Opinion Magazine
Number of visits: 9448067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા

રમેશ ઓઝા|Opinion - Opinion|26 June 2022

પક્ષાંતર. ભારતીય લોકતંત્રને ક્ષીણ કરનારી જે કેટલીક બીમારીઓ છે એમાં સૌથી મોટી બીમારી પક્ષાંતરની છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે બંધારણ ઘડનારાઓએ બંધારણ ઘડતી વખતે જ આનો ઈલાજ કેમ નહીં કર્યો? શું તેઓ આટલું પણ દૂરનું નહીં જોઈ શક્યા હોય? આઝાદી પછીથી લગભગ સોએક સરકારો પક્ષાંતરની વેદીમાં હોમાઈ ગઈ છે. એમાં પક્ષાંતર કરનારાઓ અને કરાવનારાઓનો નર્યો અંગત અને સત્તાનો સ્વાર્થ જોવા મળ્યો છે, બીજું કશું જ નહીં. બીજું બંધારણ ઘડનારાઓએ ઈલાજ નહીં કર્યો તો નહીં કર્યો, હવે શું થઈ શકે? કોઈ ઈલાજ ખરો?

બંધારણ ઘડનારાઓ સમક્ષ પ્રશ્ન હતો કે લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ કોને વફાદાર હોવો જોઈએ? પક્ષને? પોતાને મત આપીને ચૂંટી આપનાર મતદાતાઓને? મત આપ્યો હોય કે ન આપ્યો હોય, પણ પોતાના મતદારક્ષેત્રના તમામ નાગરિકોને? દેશના બંધારણને? કે પછી અંતરાત્માને? મારી ભલામણ છે કે આ વિકલ્પો ફરી વાંચી જાવ. કોને વફાદાર હોવો જોઈએ? આના જવાબમાં માત્ર લોકપ્રતિનિધિ જ નહીં, તમારી સમજ અને નિસ્બતની પણ કસોટી થવાની છે. તમે કોને વધારે મહત્ત્વ આપો છો.

ભારતીય બંધારણમાં પક્ષનો કોઈ ઉલ્લેખ જ નહોતો. લોકતાંત્રિક રાજ્યનું મૂળભૂત એકમ નાગરિક, તેનો પ્રતિનિધિ અને પ્રતિનિધિઓએ ચૂંટેલ નેતા જે સરકાર રચે. એ સરકાર દેશની સરકાર (પક્ષની નહીં, દેશની) હોય અને લોકપ્રતિનિધિગૃહને (કોઈ એક પક્ષને નહીં, સમગ્ર ગૃહને) જવાબદાર હોય. પક્ષ એ વ્યવસ્થા માત્ર છે. આ વ્યવસ્થા આદર્શ નથી એની બંધારણ ઘડનારાઓને જાણ હતી, પણ બીજો વિકલ્પ પણ નહોતો. બંધારણ ઘડનારાઓને એમ લાગ્યું હતું કે લોકોના પ્રતિનિધિની વફાદારીને જો પક્ષ સાથે જોડવામાં આવે તો નાગરિકનું મહત્ત્વ ઘટે અને પક્ષનું મહત્ત્વ વધે અને લોકતંત્રમાં નાગરિક સર્વોપરી છે. લોકપ્રતિનિધિ લોકોનો પ્રતિનિધિ છે કોઈ એક પક્ષનો કે પક્ષના સમર્થકોનો નથી. માટે તેમણે લોકપ્રતિનિધિના હાથ નહોતા બાંધ્યા. તેમની પાસેથી અપેક્ષા હતી કે તેની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે હોવી જોઈએ. એનાથી મોટું કશું જ નથી. પક્ષ કે પક્ષે રચેલી સરકાર કોઈ નિર્ણય લે અને એ નિર્ણય સ્વીકાર્ય ન હોય તો તેનો વિરોધ કરવાનો અને જોઈએ તો પક્ષ છોડી જવાનો તેને અધિકાર હોવો જોઈએ. ભાષાવાર પ્રાંતરચના માટે દેશના કેટલાંક પ્રદેશોમાં આંદોલન થયાં ત્યારે સી.ડી. દેશમુખ જેવા કેટલાક લોકોએ કાઁગ્રેસ પક્ષની અને જવાહરલાલ નેહરુની નીતિનો વિરોધ કરીને સરકારમાંથી અને પક્ષમાંથી રાજીનામા આપ્યાં હતાં. એ તેમને બંધારણે આપેલી અંતરાત્માને અનુસરીને નિર્ણય લેવાની આઝાદીનું પરિણામ હતું.

ટૂંકમાં બંધારણ ઘડનારાઓ એમ માનતા હતા કે લોકપ્રતિનિધિની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે છે. પોતાને જે ઠીક લાગે તે મુજબ વિરોધ સહિત અભિપ્રાય આપવાનો અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે. તેની બીજી વફાદારી બંધારણ પરત્વે છે અને ત્રીજી વફાદારી નાગરિક પરત્વેની છે, પછી તેણે મત આપ્યો હોય કે ન આપ્યો હોય. પક્ષ માટેની વફાદારીનો તો કોઈ સવાલ જ નથી આવતો, કારણ કે તેને પક્ષની ગુલામીથી મુક્ત રાખવો હતો. પક્ષ સર્વોપરી હોય અને લોકપ્રતિનિધિ તેનો ગુલામ હોય તો તેને લોકપ્રતિનિધિ ન કહેવાય, પક્ષ પ્રતિનિધિ કહેવો જોઈએ.

બંધારણ ઘડનારાઓએ લોકપ્રતિનિધિને અંતરાત્માના અવાજને અનુસરવાની જે આઝાદી આપી હતી તેનો લાભ સી.ડી. દેશમુખ જેવાઓએ લીધો હતો, પણ દુર્ભાગ્યે એ અપવાદ જ નીવડ્યા અને એ પણ શરૂનાં વર્ષોમાં. પછીનાં વર્ષોમાં લોકપ્રતિનિધિઓ અંતરાત્માના અવાજને સાંભળવાની જગ્યાએ સત્તાકીય અને પૈસાકીય લાલચના અવાજ સાંભળવા લાગ્યા. તેઓ બંધારણે આપેલી આઝાદીનો દુરુપયોગ કરવા માંડ્યા. આજે એક પક્ષ અને કાલે બીજો પક્ષ. ખાસ કરીને ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી પછી આ દૂષણ વધ્યું હતું કારણ કે કેટલાંક રાજ્યોમાં કાઁગ્રેસ નબળી પડી હતી અને વિરોધ પક્ષોની સંયુક્ત સરકારો રચાઈ હતી. તેમની અંદર આપસઆપસમાં સત્તા માટે સાઠમારી ચાલતી હતી અને અત્યારે બી.જે.પી. જે રીતે વિધાનસભ્યો ખરીદીને કે લાલચ આપીને સરકારો તોડે છે એમ ત્યારે કાઁગ્રેસ તોડતી હતી. આને કારણે સ્થિતિ એવી બની કે વિધાનસભ્યો ખુલ્લેઆમ વેચવા લાગ્યા. સવારે એક પક્ષમાં હોય અને સાંજે બીજા પક્ષમાં. ગુજરાતના વિધાનસભ્ય જયદીપ સિંહ બારિયા એક દિવસમાં ત્રણ વખત પક્ષ બદલવાનો વિક્રમ ધરાવે છે. એ જમાનામાં આયારામ અને ગયારામનો વાક્યપ્રયોગ પ્રચલિત હતો.

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા એટલી વધવા માંડી કે તેનો કોઈક ઈલાજ કરવો જ પડશે એવું લાગવા માંડ્યું. બે ઈલાજ હતા. જે લોકપ્રતિનિધિ પક્ષ બદલે એ લોકપ્રતિનિધિ તરીકે રાજીનામું આપે અને પાછી ચૂંટણી લડે. બીજો વિકલ્પ એવો હતો કે પક્ષાંતર ઉપર સંખ્યાનું બંધન નાખવામાં આવે. ૧૯૮૫માં રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં સુધારો કરીને બીજો વિકલ્પ પસંદ કર્યો અને તેને લગભગ દરેક પક્ષે ટેકો આપ્યો હતો. એ સમયે રાજીવ ગાંધીની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠા માટે ચારેકોર વાહવાહ થઈ હતી. મને યાદ છે ત્યાં સુધી તેનો બે જણે વિરોધ કર્યો હતો. એક સમાજવાદી નેતા અને વિચારક મધુ લિમયે અને બીજા ગાંધીવાદી વિચારક દાદા ધર્માધિકારી. એમને વાંચીને મને સમજાયું હતું કે ભારતનું બંધારણ ઘડનારાઓને શું અભિપ્રેત હતું અને આ કાયદો કઈ રીતે બંધારણવિરોધી છે. આવા એકાદ-બે અપવાદ છોડીને સર્વત્ર રાજીવ ગાંધીનો જયજયકાર થતો હતો કારણ કે લોકોને એમ લાગવા માંડ્યું હતું કે હવે આ પક્ષાંતરની બીમારીનો અંત આવશે.

સુધારેલી જોગવાઈ એવી હતી કે જે તે પક્ષના કુલ લોકપ્રતિનિધિમાંથી જો એક તૃતીયાંશ સભ્યો પક્ષાંતર કરે તો તેને પક્ષાંતર ન કહેવાય પણ વિભાજન કહેવાય અને વિભાજન હંમેશાં વિચારધારા આધારિત અથવા મતભેદ આધારિત જ હોય. જો એક તૃતીયાંશ કરતાં ઓછા સભ્યો હોય તો એ પક્ષાંતર કહેવાય અને તેઓ તેમનું સભ્યપદ ગુમાવે. આનો અર્થ એ થયો કે ૧૯૮૫ના સુધારા દ્વારા બંધારણે રાજકીય પક્ષને અને રાજકીય પક્ષના દંડકને માન્યતા આપી. રાજકીય પક્ષ અમુક રીતે જ મત આપવાનો દંડક જાહેર કરે તો દરેક સભ્યે અંતરાત્મા કે બંધારણનિષ્ઠાને બાજુએ મૂકીને પક્ષના આદેશ મુજબ મત આપવાનો. જો કોઈ સભ્ય તેનું ઉલ્લંઘન કરે તો તે સભ્યપદ ગુમાવે, પણ જો એક તૃતીયાંશ સભ્ય સાથે મળીને આદેશની અવગણના કરે તો તે પક્ષમાં વિભાજન કહેવાય અને સભ્યપદ કાયમ રહે.

વિભાજન હંમેશાં મતભેદ આધારિત જ હોય એ અનુમાન ખોટું સાબિત થયું. અત્યારે શિવસેનામાં જે વિભાજન થયું છે એને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. ૨૦૧૯માં શિવસેના, રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષ અને કાઁગ્રેસે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય લીધો, ત્યારે અત્યારે બળવો કરનારા વિધાનસભ્યોના નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય સેના દ્વારા લેવાઈ ગયો હતો. સાથી પક્ષોને જ્યારે આ નિર્ણયની જાણ કરવામાં આવી ત્યારે શરદ પવારે કહ્યું હતું કે અન્ય બે પક્ષના પ્રમાણમાં કદાવર નેતાઓ પ્રધાનમંડળમાં હોય ત્યારે તેમની તુલનામાં મુખ્ય પ્રધાનનું કદ નાનું લાગશે. તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવાનું સૂચન કર્યું હતું. એ સમયે એકનાથ શિંદેને બી.જે.પી. સિવાયના પક્ષો સાથે સરકાર રચવામાં અને મુખ્ય પ્રધાન બનવામાં કોઈ વાંધો નહોતો. જો ત્યારે મુખ્ય પ્રધાન બનવા મળ્યું હોત તો તેમણે અત્યારે બળવો કર્યો પણ ન હોત. અત્યારે શિવસેના બી.જે.પી. સિવાયના કોઈ પક્ષ સાથે યુતિ કરે તેની સામે તેમને વાંધો છે. આ સિવાય ત્રણ વિધાનસભ્યો એવા છે જેની સામે કેન્દ્ર સરકારે ઇડીના શ્વાન છોડ્યા હતા. ડરીને બચવા માટે તેઓ પક્ષાંતર કરી રહ્યા છે જેને મતભેદ કે વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. મનમાં તો બી.જે.પી.ના નેતાઓને ગાળો આપતા હશે. આમ તેમના બળવાને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં ૧૯૮૫થી અત્યાર સુધીમાં જેટલી સરકારો તૂટી છે તેમાંની કોઈ સરકાર વિચારધારાને પરિણામે થયેલા વિભાજનને પરિણામે તૂટી હોય એવું મને એક પણ ઉદાહરણ યાદ આવતું નથી.

બીજી ધારણા એવી હતી કે એક તૃતીયાંશ સભ્યો એકઠા કરવા એ અઘરું કામ છે એટલે અપવાદરૂપે ક્યારેક જ સરકાર તૂટવાની ઘટના બનશે. આ ધારણા પણ ખોટી સાબિત થઈ છે. હવે પક્ષાંતર જથ્થાબંધ થાય છે અને તેને વિભાજન તરીકેની માન્યતા અપવવા માટે સ્પીકર અને રાજ્યપાલ ભૂંડી ભૂમિકા ભજવે છે. ગોળા સાથે ગોફણ ગુમાવવા જેવું થયું છે. ૧૯૮૫ પછીથી પચાસેક સરકારો આ રીતે જથ્થાબંધ પક્ષાંતર અને સ્પીકર તેમ જ રાજ્યપાલોના ગોરખધંધા દ્વારા તૂટી છે. ઊલટું ૧૯૮૫ના બંધારણીય સુધારા દ્વારા સરકારો તોડવાનું કામ વધારે સહેલું બની ગયું છે. લોકોના પ્રતિનિધિઓને સાગમટે એક જગ્યાએ લઈ જઇને બંદીવાન બનાવવામાં આવે છે અને તેમને એમાં શરમ પણ આવતી નથી.

તો પછી આનો ઉપાય શું?

ઉપાય એક જ છે. સભ્યપદેથી રાજીનામું. એક વ્યક્તિ પક્ષાંતર કરે કે સાગમટે કરે. દરેકે સભ્યપદેથી રાજીનામું આપવાનું અને પાછી ચૂંટણી લડવાની. જે પક્ષના સભ્ય તરીકે તમે ચૂંટણી લડ્યા હતા એ પક્ષ અત્યારે સ્વીકાર્ય નથી ને? કાંઈ વાંધો નહીં. સભ્યપદેથી રાજીનામું આપો અને જે પક્ષમાં જવું હોય એ પક્ષના ઉમેદવાર તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડો. લોકો ચૂંટી આપે તો ઠીક નહીંતર ઘરે બેસો. પણ ખરેખર વૈચારિક મતભેદના કારણે પક્ષમાં વિભાજન થાય તો? વિભાજીત સભ્યોની સંખ્યા પક્ષના નેતાને ટેકો આપનારા સભ્યોની સંખ્યા કરતાં વધારે હોય તો? વધારે નહીં, ઘણી વધારે હોય તો? આવું ક્યારેક બની શકે છે. ૧૯૯૫માં આંધ્રપ્રદેશમાં એન.ટી. રામારાવ સાથે આવું બન્યું હતું. રામારાવનાં બીજાં પત્ની લક્ષ્મી પાર્વતીની રાજકીય બાબતોમાં વારંવારની દખલગીરીથી ત્રાસીને પક્ષમાં બળવો થયો હતો અને રામારાવ અક્ષરસઃ એકલા પડી ગયા હતા. આવું ક્યારેક બની શકે છે. તો શું કરવું? તો પણ રાજીનામાં આપવાં રહ્યાં. ભેલ ફેર ચૂંટણી યોજવી પડે, પણ છીન્ડું રાખવામાં જોખમ છે. આમાં થોડો અન્યાય થઈ રહ્યો છે, પણ બીજો ઉપાય નથી. આપણું લોકતંત્ર હજુ પરિપક્વ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જૂન 2022 

Loading

26 June 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—151
બાળકોને બહાને ‘પ્રવેશોત્સવ’ તો રાજકારણીઓનો જ થાય છે … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved