Opinion Magazine
Number of visits: 9449208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુકાંત દેસાઈ ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો નૈતિક કૃત્ય છે, ગંદું નહીં.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2021

આ અઠવાડિયે, ઓવર ધ ટોપ (ઓ.ટી.ટી.) મીડિયા પ્લેટફોર્મ પર અભિષેક બચ્ચનની ‘ધ બીગ બુલ’ ફિલ્મ રિલીઝ થઇ છે. તેની કહાની ૧૯૯૨માં હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ આધારિત છે. ‘ધ બીગ બુલ’ એક મહિના પહેલાં જ રિલીઝ થયેલી હંસલ મહેતાની પ્રતિક ગાંધી અભિનીત ‘સ્કેમ ૧૯૯૨’ સિરીઝ પછી આવી છે, એટલે બંનેની સરખામણી થવી સ્વાભાવિક જ છે, પરંતુ અભિષેકને બીજી એક સરખામણીમાંથી પણ પસાર થવું પડશે, અને તે છે ૨૦૦૭ની તેની ફિલ્મ ‘ગુરુ.’ બંને ફિલ્મોનું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે અને બંને ફિલ્મોનો હીરો મધ્યમ વર્ગના માણસનાં સપનાંની વાત કરે છે. બંને હીરો કંઇક અંશે કાનૂનની દ્રષ્ટિએ અપરાધી છે, પણ એક મહત્ત્વનો ફર્ક એ છે કે ‘બીગ બુલ’નો હેમંત શાહ તેની લાલચનો શિકાર બને છે, જ્યારે ‘ગુરુ’નો ગુરુકાંત દેસાઈ મૂડીવાદી વિચારધારાનો હીરો સાબિત થાય છે.

‘ગુરુ’ ફિલ્મ આકસ્મિક રીતે બની હતી. અભિષેક બચ્ચને મણિ રત્નમ્‌ સાથે ૨૦૦૪માં ‘યુવા’ ફિલ્મ કરી હતી. એમાં એનું નામ લલ્લન હતું. એકાદ વર્ષ પછી મણિએ અભિષેકને મેસેજ કર્યો, “લલ્લન, બીજી ફિલ્મ કરવા તૈયાર છે?” મણિએ ‘પેકી’ નામની ફિલ્મની પટકથા બનાવી હતી. એમાં એક એવા છોકરાની વાત હતી, જે તેના પેરેન્ટ્સ સાથે સાઈઠના દાયકામાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરી ગયો હતો અને ત્યાં મોટા થયા પછી નસ્લવાદનો ભોગ બને છે, અને તેના પરિણામે તે એક અસામાજિક યુવાન બની જાય છે. 

અભિષેકે હા પાડી અને બધું નક્કી થયું. એક દિવસ મણિ તેને મળવા આવ્યા, અને માઠા સમાચાર આપ્યા, “યાર, ઇન્ટરવલ પછી શું કરવું એ સમજ નથી પડતી. સ્ક્રિનપ્લે બરાબર લખાતો નથી. મારે આ ફિલ્મ નથી કરવી.” અભિષેકે કહ્યું, સારું, જબરદસ્તી તો ન થાય ને. એ રાતે બંને ડીનર પર ભેગા થયા, અને અચાનક મણિએ કહ્યું, “મારા મનમાં એક બીજો વિષય પણ છે. તું કરીશ?” અભિષેક કહે છે કે નેકી ઓર પૂછ પૂછ!

ત્યારે તો ફિલ્મનું નામ ‘ગુરુ’ નક્કી પણ ન હતું. એ એક ઉધોગપતિની ઝીરોમાંથી હીરોની કહાની હતી. મણિ રત્નમે તો આ ફિલ્મ ધીરુભાઈ અંબાણી પર આધારિત હોવાનો પણ ઇનકાર કર્યો છે, પરંતુ ફિલ્મના મજબૂત ગુજરાતી બેકગ્રાઉન્ડ, શેર બજારના વ્યવસાય, મુંબઈના અંગ્રેજી સમાચારપત્ર (રામનાથ ગોયંકાના ‘ધ ઇન્ડિયન એકપ્રેસ’) સાથે લડાઈ વગેરે સંદર્ભો એટલા દેખીતા છે કે દર્શકોના મનમાં ફિલ્મ કાલ્પનિક હોવા અંગે કોઈ શંકા રહી ન હતી.

ફિલ્મ ધીરુભાઈના જીવન પર આધારિત છે કે નહીં તે કરતાં ય મહત્ત્વની વાત એ છે કે ભારતના મુક્ત-બજાર (ફ્રી-માર્કેટ) પરની આ એક માત્ર ફિલ્મ છે. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં લાઈસન્સ રાજના જમાનાના ભારતમાં એક એવા બિઝનેસમેનની વાત કરી હતી જે પૈસા બનાવવાને નૈતિક અધિકાર ગણે છે. ભારત આઝાદ થયું ત્યારે નહેરુવાદી અર્થતંત્રમાં નફો કરવો એ ઘોર પાપ ગણાતું હતું. નહેરુએ તેમના રશિયન સમાજવાદના આધારે ભારતની અર્થવ્યવસ્થા વિકસાવી હતી. ૧૯૨૯માં, નહેરુ કૉન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમણે વક્તવ્યમાં કહ્યું હતું કે, “સાચું કહું તો હું સમાજવાદી અને રિપબ્લિકન છું. મને જૂના જમાનાના રાજાઓ-રાજકુમારો કે આધુનિક ઉધોગોના મહારાજાઓમાં વિશ્વાસ નથી.”

નહેરુ આખી જિંદગી ઉધોગપતિઓથી આઘા રહ્યા હતા. તેમને થોડો ઘણો વિશ્વાસ ઘનશ્યામદાસ બિરલા અને જે.આર.ડી. તાતામાં હતો. આઝાદી પછી નહેરુની આર્થિક નીતિથી બિઝનેસ જગત નારાજ થયું હતું. એ લાગણીઓ લઈને મુંબઈના અમુક ઉધોગપતિઓ નહેરુને મળવા ગયા હતા. એ મિટિંગમાં  તાતાએ ભલામણ કરી હતી કે દેશના આર્થિક વિકાસ માટે પબ્લિક સેકટર કંપનીઓ નફો કરે તે જરૂરી છે, ત્યારે નહેરુએ તાતાને પરખાવ્યું હતું, “મારી પાસે નફાની વાત જ ન કરતા; એ ગંદો શબ્દ છે.”

નહેરુની એ વિચારસરણીમાંથી આઝાદ ભારતના લાઈસન્સ-પરમિટ રાજનો જન્મ થયો હતો. આજની પેઢીને કદાચ તેની કલ્પના ન આવે, પરંતુ એક સમયે ભારતમાં ખાનગી ઉધોગ-સાહસોનું ગળું જાત-ભાતનાં નિયંત્રણોથી દબાવી રાખવામાં આવ્યું હતું. ધીરુભાઈ અંબાણીનો ઉછેર એ અંકુશોને તોડીને થયો હતો. એ સરકારી નિયંત્રણોમાંથી જ એક ભ્રષ્ટ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી.

‘ગુરુ’ ફિલ્મ આ ભ્રષ્ટ વ્યવસ્થા સામે ગુરુકાંત દેસાઈ નામના એક બિઝનેસમેનના વિદ્રોહની કહાની છે. ગુરુ તેની આડે આવતા અંકુશોને પોતાની રીતે જ તોડે છે. ઉપર-ઉપરથી કોઈને એવું લાગે કે ગુરુકાંત જેમ જેમ પ્રગતિની સીડી ચઢે છે તેમ તેમ તે ભ્રષ્ટ થઇ જાય અને પૈસા ખવડાવીને પોતાનો સ્વાર્થ સાધે છે. ગહેરાઈથી જુવો તો ખ્યાલ આવે કે હકીકતમાં ગુરુની જે નૈતિકતા છે તે ભ્રષ્ટ વ્યવસ્થાને અનુકૂળ નથી.

ગુરુની લડાઈ વ્યવસ્થા સામે છે, વ્યક્તિઓ સામે નહીં. વ્યક્તિઓ સાથે ગુરુનો જે પ્રેમ, આદર અને કોલ છે, તેમાં તે છલના નથી કરતો. જે સમાચારપત્રના માલિક ‘નાનાજી’ માણિક દાસગુપ્તા (મિથુન ચક્રવર્તી) ગુરુને પાયમાલ કરવા મેદાને પડ્યો છે, તેની વાઈના દર્દથી પીડાતી દીકરી (વિદ્યા બાલન) પ્રત્યે ગુરુનો પ્રેમ જરા ય ઓછો નથી થતો. ધ્યાનથી જુવો તો ગુરુ તેનાં માનવીય મૂલ્યોમાં ભ્રષ્ટ નથી થયો. ઊલટાનો તે તેનાં મૂલ્યોને જીદ્દી બનીને પકડી રાખે છે અને વ્યવસ્થા સાથે ટકરાઈ જાય છે. સફળતા અને સમૃદ્ધિમાં તે બગડી જતો નથી. એ આગળ વધવા અને સ્પર્ધા ઊભી કરવા વ્યવસ્થાને તોડે છે.

ગુરુકાંત દેસાઈ એવા ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો એ નૈતિક કૃત્ય છે, ગંદુ નહીં. સૌથી આસાન ભાષામાં ફ્રી-માર્કેટ એટલે માંગ અને પુરવઠાના નિયમ હેઠળ માણસો વચ્ચે સ્વૈચ્છિક લેવડદેવડ. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં ગુરુકાંત દેસાઈના માધ્યમથી એક અગત્યનો સવાલ પૂછ્યો હતો: જે કાનૂન ભ્રષ્ટ હોય, તેનું પાલન કરવું એ નૈતિકતા છે? મહાત્મા ગાંધીએ સામાજિક અન્યાય કરતા અંગ્રેજોના અનુચિત કાનૂનને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલા માટે તો ગાંધીજીને રાષ્ટ્રદ્રોહી ગણીને તેમની પર ખટલો ચલાવવામાં આવ્યો હતો. કાનૂનની નજરમાં ગાંધીજી અપરાધી હતા, પણ સામાજિક દ્રષ્ટિએ તેઓ નૈતિક હતા.

‘ગુરુ’માં મણિ રત્નમે આર્થિક અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગુરુ તેની સાથે થતા આર્થિક અન્યાન્યને રોકવા માટે કાનૂનનો ભંગ કરે તો તે ભ્રષ્ટ કહેવાય? તમે જો રશિયન-અમેરિકન લેખક આયન રેન્ડની મહાનવલકથા ‘ધ ફાઉન્ટનહેડ’ વાંચી હોય, તો તેનો હીરો હોવાર્ડ રોઆર્ક તેમાં પૂછે છે, “એક ભ્રષ્ટ દુનિયામાં એક ઈમાનદાર માણસ કેવી રીતે જીવી શકે?”

હિન્દી ફિલ્મોમાં એક હીરો હોય અને એક વિલન હોય. તમે કલ્પના કરી હતી કે એક દિવસ એવી ફિલ્મ બનશે જેમાં સમાજવાદ વિલન હશે અને મૂડીવાદ હીરો? હિન્દી ફિલ્મોમાં વિલન હંમેશાં ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓ વાપરતો, આલીશાન ગાડી-મકાનમાં રહેતો પૈસાદાર બિઝનેસમેન હોય છે, અને હીરો ગરીબી અને અન્યાયનો માર્યો એક સાધારણ માણસ હોય છે. ‘ગુરુ’માં ગુરુકાંત દેસાઈનો મૂડીવાદ હીરો છે અને સરકારી સમાજવાદ વિલન છે.

ફિલ્મના અંત તરફ ગુરુકાંત દેસાઈ સામે ખટલો મંડાય છે, ત્યારે ‘ધ ફાઉન્ટનહેડ’ જેવો ઘાટ ઘડાય છે. ગુરુનો અપરાધ શું છે? તો તેણે ઈમ્પોર્ટ ડ્યુટી સહિતના અનેક કાનૂનનો ભંગ કર્યો છે. એમાં ગુરુને પાંચ મિનીટ માટે પોતાના પક્ષમાં બોલવા માટે આપવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને ફ્રી-માર્કેટને ભેગા કરીને બોલાયેલું એ વક્તવ્ય હિન્દી સિનેમાનો એક યાદગાર સંવાદ છે:

“ખડા હો જાઉં, યા ઇસકે લિયે ભી લાઇસેંસ ચાહીએ? આપ કહેતે મેં કાનૂન કે ખિલાફ હું. ચાલીશ સાલ પહેલે એક ઔર આદમી કાનૂન કે ખિલાફ થા. આજ હમ ઉસ આદમી કો બાપુ કહેતે હૈ. ઉનકે વક્ત મેં ગુલામી કા કાનૂન થા. ઉન્હોને એક નયા કાનૂન બનાયા, હમારી આઝાદી કા … દો કમીજ, એક બીવી ઔર એક સાલે કો લેકે બમ્બઈ આયા થા. સોચા થા કે બિઝનેસ કરુંગા. લેકિન જબ યહાં પહુંચા તો દેખા કી ધંધે કરને કે સારે દરવાજે બંધ હૈ. વો ખુલતે થે તો સિર્ફ અમીરો કે લિયે. સરકારી દરવાજે થે. યા તો લાત મારકે ખુલતે થે, યા જી હજૂરી કરકે. મૈને દોનો કિયા. ઓર આજ મુજે યહાં ખડા કરકે આપ પૂછતે કે એ આદમી સલામ બહોત કરતા હૈ! કિસ બાત સે નારાજ હૈ આપ? મેરી તરક્કી સે? યા મેરી તરક્કી કી તેજી સે? યા ઈસલીયે સબ ખફા હૈ કી એક મામૂલી ગંવાર હદ સે આગે ચલા ગયા હૈ? પૈસે કી કીમત ક્યા હૈ, મેં જાનતા હું. અગર પૈસા બન સકતા થા, તો મૈને બનાયા હૈ, લેકિન સિર્ફ અપને લિયે નહીં, અપને ૩૦ લાખ શેરહોલ્ડર કે લિયે ભી. આપ લોગ સબ મિલકે મુજે રોકના ચાહતે હૈ ના .. મેં અકેલા નહીં હું … મેરે સાથ પૂરા દેશ બઢ રહા હૈ. જો દરવાજે આપ બંધ કરકે રખના ચાહતે હૈ, વો ખુલ રહે હૈં. ટાંગ અડા દી હૈ હમને.”

‘ગુરુ’ ફિલ્મ ભારતની આઝાદીની ફિલ્મ છે, પણ અંગ્રેજી હુકુમતથી નહીં, નેહરુવાદી સમાજવાદથી.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 ઍપ્રિલ 2021

Loading

23 April 2021 admin
← હ્યુમન લાઈબ્રેરી : મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ …
ચલ મન મુંબઈ નગરી—92 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved