Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 January 2023

રમેશ ઓઝા

આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમ જ ભારતીય જનસંઘના નેતાઓ એ ચુકાદો માથે લઈને નાચ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાના ઓવારણા લેવામાં તેમણે કાંઈ બાકી નહોતું રાખ્યું. આનું એક પ્રમાણ લાલકૃષ્ણ અડવાણીનું જ આપું. ગયા અઠવાડિયે અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ અડવાણીની આત્મકથામાંથી એક હિસ્સો પ્રકાશિત કર્યો છે જેમાં અડવાણી લખે છે કે જે દિવસે બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર સંસદ અને સંસદમાં બેસનારા રાજકારણીઓને આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે અને સરમુખત્યારશાહીના પાગરણ થશે. બી.જે.પી.ના ધનગરોએ તેમના નેતાની આત્મકથા વાંચી નથી લાગતી.

આજે અડવાણી ચૂપ છે. એક શબ્દ બોલતા નથી. આ પણ એક ખેલ છે. પોતાને જણાતી પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાને જોઈએ એવી અનુકૂળતા પેદા કરવા માટે પ્રતિકૂળતાની તરફેણમાં અને અનુકૂળતાઓના વિરોધમાં બોલવાનું કે જેથી આપણી અનુકૂળતાઓનો વિરોધ કરનારાઓ આપણને બાજુમાં બેસાડે. જયપ્રકાશ નારાયણ અને કેટલાક સમાજવાદીઓ આ રીતે જ ભરમાયા હતા. તેમને એમ લાગ્યું હતું કે આ ભાઈઓ આપણી ભાષા બોલે છે એટલે આપણી સાથે છે અને તેમને પણ આપણી કલ્પનાનું જ રાષ્ટ્ર જોઈએ છે. જો ખરેખર લાલકૃષ્ણ અડવાણીને જયપ્રકાશ નારાયણ અને બીજાની કલ્પનાનું ભારત જોઈતું હોત તો તેમણે ધનગરોનો વિરોધ કર્યો હોત. એને વફાદાર રહ્યા હોત જે ભાષા તેઓ બે દાયકા પહેલાં બોલતા હતા. અત્યારે લોકશાહીપ્રેમ ક્યાં જતો રહ્યો?

આ આત્મકથા ૨૦૦૬માં પ્રકાશિત થઈ હતી અને ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. એ પહેલાં શું થયું હતું ખબર છે? એ પહેલાં ૨૨મી ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ વાજપેયી સરકારે દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ એમ.એન. વેંકટચેલૈયાના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી હતી જેને ભારતનાં બંધારણની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. એ કમિશનનું નામ હતું; ધ નેશનલ કમિશન ટુ રીવ્યુ ધ વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યૂશન.’ ઈરાદો બંધારણમાં ફાંકુ પાડવાનો હતો. વળી ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કોઈ મેધાવી પ્રતિભા ધરાવનારા કાયદાવિદ હોવાની કોઈ પ્રતિષ્ઠા નથી ધરાવતા. વાજપેયી-અડવાણીને એમ કે એક મીડિયોકર ન્યાયમૂર્તિનું બનેલું કમિશન કહેશે કે બંધારણ ખામીગ્રસ્ત છે અને તેમાં પરિવર્તનો કરવા પડે એમ છે. આપણને બંધારણમાં ફેરફાર કરવા માટેનું કારણ મળી રહેશે. તેમનાં દુર્ભાગ્યે કમિશને કહ્યું કે ભારતનું બંધારણ કોઈ ગંભીર ખામીઓ ધરાવતું નથી અને તેનાં બેઝીક સ્ટ્રક્ચરને તો હાથ પણ નહીં લગાડવો જોઈએ. બંધારણમાં ફાંકુ પાડવાનો તેમનો ઈરાદો નિષ્ફળ નીવડ્યો. એ પછી ચૂંટણી યોજાઈ, બી.જે.પી.નો પરાજય થયો, લાલકૃષ્ણ અડવાણીને લાગ્યું કે મંઝિલ હજુ દૂર છે એટલે અનુકૂળતા પેદા કરવા સારુ અનુકૂળતા સામેની પ્રતિકૂળતાની ભાષા બોલવી પડશે. માટે તેમણે તેમની આત્મકથામાં બેઝીક સ્ટ્રક્ચરનો મહિમા કર્યો હતો.

જો એમ ન હોત તો તેમણે તેમના પક્ષના આજના શાસકોને ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કમિશનના અભિપ્રાયની યાદ અપાવી હોત જેની રચના ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે પોતે કરી હતી. પણ એક શબ્દ નથી બોલતા. હકીકતમાં કમિશનની રચના જ બંધારણમાં ફાંકુ પાડવા માટે કરી હતી. તેમની કારી ફાવી નહીં એ જુદી વાત છે. આ બધા એક જ વેલાના તુંબડા છે, જે હિંદુરાષ્ટ્ર માટેની અનુકૂળતા પેદા કરવા માટે અલગ અલગ સમયે, અલગ અલગ ચહેરા ધારણ કરીને અલગ અલગ ભાષા બોલે છે. આજે અટલ બિહારી વાજપેયી હોત તો તેઓ પણ ચૂપ રહ્યા હોત. તેમના ગુરુ સાવરકર કહી ગયા છે કે સત્યનિષ્ઠા અને એકનિષ્ઠા સદ્દગુણ નથી, પણ સદ્દગુણવિકૃતિ છે. હિંદુઓએ દુર્ગુણોની ઉપાસના કરીને એક નવી દુર્ગુણસંસ્કૃતિ વિકસાવવી પડશે.

તો વાત એમ છે કે અત્યારે તેમને હિંદુરાષ્ટ્રની નજીક જવાની અનુકૂળતા નજરે પડી રહી છે, પણ એમાં આડખીલીરૂપ છે બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને હાથ નહીં લગાડવાનો સર્વોચ્ચ અદાલતનો ૧૯૭૩નો કેશવાનંદ ભારતીવાળો ચુકાદો. એ આડખીલી દૂર કરવી હોય તો સર્વોચ્ચ અદાલતમાં એવા જજોની નિયુક્તિ કરવી જોઈએ જે બહુમતીથી એ ચુકાદો ઉલટાવી આપે. બીજા શબ્દોમાં કહીએ તો અનુકૂળ જજો. ગોદી જજો. બીકાઉ જજો. અને આજે એવા જજો એક માગો તો દસ મળી શકે એમ છે. સવાલ છે તેમને, ગોદીજજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચાડવા કેવી રીતે? અને બંધારણને વફાદાર, બુદ્ધિમાન અને ખુદ્દાર જજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા રોકવા કઈ રીતે? જે લોકો એક સમયે ન્યાયમૂર્તિ ખન્નાને લઈને નાચતા હતા એ લોકો અત્યારે ન્યાયમૂર્તિ ખન્નાને ન્યાયતંત્રની બહાર રાખવાની પેરવી કરી રહ્યા છે.

જો ઇન્દિરા ગાંધી ત્યારે બંધારણ ફગાવીને વિધિવત્ સરમુખત્યાર બન્યાં હોત તો એ સેક્યુલર સરમુખત્યારશાહી હોત અને તેમાં હિન્દુત્વની ખો નીકળી ગઈ હોત એટલે સંઘપરિવાર લોકશાહીની ચિંતા કરતો હતો. તેમને જાણ હતી કે લોકશાહી માર્ગે જ પૂરી બહુમતી સાથે દિલ્હી સુધી પહોંચી શકાશે, જો સરમુખત્યારશાહી આવી તો જિંદગી જેલમાં વિતાવવી પડશે. પાકિસ્તાનમાં, ઈરાકમાં, લિબિયામાં, ઈરાનમાં અને બીજા કેટલાક મુસ્લિમ દેશોમાં આવું જ બન્યું હતું. ત્યાંનાં સરમુખત્યારો સેક્યુલર સરમુખત્યારો હતા. (પાકિસ્તાનના જનરલ ઝિયા આમાં એક માત્ર અપવાદ છે) ખોમેનીઓ અને મૌલવીઓ જેલમાં સડતા હતા. હિન્દુત્વવાદીઓની જેમ એ લોકો પણ ત્યારે રાષ્ટ્રવાદીની સાથે સાથે પાક્કા લોકશાહીવાદી હતા. એ પછી સત્તા પલટો થયો અને ત્યાં લોકશાહી માર્ગે ઇસ્લામના નામે સરમુખત્યારશાહી આવી. લોકશાહી માટેની તેમની નિસ્બત ખપ પૂરતી હતી. એ પણ કેવી વિડંબના! જગત આખામાં મોટા ભાગે સરમુખત્યારો સેક્યુલર, બેવડાં ધોરણ નહીં અપનાવનારા, નિર્દયી હોવા છતાં પ્રામાણિક હતા અને તેની સામે બહુમતી પ્રજાના હિતમાં લોકશાહીનો જાપ જપનારાઓ નથી સેક્યુલર અને નથી લોકશાહી માટે સાચી નિસ્બત ધરાવનારા. માટે અમેરિકા અને યુરોપના વિકસિત દેશો મુસ્લિમ દેશોમાં સરમુખત્યારોને પ્રોત્સાહન આપતા હતા અને પ્રજાના કહેવાતા નેતાઓને ઘાસ નહોતા નાખતા.

અડવાણી અત્યારે ચૂપ છે અને ઘનગરો સક્રિય છે એનું કારણ સમજાઈ ગયું હશે.

હવે મોકો મળ્યો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

22 January 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—180
પર્યાવરણને નાખો વખારે!! વિકાસ કોના અને શેના ભોગે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved