બોલિવૂડના પ્રખ્યાત લેખક સાગર સરહદીનું તારીખ ૨૨ માર્ચ ૨૦૨૧એ મુંબઈમાં નિધન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. સાગર સરહદીને હાર્ટ પ્રોબ્લેમના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ અને ‘સિલસિલા’, શાહરૂખ ખાનની ‘દીવાના’, ઋષિ કપૂરની ‘ચાંદની’ અને રિતિક રોશનની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના લેખક સાગર સરહદીને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ફિલ્મમેકર યશ ચોપરાની મહત્ત્વની રોમેન્ટિક ફિલ્મો ‘કભી કભી’, ‘સિલસિલા’ અને ‘ચાંદની’, સાગર સરહદી લખી ચૂક્યા છે. આ સિવાય તેમણે ફિલ્મમેકર રાકેશ રોશનની કેટલીક ફિલ્મોના સંવાદ પણ લખ્યા છે. સાગર સરહદીએ બોલિવૂડમાં ઓછું પણ યાદગાર લેખનકાર્ય કર્યું છે, તેમણે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલને લઈને ‘બાઝાર’ (૧૯૮૨) નામની ફિલ્મ બનાવી હતી કે જે હિટ રહી હતી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી.
વર્ષ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ પાકિસ્તાનના એક નાનકડા ગામમાંથી દિલ્હીમાં આવીને રેફ્યુજી (શરણાર્થી) તરીકે વસેલા લેખક સાગર સરહદીને આજે પણ તે વાત સતાવે છે કે ‘એવી કઈ તાકાત છે જે તમને તમારું ગામ છોડવા માટે મજબૂર કરે છે અને માનવીમાંથી રેફ્યુજી બનાવે છે, હું આજ સુધી તે ભૂલ્યો નથી’. પાકિસ્તાનના જે ગામમાં સાગર સરહદીનું બાળપણ પસાર થયું હતું તેનાથી પ્રેરાઈને તેમણે ફારૂક શેખ સ્ટારર ‘નૂરી’ નામની રોમેન્ટિક ફિલ્મ લખી હતી કે જેનું બેકગ્રાઉન્ડ કાશ્મીર રાખવામાં આવ્યું હતું.
ગંગા સાગર તલવારના નામે તારીખ ૧૧ મે, ૧૯૩૩ના રોજ પાકિસ્તાનના એબોટાબાદના એક નાનકડા ગામમાં સાગર સરહદીનો જન્મ થયો, ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ તેમનો સંપૂર્ણ પરિવાર દિલ્હી આવી ગયો અને રેફ્યુજી (શરણાર્થી) કેમ્પમાં આશરો લીધો. સાગર સરહદીએ દિલ્હીમાં મેટ્રિકનો અભ્યાસ શરૂ કર્યો કે જ્યાં તેમની મુલાકાત ગુલઝાર સાથે થઈ. દિલ્હીની ખાલસા કોલેજમાં ગુલઝાર, સાગર સરહદીના સિનિયર હતા અને તેમણે જોયું કે ગુલઝારનું ઉર્દૂ ભાષા પર ભારે પ્રભુત્વ છે અને મિર્ઝા ગાલિબ સહિતના મહાન ઉર્દૂ કવિઓની રચના તેઓ ફટાફટ બોલી જાય છે. ગુલઝારના સાહિત્યિક જ્ઞાનથી સાગર સરહદી ભારે પ્રભાવિત થયા અને કોલેજમાં તેમણે ઉર્દૂ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. સાગર સરહદી અંત સુધી તેમનું લેખનકાર્ય ઉર્દૂ ભાષામાં જ કરતા હતા. ઉર્દૂ સિવાય અંગ્રેજી ભાષા પર પણ સાગર સરહદીએ પ્રભુત્વ મેળવ્યું કે જેથી તેઓ વધુને વધુ વિશ્વ સાહિત્ય વાંચી શકે. કોલેજકાળમાં જ તેમણે નાટકો અને ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓ દિવસના ૧૪થી ૧૬ કલાક વાંચન કરતા હતા કે જેથી તેમનું લેખનકાર્ય વધારે સારું થઈ શકે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા અને કમાણી માટે સાગર સરહદી મુંબઈ આવ્યા. અહીં તેમણે અભ્યાસની સાથે-સાથે પાર્ટ ટાઈમ ભણાવવાનું શરૂ કર્યું કે જેથી આર્થિક ટેકો રહે.
સાગર સરહદીના જીવનમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેઓ મુંબઈ સ્થિત ‘પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન’(Progressive Writers’ Association)માં જોડાયા, અહીં તેમની મુલાકાત સિનેમા અને સાહિત્યની દુનિયા સાથે જોડાયેલા કૈફી આઝમી, ઈસ્મત ચુગતાઈ, રાજિન્દર સિંઘ બેદી, ખ્વાજા અહમદ અબ્બાસ અને સરદાર જાફરી વગેરે સાથે થઈ. અહીંથી તેઓ ડાબેરી વિચારધારા તરફ પ્રેરિત થયા અને તેમના લેખનકાર્યમાં સામાજિક પ્રશ્નોને સ્થાન મળ્યું. લેખનકાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી એટલે સાગર સરહદીને એક બ્રિટિશ એડવર્ટાઈઝિંગ કંપનીમાં અનુવાદક તરીકેની નોકરી મળી ગઈ, અહીં તેઓ અંગ્રેજી જાહેરખબરોનો ઉર્દૂ ભાષામાં અનુવાદ કરતા હતા. બે વર્ષમાં તેમણે આ નોકરી છોડી દીધી કારણ કે નોકરીની સાથે-સાથે સાગર સરહદીને લખવા-વાંચવાનો પૂરતો સમય મળતો નહોતો. એક લેખક તરીકેનો તેમનો સંઘર્ષ ચાલુ જ હતો ત્યાં બાસુ ભટ્ટાચાર્યની સંજીવ કુમાર સ્ટારર ફિલ્મ ‘અનુભવ’(૧૯૭૧)ના સંવાદ લખવાનું કામ મળ્યું. સાગર સરહદીનું નસીબ ત્યારે પલટાયું કે જ્યારે બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર યશ ચોપરા તેમનું ‘મિર્ઝા સાહેબાં’ નામનું નાટક જોવા આવ્યા. આ નાટકથી અભિભૂત થઈને યશ યોપરાએ સાગર સરહદીને ફિલ્મ લખવાની ઓફર કરી, સાગર સરહદીએ વર્ષ ૧૯૭૬માં આવેલી સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ લખી. ‘કભી કભી’ની સફળતા બાદ સાગર સરહદી પાસે ફિલ્મ લખવા માટેની અનેક ઓફર આવી પણ તેમણે તે નકારતા કહ્યું કે મારે માત્ર પૈસા માટે ફિલ્મો નથી લખવી, હું લેખન અને વાંચન માટે વધુ સમય આપવા માગું છું. સારી રીતે જીવનનિર્વાહ થાય તેટલા પૈસા મારા માટે પૂરતા છે. યશ ચોપરાની અન્ય રોમેન્ટિક ફિલ્મો ‘નૂરી’ (૧૯૭૯), ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ચાંદની’ (૧૯૮૯) પણ સાગર સરહદીએ લખી. યશ ચોપરા સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતા સાગર સરહદી એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે તેમણે આજ સુધી મારા લખેલા સ્ક્રીનપ્લે અને સંવાદોમાં કોઈ ફેરફાર કર્યા નથી અને લેખનકાર્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.
સાગર સરહદીએ તેમના કરિયરમાં એકમાત્ર ‘બાઝાર’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી કે જેની વાર્તા તેઓને ન્યૂઝપેપરની સ્ટોરીમાંથી મળી આવી હતી. હૈદરાબાદમાં પૈસા માટે દીકરીઓના લગ્ન અરબના દેશોમાં કરવામાં આવે છે તે વાર્તા આધારિત ફિલ્મ ‘બાઝાર’ બોક્સ ઓફિસ પર હિટ રહી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી. ‘બાઝાર’ ફિલ્મમાં ગરીબ પરિવારની યુવતીના લગ્નની વાર્તા છે, કારણ કે સાગર સરહદી ડાબેરી વિચારોથી પ્રેરિત હતા માટે તેમણે આ પ્રકારે સામાજિક મુદ્દો રજૂ કરતો વિષય પસંદ કર્યો. ‘બાઝાર’ ફિલ્મ ભારત સહિત પાકિસ્તાનમાં પણ હિટ રહી હતી. ફારૂક શેખ, સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહ સ્ટારર આ ફિલ્મનું સંગીત ખય્યામે આપ્યું હતું. ‘બાઝાર’ની સફળતા બાદ સાગર સરહદીએ તેમના ભત્રીજા વિજય તલવારની ફિલ્મ ‘લોરી’ પ્રોડ્યુસ કરી. ફારુક શેખ અને શબાના આઝમી સ્ટારર ‘લોરી’ ફિલ્મના સહ-લેખક સાગર સરહદી હતી, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહીં. એક એવો સમય આવ્યો કે જ્યારે સાગર સરહદીને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે તેમણે શાહરૂખ ખાન સ્ટારર ‘દીવાના’ (૧૯૯૨) લખી, આ ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મથી શાહરૂખ ખાનને પણ બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. રિતિક રોશનની પહેલી ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના સંવાદ પણ સાગર સરહદીએ લખ્યા હતા. વર્ષ ૨૦૦૪માં નવાઝુદ્દીન સિદ્દિકીને લઈને સાગર સરહદીએ ‘ચૌસર’ નામની ફિલ્મ બનાવી હતી પણ આજ સુધી આ ફિલ્મને કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં મળવાના કારણે તે રિલીઝ થઈ શકી નથી.
આ ઉંમરે પણ સાગર સરહદી દિવસના ઓછામાં ઓછા ૫ કલાક વાંચન કરતા હતા, તેમના ઘરમાં સામાન કરતાં પુસ્તકોની સંખ્યા વધારે હતી. મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઊંડો રસ ધરાવતા સાગર સરહદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લેખનકાર્યમાં પાત્રોની ગૂંથણી માટે મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ હોવો જરૂરી છે. હું દેશ-વિદેશનું ક્લાસિક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં વાંચું છું. પણ, હું આજકાલ જોઉં છું કે આજની પેઢી વધારે વાંચતી નથી અને મોબાઈલમાં વધારે વ્યસ્ત રહે છે. ખાસ કરીને લેખનકાર્યમાં અને જીવનને જાણવા-સમજવા માટે વાંચન ખૂબ જરૂરી છે. સાગર સરહદી અપરિણીત હતા અને તે પાછળનું કારણ જણાવતા કહે છે કે ‘હું જ્યારે યુવાન હતો ત્યારે મારી પાસે પૂરતા પૈસા નહોતા, જવાબદારી સ્વીકારવાની મારી તૈયારી નહોતી. જ્યારે લગ્ન એ એક મોટી જવાબદારી છે માટે મેં આજ સુધી લગ્ન કર્યા નથી. મારા જીવનમાં ઘણી સ્ત્રીઓ આવી અને મેં ભરપૂર રોમાન્સ પણ કર્યો, આ કારણે જ હું સફળ રોમેન્ટિક ફિલ્મો લખી શક્યો છું. આજે હું એકલો છું અને મારો મોટા ભાગનો સમય વાંચનમાં અને મિત્રોને મળવામાં પસાર થાય છે.’
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 14-15