Opinion Magazine
Number of visits: 9449310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાતમીવાર, ભાજપ સરકાર … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2022

હા, પશ્ચિમ બંગાળની બરાબરી કરતી હોય તેમ ગુજરાતમાં સાતમી વાર, ભા.જ.પ. સરકાર આવી છે.  માધવસિંહ સોલંકી વખતનો સૌથી વધુ 149 સીટનો રેકોર્ડ તો ભા.જ.પે. તોડ્યો જ છે, એટલું જ નહીં, ભા.જ.પે. 127 સીટનો પોતાનો રેકોર્ડ પણ તોડ્યો છે. એ સાથે જ કાઁગ્રેસનો સૌથી વધુ સીટનો રેકોર્ડ તો તૂટયો જ, પણ,  સૌથી ઓછો 33 સીટનો રેકોર્ડ પણ તેણે જ 17 સીટ મેળવીને તોડ્યો છે. આ હાર એવી કારમી છે કે અમદાવાદમાં એક કાઁગી કાર્યકરે ઉશ્કેરાઈને રાજીવ ગાંધી ભવન પર પત્થર મારીને ઘડિયાળ તોડી નાખી, એ તો ઠીક, પણ કાઁગ્રેસનો જે ગઢ હતો ને જ્યાં ભા.જ.પ.ને કોઈ વખત જીત મળી ન હતી, તે બોરસદ અને મહુધામાં પણ ભા.જ.પ.ને જીત મળી છે ને કાઁગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનમાં પહેલીવાર પ્રવેશ મેળવ્યો હતો, ત્યારથી સુરતની બેઠકો અંગે ભા.જ.પ.ની છાવણીમાં ચિંતા હતી. એ જ કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સભાઓ કરી હતી ને રાત્રિ રોકાણ પણ કર્યું હતું. એ પછી મોદી મેજિક એવું ચાલ્યું કે સોળે સોળ સીટ ભા.જ.પ.ના ખોળામાં આવીને પડી. આપના ગોપાલ ઇટાલિયાનો અને અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે. આપના ‘મુખ્ય મંત્રીનો ચહેરો’ ઇસુદાન ગઢવી પણ, ઝાંખા પડ્યા છે. ટૂંકમાં, ભા.જ.પ.ના પાસા બધે જ પોબાર પડ્યા છે.

હિમાચલમાં કુલ 68માંથી જે પક્ષ 35 સીટ મેળવે તેની બહુમતી ગણાય, તે હિસાબે કાઁગ્રેસ 40 સીટ જીતી ચૂકી છે, જ્યારે ભા.જ.પ.ને 25 અને અન્યને 3 મળી છે. ટૂંકમાં, હિમાચલમાં કાઁગ્રેસની સરકાર બનશે, જ્યારે ગુજરાતમાં કુલ 182માંથી ભા.જ.પ.ને 156, કાઁગ્રેસને 17, આપને 5 અને અન્યને 4 સીટો મળતાં, અહીં ભા.જ.પ.ની સરકાર બનશે. કાઁગ્રેસના 4 અને આપના 128 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. 2017માં કાઁગ્રેસને 77 સીટો મળી હતી તે આ વખતે 60 સીટની નુકસાનીમાં છે. હવે શપથવિધિ ગાંધીનગર વિધાનસભાની પાછળ, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 12મી તારીખે બપોરે બે વાગે થશે ને 1.91 લાખ મતના માર્જિનથી જીત મેળવનાર ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્ય મંત્રીપદનાં શપથ લેશે.

ભારતીય જનતા પાર્ટીની આ જીત કોઈ સ્વીકારે કે નકારે, પણ હકીકત એ છે કે તેને પ્રજાએ વિપક્ષનું કોઈ મૂલ્ય જ ન રહે એવી પ્રચંડ જીત અપાવી છે. એનો અર્થ એવો નથી કે અન્ય પક્ષોએ પ્રયત્નો નથી કર્યા. કર્યા છે, પણ સૌથી દયાજનક સ્થિતિમાં અને ભયંકર ભ્રમમાં કાઁગ્રેસ છે. તે આત્મહત્યાને માર્ગે છે. ભા.જ.પ. ન જ હારે એને માટે તેણે હાર સામે ચાલીને વહોરી છે. રાહુલ ગાંધીની નેતાગીરી ગુજરાતને ફળી નથી. એટલું જ નહીં, કાઁગ્રેસે આ વખતે ગુજરાતને આખે આખું અવગણ્યું છે. ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ એ પછી કાઁગ્રેસમાં જીવ આવવો જોઈતો હતો, પણ ન આવ્યો. ભારત જોડો યાત્રા ગમે એટલી મહત્ત્વની હોય તો પણ, ગુજરાતની ચૂંટણી રાહુલ ગાંધીએ કે અન્ય મોવડીઓએ સાચવી લેવાની હતી, તેને બદલે ન તો રાષ્ટ્રીય નેતાગીરીએ એમાં રસ લીધો, ન તો રાજકીય કે સ્થાનિક નેતાગીરીમાં સક્રિયતા જણાઈ. એને લીધે જે ખરેખર રસ લેનારા કાર્યકરો હતા તે ધણી વગરનાં ઢોરની જેમ અટવાતા, અકળાતા રહ્યા. રાજીવ ગાંધી ભવન પર કાઁગ્રેસી કાર્યકરનો પથ્થરમારો એનું જ પરિણામ છે. વધારે આઘાતજનક તો એ છે કે સરકાર બનાવવાની સ્થિતિ આવે એ સંજોગોમાં શું કરવું એની મીટિંગ કાઁગ્રેસ દ્વારા કરવામાં આવી. પરિણામોએ એ હાસ્યાસ્પદ પુરવાર કર્યું. કાઁગ્રેસે એવું શું કર્યું કે તેને સરકાર બનાવવાનો વિચાર આવ્યો? એવું કયું નક્કર કામ હતું જેને આધારે એવો વિચાર પણ આવે? કાઁગ્રેસ દીવાસ્વપ્નમાં રાચી. ભા.જ.પ. 150 સીટ જીતે એવું લગભગ નક્કી થઈ ગયું ત્યારે પણ, અમદાવાદ પધારેલા કાઁગ્રેસ સમર્થક કાઁગ્રેસની ભવ્ય જીતનો દાવો કરતા કહી રહ્યા હતા કે આ વખતે અમારે 2017ની ચૂંટણીનો બદલો લેવાનો છે. ભા.જ.પ. 90 સીટમાં સમેટાઈ જાય તો કાઁગ્રેસ, આપ સાથે મળીને સરકાર બનાવવાનું પણ વિચારતી હતી, પણ હવે સ્પષ્ટ છે કે કાઁગ્રેસ વિપક્ષ તરીકે પણ ટકે એવું નથી. કાઁગ્રેસ પાસે મુદ્દાઓ હતા. ગરીબી, બેરોજગારી, મોંઘવારીના પ્રશ્નો હતા, પણ એને મુદ્દો બનાવવાને બદલે તેણે બાદશાહી બેફિકરાઈ જ દાખવી. આપની જેમ કાઁગ્રેસે પણ મફત મફતની માળાઓ ફેરવી – એ પણ રાષ્ટ્રીય નેતાગીરીના અભાવમાં ! રાહુલ ગાંધીએ બે સભાઓ કરી, ખડગેએ રાવણને યાદ કરીને મોદી પર પ્રહાર કરવા સિવાય નોંધપાત્ર કૈં કર્યું નહીં. લોકોની વાત તો છોડો, કાર્યકરો પણ સોનિયા, પ્રિયંકાની રાહ જોતાં રહ્યાં, પણ કોઈને આંટો મારવાની ફુરસદ ન મળી. ગુજરાત માટેની કોઈ નિસ્બત જ કાઁગ્રેસની જણાઈ નહીં. એવો ભ્રમ પણ ઊભો કરવામાં આવ્યો કે કાઁગ્રેસ સાઇલન્ટ પ્રચાર કરે છે, પણ એવું ય લાગ્યું નહીં, એવું થયું હોત તો ઈ.વી.એમ. તો બોલ્યું હોત ને ! એ પણ સાઇલન્ટ જ રહ્યું. કાઁગ્રેસને એ જ મળ્યું છે જેને એ લાયક હતી, બાકી આ એ જ પ્રજા છે, જેણે સૌથી વધુ સીટ કાઁગ્રેસને વિધાનસભામાં આપી છે. હવે પક્ષને જ પ્રજાની ન પડેલી હોય તો પ્રજા પણ પક્ષની કેટલીક ચિંતા કરે?

બીજો એક મુદ્દો પણ ભા.જ.પ.ની તરફેણમાં ગયો. ભા.જ.પ.નું શાસન 27વર્ષથી ગુજરાતમાં છે. 8 વર્ષથી કેન્દ્રમાં પણ ભા.જ.પ. જ દેખાય છે. આવામાં જે નવા મતદારો આવ્યા કે જેમણે એકાદ વખત જ મતદાન કર્યું છે, એ મતદાતાઓ તો મોદી આણિ કંપનીની નેતાગીરી જ જુએ જાણે છે. એને તો બુલેટ ટ્રેન, સ્માર્ટ સિટી, સ્માર્ટનેસ, આંતરરાષ્ટ્રીય ગતિવિધિ, હિન્દુત્વ, રામમંદિર, સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, ડિજીટલ ઇન્ડિયા જેવી વાતો જ કાને પડ્યા કરી છે. એને કાઁગ્રેસનું શાસન કે આપની વાતોની બહુ ખબર જ નથી. એટલે કાઁગ્રેસમાંથી રસ ઊડવાનું એક કારણ એ પણ ખરું કે નવા મતદારો એનાં કામ ને ઇતિહાસથી અજાણ છે. એમાં વળી કાઁગ્રેસ પોતે નિષ્ક્રિય રહે તો એવા મતદારોને કયું કારણ એની તરફ ખેંચાવાનું રહે?

વારુ, નવા, જૂના મતદારોએ ગુજરાતમાં આપનો પ્રચાર જોયો. સુરતમાં વિપક્ષ તરીકે આપની કામગીરી  ઉપરાંત દિલ્હી, પંજાબમાં શાસન પણ જાણ્યું, ગુજરાતમાં કેજરીવાલ, ભગવંત માનની આવ-જા જોઈ, રેવડીઓ વહેંચાતી સાંભળી, પણ ગુજરાતમાં જે કૈં જણાયું તે ચૂંટણીલક્ષી જ રહ્યું, એટલા પરથી ગુજરાતનો મતદાર અજાણ્યું શાસન એકાએક ન સ્વીકારે. બીજા રાજ્યોમાં કદાચ મફત આપવાની વાતો ક્લિક થઈ હશે, પણ ગુજરાતની પ્રજા એટલી લાલચુ નથી. એ જ કારણ છે કે મતદારો આપ સુધી ન પહોંચી શક્યા. એની સામે 27 વર્ષનો ભા.જ.પ.નો, તેની કામગીરીનો ખ્યાલ હોય તો તે જાણીતાને જ ઘરમાં ઘૂસવા દે. એ કારણે આપની સ્ટ્રેટેજી, બધી નિસ્બત હોવા છતાં નિષ્ફળ રહી. એટલું જરૂર થયું છે કે આપને ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી મળી છે. હવે એ જોવાનું રહે કે એ આવનારાં વર્ષોમાં મગમાંથી પગ કાઢે છે કે કેમ?

એવું નથી કે ભા.જ.પ. માટે બધું સહેલું હતું. એક તબક્કે તો એમ લાગતું હતું કે ટિકિટો કપાવાને કારણે કે રાજ્ય સરકાર બદલી કાઢવાને લીધે, ભા.જ.પ.માં જ અસંતુષ્ટોની સંખ્યા વધી છે. એમાંના કેટલાક તો અપક્ષ તરીકે સામે જઈને ઊભા રહ્યા, ત્યારે લાગતું હતું કે એની અસર પરિણામો પર પડશે, પણ ખાસ ફરક પડ્યો નહીં, તે એટલે કે ભા.જ.પ. પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર છે, મેનપાવર છે, ફંડ છે ને જીતનું અર્જુન જેવું સોંસરું લક્ષ્ય છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જે પરિશ્રમ કરીને આખા રાજ્ય પર વર્ચસ્વ જમાવ્યું છે, એ નાની વાત નથી. પાટિલનું કદ આ ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાનું થઈને બહાર આવ્યું છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યમાં જેટલી સભાઓ કરી ને રોડ શો કર્યા, એટલું કરવાનું કોઈ પક્ષ કે નેતાનું ગજું ન હતું. જે નિસ્બત ગુજરાતની પ્રજા સાથે વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ દાખવી છે તે પછી પ્રજાને બીજા કોઈ પક્ષને મત આપવાનું કોઈ કારણ જ ન હતું. એ ખરું કે કેટલાંક બુદ્ધિજીવીઓને ભા.જ.પ. સામે વાંધા હતા, હજી છે, એ નકામા જ છે એવું પણ નથી, પણ પ્રજાનો મોટો ભાગ મોદીમાં પોતાનો તારણહાર જુએ છે. એ જે કૈં કહે કે કરે એમાં એ પૂરો વિશ્વાસ મૂકે છે. એને હિન્દુત્વમાં ભરોસો છે, રામમંદિરમાં આસ્થા છે, એની સામે મોંઘવારી કે બેરોજગારી વેઠીને પણ એ મત આપવા તત્પર છે ને એને એવી ખાતરી છે કે પોતે મોદીના રાજમાં સલામત છે. આ સલામતીએ ગુજરાતીને મત આપવા પ્રેર્યા છે. ‘ભા.જ.પ. એટલે ભરોસો’ એ સૂત્ર પ્રજામાં ઘર કરી ગયું છે. લોકોએ એ સ્વીકારી લીધું છે કે જે ભા.જ.પ. સાથે નથી, તે તેની સાથે પણ નથી. મતદાન ઓછું થયું, પણ ભાજપ તરફે તે ઓછું થયું નથી. એટલે ઓછાં મતદાનની અસર અન્ય પક્ષો પર પડી હોય એમ બને. લોકો જાણી ગયા છે કે ફરિયાદ કે રજૂઆત થઈ શકે એવું સામે કોઈ નથી. ભા.જ.પ.ની સરકારની ફરિયાદ કરવી હોય તો પણ કાઁગ્રેસ કે આપ પાસે તેનો નિકાલ નથી, એ ફરિયાદ પણ ભા.જ.પ.ને જ કરવી પડે એમ છે. આ સ્થિતિ હોય તો પછી ભા.જ.પ. પાસે જ કેમ ન જવું ને પ્રજા ભા.જ.પ. પાસે ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ડિસેમ્બર 2022

Loading

9 December 2022 Vipool Kalyani
← ‘દોસ્તી’ના સુશીલ-સુધીર : દુઃખ તો અપના સાથી હૈ
મન્તવ્યજ્યોત (૧૯) : સાક્ષરજીવન : સહૃદય વાચક અને તોતારટણ  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved