Opinion Magazine
Number of visits: 9449700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—179

દીપક મહેતા|Opinion - Opinion|17 January 2023

પહેલવહેલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો મુંબઈમાં એક અંગ્રેજને હાથે તૈયાર થયેલાં

ગુજરાતી છોકરા ભણતા ખંતથી, છતાં પરીક્ષા આપતા જ નહિ! 

 ૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ કમિટીમાંથી સોસાયટી બની અને માતૃ સંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. તેને દાન રૂપે જે રકમ મળી તેમાંથી ઝાઝાં પુસ્તક પ્રગટ થઈ શકે તેમ નહોતું. છતાં કામ શરૂ તો કરવું જ પડે. અને એલ્ફિન્સ્ટનની ચકોર આંખોએ શોધી કાઢ્યા કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસને. ગુજરાતીના બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો, પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં. ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે મદ્રાસ(હાલનું ચેન્નાઈ)માં જન્મ. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની આઠમી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સારું એવું ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર. વળી ‘દેશી’ઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા કે શાળાના શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક સોસાયટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા  નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. કવિ નર્મદ તો ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે : “ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.”  

કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ

૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીએ આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં : (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સિસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) ૧૮૫૯માં પ્રગટ થયેલા હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો નહિ જ. આમ, છાપેલાં ગુજરાતી પુસ્તકો પહેલી વાર પ્રગટ થયાં તે મુંબઈથી. તેવી જ રીતે પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલ વહેલાં પાઠ્ય પુસ્તકો. 

જર્વિસે આપ્યાં પાઠ્યપુસ્તક

૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી કેપ્ટન જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વરસ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા! સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ફિરોઝ નામની સ્ટીમર દ્વારા જર્વિસ યુરપ જવા મુંબઈથી ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે નીકળ્યા. મુસાફરી દરમ્યાન જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે ઉત્તર ફ્રાન્સના એક શહેર Bologne-sur-Merમાં તેમનું અણધાર્યું અવસાન થયું.

ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને સોસાયટીએ પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર લાત મારશે એ વાત ચતુર બ્રાહ્મણ પંતુજીઓ તરત કળી ગયા. ગોરપદું કરનારા પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. એટલે સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.

સરકારી પારસી કન્યાશાળા – સન 1870

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઈ શકે તેમ હતું. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા અંગે તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની નહિ. શાલેય પાઠ્ય પુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ‘ઇનામ’ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ તે માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની ઉદાર નીતિ.

પુસ્તકોની વાત થાળે પડી એટલે સોસાયટી નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદનગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકરને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી આજના ગુજરાત રાજ્યની પહેલી સ્કૂલો. એટલે કે ગુજરાતની સ્કૂલો માટેના પહેલવહેલા શિક્ષકો પણ તૈયાર થયા હતા મુંબઈમાં.

દુર્ગારામ મંછારામ મહેતા

આપણને ગમે કે ન ગમે પણ મોટા ભાગની સંસ્થાઓ અને સરકારો સુધ્ધાં કેવાં કામ કરશે અને કેવાં કામ નહિ કરે, કઈ રીતે કરશે અને કઈ રીતે નહિ કરે, એનો ઘણો આધાર તેના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ ઉપર રહે છે. એલ્ફિન્સ્ટન ગવર્નર હતા ત્યાં સુધી તો મુંબઈ સરકારના ચારે હાથ સોસાયાટી પર રહ્યા. પણ નવા ગવર્નર આવ્યા પછી ૧૮૩૨માં સરકારની રુખ બદલાઈ. ૧૮૩૨ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે સોસાયટીને એક પત્ર લખીને સરકારે જણાવ્યું કે ૧૮૨૫થી આજ સુધીમાં સોસાયટીનાં પુસ્તકો પાછળ સરકારે ૯૭,૨૨૩ રૂપિયા, ત્રણ આના અને આઠ પાઈનો જંગી ખર્ચ કર્યો છે. જેમને માટે આ પુસ્તકો છાપ્યાં તે ‘દેશીઓ’એ આ કામ માટે બહુ ઓછો ફાળો આપ્યો છે. એટલે હવે પછીથી દર વર્ષે સરકાર સોસાયટીને ૨૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ રકમ ક્યાં, કઈ રીતે વાપરવી તે સોસાયટી નક્કી કરી શકશે. વધુ રકમ મેળવવા માટે સોસાયટીએ લખાપટ્ટી કરી ત્યારે સરકારે અગાઉની અમુક લેણી નીકળતી રકમ શોધી કાઢી અને જણાવ્યું કે આ રકમ સામે દર વર્ષે રૂ. ૬,૯૬૮ ગ્રાન્ટની રકમમાંથી કાપી લેવામાં આવશે અને પૂરેપૂરી રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી વાર્ષિક ગ્રાન્ટ રૂપે ૧૩,૦૩૨ રૂપિયા જ સોસાયટીને મળશે. કોઈ પણ સારા કામને કઈ રીતે મારી નાખવું એ બધી સરકારો જાણતી હોય છે. 

આ સરકારી સ્કૂલોએ અને પાઠ્ય પુસ્તકોએ ન્યાત-જાત, ઊંચ-નીચના ભેદ વગર પહેલાં છોકરાઓને, અને પછી છોકરીઓને પણ, શિક્ષણ સુલભ કરી આપ્યું. તેથી સામાજિક સીડીનાં પગથિયાં ચડવાનું થોડું સહેલું અને સુલભ થયું. અને વખત જતાં ઉચ્ચ શિક્ષણની સગવડ થતાં એ વધુ સંગીન બન્યું. હવે પછી કરશું મુંબઈના ઉચ્ચ શિક્ષણ વિષે થોડી વાતો.  

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 જાન્યુઆરી 2023 

Loading

17 January 2023 Vipool Kalyani
← કચ્છ એક્સપ્રેસ :  ગુજરાતી ફિલ્મનો રિવ્યુ
હેટસ્પીચ રાસાયણિક ખાતર જેવું કામ કરે છે; મતોની પુષ્કળ ઉપજ આપે છે ! →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved