Opinion Magazine
Number of visits: 9449203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂ-દાન એ વળી શું બલા છે ? … જમીન જોઈએ એટલે જોઈએ 

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|9 July 2023

બનારસમાં હાસ્યાસ્પદ ઘટના બની રહી છે અને એમાં એટલો જ વિષાદ પણ છે. જો કે કાવ્યશાસ્ત્રીઓ તો કહે જ છે કે હાસ્ય અને વિષાદ એક જ સિક્કાની બે બાજુ છે.

રમેશ ઓઝા

તમે તો જાણો જ છો કે બનારસ (કાશી અને વારાણસી બનારસનાં જ બીજાં બે નામ છે.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મતદારક્ષેત્ર છે અને તેનાં વિકાસ માટે વડા પ્રધાન અને તેમના અધિકારીઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. કાશી ભારતનું પ્રાચીન શહેર છે અને જે વાચકોએ કાશીની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે શહેરની રચના એવી છે કે તેમાં ગંગાને કિનારે એક તસુ જમીન પણ નવસર્જન માટે મળી શકે એમ નથી. અસ્સીથી લઈને રાજઘાટ સુધીનો ગંગાનો કિનારો અને કિનારે પથરાયેલું શહેર એટલું ગીચ છે કે તેમાં જગ્યા શોધવી મુશ્કેલ છે અને વડા પ્રધાનને તેમની આદત મુજબ કશુંક ભવ્ય કરીને જવું છે અને એ પણ પોતાનાં નામે. આ એવું શહેર છે જે હિંદુ, જૈન, બૌદ્ધ અને મુસલમાનો માટે પણ પવિત્ર શહેર છે અને જિંદગીમાં એકવાર બનારસ જવાનો મનોરથ બધા સેવે છે. માટે બનારસમાં રોજેરોજ ભારત ઠલવાતું રહે છે. આવા શહેરમાં ગંગાને કિનારે કશુંક ભવ્ય નિર્માણ કરીને અમર થવું કોને ન ગમે! એમાં જો માણસ આત્મમુગ્ધ હોય તો તો પૂછવું જ શું?

પણ સમસ્યા હમણાં કહી એ જગ્યાની છે. જગ્યા એવી હોવી જોઈએ જે ગંગાને કિનારે હોય અને પંચક્રોશીમાં આવતી હોય. પંચક્રોશીની બહાર હોય તો કાશીની પવિત્રતા જતી રહે અને હિંદુઓ પરિક્રમા કરે નહીં. ટૂંકમાં હિંદુઓ જ્યાં પરિક્રમા કરે છે એની અંદર હોવી જોઈએ. દરબારીઓને કહેવામાં આવ્યું કે જાવ જગ્યા શોધી આવો. જગ્યા એવી હોવી જોઈએ જ્યાં નવો ઘાટ બાંધી શકાય અને તેની સાથે આજુબાજુમાં સેંકડો એકરમાં રીવર ફ્રન્ટ, હેલીપેડ, નદીમાં ચાલતાં હોવરક્રાફ્ટને લાંગરવા માટે બર્થ, સુંદર બગીચો, પાર્કિંગસ્લોટ, ભવ્ય પૂતળાં, કોમ્યુનિટી સેન્ટર, મોલ વગેરે બાંધી શકાય. સિપાહી-સપરાંઓએ તપાસ આદરી અને એક જગ્યા શોધી કાઢી જે ગંગાને કાંઠે છે અને પંચક્રોશીની અંદર છે. વળી ત્યાં ગંગા અને વરુણા એમ બે નદીઓનો સંગમ થાય છે. આ જગ્યા પાછી શહેરને લાગીને છે. કાશીનું એક નામ વારાણસી એટલા માટે છે કે કાશી નગર વરુણા અને અસ્સી એમ બે નદીઓની વચ્ચે ગંગાકિનારે વસેલું છે. આનાથી વધારે યોગ્ય જગ્યા બીજી કોઈ ન હોઈ શકે.

તેમણે ઘાટ માટેની જગ્યા શોધી કાઢી. ત્યાં ડૉ. રામ મનોહર લોહિયાને નામે જે ઘાટ હતો તેને લોહિયાનું નામ મહેનતપૂર્વક માંડ વંચાય એટલી જગ્યા છોડીને બાકીની જગ્યા છીનવી લીધી. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૬૭માં વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન વિષે મૂલ્યાંકન કરવા દરેક રાજકીય પક્ષોના નેતાઓને બોલાવ્યા હતા. તેઓ આંદોલનની કોઈ મર્યાદા હોય તો એ સમજવા માગતા હતા. એ સર્વપક્ષીય બેઠકમાં વિનોબાએ ભારતીય જનસંઘ(અત્યારના ભાજપનો પૂર્વ અવતાર)ના નેતાઓને નહોતા બોલાવ્યા. કારણ બહુ સ્પષ્ટ હતાં. ગાંધી અને સાવરકર, સહિયારું ભારત અને હિન્દુરાષ્ટ્ર, સર્વોદય અને હિન્દુત્વ, સદ્દગુણ ઉપાસના અને સદ્દગુણવિકૃતિ સાથે ન જઈ શકે. વિનોબા આ બાબતે બહુ સ્પષ્ટ હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ લોહિયાએ એ બેઠકનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે તેમાં ભારતીય જનસંઘને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જે માણસે જનસંઘની પાલખી ઊંચકવામાં અને જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા કમાવી આપવા પોતાનાં ખભા છોલી નાખ્યા એના નામનાં ઘાટને ગળી જવામાં આવ્યો. છોલાયેલા ખભા ઉપર ચડવા માટે વાપરવાના હોય છે, ઋણ યાદ રાખીને ઋણ ઉતારવા માટે નથી હોતા.

હમણાં કહ્યું એમ જનસંઘને પ્રતિષ્ઠા અપાવનારા ડૉ. લોહિયાના ઘાટની જગ્યા સંકોરીને નવા ઘાટ માટે જગ્યા તો શોધી કાઢી, પણ બાકીની જગ્યાનું શું? આદેશ આપવામાં આવ્યો કે ત્યાં ઘાટ બાંધો, પછી બીજી જગ્યા માટે જોયું જશે. આમ નવો ઘાટ બાંધવામાં આવ્યો અને નામ આપવામાં આવ્યું; ‘નમો ઘાટ’. આજે આ લખાય છે ત્યારે શુક્રવારે વડા પ્રધાન દ્વારા ઘાટનું લોકાર્પણ પણ થઈ ગયું.

હવે આજુબાજુમાં સેંકડો એકર જગ્યા શોધવાની હતી. જો કશુંક ભવ્ય ન હોય તો બનારસમાં ઘાટ ક્યાં ઓછા છે! સમસ્યા એ છે કે નમો ઘાટને લાગીને પ્રાચીન કાશીનગરીનાં અવશેષ છે અને તેને હાથ ન લગાડી શકાય. એને જ લાગીને રોઝા ખાનનો મકબરો છે અને તેને પણ હાથ લગાડી ન શકાય. આ બન્ને જગ્યાઓ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા નોટિફાઇડ છે તેના સંરક્ષણ હેઠળ છે. એની સામે સર્વ સેવા સંઘનો ૧૩ એકરનો કેમ્પસ છે અને એ કેમ્પસને લાગીને જે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનનો દોઢસો એકરનો કેમ્પસ છે. હજુ બીજી જમીન છે, પણ સર્વ સેવા સંઘની જમીન એક દમ સામે છે. જો સર્વ સેવા સંઘની જમીન હાથ ન લાગે તો પણ સંકુલ તો બની શકે, પણ એમાં થોડાથી સંતોષ માનવો પડે.

અધિકારીઓ એ તપાસ કરી તો જાણ થઈ કે સર્વ સેવા સંઘે ઉત્તર રેલવે પાસેથી જમીન ખરીદી છે. તેની પાસે વેચાણખત છે, સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવ્યા એની પાવતીઓ છે અને સાત બારામાં સર્વ સેવા સંઘનું નામ ચડેલું છે. સર્વ સેવા સંઘ ૬૩ વરસથી એ જમીન પર પવૃત્તિ કરે છે. ૬૩ વરસ દરમ્યાન ત્યાં ભારતના પ્રથમ રાષ્ટૃપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ચન્દ્રશેખર, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને એવા બીજાં સેંકડો ખ્યાતનામ લોકોએ કેમ્પસની મુલાકાત લીધી છે. જયપ્રકાશ નારાયણનું એ કેમ્પસમાં નિવાસસ્થાન છે. બાય ધ વે લોહિયાની જેમ જયપ્રકાશ નારાયણે પણ બિહાર આંદોલન વખતે જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા અપાવી હતી અને પોતાના ખભા છોલ્યા હતા. પણ કોઈનો ઉપકાર યાદ રાખવો એ સદ્દગુણ વિકૃતિ છે. કેમ્પસમાં જયપ્રકાશ નારાયણ સ્થાપિત ગાંધી વિદ્યાસંસ્થાન હતું જ્યાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો આવતા-જતા હતા. બાજુમાં જ રેલવેની કોલોની છે એટલે અધિકારીઓની નજર સામે આ પ્રવૃત્તિ ચાલતી હતી અને એ પણ ૬૩ વરસથી.

પણ આદેશનું પાલન કરવાનું હતું. નરેન્દ્ર મોદીના ખાસંખાસ કમિશનર કૌશલરાજ શર્માએ એક મુસલમાનને ઊભો કર્યો અને તેણે ફરિયાદ કરી કે સર્વ સેવા સંઘે રેલવેની જમીન પડાવી લીધી છે. ફરિયાદ પછી રેલવેને જાણ થઈ કે આપણી સાથે છેતરપીંડી થઈ છે. કોઈ વિનોબા ભાવે અને રામકૃષ્ણ બજાજ નામના સખસે આપણી જમીન નકલી દસ્તાવેજો તૈયાર કરીને પડાવી લીધી છે. રેલવેએ ફરિયાદ કરી, જજિલ્લા મેજિસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરી, બન્ને પક્ષોને ત્રણ વાર સાંભળ્યા અને સર્વ સેવા સંઘના દસ્તાવેજોની ખરાઈની ચકાસણી પણ કર્યા વિના ચુકાદો આપ્યો કે હા રેલવે સાથે છેતરપીંડી કરવામાં આવી છે અને જમીન રેલવેની છે. જિલ્લા મેજીસ્ટ્રેટે ૨૭મી જૂનની સવારે ૧૧ વાગે ચુકાદો આપ્યો અને બપોરે બે વાગે રેલવેએ બપોરે બે વાગ્યે નોટિસ આપી કે ૩૦મી તારીખે સવારે જમીનનો કબજો લેવામાં આવશે અને મકાનો ઉપર બુલડોઝર ચાલશે.

બોલો, શું કહેશો આ રાજ માટે? જે માણસે ૧૩ વરસ દેશભરમાં પદયાત્રા કરી અને ૪૮ લાખ એકર જમીન ભૂમિહીનોને આપવા માટે દાનમાં મેળવી અને વહેંચી એ વિનોબા ભાવે નામનાં સખસે રેલવેની ૧૩ એકર જમીન પચાવી પાડી અને એ પણ નકલી દસ્તાવેજો તૈયાર કરીને. વેચાણખત પર જેની સહી છે એ રાધાકૃષ્ણ બજાજ નામના શખસ ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના પરિવારમાંથી આવે છે. જે સર્વ સેવા સંઘ નામની સંસ્થા છે એની સ્થાપના ડૉ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાની જેવા ૫૦ મહાનુભાવોએ મળીને ૧૯૪૮માં ગાંધીજીની હત્યા પછી સેવાગ્રામમાં એક બેઠક બોલાવીને કરી હતી અને રાજેન્દ્રબાબુ તેના પહેલા અધ્યક્ષ હતા. ભૂદાનયાત્રા દરમ્યાન વિનોબા બનારસ હતા ત્યારે તેમણે તે સમયના રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને લખ્યું હતું કે રાજઘાટ નજીક પ્રાચીન કાશી નગરી અને ગંગાની નજીક રેલવેની જમીન આવેલી છે એમાંથી જો થોડીક જમીન રેલવે આપી શકે તો સર્વોદય પ્રવૃત્તિ માટે જોઈએ છે. લાલ બહાદુર શાસ્ત્રીએ કેટલીક જમીન સર્વ સેવા સંઘને આપવાનો નિર્ણય લીધો હતો. એ દરમ્યાન આંધ્ર પ્રદેશમાં મેહબૂબનગર નજીક રેલવે અકસ્માત થયો અને શાસ્ત્રીજીએ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ જગજીવન રામ આવ્યા અને તેમણે શાસ્ત્રીજીના નિર્ણય પર અમલ કર્યો. રેલવેએ તેની જમીન સર્વ સેવા સંઘને આપી નથી, વેચી છે. કેમ્પસનું ઉદ્ઘાટન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું.

કોની સામે આરોપ કરે છે? કાં તો એ લોકો અસંસ્કારી છે અથવા બેશરમ. અમારું રાજ છે ત્યાં વળી કોઈ પૂછનાર કોણ? કોણ ગાંધી અને કોણ ગાંધીના વારસદાર? કોણ રાજેન્દ્ર પ્રસાદ, કોણ લોહિયા, કોણ જેપી અને કોણ લાલ બહાદુર શાસ્ત્રી? કોણ તપસ્વી અને કોણ ત્યાગી? અમે તો ભૂને ઓળખીએ છીએ, ભૂ-દાન એ વળી શું બલા છે. જમીન જોઈએ એટલે જોઈએ.

આ કોઈ પણ ભોગે નમો ઘાટને ભવ્ય બનાવવા માટેની આત્મમુગ્ધતાનું પરિણામ છે કે પછી ગાંધીનો વારસો મીટાવવાનો પ્રયાસ છે? કે પછી બન્ને છે? જવાબ છે; બન્ને. પ્રારંભમાં કહ્યું એમ આ વિષાદજન્ય પ્રહસન છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

9 July 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—204
મહારાષ્ટ્ર રાજકીય કટોકટીઃ મહારાષ્ટ્રનો ગઢ જીતવા ભા.જ.પા.ની નીતિમાં સામ-દામ-દંડ-ભેદ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved