જ્યોત ૧૫ : તન્ત્રી – લેખક સંદર્ભે :
લેખક પાસે બરાબર, પણ એના લખાણની યોગ્યતા-અયોગ્યતા તપાસનાર તન્ત્રી પાસે તો આગવી સાહિત્યમૂડી હોવી જ જોઈએ – લિટરરી કૅપિટલ.
પોતે અન્તેવાસી હતો એટલે કે ભાઇબંધી હતી એટલે, કોઈને તન્ત્રી થવા મળ્યું હોય એમ બને. તેમ છતાં, એ પહેલાંથી એ સાહિત્યકાર રૂપે ખ્યાત હોવો જોઈએ. સાહિત્યકલા અને સાહિત્યમીમાંસાના એના મહા અનુભવની ભૂમિકાએ લેખકોની કૃતિઓ પાસ-નપાસ થતી હોય, એમ બનવું જોઈએ. તન્ત્રી થયા પછી તન્ત્રીકાર્ય શીખતો હોય એમાં કશો દા’ડો ન વળે. હૈયાસૂઝથી સાહિત્યકલાને માણી શકાય, પણ એને પ્રમાણીને પ્રકાશિત કરવાનું સરળ નથી હોતું બલકે સાહિત્યક્ષેત્રે એ બહુ મોટી જવાબદારી છે. હું તો આપણે ત્યાં લેખક/સર્જક પછી જો કોઈને ઉત્તરદાયી ગણતો હોઉં, તો તે છે, સામયિકનો તન્ત્રી.
સાહિત્યમૂડી એ કે એને માતૃભાષાનું બરાબ્બરનું જ્ઞાન હોય, સાહિત્યના ઇતિહાસની પાક્કી જાણકારી હોય, સર્જકતા એટલે શું, તે એ જાણતો હોય, ભાવકતા એટલે શું, તે એ જાણતો હોય; વિવેચન કે સંશોધનની પણ એની પાસે શાસ્ત્રીય સમજ હોય. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, પ્લેટો-ઍરિસ્ટોટલથી એલિયટ સુધીના અને તે પછી વિકસેલા પશ્ચિમના સાહિત્યવિચારની એને વીગતે ખબર હોય. ભારતીય તેમ જ વિશ્વના સર્જનાત્મક સાહિત્યનો પણ એ એટલો જ રસિયો હોય.
તદુપરાન્ત, એની પાસે લલિત કલાઓની સમજદારી હોય, સાહિત્ય અને લલિત કલાઓ વચ્ચેના સમ્બન્ધનું એને જ્ઞાન હોય. સોનામાં સુગન્ધ ભળે જો એ વર્લ્ડ વાઇડ વેબ્સના આ ઇન્ટરનેટ યુગમાં સાહિત્યની પ્રવર્તમાન દશા અને દિશાથી વાકેફ રહેતો હોય. ‘પશ્ચિમનું પશ્ચિમનું’ કહીને એ ભલે ઘરમાં ટી.વી. કે ફ્રિઝ ન રાખતો હોય, પણ સોશ્યલ મીડિયાની આભડછેટ એને પોસાવી ન જોઈએ.
લેખકોએ મોકલેલાં લખાણોનું ઍડિટિન્ગ ૩ પ્રકારે થાય :
૧ :
તન્ત્રી પોતે લેખકની હસ્તપ્રતમાં જોડણી, વાક્યરચના, વગેરે વ્યાકરણી બાબતોમાં સુધારા-વધારા કરી લે.
પણ એ કરતાં પહેલાં એણે લેખકની સમ્મતિ મેળવવી જોઈશે. કેમ કે કોઇ તન્ત્રીની વ્યાકરણવિષયક સૂઝબૂઝ બરાબર ન પણ હોય, કંઈ નહીં તો, એની જોડણી કાચી હોઈ શકે છે.
૨ :
લેખકને તન્ત્રી સુધારાવધારા સૂચવે અથવા જાતે કરી લેવા કહે.
૩ :
લેખનમાં રજૂ થયેલી બાબત સાહિત્યિક કે કોઈ પણ કારણે તન્ત્રીને બિલકુલ વાંધાજનક લાગે તો ન સ્વીકારે, લેખકે સ્વ-સરનામું કરીને મોકલેલું પરબીડિયું વાપરે, પણ એમ જાણ જરૂર કરે.
કોઈ તન્ત્રી એવી જાહેરાત કરી રાખે છે કે – બે મહિના પછી જવાબ ન મળે તો સમજવું કે કૃતિ સ્વીકારાઈ નથી. એવી જાહેરાત વ્યવહારુ હશે, પણ અનુકરણીય નથી. લેખકોને એમાં ગુસ્તાખી લાગી શકે છે. કેમ કે, તન્ત્રીએ લખાણને બે માસ લગી કૅદમાં રાખ્યું ક્હૅવાય ! તન્ત્રીકાર્યનો ભરાવો રહેતો હોય તો તેનો કામયાબ ઉપાય તો કરી જ શકાય ને?
++
કેટલાક તન્ત્રીઓ અસ્વીકારનું કારણ આપતા હોય છે, કેટલાક નથી આપતા. પણ લેખક જો સામેથી માગે તો સમયની અનુકૂળતા ઊભી કરીને પણ કારણ તો આપવું જ જોઈએ.
કેમ કે તન્ત્રી અને લેખકનો સમ્બન્ધ સાહિત્યિક સંવાદનો છે. જરૂરી છે કે બન્ને વચ્ચે સંવાદ થતો રહે. એમની વચ્ચે એક જાતનો ડિસ્કોર્સ હોય તેની કલ્પના કરવાની જરૂરત છે, એટલું જ નહીં, ડિસ્કોર્સ રીયલમાં ઊભો થવો જોઈએ. તન્ત્રી કોઇ દાનેશરીની જેમ વર્તે ને લેખકને અભ્યાગત ગણે તે ન ચાલે. તન્ત્રી જાણકાર હોઈ શકે પણ લેખક પાસેથી ય ઘણું જાણી શકે. સાહિત્યિક નવતાની કે પ્ર-ગતિની સમ્પદા સુસજ્જ લેખક પાસે ઘણી હોય છે. એ વસ્તુ સમજુ તન્ત્રીઓ અંકે કરતા હોય છે ને ત્યારે શુદ્ધ નમ્રતા પણ દાખવતા હોય છે.
એ ન્યાયે, કૃતિના સ્વીકાર પરત્વે પણ સંવાદ થવો જોઈએ. સ્વીકારનાં કારણ કે કારણો તન્ત્રીએ લેખકને એક-બે વાક્યમાં પણ જણાવવાં જોઇએ. એક એથી જુદું પણ કરી શકાય. અંકનાં લખાણો માટે નાની નાની તન્ત્રીનૉંધો લખી શકાય. એથી સામયિકના વાચકોને પણ કૃતિમાંથી સ્ફુરતા સાહિત્યપદાર્થની સમજ પડે. એથી, ઉપકારક ચર્ચાના સાધકબાધક સંકેત સાંપડતા હોય છે. તન્ત્રી એ અર્થમાં સાહિત્યકલા શીખવી પણ શકે. મેં વરસો લગી ‘ખેવના’-માં તન્ત્રીનૉંધો લખેલી ને પ્રકાશિત કરેલી. આડલાભ એ છે કે તન્ત્રીની શાખ બંધાય છે. તન્ત્રી વધુ ને વધુ વિશ્વસનીય અનુભવાય છે.
આવી જ બીજી જરૂરત છે, તન્ત્રીલેખની. તન્ત્રીએ વર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય વિશે તેમ જ ભૂતકાળની કે ભાવિ સાહિત્યપરક કોઈ પણ બાબત વિશે લખવું જોઈએ, નિયમિત લખવું જોઈએ. રીઢા તન્ત્રીઓ તો એ કર્તવ્ય ક્યારે ય બજાવતા જ નથી. તન્ત્રીપદને તેઓ શું સમજતા હશે? બાકી, તન્ત્રી સારાસાર વિવેક દાખવીને વર્તમાનની નુક્તેચિની કરે, રોગગ્રસ્ત માનસિકતાઓના ઇલાજ સૂચવે, અવનવા વિચારો જાગે એવું પ્રેરક લખે, વગેરે એનો મૂળ ધર્મ છે.
જે તન્ત્રી કશું જ કરતો નથી, એને દુકાન માંડીને થળે બેઠેલો શેઠિયો ગણવો જોઈએ. એનામાં અને મુદ્રકમાં શો ફર્ક? ફર્ક એ કે મુદ્રક સખત શારીરિક મહેનતનું કમાય છે.
મોટા ભાગના તન્ત્રીઓ હમેશાં એમ કહેતા હોય છે કે – એટલો બધો સમય ક્યાંથી કાઢવો; અહેસાન કરતા હોય એમ કહેતા હોય છે – ચલાવીએ છીએ એ જ બહુ છે. લેખકોએ એમને પૂછવું જોઈએ કે – કોની ગરજે કયો મતલબ પાર પાડવાને ચાલુ રાખો છો. બંધ શું કામ નથી કરતા?
તન્ત્રીઓ સાહિત્યક્ષેત્રે કશો ઉપકાર નથી કરતા, લેખકો વડે સંચિત થતા રહેતા સાહિત્યદ્રવ્યને વિવેકપૂત દૃષ્ટિથી નીરખે છે, અને તેના પ્રકાશનને માટેની ખાલી જોગવાઈ કરતા હોય છે, જેને આપણે સાહિત્યનું સામયિક કહીએ છીએ.
યાદ રહે કે લેખકો છે, તો તન્ત્રી છે.
= = =
(June 19, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર