Opinion Magazine
Number of visits: 9449273
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020:  શિક્ષણની વિવિધતામાં એકતા લાવવાની ચાહ ધાર્યા કરતાં વધુ જટિલ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 July 2023

સાંભળવામાં બહુ જ ગમે એવી આ નીતિની વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના

ચિરંતના ભટ્ટ

34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ને જુલાઈની 29 2020ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી બદલવામાં આવી.  છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ નવી નીતિ સતત ચર્ચાતી રહી છે. પરિસંવાદોથી માંડીને શિક્ષણ સંસ્થાનોમાં તેની ચર્ચા ચાલતી રહી છે, કેટલાક રાજ્યો પોતાની આગવી શિક્ષણ નીતિ પર વાત કરી રહ્યા છે તો ગુજરાત જેવા રાજ્યમાં કોમન એક્ટનું ભૂત ફરી ધુણ્યું છે. નવી નીતિ અંગે વડા પ્રધાન મોદીએ જ્યારે વાત કરી ત્યારે તેમણે એમ કહ્યું કે, ’ શિક્ષણ નીતિમાં મોટા ફેરફાર કરવાનો હેતુ છે કે રાષ્ટ્રને બહેતર વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને બહેતર વ્યક્તિ મળે.’ ભારત સર્વાંગી રીતે મહાસત્તા બને એ માટે નૉલેજ સુપરપાવરની દિશામાં આ સરકારનું પગલું છે અને વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક નહીં પણ બિન-શૈક્ષણિક દૃષ્ટિએ પણ વિકસે એ રીતે આ બદલાવો થશે અને થઈ રહ્યા છે એવો કેન્દ્ર સરકારનો દાવો છે. NEP 2020ને શિક્ષણવિદોએ આવકારી છે અને પરીક્ષાલક્ષી ભણતરનો ભાર ઓછો કરવાની સાથે સાથે શિક્ષણના જે ત્રણ મુખ્ય પ્રવાહો છે – સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ – તેની વચ્ચેની ભેદરેખાઓને ઝાંખી કરવાનો પણ તેમાં પ્રયત્ન છે વળી ઇતર-પ્રવૃત્તિઓ, કૌશલ્ય શિક્ષણ વગેરેનું પણ તેમાં સંતુલન મળે એવા ફેરફારો આ નવી નીતિ સાથે લવાશે.

આવતા વર્ષથી એટલે કે 2023-24થી સિલેબસ અપડેટ, ગ્રેડિંગના માળખામાં ફેરફારો વગેરે જે રીતે ચર્ચાઈ રહ્યા છે તે જોતાં કહી શકાય કે આ નીતિ ક્રાંતિકારી સાબિત થવાના બધા લક્ષણ ધરાવે છે તો સાથે સાથે જે ચાલતું આવ્યું છે બધું જ ખળભળી જાય અથવા તો તેની અમુક બાબતો સાવ ખલાસ થઈ જાય એવી પણ શક્યતાઓ છે.

ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ત્રૂટિઓ કે નીતિઓને પગલે પેઢીઓ હેરાન થઇ છે, શીખવાનું ઓછું અને ગોખવાનું વધારે વાળો ખેલ લાંબો સમય ચાલ્યો. વળી એક કરતાં વધારે બોર્ડ્ઝ હોવા, દરેક બોર્ડની શીખવવાની પદ્ધતિઓ, સિલેબસમાં પણ અંતર અને આ કારણે વિદ્યાર્થીઓની જે કેળવણી થાય તેમાં જુદા પ્રકારની આવડતોની ધાર નીકળે પણ છતાં ય વિદ્યાર્થીઓ જે તે બોર્ડમાં ભણતાં હોય તો તેમણે ‘સારા’ કે ‘હોંશિયાર’નું લેબલ જોઈતું હોય તો બધાની માફક – એક સરખી રીતનું – વધારે માર્ક લાવી આપે એવું જ પરિણામ લાવવું પડે. વળી JEET, UPSC, NEET વગેરે પરીક્ષાઓ આપવાની આવે ત્યારે અલગ અલગ બોર્ડમાં ભણેલા વિદ્યાર્થીઓ વચ્ચે સમજણમાં, પરીક્ષા આપવા પ્રત્યેના અભિગમમાં પણ બહુ મોટો ફેર હોય. બધા ભારતીય વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં એકસૂત્રતા લાવવા માટે એક યુનિફોર્મ, એક સરખા, સમાંતર બોર્ડની સ્થાપના થશે. આમ થવાથી એક કેન્દ્રિય – સેન્ટ્રલાઇઝ્ડ બોર્ડ હશે, અત્યારે જે જુદાં જુદાં બોર્ડ છે તે નહીં રહે. વર્તમાન તંત્રમાં ધરમૂળથી ફેરફાર આવશે પણ તેમાં કોઇ એક બોર્ડ સુધી પહોંચવાની ડગર ખાસ્સી લાંબી હશે કારણ કે વિવિધ સ્તરે સંકળાયેલા લોકોએ એકમત થવું પડશે. શીખવવાની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાના હેતુથી થઈ રહેલાં પરિવર્તનો અત્યારે તો ખૂબ સારાં વર્તાય છે પણ તેનો અર્થ એ પણ કે દરેક પ્રકારની અને દરેક સ્તરની શાળાઓએ પોતે જે વિષયો ભણાવે છે તેમાં બીજા બહુ બધા વિષયો ઉમેરવા પડશે. વળી વિષયો ઉમેરી દેવાથી કંઇ કામ નથી થઇ જવાનું કારણ કે રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એસ્ટ્રોનોમી જેવા વિષયો સ્કૂલના સ્તરે ભણાવી શકે એવા શિક્ષકોની પણ જરૂર પડશે. સરકાર ગમે તે રહી હોય શિક્ષકોની જે હાલત હોય છે તે જોતાં આ જરૂરિયાત ચપટીમાં પૂરી થઈ જશે એવું કોઇ રીતે લાગતું નથી. વળી 10+2+3માંથી હવે 5+3+3+4 વાળું માળખું અમલમાં મુકાશે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમની ક્ષમતા, વિકાસ અને સમજણને આધારે કરાશે એવી વાત પણ આ નવી નીતિમાં છે. જે શિક્ષકો એક ચોક્કસ પ્રકારે જ ‘માર્ક’ કે ‘ગ્રેડ’ આપવા ટેવાયેલા છે એમને માટે આ બદલાવ સ્વીકારીને એ પ્રમાણે કામ કરવું આસાન નહીં હોય એ પણ સમજવું જરૂરી છે. વળી શિક્ષકોને તો પરિવર્તન કરવાનું આવશે જ પણ આ નવી નીતિમાં ભણનારા વિદ્યાર્થીઓ બદલાઈ રહેલા સમય સાથે સારી પેઠે તાલ મેળવી શકશે એવી સરકારને અપેક્ષા છે.

સાંભળવામાં બહુ જ ગમે એવી આ બધી જ વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના. શાસ્ત્રો અને ગુરુકૂળ જેના પાયામાં છે એવા આપણા દેશમાં જો અચાનક કૌશલ્ય લક્ષી શિક્ષણના પાટે ચઢાવી દેવાશે તો જ્ઞાન અને સર્વાંગી શિક્ષણનો વિચાર બુઠ્ઠો થઇ જશે એવી ભીતિ છે. વળી આધુનિકતાને ધ્યાનમાં રાખીને જે પ્રકારના કોર્સિઝ કરાવવાની વાત છે એ માટે સજ્જ શિક્ષકો, તેમને આપી શકાય એવા સારા પગાર ધોરણો, તેમને ટકાવી શકાય એવું અનુકૂળ વાતાવરણ ખડું કરવું આપણા શિક્ષણ તંત્રમાં શક્ય હશે? શિક્ષણ સંસ્થાનો કૉર્પોરેટ્સ જેવા બન્યાં હોવાની છુટી છવાઇ બૂમો તો પડતી રહે છે ત્યારે આ ફેરફારો ક્યાંક એવા સાબિત ન થાય કે તે માત્રને માત્ર ખાનગી સંસ્થાનો માટે લાગુ કરવાના સહેલા પડે અને જો એવો ઘાટ થશે તો આર્થિક રીતે અમુક જ સ્તરનાં બાળકો સર્વાંગી શિક્ષણ મેળવી શકશે બાકી વૉકેશનલ – કૌશલ્ય આધારિત આવડતો ધરાવનારો વર્ગ વધશે. ખાનગી ક્ષેત્રનો શિક્ષણમાં પગ પેસારો બધાનાં ગજવાને પોસાય એવો નથી જ હોતો એ આપણે સારી પેઠે જાણીએ છીએ. વળી આવું થશે એટલે વ્હાઇટ કૉલર અને બ્લૂ કૉલર જૉબ્ઝમાં માગ અને પુરવઠાની ખાઈ પણ ખડી થશે.

નવી શિક્ષણ નીતિમાં જે ભાગીદારોએ જોડાવું જોઇએ એ બધા કંઈ હોંશે હોંશે હજી જોડાયા નથી કારણ કે તેમને માટે ઘણી બાબતો હજી અસ્પષ્ટ છે. વળી આપણા દેશમાં વિવિધતા એટલી બધી છે કે કશુંને કશું તો આમાં સામેલ થવામાં રહી જાય એવી પૂરી શક્યતા છે એવું વિશેષજ્ઞોનું કહેવું છે. વળી આ અમલીકરણની ઉતાવળમાં બહુ મહત્ત્વની બાબતોમાં ગોટાળા થવાનો ભય પણ છે – પરિવર્તનો માત્ર ઉપરછલ્લા હોય અને હાંસિયામાંના લોકો, શિક્ષકોના યુનિયન્સ, વિદ્યાર્થી સંઘ વગેરેને જો ગણતરીમાં ન લેવાયા તો પછી ત્યાંથી કયા પ્રકારના અને કેવી તિવ્રતાના વિરોધ આવશે તેની તો કલ્પના જ કરવી રહી. વળી શિક્ષણ મોંઘું છે એ તો આપણને ખબર જ છે, ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કેટલા કુટુંબોને પોસાશે? નવી નીતિમાં ભાષાઓનો વિવાદ પણ છેડાયો છે કે હિંદી અને અંગ્રેજી સિવાયની ભાષાઓને બાજુમાં ધકેલી દેવાઈ છે. કેટલા ય લોકો એવા છે જે પ્રાદેશિક ભાષા સાથે વધારે જોડાયેલા હોય છે અને જો તેમની ભાષાને પ્રાધાન્ય નહીં મળે તો તેઓ હિંદી અને અંગ્રેજીમાં અટવાશે પણ કુશળતા નહીં કેળવી શકે.

યુ.એસ.એ.માં જે થાય એ ભારતમાં પણ એને લાગુ કરવાનો મોહ બહુ સારા પરિણામો નહીં લાવે. વળી આપણે સમાજ વ્યવસ્થાને પણ ગણતરીમાં લેવી પડે. કોઇ અમેરિકી યુવાન ભણવાનું પડતું મૂકીને સુથારકામ શીખે તો ત્યાં કોઇ એને ‘જજ’ નથી કરતું જ્યારે આપણે ત્યાં તો આટલો મોટો દેશ હોવા છતાં પણ આવું ચલાવી લે એવા કુટુંબો આંગળીને વેઢે ગણવા પડે એમ છે. અમેરિકન શિક્ષણના મોડલ્સમાંથી પ્રેરણા લેતા પહેલાં આપણે ભારતીય શિક્ષણના માળખાં સાથે તેનો સંદર્ભ બંધ બેસે, તે લોકલ વિચારધારા સાથે કેટલું મેળ ખાઈ શકે છે તે ગણતરી કરવી જરૂરી છે. પશ્ચિમી શૈલીનું આંધળું અનુકરણ શ્રેષ્ઠતાનું તેજ નહીં પણ અસ્પષ્ટ અંધારું પેદા કરે એવી શક્યતાઓ વધારે છે.

NEPનો સૌથી મોટો પડકાર છે સર્વસંમતિ ખડી કરવી અને માટે જ એમ કહી શકાય કે તેની સફળતા સહકારી સંઘવાદ અને રાજ્યો કેટલી હદે સુધારાઓની જવાબદારી સ્વીકારે છે તેની પર રહેલી છે.

બાય ધી વેઃ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે વાત અને વચન છે તે ભવ્ય લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી…’ 15 લાખ સ્કૂલ્સ, 25 કરોડ વિદ્યાર્થીઓ, 89 લાખ શિક્ષકો સાથે ભારતમાં વિશ્વનું બીજા નંબરે આવનારું શિક્ષણ તંત્ર છે. ઉચ્ચ શિક્ષણનું કદ પણ ગંજાવર છે જેમાં 3.74 કરોડ વિદ્યાર્થીઓ, અંદાજે 1,000 કૉલેજિઝ, 10,725 સંસ્થાનો છે. બ્લોક્સ, તાલુકા, જિલ્લાથી માંડીને રાજ્ય સ્તરે બધું નવેસરથી લાગુ કરવાની કલ્પના માત્ર શીખેલું બધું ભૂલાવી દે એવી છે. આ લાગુ કરવામાં જવાબદારી વહેંચી બધું સમુસૂતરું પાર પડે એ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ અને સુકાનીઓ માટે બહુ મોટું કામ છે. વળી શું બધા જ રાજ્યો આ નીતિ લાગુ કરી શકશે? બધા રાજ્યો પાસે આજે પણ એક સમાન શિક્ષણ ફંડ નથી હોતું તો પછી પરિવર્તનો લાગુ કરવાને મામલે રાજ્યો સાથે આર્થિક સમાનતા રખાશે? કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો તાલમેલ આ નવી નીતિ માટે અનિવાર્ય છે પણ રાજકીય મતભેદો એ કેટલી હદે થવા દેશે? નવી નીતિ લાગુ કરવા માટે અત્યારે જાહેર શિક્ષણ પર જેટલો ખર્ચ થાય છે તેમાં જી.ડી.પી.ના છ ટકા જેટલો વધારો કરવો પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

16 July 2023 Vipool Kalyani
← પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી ?
સાંપ્રત મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી ઊઘાડી લૂંટ છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved