામાં આવેલા મુલકમાં લઈ ગયા છે. એટલે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૬૦ અને ૩૬૧ પ્રમાણે ગુનો બને છે. તેથી મારી દીકરીની ભાળ મેળવવા આપને અરજી કરું છું. અરજી આપવા મારાં અમ્મા ખુદ પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યાં. તેમણે મદદ કરવાની ખાતરી આપી. અને બોરી બંદર સ્ટેશનના ઇન્સ્પેક્ટર રઘુનાથરાવને અરજી મોકલી આપી. તેમણે અરજી તો લીધી, પણ સાથોસાથ કહ્યું કે તમારી દીકરી સગીર વયની છે એ પુરવાર કરવા માટે તેના બર્થ સર્ટીફિકેટ રજૂ કરવું પડશે. સાહેબ! મારા જેવી છોકરીઓની જનમ તારીખ ખુદ માને પણ યાદ ન હોય, ત્યાં બર્થ સર્ટીફિકેટ તો હોય જ ક્યાંથી? એટલે બોરી બંદર સ્ટેશન પોલીસે તપાસ અટકાવી દીધી. 

બેલાર્ડ પિયરથી ઊપડતી સ્ટીમર

એડવોકેટ જનરલ કાંગા : તમે ઇન્દોર પહોંચ્યા પછી સું થિયું? 

હું ઇન્દોર પહોંચી કે તરત મને દાદીને ઘરે લઈ ગયાં. બીજે જ દિવસે મહારાજા પણ ઇન્દોર પાછા આવ્યા. થોડા દિવસ પછી મને ખબર પડી કે મારી માએ મુંબઈ પોલીસને ફરિયાદ કરેલી તેને કારણે પોલીસે શંકરરાવની અટક કરી હતી. પણ પછી દસ હજાર રૂપિયાના હાથ મુચરકા પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એટલે શંકરરાવ પણ હવે ઇન્દોર આવી ગયા હતા. બે-ત્રણ દિવસ પછી શંકરરાવ અને તેમની સાથે બીજો એક દરબારી મારે ત્યાં આવ્યા અને મને રાજમહેલ લઈ ગયા. ત્યાં એક અલગ મકાનમાં મને રાખી. અંદર-બહાર બધે સખત જાપ્તો હતો અને કોઈ મને મળવા આવી શકતું નહિ. એક-બે દિવસ પછી અંગ્રેજીમાં લખેલો એક કાગળ મારી સામે ધરવામાં આવ્યો અને તેના પર સહી કરવા કહ્યું. મેં કહ્યું કે કાગળમાં શું લખ્યું છે તે જાણ્યા વગર હું સહી નહિ કરું. પહેલાં તો આનાકાની કરી પણ પછી કહ્યું કે કાગળમાં લખ્યું છે કે શંકરરાવ સાથે હું રાજીખુશીથી મુંબઈથી ઇન્દોર આવી છું અને તેઓ મને ભગાડીને અહીં લાવ્યા નથી. મારી તેમના વિરુદ્ધ કોઈ રાવ-ફરિયાદ નથી. આ કાગળ પર સહી કરી આપ્યા પછી મહારાજ અવારનવાર મને મળવા આવતા અને હું તેમની ત્રીજી રાણી હોઉં એ રીતે મારી સાથે સૂતા હતા. 

એસ.એસ. પીલ્સના

થોડા વખત પછી ૧૮ એપ્રિલ ૧૯૨૧ના દિવસે બીજી મહારાણી સાથે મહારાજ વિલાયત ગયા. પહેલી મહારાણી અને હું પહેલી મેના દિવસે એસ.એસ. પીલ્સના નામની સ્ટીમરમાં વિલાયત જવા નીકળ્યાં. શંકરરાવ અને એની વહુ પણ અમારી સાથે હતાં. પાસપોર્ટમાં મારું નામ કમલાબાઈ હતું, અને પાસપોર્ટ મારી પાસેથી લઈ લેવામાં આવેલો. એ વખતે પણ મને ધાકધમકી આપી હતી કે કોઈ પૂછે તો મારે કહેવું કે હું મારી પોતાની મરજીથી વિલાયત જઈ રહી છું.

એક બાજુ વિલાયત જતી આગબોટનું ભૂંગળું વાગ્યું, અને બીજી બાજુ બોમ્બે હાઈકોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા વાગ્યા. તે દિવસ પૂરતી મુમતાઝ બેગમ ઉર્ફે કમલાબાઈની જુબાની પૂરી થઈ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 મે 2025

Loading

11 May 2025 Vipool Kalyani
← પૌત્ર
બાપુ અને બાદશાહ  →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved