Opinion Magazine
Number of visits: 9449228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 December 2022

ભારત માટે એવું કહેવાય છે કે આપણે અંદરોઅંદર એટલાં બાઝતા રહીએ છીએ કે અસલમાં જે લડાઈઓ થતી હોય છે અથવા થવાની હોય છે તેના પ્રત્યે ક્રિમીનલ ઉપેક્ષા સેવીએ છીએ. અંગ્રેજો આપણી પર સફળતાપૂર્વક રાજ એટલા માટે જ કરી શક્યા કારણ કે આપણે ધર્મના નામે, જાતના નામે, પ્રદેશના નામે, ભાષાના નામે, ઊંચ-નીચના નામે સતત લડતા-ઝઘડતા રહ્યા હતા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ નીતિ કોઈ નવી નવાઈની નહોતી. એ આપણે જ અંગ્રેજોને શીખવાડ્યું હતું. અંદરોઅંદર લડતા રહેવું આપણા ડી.એન.એ.માં છે, એ આપણા ‘સંસ્કાર’ છે. આજે, આઝાદીનાં 75 વર્ષ પછી પણ એમાં ફરક નથી પડ્યો. ઊલટાનું, એમાં વધારો થયો છે. આપણે અસલી મુદ્દાઓને ભૂલીને વ્યર્થ બાબતોને ‘રાષ્ટ્ર સ્તર’ની બનાવી દઈએ છીએ.

ગયા અઠવાડિયે, એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાની ટ્વીટ પર જે બબાલ થઇ, તેમાં આ વાત ફરી એકવાર સાબિત થઇ. બન્યું એવું કે ઋચાએ તેની એક ટ્વીટમાં સેનાની ઉત્તરીય કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક બયાનનો જવાબ આપ્યો હતો. જનરલ દ્વિવેદીએ તેમના બયાનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પુન: નિયંત્રણમાં લેવા માટે ભારતીય સેના કાયમ તૈયાર છે અને સરકારના આદેશની રાહ જુએ છે.

તેમનું આ બયાન પત્રકારોના એક સવાલના સંદર્ભમાં હતું. દર અસલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે હિમાચલમાં એક ચૂંટણી સભામાં એવું કહ્યું હતું કે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધવેળા જ પાકિસ્તાનવાળા કાશ્મીરનો ફેંસલો થઇ જવો જોઇતો હતો, પરંતુ એ અફસોસની વાત છે કે તે સમયે ભારતે પાકિસ્તાનના 90,000થી વધુ સૈનિક બંદી બનાવ્યા હતા છતાં ભારતે બદલામાં પી.ઓ.કે.ની માંગણી કરી નહોતી.

આ બંને વાતો, રાજનાથે જે કહ્યું તે અને જનરલે જે જવાબ આપ્યો તે, નવી નવાઈની નથી. ચૂંટણી પ્રચારમાં ઘણી બધી વાતો થતી હોય છે. એકવાર પ્રધા નમંત્રી નરેન્દ્ર મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે ન્યુક્લિયર બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી. એનો અર્થ એવો નથી થતો કે તેઓ સીમા બોમ્બ ફોડશે. પી.ઓ.કે. ભારતનું છે અને પાછું લેવાનું છે એ વાત ભારતની અધિકૃત પોલિસી હેઠળ આવે છે એટલે વખતો વખત તેનું રટણ કરતાં રહીએ છીએ. પી.ઓ.કે. કેવી રીતે પાછું લઈશું કે ક્યારે લઈશું તેની ન તો કોઈ યોજના છે કે ના તો સમય મર્યાદા.

એવી જ રીતે, ભારતીય સેનાનું કામ સરકારની નીતિને અનુસરવાનું છે. તમે એવું પૂછો કે તમે યુદ્ધ કરવા તૈયાર છો? તો સેના એવું તો ન કહે કે “ના, અમે તૈયાર નથી.” બસ, એ રીતે જ એક પત્રકારે રાજનાથનું બયાન યાદ કરાવીને સેનાને તેની તૈયારી અંગે પૂછ્યું (એ સવાલ બહુ મહાન પણ નહોતો) એટલે જનરલે સ્વાભાવિક રીતે જ કહ્યું કે અમે તો સરકાર કહે તેની રાહ જોઈએ છીએ. ભારત જ નહીં, દુનિયાભરની સેનાઓ રોજ તૈયાર થઈને એટલા માટે જ બેઠી હોય છે કે ક્યાંક સરકારનો કોઈ આદેશ આવી જાય.

આખી વાત બહુ જ સહજ હતી, પરંતુ ઋચા ચઢ્ઢાએ એક ટ્વીટ કરી તેમાં ‘લડાઈ’ ફાટી નીકળી. ઋચાએ જનરલ દ્વિવેદીના બયાનને ટેગ કરીને ઉપર લખ્યું, “ગલવાન સેઝ હાઈ” (ગલવાન યાદ કરે છે). એમાં ઋચાએ સેનાનું અપમાન કર્યું છે અને ઋચા દેશ-દ્રોહી છે તેવા આરોપોસર તેની પર એટલું બધું આક્રમણ થયું કે તેણે તેની ટ્વીટ ડિલીટ કરવી પડી. તેણે માફી માંગતા કહ્યું કે, “મારો આવો કોઈ ઈરાદો નહોતો, છતાં જે ત્રણ શબ્દો પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તેનાથી સેનામાં કોઈની લાગણી દુભાઈ હોય તો મને ખેદ છે.” તેણે કહ્યું કે તેના નાના સેનામાં હતા અને 65ના યુદ્ધમાં પગમાં ગોળી વાગી હતી. “આ મારા લોહીમાં છે,” તેણે લખ્યું હતું, “કોઈ સપૂત દેશની સેવા કરતી વખતે શહીદ કે ઘાયલ થાય ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે. આ મારા માટે ભાવનાત્મક મુદ્દો છે.”

ઋચાના બચાવમાં જે લોકો આવ્યા હતા તેમની દલીલ એ હતી કે ઋચાએ સેનાની ટીકા નથી કરી. તેણે એ સરકારની ટીકા કરી છે જેની અણઆવડતના કારણે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે મારામારીમાં 20 જવાનો શહીદ થયા હતા. આપણા માટે ગલવાન એક દુઃખતી રગ બની ગયું છે. 2020માં, ત્યાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઇ, તે પછી ચીન ત્યાં લગાતાર તેની પ્રવૃત્તિઓ વધારતું રહ્યું છે. આ બે વર્ષમાં એવો એક પણ મહિનો પસાર નથી થયો, જેમાં ગલવાનમાં ચીનની લશ્કરી હિલચાલના કોઈ સમાચાર ન આવ્યાં હોય. ભારત સરકાર પણ વખતો વખત કહેતી રહી છે કે ત્યાં સીમા પર ચીન સાથે બધું સમુસૂતરું નથી.

ઇન ફેક્ટ, ઋચા ચઢ્ઢાના મુદ્દે આપણું લોહી ઉકળતું હોય તો તેનું પા ભાગનું લોહી સરહદ પર અને સરહદ પારથી જે સમાચારો આવી રહ્યા છે તેના પર ઉકળવું જોઈએ. વાંચવા-વિચારવા જેવો અસલી મુદ્દો અત્યારે ચીન અને પાકિસ્તાનનો છે, પરંતુ આપણે અંદરોઅંદરની લડાઈમાં એટલા મગ્ન છીએ કે ત્યાં શું બની રહ્યું છે તેની ચિંતા નથી કરતાં.

આપણને, એટલે કે સાધારણ જનતાને, એ અંદાજ નથી કે એ ઘટના પછી ચીન સાથેના આપણા સંબંધો કેટલા ખરાબ થઇ ચુક્યા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં મંત્રણાઓના 14 દૌર થઇ ચુક્યા છે અને છતાં સ્થિતિ સુધરી નથી. કોરોના પછીની દુનિયામાં કૂટનીતિ સ્તરે ધરખમ ફેરફારો આવ્યાં છે. ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અંત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ તેના માટે તેનો કક્કો ખરો કરાવી રહ્યું છે. અમેરિકા સાથે તેનું શીત યુદ્ધ શરૂ થયું છે અને દુનિયાના દેશો ચીન અને અમેરિકા, એમ બે છાવણીઓમાં વહેંચાઇ રહ્યા છે. ચીન ભારતને અમેરિકાનું ‘પીઠ્ઠું’ અને દક્ષિણ એશિયામાં તેના હરીફ તરીકે જુએ છે.

એવી એક વ્યાપક માન્યતા છે કે ગલવાન વિવાદમાં ચીન ટસથી મસ થવા તૈયાર નથી અને તેની હરકત એવી છે જાણે તેને સેનાઓ વચ્ચે સંઘર્ષ થાય તેમાં રસ હોય. તાજેતરમાં જ, સેના પ્રમુખ મનોજ પાંડેએ વાસ્તવિક નિયંત્રણ રેખા(એલ.એ.સી.)ની સ્થિતિને ‘અસાધારણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બે વર્ષ પછી પણ ત્યાં ચીની સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. વિદેશી નિષ્ણાતો અનુસાર, ચીન સીમા પરના વિભિન્ન વિવાદિત ક્ષેત્રોમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં છે. તે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભાં કરી રહ્યું છે.

ચીનની આ યોજનામાં તેને પાકિસ્તાનનો સાથ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાઈ થઇ તે પછી ચીન અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીના કોલ લેવાયા છે અને તેની એક આડઅસર ભારતની સીમાઓ પર છે. ભારત અને ભારત બહારના સલામતી નિષ્ણાતો એક એવા ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે કે ભારત સીમાએ જ્યારે પણ કોઈ યુદ્ધ થશે, ત્યારે તે ત્રિ-પાંખિયું હશે. એક તરફ ભારત અને બીજી તરફ ચીન અને પાકિસ્તાન.

એ સંદર્ભમાં, પાકિસ્તાનમાંથી આવેલા સમાચાર પણ ‘ચિંતાજનક’ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ., જે ભારતમાં બહુ સક્રિય છે, તેના ભૂતપૂર્વ વડા લેફ્ટનન્ટ-જનરલ સૈયદ અસિમ મુનિરને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવામાં આવ્યાં છે. 2019માં, પુલવામાની ઘટના બની ત્યારે આઈ.એસ.આઈ.ની કમાન મુનિરના હાથમાં હતી. ઉપરાંત, એર ફોર્સના પાયલોટ અભિનંદન વર્ધમાનની ભારત વાપસીમાં પણ તેમની મોટી ભૂમિકા હતી. 

નવા નિયમ પ્રમાણે, મુનિર આગામી ચાર વર્ષ સુધી એ પદ પર રહેશે. દિલ્હીમાં વર્તુળો માને છે કે આ ચાર વર્ષ દરમિયાન, મુનિર ભારત વિરોધી કટ્ટરતામાં વધુ હવા ભરશે. મુનિર રૂઢિચુસ્ત સાઉદી અરેબિયામાં કામ કરી ચુક્યા છે એટલે તેમનામાં ઉદારતાની અપેક્ષા અસ્થાને છે. ધાર્મિક વૃત્તિવાળા પાકિસ્તાની આર્મી ચીફ ભારત માટે કાયમ માથાનો દુઃખાવો રહ્યા છે અને મુનિર એમાં અપવાદ નથી રહેવાના.

મુનિર એવા સમયે પાક સેનાના વડા બન્યા છે જ્યારે પાકિસ્તાન આંતરિક રીતે રાજનૈતિક અને લશ્કરી સંકટમાંથી પસાર થઇ રહ્યું છે, જ્યારે બાહ્ય સ્તરે એક તરફ અફઘાનિસ્તાનની અસ્થિરતા તેના માટે ચિંતાનો વિષય છે અને બીજી તરફ આક્રમક ભારતનો ડર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેને અમેરિકા અને ચીનની તંગ દોરી પર ચાલવાનું છે. એ બહુ સ્પષ્ટ છે કે વડા પ્રધાન શાહબાઝ શરીફ મુનિરને પૂછ્યા વગર ભારત, ચીન અને અફઘાનિસ્તાનના મોરચે પાણી પણ પીવાના નથી.

ભારત માટે એ જોવાનું રહેશે કે મુનિર, તેમના પુરોગામી જનરલ બાજવાની જેમ, કશ્મીરમાં સીમા રેખા પર ‘શાંતિ’ જાળવી રાખવાના પક્ષમાં છે કે પછી ત્યાં સળીઓ કરવાના મૂડમાં છે. ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણે ન્યુક્લિયર તાકાતો છે. ત્રણેના એકબીજા સાથે ‘ટાંકા ભીડાયેલા’ છે. એકબીજાના દેશમાં કશું પણ થાય, તેનો સીધો પ્રભાવ તેમના સંબંધો અને સુરક્ષા પર પડે છે.

આટલી ‘પ્રસ્તાવના’ પછી આપણે એક જ સવાલ પૂછવાનો છે; સીમાઓ પર જ્યારે આવા અસલી મુદ્દાઓ ગંભીર સ્વરૂપ લેતા હોય, ત્યારે આપણે ફિલ્મ સ્ટારોની ટ્વીટ પર લડી પડતા હોઈએ તે કઈ રીતે દેશના હિતમાં છે?

લાસ્ટ લાઈન:

“યુદ્ધમાં લડવું અને વિજય પ્રાપ્ત કરવો સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા નથી, સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા વગર લડે દુશ્મનના પ્રતિરોધને તોડવામાં છે.”

— સુન ત્ઝુ, ચાઇનીઝ ચિંતક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 December 2022 Vipool Kalyani
← नदव लापिद की ‘कश्मीर फाइल्स’
પ્રાઈમ ટાઈમમાંથી હિંમત અને સત્યની વસમી વિદાય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved