Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી સશક્તિકરણ : સંતાનોને માબાપ જ સ્ત્રી વિરુદ્ધ થવાનું શીખવે છે … !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 June 2021

આપણી કેટલીક કહેવતો સ્ત્રી વિરુદ્ધ પણ પડી છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, બૂધે નાર પાંસરી, રહે તો આપથી ને જાય તો સગા બાપથી … જેવી ઘણી કહેવતો સ્ત્રીની તરફેણ કરતી નથી. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી ને ગાય, દોરે ત્યાં જાય … જેવી વાતોમાં પણ દીકરી એક જવાબદારી જ ગણાઈ છે. એ જાણે પારકાનો બોજ છે ને માબાપ તેને બીજા માટે વેંઢારે છે, એવો ધ્વનિ એમાંથી સ્ફુટ થાય છે.  એમાં પણ મુખ્ય વાત છે તેના ઉછેરની. બોજ ગણાયેલી દીકરી પરણે ત્યાં સુધી નરમ અને વિવેકી ગણાઈ છે, પણ પરણે છે પછી તે જાણે બધું છીનવવા જ આવી હોય તેમ સાસરું વર્તવા લાગે છે. સાસરે પગ મૂકે તે પહેલાં, તેને વિષેની ધારણાઓ પહોંચી જાય છે. તે સાસરે આવીને, પતિ બનેલો પુત્ર  છીનવી લેવાની છે એવી ગ્રંથિ જાણ્યે-અજાણ્યે ઘણાં ઘરોમાં ઘર કરી ગયેલી હોય છે.

આશ્ચર્યની વાત એ છે કે એવી ગ્રંથિ જમાઈ માટે કોઈ સેવતું નથી. બાકી, સાચું તો એ છે કે જમાઈ આવીને ઘરની દીકરીને છીનવી જાય છે. પણ, એનો વાંધો કોઈને પડતો નથી, બલકે, દીકરીને વર મળ્યો તેની ખુશી, કુટુંબોમાં છવાયેલી હોય છે. કન્યા સાસરે જઈને પતિને છીનવી લેવાની છે એવો ભય એના પહોંચતાં પહેલાં સાસરે પહોંચે છે, તેવો ભય પિયરને લાગતો નથી. પિયરને એવો સવાલ થતો નથી કે જમાઈ કેવી રીતે ઘરની છોકરીને વટથી લઈ જાય છે? દીકરીના જવાથી એક બહેન, એક નણંદ, એક ફોઈ પિયરમાં ઓછી થાય છે, એ ખોટ કોઈને ખાસ લાગતી નથી. થોડું દુ:ખ થાય છે, પણ પછી બધું સમજાઈ-સચવાઈ જાય છે.

દીકરી પરણીને સાસરે જાય છે એ પહેલાં પિયરમાં સ્થિતિ કેવી હોય છે તે જાણવા જેવું છે. યોગ્ય મુરતિયો શોધવામાં માબાપ ને સગાંસંબંધીઓ થાકી ગયાં હોય છે, ત્યાં માંડ એક ઘર હાથ લાગે છે એટલે જેમ બને તેમ પિયર, કન્યાને વળાવવા તત્પર થઈ ઊઠે છે. પિયરને મુરતિયો હાથથી જાય એ પરવડતું નથી. એટલે જમાઈ ને તેનું કુટુંબ ઉપકાર કરતું હોય તેમ વર્તે છે ને તેમને પિયર અહોભાવથી જોઈ રહે છે. ઘણીવાર તો કન્યાને લાયક વર ન હોય તો પણ સમાધાન કરી લેવાતું હોય છે. વર વધારે પાત્રતા ધરાવતો હોય ને કન્યા ઓછું ભણેલી કે ઓછી રૂપાળી હોય તો તેને પૈસા ટકાથી ખુશ કરીને સાપનો ભારો ઉતારી દેવાતો હોય છે. એવું પણ બને છે કે દીકરી વધારે તેજસ્વી હોય ને સામે મુરતિયો ઓછી પાત્રતા ધરાવતો હોય તો પણ સમાધાન કરી લેવાનું દીકરીને કહેવાતું હોય છે. આવો આવો મુરતિયો પણ ક્યાં છે – જેવું કહીને દીકરીને સમજાવી લેવાતી હોય છે, ત્યારે દીકરી વધારે યોગ્યતા ધરાવે છે એવું કહીને પિયર, પૈસા ટકા મુરતિયા પાસેથી માંગી શકતું નથી. ત્યારે પણ આપવું તો કન્યાપક્ષે જ પડે છે. એવું નથી કે દીકરાને વહુ દરેક વખતે સામે કરી રાખેલી છે. એને ય વહુ મેળવવામાં તકલીફ પડે છે, પણ મોટે ભાગે સ્થિતિ કન્યા પક્ષની જ કફોડી થતી હોય છે. મુરતિયો તો એને જ નથી મળતો. આમાં પરંપરાગત માન્યતા જ કામ કરે છે. માન્યતા એ કે સાપનો ભારો દીકરી જ છે. માન્યતા એ કે એનો જન્મ જ પેટે પથરો આવ્યો-થી થાય છે. અપવાદો હશે, પણ ઘણાં કુટુંબોમાં દીકરી ઇચ્છનીય નથી. જે આગળ જતાં બીજા કુટુંબમાં દીકરીને જ નહીં, દીકરાને પણ જન્મ આપવાની છે એ દીકરી તરીકે જન્મે એવું ઘણાં કુટુંબો નથી ઇચ્છતાં એ કેવી મોટી વિડંબના છે ! યાદ રહે જે કુટુંબોમાં દીકરો જન્મે એ ઉત્સવ ગણાય છે, તેને જન્મ તો કોઇની દીકરી જ આપે છે ને છતાં દીકરી ઉપેક્ષિત છે. આ કોઈ રીતે ક્ષમ્ય નથી.

આમાં એક જ કારણ ભાગ ભજવે છે ને તે એ કે દીકરી પારકે ઘરે જવાની છે. તે જવા રાજી હોય કે ન હોય, કુટુંબ જ તેને પારકે ઘેર વળાવવાની ફિકરમાં હોય છે. તે રહે તે ય મંજૂર નથી ને જાય તેની ય તૈયારી નથી. આ ગૂંચ જ સમસ્યાઓ જન્માવે છે. જે બીજાને જ સોંપવાની છે તેને ઉછેરવાનું ને પરણાવવાનું ઘણાં કુટુંબોને અઘરું લાગે છે. ટૂંકમાં, દીકરી બહુ મોંઘી પડે છે. આ માનસિકતા બદલાય તો દીકરી આવકાર્ય બને. આજે તો એવું બન્યું છે કે ઘરડાં માબાપને દીકરાઓ વૃદ્ધાશ્રમ બતાવે છે ત્યારે દીકરીઓ ઢાલ બનીને ઊભી રહે છે. ઘણાં કુટુંબોમાં માન્યતા બદલાઈ છે ને ત્યાં પુત્રીનો વિકાસ સારી રીતે થતો જોવા પણ મળે છે. જેમણે સમાજ વ્યવસ્થા સ્વીકારી છે તેમણે એ પણ સ્વીકારવું જોઈએ કે દીકરી પરણાવવાની છે ને તે સાસરે જવાની છે. એ ન જવા માંગતી હોય તો પણ આ જ કુટુંબો તેને પરણાવવા આકાશ પાતાળ એક કરતાં હોય છે. આટલું જ્યારે સ્વીકારતાં હોય ત્યારે કુટુંબોએ દીકરી પ્રત્યે બહુ  ભેદભાવ પાળવા જેવો નથી.

આમ થવાના કારણમાં માબાપ અને કુટુંબો છે. બાળક જન્મે ત્યારે તે સ્ત્રી-પુરુષના ભેદથી અજાણ હોય છે. તે મોટું થાય છે તેમ તેમ તેને માબાપ, કુટુંબના વડીલો ભાન કરાવે છે, આ ભાઈ છે, આ બહેન છે, આ કાકા છે, આ કાકી છે … વગેરે. એ સાથે જ ભાઈ જાણે છે કે બહેન કરતાં ભાઈ હોવું વધારે સારું છે કે બહેન સમજવા લાગે છે કે ભાઈ વધારે મહત્ત્વનો છે, કારણ તે અહીં જ રહેવાનો છે ને પોતે પરણીને સાસરે જવાની છે. એને સમજાય છે કે તેણે ઓછાંથી ચલાવતાં શીખવાનું છે. ભણાય તો ભણવાનું છે, જીવાય તો જીવવાનું છે. તેનું મહત્ત્વ ભાઈ પછીના ક્રમે જ છે તે સ્વીકારી લેવાનું છે, ભલે પછી તે ભાઈ પહેલાં આ દુનિયામાં આવી હોય. તેણે સુંદર દેખાવાનું છે, તે પોતાને માટે નહીં, બીજાની નજરમાં આવે એ માટે ને એ સાથે જ તેણે બીજાની નજરથી બચવાનું પણ છે. આવા અનેક ગૂંચવાડામાં તે મોટી થાય છે. આમાં સ્વસ્થ રહેવું અઘરું છે.

એમાં નાનેથી મોટી થતાં ભાઈ વિષે તે જે જાણે છે તેની જુદી જ અસર પડે છે. ભાઈ બહુ ઊછળતો હોય તો મા જ કહેશે, પેલી પારકી જણી આવશે ને તે જ એને સીધો કરશે. એ મજાકમાં કહેવાતું હોય તો પણ એની અસર પડતી હોય છે. આમાં એ બહેન પણ જોડાતી હોય છે જે પારકે ઘેર જવાની છે. આ તો પિયરની વાત થઈ. એ જે સાસરે જવાની છે ત્યાં કેવીક ભૂમિકા છે? ત્યાં ભય છે કે પારકી જણી આવીને ઘરનો, કુટુંબનો કબજો લઈ લેશે. જો દીકરો વહુનો થઈ ગયો તો વહુઘેલો ને માનો રહ્યો તો માવડિયો. આમાંની કોઈ ગાળ તો દીકરો ખાતો જ હોય છે.

આજે આ દખલ ઘટી છે, થોડી, પણ દીકરી સાસરે જાય પછી પિયર પણ સાસરે ભરાતું રહે છે. એમાં દીકરીની મા મોટી ભૂમિકામાં હોય છે. સાસરું વહુની સામે પડેલું હોય છે ને દહેજને નામે ઝઘડા ચાલતા જ હોય છે ત્યાં દીકરીની મા પિયરમાં રહીને સાસરે કેમ રહેવું અને વરને કાબૂ કરીને અલગ કેમ થવું એના પાઠ ભણાવતી હોય છે, એ વખતે તે ભૂલી જાય છે કે દીકરાની વહુ ઘરમાં જ છે ને તેની મા પણ પિયરમાં બેઠી છે. આ બધું ઘટવું જોઈએ, પણ વત્તે ઓછે અંશે સામાન્ય કુટુંબોમાં આવું ચાલતું જ રહે છે. આમાં ઘણી મોટી ભૂમિકાઓ પિયર, સાસરાની સ્ત્રીઓ ભજવતી હોય છે. સ્ત્રી, સ્ત્રીની દુશ્મન ન જ હોવી જોઈએ, પણ હોય છે અને એ નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં નિમિત્ત બને પણ છે.

આનો ઉપાય નથી, એવું નથી. છે. એક જ. જન્મથી જ દીકરા દીકરી વચ્ચે જે ભેદ રખાય છે તે દૂર થાય તો ઘણી સમસ્યાઓનું નિવારણ શક્ય છે. જો કન્યા લક્ષ્મી છે તો તેનો કુટુંબોમાં સહજ સ્વીકાર કેમ નથી? એવું શું કામ શીખવાતું નથી કે પારકી છોકરી તેનું કુટુંબ છોડીને કોઈનું ઘર ભાંગવાં આવતી નથી. તે કુટુંબનો વિસ્તાર કરવા આવતી હોય તો તેનો સ્વીકાર એ રીતે શું કામ ન થવો જોઈએ? સ્ત્રીઓ હક વિષે સમજતી થઈ છે, તેમ તેમ ફરજ વિષે ભૂલતી પણ થઈ છે, એ આધુનિક નારીનું લક્ષણ હશે કદાચ, પણ મોટે ભાગે સામાન્ય કુટુંબોમાં સ્ત્રીઓ માટેની ઘૃણા અકબંધ રહેતી હોય છે ને એમાં નાનેથી જ સમજ કેળવાય કે છોકરીનો કે છોકરાનો જન્મ વરદાન છે તો ઘણાં અપમૃત્યુથી બચવાનું થાય. આટલું નાનું કામ પણ આપણો સમાજ આટલી તકલીફો પછી પણ નહીં કરી શકે? જે અડધી વસ્તીનું ને આખી માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે, એને અન્યાય ન થાય એટલું જોઈએ તો એનાથી આપણું જ હિત સધાય છે એવું નહીં?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

1 June 2021 admin
← સમતોલ માનવીય શિક્ષણને સમર્પિત કુમારભાઈ
ધ બક સ્ટોપ્સ હીયર: નૈતિક જવાબદારી ક્યા ટેબલ પર આવીને અટકે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved